બ્રિટનની પાર્લામેન્ટના પહેલા હિન્દી સભ્ય કોણ?
(ભીખા શેઠ અને રઘલો ભીખા બહેરામના કૂવાથી દાદાભાઈ નવરોજીના પૂતળા તરફ ચાલતા જઈ રહ્યા છે.)
ભીખા શેઠ : રઘલા, તુને માલમ છે કે ગાંધીજી લોનું ભનવા બ્રિટન ગિયા તે વારે કોના પર ભલામણ ચિઠ્ઠી લઈ ગયેલા?
રઘલો : સું સેઠ! તુને હજી રાતે પીધેલી તારી ઊતરી લાગતી નથી. મહાત્મા ગાંધીજીને તે વલી ભલામણ ચિઠ્ઠીની જરૂરત પડે?
ભીખા શેઠ : અરે અક્કલમુઠ્ઠીના! એવન ભનવા ગિયા ત્યારે મહાત્મા બનિયા હુતા નહિ. એ તો હુતા ૧૯ વરસના મોહનદાસ કરમચંદ ગાંધી. અને એવન ૧૮૮૮ના સપ્ટેમ્બરની ચોથી તારીખે મુંબઈથી લંડન જવા નીકલિયા તે વારે તેઓ તન ભલામણ ચિઠ્ઠી સાથે લઈ ગિયા હુતા. તેમાંની એક હુતી દાદાભાઈ નવરોજી પરની.
રઘલો : તે સું દાદાભાઈ બહુ પૈસાવાલા હુતા?
ભીખા શેઠ : વેપાર કરતા હુતા એટલે બે પાનરે સુખી તો હુતા, પણ ગ્રેટ બ્રિટનના પોલિટિક્સમાં બી પડેલા હુતા. અને તુને માલમ છે? ૧૮૯૨માં એવન ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના મેમ્બર ચૂંટાઈ આવેલા.
રઘલો : એક હિન્દી, અને બ્રિટનની પાર્લામેન્ટનો ચૂંટાયેલો મેમ્બર?
ભીખા શેઠ : હા, અને લંડનના એક પરગણામાંથી બીજા અંગ્રેજ ઉમેદવાર સામે ચૂંટણી લડીને મેમ્બર બનનારા એવન પહેલા હિન્દુસ્તાની હુતા.
પાર્લામેન્ટની ચૂંટણી માટે દાદાભાઈનો પ્રચાર કરતા અંગ્રેજો
રઘલો : એ તો એવન ગોરાઓના દેસમાં જનમિયા હોસે, એટલે.
ભીખા શેઠ : નિ રઘલા. પાર્લામેન્ટના મેમ્બર બનિયા પછી એવનની સામે એક પ્રોબ્લેમ ઊભો થિયો. અત્તાર સુધી દરેક મેમ્બર બાઈબલ પર હાથ રાખી શપથ લેતા હુતા. પણ દાદાભાઈ તો પાક્કા જરથોસ્તી. એટલે એવને તેમ કરવા ‘ના’ ભણી. અને પારસીઓના પવિત્ર પુસ્તક ‘ખોરદે અવસ્તા’ પર હાથ રાખી શપથ લેવાની મંજૂરી લીધી. અને રઘલા, એવનનો જનમ નવસારીમાં થિયો હૂતો.
રઘલો : ઓહો! તારે વિલાયતમાં બી નવસારી નામનું ગામ છે?
ભીખા શેઠ : હવે તુને નક્કી તાડી દિમાગ પર ચડી છ. અરે ઘોઘા! આપના ગુજરાતનું નવસારી.
રઘલો : સું વાત છે! મારા વલહાડ પાસેનું નવસારી?
ભીખા શેઠ : હા રઘલા. પણ તારે એ વડોદરાના ગાયકવાડના તાબામાં હુતું. ૧૮૨૫ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ખોડાયજીએ દાદાભાઈને આય દુનિયામાં મોકલ્યા. એવનનાં માય-બાપ રહેતા હુતા મુંબઈના માંડવી નામના મોહલ્લામાં. નવરોજી પાલનજી દોરડી અને એવનનાં ધણિયાણી માણેકબાઈ એક નાનકડા ઘેરમાં જેમ તેમ ગુજારો કરતાં. નવરોજી હતા અમારા પારસીઓના દસ્તૂર.
