રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર નથી થયો, એમ હવે બે જ જમાત માને છે; એક બી.જે.પી.ના નેતાઓ (કાર્યકર્તાઓ નહીં, માત્ર નેતાઓ) અને બીજા ભક્તો. આમાંથી નેતાઓને સત્યની જાણ છે, પરંતુ તેઓ નેતાઓ છે એટલે ભ્રષ્ટાચારનો ઇન્કાર કરે છે અને ભક્તો તો એક હાલરડાના હકદાર હોય છે. હાલરડાનો મીઠો સૂર રેલાયો નહીં અને ભક્તો પોઢ્યા નહીં.
ત્રણ ઘટનાઓ એવી બની છે જેણે સરકારને હજુ વધુ મૂંઝવણમાં મૂકી દીધી છે. એક ઘટના ફ્રાન્સમાં બની છે. જેની સાથે રાફેલ વિમાનનો સોદો થયો છે એ ડાસ્સોલ્ટ એવિયેશન કંપનીમાં નંબર ટુની પોઝિશન ધરાવતા લોઈક સિલેગન નામના અધિકારીએ ગયા વરસે ૧૧મી મેના રોજ કંપનીની આંતરિક મિટિંગમાં કહ્યું હતું કે ભારત સાથે વિમાનનો સોદો કરવા માટે રિલાયન્સને ઓફ શોર પાર્ટનર તરીકે સ્વીકારવી પડી છે. ભારત સાથેનો વિમાની સોદો મહિના પહેલાં ૧૦મી એપ્રિલે થયો હતો. એ અધિકારીએ કહ્યું હતું: “It was imperative and obligatory for Dassault Aviation to accept this compensation in order to obtain the Rafale India export contract.” અર્થાત્ જો ભારત સાથે રાફેલ વિમાનનો સોદો કરવો હોય તો રિલાયન્સને ભાગીદાર બનાવવામાં આવે એ ભારત સરકારની પૂર્વશરત હતી અને એના સિવાય કોઈ છૂટકો નહોતો.
આ કંપનીમાં નબંર ટુનું સ્થાન ધરાવનારા માણસે કંપનીના સર્વોચ્ચ અધિકારીઓને આપેલી સત્તાવાર માહિતી છે અને એ માહિતી કોર્પોરેટ કંપનીઓમાં બને છે એમ મિનિટ્સમાં નોંધાઈ છે. કંપનીની એ મિટિંગની મિનિટ્સ ફ્રાંસની ‘મીડિયાપાર્ટ’ નામની સ્વતંત્ર ન્યુઝ એજન્સીએ બહાર પાડી છે અને અત્યાર સુધી ડેસ્સોલ્ટના સી.ઈ.ઓ.એ કે બીજા કોઈએ કહ્યું નથી કે કંપનીની મિનિટ્સ તરીકે જે દસ્તાવેજ બહાર આવ્યો છે એ બનાવટી છે. હા, સી.ઈ.ઓ.એ એટલું કહ્યું છે કે ડેસ્સોલ્ટે રિલાયન્સની પસંદગી પોતાની જાતે કરી છે. એ પણ નિવેદન બહાર પાડીને, પત્રકારોની સામે આવીને નથી કહ્યું. આપણા વડા પ્રધાન અને ડેસ્સોલ્ટના સી.ઈ.ઓ. કેમેરાની સામે આવતા નથી. ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખ હોલાંડેની કબૂલાત પછી આ બીજો મોટો ધડાકો છે. ભારત સરાકરે આજ સુધી નથી કહ્યું કે હોલાંડે જૂઠું બોલે છે અને ડેસ્સોલ્ટે હજુ સુધી નથી કહ્યું કે કંપની બેઠકની મિનિટ્સ ખોટી બનાવતી છે.
બીજી ઘટના સર્વોચ્ચ અદાલતમાં બની છે. એક જાહેર હિતની યાચિકામાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને માત્ર એટલું જ કહ્યું છે કે એક બંધ પરબીડિયામાં રાફેલ સોદાની આરંભથી લઈને અંત સુધીની પ્રક્રિયાની વિગતો આપો. ભાવ-તાલની વિગતો આપવાની જરૂર નથી અને વિમાનોની લડાયક ક્ષમતાની ટેકનિકલ વિગતો પણ આપવાની જરૂર નથી. માત્ર સોદાની પ્રક્રિયા બતાવો.
