જીમના લોકર રૂમમાં આ તાળું જોવા મળ્યું.
આમ તો એ તાળું બનાવનાર કંપનીનો વેચાણ વધારવાનો એક કીમિયો જ ગણાય.
‘અમારું તાળું
કિલ્લાઓને લગાવાતા
તોતિંગ તાળાઓની
બરાબરી કરે તેવું છે!’
પણ એ તાળું જોઈને મન વિચારે ચઢી ગયું.
જાતજાતના કિલ્લા! એ લોકર પણ જીમમાં કસરત કરું એ દરમિયાન મારી મતા સાચવી રાખવા માટેનો કામચલાઉ કિલ્લો! આપણા જીવનમાં આવા અનેક કિલ્લા હોય છે. આપણું થોડું ઘણું સાચવી રાખવાના નુસખા. એને બહુ કાળજીથી આવાં તાળાં લગાવી જ રાખવા પડે ને?! અમુક મતા તો એટલી બધી કિંમતી હોય કે, બહુ તોતિંગ, ખંભાતી તાળાં લગાવવા પડે.
પણ, આપણી માન્યતાઓ અને વિચારો એ બધાથી અનેક ગણી વિશેષ કિંમતી મતા હોય છે! એને બહુ જડબેસલાક રીતે સાચવી રાખવા આપણે અથાગ ઝઝૂમતા હોઈએ છીએ. એ કિલ્લાઓને લગાવેલ તાળાં આગળ ખંભાતી તાળાની શી વિસાત?! એમને જીવની જેમ જાળવવા આપણે જીવ-સટોસટના સંગ્રામો ખેલીએ છીએ.
બે જ બાજુ –
મારો મત અને ખોટો!
આપણી નાનકડી દુનિયા આપણને બહુ વહાલી હોય છે. એની બહાર કેટલું વિશાળ અસ્તિત્વ હાજરાહજૂર હોય છે – એ નિહાળવા આપણી પાસે નજર જ નથી હોતી.
કેવળ કૂપમંડૂકતા.
પણ કદીક એ કિલ્લાઓને લગાવેલા તોતીંગ તાળા જરીક ખોલીને બહાર નજર માંડીએ ત્યારે કૂવાના દેડકા જેવી આપણી એ દુનિયાની ક્ષુદ્રતાનો અહેસાસ આપણને ખચિત થઇ જ જાય – બેશક.
આ લખનારનો જ નહીં; ઘણા બધા વિચારકોનો પણ આવો જ અભિપ્રાય હોય છે. એ તાળાંઓને તોડી, ફોડી – એ કિલ્લાઓને ધરાશાયી કરી આપણે એક અત્યંત વિશાળ દુનિયાને નિહાળવા કટિબદ્ધ થઈએ તો? માનનીય કવિ માધવ રામાનુજની આ કવિતા ચપટીક આસ્વાદી જુઓ ને…
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
આ કાવ્યનો ભાવ આત્મસાત થાય તો, વિશ્વની વિશાળતાનો-એના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશની અંદર વિલસી રહેલી સુંદરતાનો અદ્દભુત અનુભવ આપણને કદાચ હાથવગો બની જાય.
એમ પણ બને !
e.mail : surpad2017@gmail.com
![]()


આઝાદ વિચારનો ચહેરો બનનારા ઉમર ખાલિદ છેલ્લા એક દાયકાથી જેલમાં હોવા છતાં બહાર તેમની ચર્ચા સતત થતી રહે છે. હાલમાં તેમનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. નામ છે : ‘ફ્રેક્ચર્ડ કોમ્યુનિટીઝ – આદિવાસી હિસ્ટરીઝ એન્ડ ધ પોલિટિક્સ ઑફ પાવર.’ ખાલિદ પર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં દેશ-વિરોધી નારા લગાવવાનો અને 2001માં થયેલા સંસદ હૂમલાના દોષિત અફઝલ ગુરુના ફાંસી વિરોધમાં પ્રદર્શન કરવાનો આરોપ છે. જો કે સુપ્રિમ કોર્ટમાં થઈ રહેલી સુનાવણીમાં કાયદાના નિષ્ણાતોએ નોંધ્યું છે કે ખાલિદ વિરુદ્ધ પુરાવા નબળા છે, તેમ છતાં ઉમર ખાલિદને જામીન મળી રહ્યા નથી. દેશમાં અનેક જાગ્રત નાગરિક મંડળોએ ઉમર ખાલિદના ન્યાય માટે અરજ કરી છે, પરંતુ સુપ્રિમ કોર્ટ તેમને જામીન આપતા નથી. આ અગાઉ પણ 2020માં તેમનાં પત્રો અને લખાણોનું સંપાદિત પુસ્તક ‘ઉમર ખાલિદ એન્ડ હિઝ વર્લ્ડ – એન એન્થોલોજી’ પુસ્તક પ્રકાશિત થયું હતું. ઉમર વિશે હાલમાં પ્રસ્તુત વાત તેના પુસ્તકની તો છે જ; પણ સાથે સાથે ‘ધ વાયર’ નામના ન્યૂઝ પોર્ટલ પર હાલ ‘આઝાદી કે માયને’ નામની હપ્તાવાર સિરીઝ પ્રકાશિત થઈ રહી છે. આ લેખમાળામાં ચુંનદા લેખકો પોતપોતાની રીતે આઝાદીનો વ્યાપક અર્થની વિભાવના લખી રહ્યા છે. તેમાં કેટલાંક એકેડેમેશિયન છે, સાહિત્યકાર છે અને પત્રકાર પણ છે. ઉમર ખાલિદને દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક વિજેન્દ્રસિંહ ચૌહાણે એક પત્ર લખ્યો છે અને તે પત્રમાં તેમણે ઉમરની અને દેશની આઝાદીના ખ્યાલને શબ્દોમાં રજૂ કર્યો છે.