દાદાભાઈ માટે બહાર પાડવામાં આવેલી અપીલ
રઘલો : પન ગરીબ માયબાપનો પોરિયો છેક વેલાત પહોંચ્યો કેમનો?
ભીખા શેઠ : જો ડીકરા! પહેલાં એવન ગાયકવાડી રાજના દીવાન બનિયા. પછી મુંબઈ આવી અમારા પારસીઓમાં ‘સમાજ સુધારો’ કરવા એકુ મંડલી શુરુ કીધી અને ‘રાસ્ત ગોફતાર’ નામનું ચોપાનિયું બી શુરુ કીધું. એલ્ફિન્સ્ટન કોલેજમાં ગણિત અને ફિલસૂફિયાના પ્રોફેસર બનિયા. ૧૮૫૫માં લંડન ગિયા અને કામા એન્ડ કંપનીના એક ભાગિયા બનિયા. જો કે તનેક વરસ પછી બીજા ભાગિયાઓ સાથે જીવ ઊંચો થતાં છુટ્ટા થઈ ૧૮૫૯માં કોટનના વેપાર માટે પોતીકી કંપની શુરુ કીધી. સાથે સાથે વિલાયતમાં રહેતા હિન્દીઓની સુખાકારી માટે કામ કરતા થિયા. ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશન શુરુ કરી હિંદીઓ બાબતની ગેરસમજનો દૂર કરી તેમના વાજબી હક્ક માટે બુલંદ અવાજ ઉઠાવિયો. બ્રિટનની પાર્લામેન્ટના મેમ્બરો સાથે ઉઠતા-બેસતા થિયા. તો માયભૂમિમાં ૧૮૮૫માં સુરુ થયેલી ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૧૮૮૬માં બીજા સરનસીન (પ્રમુખ) બનિયા. બાદમાં ૧૮૯૩ અને ૧૯૦૬માં ફરી સરનસીન તરીકે ચૂંટાઈ આવ્યા. માયભૂમિને માટે ઘન્ંના સોજ્જાં કામ કરીને ૯૧ વરસની જૈફ ઉંમરે ૧૯૧૭ના જૂનની ૩૦મી તારીખે એવન મુંબઈમાં જ ખોડાયજીને પ્યારા થઈ ગિયા.
રઘલો : હવે હમજ્યો કે એવનનું બાવલું અઈ કેમ મૂકેલું છ.
ભીખાજી : બાવલું તો છે જ પણ અહીંથી નજીક દાદાભાઈ નવરોજી રોડ બી આવેલો છે. પાકિસ્તાનના કરાચીમાં અને વેલાતનાં ફિન્સબરીમાં બી એવનના નામના રોડ. આપરા દિલ્લીમાં બી ‘નવરોજી નગર’ કરીને એક એરિયા છે.
રઘલો : સેઠ, એક બાબત પૂછું?
ભીખા શેઠ : સું?
રઘલો : બીજાં બધાં પૂતલાંઓએ તો પોતાની વાત પોતાની જુબાને કીધી. પણ આ દાદાભાઈ સાહેબની બધી વાત તેં જ કેમ કીધી?
ભીખા શેઠ : જો રઘલા! આય દાદાભાઈ એટલે નમનતાઈનું જ પૂતલું. એવન પોતાને મોએ પોતાની વાત કભ્ભી બી નિ કરે. એટલે એવનની વાત મેં કીધી. અને બીજી એક વાત : આપના દેશની સરકારે તન તન વખત દાદાભાઈના માનમાં ટપાલની ટિકેત બહાર પાડી છે : ૧૯૬૩, ૧૯૯૩, અને ૨૦૧૭માં.
(બંને જણા ચાલતા ચાલતા દાદાભાઈના પૂતલા લગન આવી પૂગે છે.)
દાદાભાઈ : આવો, આવો. તમારી જ રાહ જોતો હૂતો.
ભીખા શેઠ : કેમ વારુ?
દાદાભાઈ : સબબ કે સર ફિરોઝશાહ મહેતા આજે અહીં પધારવાના છે.