કેન્દ્ર સરકારના એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતની આમ તો નિર્દોષ લાગતી નાનકડી, પણ દૂરગામી અસર કરનારી માગણીનો અર્થ સમજી ગયા હતા. તેમણે ગલ્લાતલ્લા કરતા કહ્યું હતું કે બધું ઉઘાડું તો છે જ એટલે એવી કોઈ વિગતો બચતી નથી જે અદાલતને અલગથી કહેવી પડે. સર્વોચ્ચ અદાલતના જજોએ કહ્યું હતું કે કાંઈ વાંધો નહીં ઉઘાડી હકીકતો બંધ પરબીડિયામાં આપો.
આ અદાલત છે અને એ પણ સર્વોચ્ચ અદાલત. આ કોઈ અર્નબ ગોસ્વામીનો સ્ટુડિયો નથી જ્યાં ફેંકાફેંકી કરી શકાય અને જો કોઈ શંકા કરે તો અર્નબ ગોસ્વામી સરકારની મદદે આવે. સોદાની પ્રક્રિયાની વિગતો આપવાનો અર્થ થાય અક્ષરસઃ શ્વેતપત્ર રજૂ કરવો. એમાં સત્તાવારપણે કહેવું પડે કે રિલાયન્સનો પ્રવેશ ક્યારે થયો અને હિન્દુસ્તાન ઍરૉનેટિક્સ લિમિટેડ(એચ.એ.એલ.)નો કાંકરો ક્યારે નીકળી ગયો અને એને માટે શું કારણો આપવામાં આવ્યાં છે? કારણ બે જ હોઈ શકે; કાં તો ક્ષમતા અને કાં ભાવ. કેન્દ્ર સરકારે પ્રક્રિયાપત્ર (વાસ્તવમાં શ્વેતપત્ર)માં બતાવવું પડે કે રિલાયન્સ એચ.એ.એલ. કરતાં કઈ રીતે વધુ ક્ષમતા ધરાવે અને અને એચ.એ.એલ.ની જગ્યાએ રિલાયન્સને ડોસ્સોલ્ટનો પાર્ટનર બનાવવામાં ભારતને કઈ રીતનો આર્થિક ફાયદો છે. બન્ને એરણે ભારત સરકારે રિલાયન્સના પ્રવેશને વાજબી ઠેરવવો પડે.
સૌથી હેરાન કરનારો સવાલ છે રિલાયન્સનો એક્ઝેક્ટલી ક્યારે પ્રવેશ થયો? કારણ કે વડા પ્રધાન ફ્રાંસ જવાની તૈયારી કરતા હતા એના પખવાડિયા પહેલાં ડોસ્સોલ્ટના સી.ઈ.ઓ.એ કહ્યું હતું કે એચ.એ.એલ. સાથેની ભાગીદારીની સમજૂતીની વિગતોને આખરી ઓપ અપાઈ ગયો છે અને એ વાતે તેઓ ખૂબ ખુશ છે. વડા પ્રધાનની ફ્રાંસ મુલાકાતના અઠવાડિયા પહેલા ભારતના વિદેશ સચિવે કહ્યું હતું કે ભારત અને ફ્રાંસના નેતાઓની મુલાકાતના એજન્ડામાં ડોસ્સોલ્ટ અને એચ.એ.એલ. વચ્ચે રાફેલ વિમાનોનો સોદો મુખ્ય બાબત છે. રિલાયન્સના પ્રવેશ વિશે નહોતી ડોસ્સોલ્ટના સી.ઈ.ઓ.ને જાણ કે નહોતી વિદેશ સચિવને જાણ. વડા પ્રધાનની ફ્રાસની મુલાકાતની પૂર્વસંધ્યાએ અમે આવું બોલ્યા નથી એવો રદિયો આજ સુધી તેમણે બન્નેએ આપ્યો નથી.
તો રિલાયન્સનો પ્રવેશ એક્ઝેક્ટલી થયો ક્યારે અને કોના કહેવાથી થયો? કઈ લાયકાતને કારણે થયો? પ્રક્રિયાપત્ર અર્થાત્ શ્વેતપત્રમાં આ બધું કહેવું પડે. ભારત સરકારના એટર્ની જનરલ કહે છે એમ બધું ઉઘાડું છે તો આપવામાં વાંધો શું છે? જે ઉઘાડું છે એ બંધ પરબીડિયામાં માંગવામાં આવે છે એ જોઇને તો ઊલટું હરખાવું જોઈએ. બધું ઉઘાડું નથી. યુ.પી.એ. સરકારે નક્કી કરેલો સોદો ઉઘાડો હતો, પણ વાસ્તવમાં થયેલો સોદો ઉઘાડો નથી. એક સોદાની વિગતો ઉઘાડી હોય અને બીજા સોદાની વિગતો ઉઘાડી ન હોય ત્યારે આગળનું ઉઘાડાપણું કઠતું હોય છે. આદેશ સર્વોચ્ચ અદાલતનો છે એટલે ભારત સરકાર વિગતો આપવાથી બચી શકે એમ નથી. એ વિગતો ભલે બંધ પરબીડિયામાં આવી હોય, એ વિગતો સર્વોચ્ચ અદાલતે ઉઘાડી કરવી જોઈએ.
