તુમ તો હમસે શહાણે નિકલે અબ તક કહાં છુપે થે ભાઈ? પાકિસ્તાની કવયિત્રી ફહમીદા રિયાઝે નવેસરથી કવિતા લખવી પડે એવાં અમૃતવચનો ભાગવતમુખેથી વહી રહ્યાં છે. ત્રિશુળધારીઓ પણ એકબીજાને ચીમટા ખણીને પૂછતા હશે કે હું જે સાંભળી રહ્યો છે એ જ તું સાંભળે છે ને કે પછી મને ભ્રમણા થઈ રહી છે? હજુ પંદર દિવસ પહેલાં જ હિન્દુ ઈજારદાર અને બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં અખલાકને મારી નાખવામાં આવ્યો તો અમારું શું બગાડી લીધું? ૨૦૧૬માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોઈ લીધાં ને? અર્થાંતરે ગુજરાતમાં ત્રણ હજાર મુસલમાનોને મારી નાખ્યા તો અમારું શું બગડી ગયું? ચાર મુદત ભોગવી રહ્યા છીએ ને? અર્થાત્ લઘુમતી કોમના લોકોનું લિન્ચિંગ કરવામાં આવે છે ત્યારે અમને તો (બી.જે.પી.ને) એમાં રાજકીય ફાયદો જ થાય છે. આવું બોલવા માટે એક ખાસ પ્રકારની અસંસ્કારિતા અને અસંવેદનશીલતા જોઈએ, જે અમિત શાહ ધરાવે છે. હવાડામાં આ જે પાણી છે એ કયા કૂવામાંથી આવે છે એ આખું જગત જાણે છે.
સૌજન્ય : હિન્દી, બી.બી.સી., 19 સપ્ટેમ્બર 2018
આમ પણ ભારતીય દર્શનશાસ્ત્રના વિદ્વાનોમાં સેંકડો વરસથી ચર્ચા ચાલી રહી છે કે ભાગવત પુરાણ છે કે વેદાંતનો ગ્રન્થ? પુરાણોમાં અલ્પશિક્ષિત ભક્તોને ગેલમાં રાખનારી થોડી રસપ્રદ પણ વધુ કંટાળાજનક લાંબી-લાંબી વાર્તાઓ છે. એમાં દેવો આપસમાં ઝઘડે છે, છેતરપિંડી કરે છે, નિંદા કરે છે, બીજાના ઘરમાં આગ લગાડનારા નારદ મુનિ પણ છે અને એમાં વચ્ચે થોડી થોડી વારે ડહાપણભરી બે વાતો પણ કહેવામાં આવે છે. ભાગવતમાં થોડો ફરક છે. ભાગવત છે તો પુરાણ જ, પરંતુ એમાં વેદાંતનું દર્શન સુલભ ભાષામાં આપવામાં આવ્યું છે. કેટલાક સનાતન ધર્મના વિદ્વાનો ભાગવતને સાવ પુરાણની કેટેગરીમાં મૂકવા તૈયાર નથી. તેઓ તેને પુરાણનો ઓછો, વેદાંતનો ગ્રન્થ વધુ માને છે. લોકસુલભ ભક્તિના માર્ગે ઈશ્વર સાથે એકાકાર કરાવનારો ગ્રન્થ.
ઇસ્કોન મૂવમેન્ટ ભાગવત આધારિત ભક્તિ અને વેદાંતનો સમન્વય કરવાનો પ્રયાસ કરે છે જેની સ્થાપના (નામ સૂચવે છે એમ) સ્વામી ભક્તિવેદાંતે કરી હતી. હકીકતમાં આનાં મૂળ ચૈતન્ય મહાપ્રભુમાં છે જેનો સ્વીકાર આજકાલ ઓછો કરવામાં આવે છે. ધર્મનું આ પણ એક લક્ષણ છે. ઇસ્લામના પયગંબરે તેમની પહેલાં થઈ ગયેલા પયગંબરોની યાદી આપી દીધી છે. ઉલ્લેખ પૂરતો છે. સિખો પણ ક્યાં કબીરના ઋણનો સ્વીકાર કરે છે? ટૂંકમાં ભાગવત ગામઠી ગીતા જેવો ગ્રન્થ છે. લોકસુલભ, પણ ઊંડાણમાં લઈ જાય એવો.
