પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ વચ્ચેની મથામણ
આ યાત્રાને કથિત ચૂંટણીવ્યૂહના સાંકડા સંદર્ભમાં કે ઓછીવત્તી બેઠકોના ટૂંકનજરી રવૈયાથી નહીં જોતાં એક લોકાશ્રયી પક્ષ અને વૈકલ્પિક વિમર્શ વિકસાવવાની દીર્ઘદૃષ્ટિએ જોવી જોઈએ.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવેશને જે રીતે ગુજરાત કાઁગ્રેસના અગ્રણી કાર્યકરો ભા.જ.પ.માં પ્રવેશવાનો અવસર બનાવી રહ્યા છે તે જરૂર શોચનીય છે. આમેય 14મી જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ મણિપુરથી પ્રસ્થાન કર્યું તે જ દિવસે સુદૂર મુંબઈથી મિલિન્દ દેવરા સરખા એક કાળના યુવા સાથીએ ભા.જ.પ.નો પંથ પકડ્યો હતો. વચગાળામાં આપણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવાણને પણ ભા.જ.પ.વાસી બનતા નિહાળ્યા અને ગુજરાતમાં જોઈ રહ્યા છીએ તેમ આ જમાતમાં અર્જુન મોઢવાડિયા પણ પહેલા કે એકલા નથી. વિધિવત ચૂંટણીજાહેરાત આડે આઠ-દસ દિવસ માંડ હોય ત્યારે આ ઘટનાક્રમમાં સ્વાભાવિક જ કેટલાયને કાઁગ્રેસનું નામું લખાઈ રહ્યાના ભણકારા વાગે છે. પ્રશાન્ત કિશોર જેવા હજુ હમણાં લગી વ્યવસાયી વ્યૂહકાર રહેલાને તો એમ પણ લાગે કે દિલ્હીથી ઢોલ ધ્રબૂકવામાં છે ત્યારે ભઈઓ હેડક્વાર્ટર રેઢું મેલી સીમમાં ઢોરાં ચારવા મંડી પડે એ કેવું.
આ મુખડો બાંધતે બાંધતે જાગતો સવાલ એ છે કે સૌ યાત્રાના પહેલા દોરને છેક જ ભૂલી ગયા છે કે શું. પહેલા દોરને શરૂ શરૂમાં સોશિયલ મીડિયાએ જ ઝીલ્યો હતો પણ યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ મુખ્યધારાને સારુ પણ એનો સ્વીકાર અનિવાર્ય બની ગયો હતો. એ દોર પછી, દેશમાં સર્વોચ્ચ સ્તરેથી માંડી છેક નીચલી પાયરી લગી પેલી ‘પપ્પુ’ ઓળખનું ઉચ્ચારણ અસંભવ થઈ ગયું હતું.
એ વખતે કર્ણાટક વિધાનસભાની ફતેહ પણ હોંશે હોંશે ટંકાતી હતી. જો કે, સામે, રાજસ્થાન – મધ્યપ્રદેશ છત્તીસગઢ ખોયાંનીયે વાત હતી. પણ એકંદર માહોલ રાજકારણમાં રાહુલ ગાંધી અને કાઁગ્રેસની જીવંત હાજરીના સ્વીકારનો હતો. નફરતના બજારમાં મહોબતની દુકાન જેવાં સૂત્રો કોઈક વૈકલ્પિક નિરૂપણાની ગુંજાશ દાખવતાં ભારાઝલ્લાં અનુભવાવા લાગ્યાં હતાં. તે સાથે ‘ઇન્ડિયા’નો ઉદ્દભવ ભા.જ.પ. સામે વૈકલ્પિક સમવાયની સંભાવના લઈને આવ્યો હતો.
આજે ‘ઇન્ડિયા’ની મુશ્કેલી એ છે કે 1977ની જેમ નાનામોટા પક્ષો એક થઈ શકતા નથી, ન તો તે પછીના દસકામાં વી.પી.એ નેશનલ ફ્રન્ટ અને ફેડરલ ફ્રન્ટ સરખી જે વ્યૂહરચના કરી હતી એવી સમજગોઠવણ છે. કાઁગ્રેસ નાખી દેતાં પણ હજુયે ખાસી 19-20 ટકા મતોની અખિલ હિંદ આસામી છે. એ રીતે લોકસભામાં વિધિવત વિપક્ષનો દરજ્જો ન મેળવી શકતી હોય ત્યારે પણ એની રાષ્ટ્રવ્યાપી હાજરી છે. પ્રાદેશિક પક્ષો દિલ્હીમાં વિકલ્પ ઇચ્છતા હોય તો પણ પોતપોતાના પ્રદેશમાં એમની અને કાઁગ્રેસની વચ્ચે સ્પર્ધાની માનસિકતાનો ઉગાર શોધવો રહે છે.
ભા.જ.પ. આપણે અત્યારે બંગાળમાં જોઈ રહ્યા છીએ તેમ મમતા પર પ્રહારમારો ચલાવી રહ્યો છે પણ રાજ્યોમાં સામાન્ય રીતે એ પ્રાદેશિક પક્ષોને ઓછાવત્તા સાચવી લઈને ચાલે તો પણ હિંદીભાષી ભારતમાં એની પાસે જે સમર્થન છે એને કારણે આંચ આવે એમ નથી. એટલે સરવાળે પ્રાદેશિક પક્ષોને સાચવી કે ઓળખી લઈ એ મુખ્યત્વે કાઁગ્રેસને નિશાન બનાવે છે. વસ્તુતઃ કાઁગ્રેસને અને વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીને નિશાન બનાવવાની ભા.જ.પ.ની રાજનીતિમાં ભાંગી તોયે ભરૂચ જેવી કાઁગ્રેસનો અને રાહુલ ગાંધીની ઉદયમાન હોઈ શકતી પ્રતિભાનો પરોક્ષ સ્વીકાર છે, કેમ કે જેવી છે તેવી અખિલ હિંદ હાજરી આજે એની જ છે, અને રાહુલ ગાંધીની યાત્રાના પહેલા દોરે સંજીવનીની શક્યતા પણ જગવી છે.
રાહુલ ગાંધી અને કાઁગ્રેસશ્રેષ્ઠીઓએ હાલના ચૂંટણીપડકારનો જવાબ આપવાની કોશિશ જરૂર કરવી જોઈએ પણ એમણે ટૂંકા પરિણામની કે પરબારા સત્તાએ પહોંચવાની લલોપથાથી હટીને યાત્રાના પહેલા દોર સાથે વૈકલ્પિક વૃત્તાંતનું જે વાયુમંડળ બન્યું છે એની રંગપૂરણી પર ધ્યાન કેન્દ્રીત કરવાપણું છે. જેમને સત્તા વિના અસહાયતા લાગતી હોય તે સુખેથી જઇ શકે છે. મનમોહનસિંહના દસકાએ જાણવાના અધિકારથી ને મનરેગાથી સામાન્ય કાર્યકર સારુ એક કર્તવ્ય નિરમી પક્ષને નકરા ઇલેક્શન એન્જિનને બદલે લોકજીવી બનવાની તક આપી હતી. સોનિયા ગાંધીએ સલાહકાર સમિતિ મારફતે પાયાની પ્રવૃત્તિઓ સારુ એક ઉઘાડ શક્ય બનાવ્યો હતો. રાહુલ ગાંધીના બીજા દોરની યાત્રાએ આ તંતુ પકડીને લોકાશ્રયી કાઁગ્રેસનો રસ્તો પકડવાપણું છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 માર્ચ 2024