ભીખા શેઠ : ઓહોહો! અરે રઘલા, જલ્દીથી બધી તૈયારી કરી નાખ.
રઘલો : ફિરોઝશાહ, કે એક્તર ફિરોઝ ખાન?
ભીખા શેઠ : હવે મૂંગો મર, ગધેરા!
(હળવી, પણ મક્કમ ચાલે ફિરોઝશાહ મહેતા આવે છે.)
ફિરોઝશાહ : સલામ, દાદાભાઈ સાહેબ!
દાદાભાઈ : પધારો પધારો. ઘન્ના લાંબા વખત પછી મલવાનું થિયું.
ફિરોઝશાહ : પેલા એક ગઝલકારે કહ્યું છે ને તેવું જ કૈક થિયું :
બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું!
નહીંતર મિલનનો માર્ગ છે વીટીથી ફૌંટન સુધી!
જુઓ, મારી વાત સમજો. મારા બાવા ઝાઝું ભણેલા નહિ હુતા, પણ ગણેલા હુતા. એટલે કલકત્તા સાથે વેપાર કરતા. એ સબબે ત્યાંની આવનજાવન બી રહેતી. અને હા. એવનનું અંગ્રેજી ખાસ્સું પાવરફૂલ. એટલે કેમિસ્ટ્રીની એક ચોપડીનો તરજુમો કિધેલો અને નિશાળના પોરિયાઓ માટે ભૂગોળની એક ચોપડી બી લખેલી. આપરું ગાડું જરા સારું ચાલિયુ. ૧૮૬૪માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. થયો અને પછી યુનિવર્સિટીમાંથી એમ.એ.. આય બોમ્બે યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવનાર હું પહેલવહેલો પારસી હૂતો. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ હુતા વાઈસ ચાન્સેલર. એવન એટલા ખુસ મારા પર, કે જમશેદજી જીજીભાઈની સ્કોલરશીપ મને મળે તેવી જોગવાઈ કીધી. પણ મેં કીધું કે નહિ, હું ભણવા લંડન જાવસ તો મારા બાવડાના જોરે. ગિયો, અને લિંકન્સ ઈનમાં દાખલ થિયો. ૧૮૬૮માં બેરિસ્ટર થિયો તે પહેલાં અહીંથી બીજો કોઈ બી પારસી બેરિસ્ટર થિયો હૂતો નિ. પણ મારે પ્રેક્ટિસ તો મારા દેશમાં જ કરવી હુતી. એટલે મુંબઈ આવી પ્રેક્ટિસ શુરુ કીધી. આજે બી લોક જે માર્કેટને ‘ક્રાફર્ડ માર્કેટ’ કહી બોલાવે છે તે આર્થર ક્રાફર્ડ પર પૈસાની બાબતમાં ગફલા કરવાનો કેસ મંડાયો. તેના તરફથી બોમ્બે મ્યુનિસિપાલ્ટી એકટમાંનાં છીંડાંનો ફાયદો વકીલે લીધો. તે વારે મેં સરકારને કીધું કે આય એક્ટમાં જે જે છીંડાં છે તે પૂરવાં જોઈએ. સરકારે કહ્યું કે તો નવો એકટ તમે જ તૈયાર કરી આપો. આપરે તો આખ્ખો કાયદો નવેસરથી લખી નાખિયો, જે ૧૮૭૨માં પાસ થિયો. તે વારથી ઘણા લોક મુને ‘ફાધર ઓફ બોમ્બે મ્યુનિસિપાલીટી’ કહીને બોલાવતા.
મ્યુનિસિપાલિટીના મકાનની બહાર સર ફિરોઝશાહ મહેતાનું પૂતળું
રઘલો : અચ્છા, એટલે એવનનું બાવલું મુનશીપાલ્ટીના મકાનની બહાર ઊભું કીધેલું છે.
ભીખા શેઠ : હા, અને તે જગાથી સુરુ થતા રોડનું નામ બી સર ફિરોઝશાહ મહેતા રોડ એવું રાખિયું છે. અને લોકો જેને હેંગિંગ ગાર્ડન કહીને ઓલખે છે તેનું બી ખરું નામ છે ફિરોઝશાહ મહેતા ગાર્ડન.