મને ખબર છે, આપણે વાત શ્રીમદ્દ ભાગવતની નથી કરતા મોહન ભાગવતની કરી રહ્યા છીએ. ભાગવતમુખેથી જે વાણી પ્રગટ થઈ એણે લોકોને ચોંકાવી દીધા છે. આપણે એકલા દેવ અને બીજા દાનવની વસ્તીગણતરી ચાલતી હતી એમાં વચ્ચે એક લોહી એક અસ્થિપિંજર ધરાવનારો આખો માણસ ક્યાંથી ટપકી પડ્યો? હજુ અઠવાડિયા પહેલાં મોહન ભાગવતે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદની સવાસોમી જયંતી પ્રસંગે બોલતા હિંદુઓને સલાહ આપી હતી કે એક થાવ. એક નહીં થાવ તો જેમ જંગલમાં જંગલી કૂતરાઓ મળીને સિંહનો શિકાર કરે છે એમ હિન્દુઓનો શિકાર થઈ જશે. હિન્દુ નામના સિંહનો કોણ શિકાર કરશે? જંગલી કૂતરાઓ અર્થાત્ વિધર્મીઓ. આ નવમી સપ્ટેમ્બરે આપવામાં આવેલી શિખામણ છે. દસ જ દિવસ થયા છે. હવે કહેવામાં આવ્યું છે; મનુષ્ય માત્ર એક છે, ભેદ કરવાનો હોય? આવો બાથમાં આવો. અમારી બાથ ખૂબ મોટી છે બધાને અંદર સમાવી શકીએ એમ છીએ.
આજથી આપણે દેવ અને બીજા દાનવોની વસ્તીગણતરી બંધ. હવે હિન્દુઓએ વધારે બાળકો પેદા કરવાની જરૂર નથી, કારણ કે ભારતમાં અને સંસારમાં દાનવો છે જ નહીં તો કોની સામે આપણે વસ્તી વધારીશું? આજથી વિધર્મીઓના ઘરમાં ડોકિયા કરવાનું બંધ કારણ કે એ પણ આપણા જેવો જ હાડ-માંસનો માણસ છે એટલે તેના ઘરમાં શું નવું મળવાનું? મોહન ભાગવત મોહન ગાંધી બની ગયા એ જોઇને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. વિધર્મીઓ અને સેક્યુલર હિંદુઓ તો સ્તબ્ધ થઈ ગયા છે, પરંતુ ભક્તો પણ હેરાન થઈ ગયા છે. દેવ અને દાનવોની વસ્તીગણતરી કર્યા વિના આયખું પૂરું કરવાનું? ડોકિયાં પણ નહીં કરવાના જેમાં નવ નવ દાયકાની હથરોટી છે?
આ અચનાક આવેલું પરિવર્તન મતપરિવર્તન છે કે હૃદય પરિવર્તન? કે પછી આની પાછળ કોઈ રાજકારણ છે? આવો સવાલ મને અનેક લોકોએ પૂછ્યો છે અને એમાં ભક્તોનો પણ સમાવેશ થાય છે. તમને પણ કોઈએ આવો સવાલ પૂછ્યો હશે અને નહીં પૂછ્યો હોત તો તમે તમારી જાતને તો અ સવાલ પૂછ્યો જ હશે. અચાનક મોહન ભાગવત મોહન ગાંધી કેમ બની ગયા? તેમના અતીતને પ્રારંભથી ન ખોળીએ તો શિકાગોના પ્રવચન પછી માત્ર દસ દિવસમાં? આ રાજકારણ છે કે મતપરિવર્તન?