ત્રીજી મૂંઝવણ અરુણ શૌરી, યશવંત સિન્હા અને પ્રશાંત ભૂષણે પેદા કરી છે. સરકાર તરફથી ઈંગિત કરવામાં આવે છે કે એચ.એ.એલ. સરકારી માલિકીની છે, વિમાન બનાવવાનો દાયકાઓ જૂનો અનુભવ છે એ વાત સાચી; પરંતુ તે સરકારી કંપની હોવાથી હંમેશ બને છે એમ તેની ક્ષમતા ઓછી પડે છે. સરકારી કંપનીઓનું રગશિયું ગાંડું નિર્ધારિત સમયે ડિલિવરી કરી શકતું નથી. ભલે આઠ દિવસ પહેલા રિલાયન્સ ડિફેન્સ કંપની કાગળ પર સ્થપાઈ હોય, પરંતુ રિલાયન્સને પસંદ કરવા પાછળનો ઈરાદો નિર્ધારિત સમયે ભારતના હવાઈ દળને વિમાનો પૂરાં પાડવાનો છે. નફા પર નજર રાખનારી બન્ને (ડોસ્સોલ્ટ અને રિલાયન્સ) ખાનગી કંપનીઓ છે એટલે સમયે વિમાનો મળશે. દેશના સંરક્ષણની બાબતમાં ખાનગી અને સરકારીની વાતો કરીને ભાવુક બનવાની જરૂર નથી. દેશની રક્ષા પહેલી.
ઘણાં ભક્તોને આ દલીલ ગળે ઊતરતી હતી, પણ હવે અરુણ શૌરીએ અને મીડિયાપાર્ટે એ ફુગ્ગો પણ ફોડી નાખ્યો છે. ૧૦મી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ફ્રાંસના સંરક્ષણ પ્રધાનના હસ્તે ડોસ્સોલ્ટ રિલાયન્સ ઍરોસ્પેસ લિમિટેડ નામની કંપનીના પ્લાન્ટનું નાગપુર નજીક ખાતમુહૂર્ત થયું હતું. બરાબર એક વરસ પછી ૧૦મી ઓક્ટોબરે પ્લાન્ટની હવાઈ તસ્વીર લેવામાં આવી તો ત્યાં એક વેરહાઉસ જેવા મકાન અને સિક્યોરિટી કેબિન સિવાય કાંઈ જ નથી. કાંઈ નથી એટલે કાંઈ જ નથી. તમે પોતે યુ ટ્યુબ પર એ તસ્વીર જોઈ શકો છે. દેશના રક્ષણ જેવી બધાં કામ પડતાં મૂકીને હાથ ધરવી પડે એવી બાબત અને એમાં દેશપ્રેમીઓની સરકાર અને એ છતાં ય આવી હાલત? પ્લાન્ટના સ્થળે એક વરસે એક શેડ બંધાયો છે તો વિમાન ક્યારે બનશે? અરુણ શૌરી અને બીજાઓએ વિધિવત કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલને આની માહિતી આપી છે અને વિધિવત સી.બી.આઈ.માં ફરિયાદ દાખલ કરી છે.
દરમ્યાન સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન મારતા વિમાને પેરિસ ગયાં છે. તેમની આ અનશેડ્યુલ વિઝીટ છે. તેઓ ત્યાં ફ્રાંસના શાસકો સમક્ષ અને ડોસ્સોલ્ટના અધિકારીઓ સમક્ષ ખોળો પાથરશે અને કહેશે કે દેશપ્રેમીઓનો દેશપ્રેમ એરણ પર છે એટલે પ્લીઝ કાંઈક કરો. જો જો દેશપ્રેમ ઉઘાડો ન પડી જાય. માથે ચૂંટણી છે. તમારી એવી તે કેવી કંપની કે તમે સત્તાવાર મિનિટ્સ પણ સુરક્ષિત નથી રાખી શકતાં? સંરક્ષણ પ્રધાન ડોસ્સોલ્ટના સી.ઈ.ઓ.ને ઠપકો પણ આપશે.
ધીરે ધીરે સત્ય બહાર આવી રહ્યું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉક્ટોબર 2018