ફિરોઝશાહ મહેતા ગાર્ડન ઉર્ફે હેંગિંગ ગાર્ડન
ફિરોઝશાહ : આય પોલિટિક્સ એક એવી જાળ છે કે એકવાર અંદર ઘૂસો, પછી બહાર નીકલવાનું એકદમ કઠિન. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની ૧૮૮૫માં શુરુઆત થઈ તે વારથી તેની સાથે જોડાયો અને તેની કલકત્તા સેશનનો પ્રમુખ બી બનિયો. તે વખતે હજી કાઁગ્રેસ અને બ્રિટિશ સરકાર આમનેસામને નહિ હૂતી. ૧૮૮૭માં સરકારે મારી નિમણૂક બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અને ૧૮૯૩માં ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં કીધી.
ભીખાશેઠ : આપે એકુ છાપું બી સુરુ કીધેલું, નહિ?
ફિરોઝશાહ : હા, ૧૯૧૦માં ‘ધ બોમ્બે ક્રોનિકલ’ નામનું આઠવારિયું સુરુ કીધું.
દાદાભાઈ : આય ફિરોઝશાહે મુંબઈની એટલી તો સેવા કીધી કે લોક એવનને ‘ધ લાયન ઓફ બોમ્બે’ અને ‘મુંબઈનો બેતાજ બાદશાહ’ કરી ઓળખવા લાગિયા. ૧૯૧૫ના નવેમ્બરની પાંચમી તારીખે ફિરોઝશાહ બેહસ્તનશીન થિયા.
ભીખા શેઠ : મુને એક વાત યાદ આવે છે, જે સર હોમી મોદીએ ફિરોઝશાહ સાહેબની અંગ્રેજીમાં બાયોગ્રાફી લખેલી છે. એવન જ્યારે સાતેક વરસના હુતા ત્યારે જીવલેણ તાવમાં પટકાયા. દિવસો સુધી બેસુધ રહ્યા. બીજા બધા ડોક્ટર હાર્યા એટલે એ વખતના નામીચા ડોક્ટર ભાઉ દાજીને ઘેર બોલાવિયા. એવને તપાસીને કીધું કે આય છોકરાનું દિમાગ વધુ પડતું તેજ છે. એટલે આવી માંદગી આવી છે. આ પોરિયો બચશે કે નહિ, એ કહેવું મુસ્કેલ છે. પણ જો જીવશે તો ઘણો મોટ્ટો માનુસ થશે. થોરા દિવસ પછી એક દિવસ છોકરો સફાળો જાગીને જોર જોરથી રડવા લાગ્યો. માઈબાપે પૂછયું કે બેટા કેમ રડે છે, તો કહે કે હું તો એક બહુ જ મોટ્ટા ખુસ્નુમાં બાગમાં ગિયો હૂતો. એકેક ફૂલ પાસે જઈને હુન્ગતો હૂતો તેવામાં મારાં દાદીમાં આયાં. મુને જોઇને જોરથી ધક્કો મારિયો તે એ બાગમાંથી હું સિધ્ધો આય આપના ઘેરમાં આયો. આય સમજીને ઘરના ગલ્ઢેરાએ કીધું કે આ તો બહુ સોજ્જાં શુકન થિયાં. એ બાગ તે બેહસ્ત. આવરી નાની ઉંમરના દોતરાને ત્યાં જોઈને જ દાદી માએ ધક્કો મારીને તેને બહાર કાઢી મૂકયો અને છોકરો મોતના દરવાજેથી પાછો ઘેર આયો.
ફિરોઝશાહ : સાચું ખોટું તો ખોડાયજી જાને. ચાલો, સલામ આપ સૌને.
ભીખા શેઠ : પધારજો.
તો સાહેબો, સવારની અવરજવર શુરુ થઈ ગઈ છે. એટલે હવે વધુ વાત આવતા શનિવારે. પન અહીં નહિ. આપના દેશની ઔદ્યોગિક ક્રાંતિના પહેલા મશાલચી જમશેદજી તાતાના પૂતલા પાસે ભેગા થઈશું.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 જુલાઈ 2023)