મારા બે ઉત્તર છે. જો મતપરિવર્તન હોય તો ઠરાવ કરીને બતાવે. સંઘ ઠરાવ કરતો જ નથી. જો ઠરાવ કરે તો વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરવી પડે અને એમાં જો ભવિષ્યમાં પરિવર્તન કરવું હોય તો પરિવર્તન પાછળનાં કારણો આપવાં પડે એટલું જ નહીં નવી ભૂમિકા માંડવી પડે. ચાલો અત્યાર સુધી ઠરાવ નથી કર્યો તો નથી કર્યો, હવે કરવામાં આવે. તમે જે બોલો છો એને વફાદાર છો તો લેખિત ઠરાવ કરવામાં વાંધો શું છે? તમારી જ ભૂમિકા અને તમારા જ શબ્દો તમારે અંકે કરવાના છે. અમારો લખેલો માનવતાવાદી ઠરાવ તમે પસાર કરો એવું તો અમે કહેતા નથી. તો ઈમાનદારીની પહેલી કસોટી એ છે કે તમે જે કહો છો એની લેખિત માંડણી કરો.
સૌજન્ય : 'ધ એશિયન એઇજ', 21 સપ્ટેમ્બર 2018
તમે કહેશો કે આ તો અવિશ્વાસ દાખવ્યો કહેવાય. આપણે વિશ્વાસ રાખવો જોઈએ. ના એવું નથી. અંગત સંકલ્પ પણ ઈશ્વરની કે આપ્તજનની સાક્ષીમાં કરવામાં આવે છે. પરિવાર સંબંધિત સંકલ્પ પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવે છે અને સામાજિક સંકલ્પ સમાજની વચ્ચે કરવામાં આવે છે. એ લેખિત સ્વરૂપમાં એટલા માટે કરવામાં આવે છે કે સમાજમાં અનેક જણ અનેક રીતે વિચારતા હોવાને કારણે ખોટું અર્થઘટન ન થાય. એટલે તો ઠરાવ પર વિશદ ચર્ચા કરવામાં આવે છે કે જેથી ખોટાં અર્થઘટનની કોઈ સંભાવના ન બચે. ગાંધીજી ઠરાવ કરતા અને કરાવતા હતા. આખા જગતમાં આવો રિવાજ છે. એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો જગતમાં સૌથી મોટું અને સૌથી વધુ લોકતંત્ર ધરાવતું સંગઠન છે એમ ખુદ મોહન ભાગવતે કહ્યું છે. તો પહેલી કસોટી છે લેખિત ઠરાવ કરો.
મારો બીજો ઉત્તર એ છે કે મને આવો કોઈ ભ્રમ નથી અને તમારે ભ્રમ રાખવાની જરૂર નથી. આવું ક્યારે ય બનવાનું નથી. ક્યારે ય એટલે ક્યારે ય નહીં. જગતના કોઈ ફાસિસ્ટ સંગઠનોએ આજ સુધી ઠરાવ કર્યા નથી. અનેક મોઢે બોલવું, પ્રસંગે-પ્રસંગે અલગ-અલગ રીતે બોલવું, અલગ-અલગ ચહેરા રાખવા, કોઈ ભૂમિકાએ ક્યારે ય પણ બંધાવું નહીં એ તેમની મોડસ ઓપરેન્ડી છે. માનવતાવાદની આ ભાગવતપ્રસાદી કોઈ પહેલીવારની નથી, ભાગવતમુખે ભાગવતપ્રસાદી પહેલીવાર સાંભળવા મળી એટલું જ નવું છે.
સમય-સમયે જરૂરિયાત મુજબ બદલાતી ભૂમિકા અને આ વખતે બદલાયેલી ભૂમિકા પાછળની રાજકીય ગણતરીની વાત આવતીકાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 સપ્ટેમ્બર 2018