એપ્રિલ-જૂન ૨૦૨૦ના સમયગાળા માટે જી.ડી.પી.નો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ:
(૧) જી.ડી.પી. એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમિયાન જે જી.ડી.પી. હતી તેની તુલનાએ થયો છે.
(૨) આ ત્રણ મહિનમાં બે મહિના સંપૂર્ણ લૉક ડાઉનના હતા, અને એક જૂન મહિનો થોડા ઓછા લૉક ડાઉનનો હતો. વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન બે મહિના તો સાવ બંધ જ થઈ ગયું હતું. એટલે આટલો બધો ઘટાડો નોંધાયો છે.
(૩) દેશની જી.ડી.પી.માં કંઈ પહેલી વાર ઘટાડો થયો છે એવું નથી. અગાઉ ૧૯૫૭-૫૮માં ૧.૮ ટકા, ૧૯૬૫-૬૬માં ૪.૫ ટકા, ૧૯૭૨-૭૩માં ૦.૮ ટકા અને ૧૯૭૯-૮૦માં ૬.૦ ટકાનો ઘટાડો આગલા વર્ષની તુલનાએ રહ્યો હતો જ.
(૪) ગયા વર્ષના આ જ ત્રણ મહિનામાં જી.ડી.પી. માત્ર ૫.૨ ટકાના દરે વધી હતી. આ દર નીચો જ હતો. હવે એની તુલનાએ આ વખતે
૨૩.૯ ટકા જેટલો ઘટાડો થયો, એ બહુ મોટો છે. ઘટેલા વૃદ્ધિ દરથી જી.ડી.પી.માં જોરદાર ઘટાડો થયો છે.
(૫) યાદ રહે કે જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૮માં જી.ડી.પી.નો વૃદ્ધિ દર ૮.૨ ટકા જેટલો ઊંચો હતો અને પછી તે લગભગ સતત ઘટતો ગયો હતો અને જાન્યુઆરી-માર્ચ, ૨૦૨૦માં તો તે ૩.૧ ટકા થઈ ગયો હતો. માર્ચમાં લૉક ડાઉનનું તો એક જ સપ્તાહ હતું. તેમ છતાં વૃદ્ધિ દર બહુ નીચો હતો. એટલે કોરોનાને માથે આખું ઠીકરું ના ફોડાય અને એને ‘એક્ટ ઑફ ગૉડ’ (ઈશ્વરી કૃત્ય) ના કહેવાય. દેશનું અર્થતંત્ર કોરોના આવ્યો તે પહેલાં જ સાવ તળિયે બેસવાની તૈયારી કરી ચૂક્યું હતું. એને માટે ભગવાને મોકલેલો કોરોના નહીં, પણ મોદી સરકાર જવાબદાર હતી.
(૬) હવે જો જુલાઇ – સપ્ટેમ્બરમાં થોડો ઘણો સુધારો વર્તાય તો પણ જી.ડી.પી. ગયા વર્ષના આ જ ત્રણ મહિનાની તુલનાએ ઘટશે એ નક્કી છે.
(૭) આમ, વર્ષના છ મહિના ઉત્પાદનના મોટા ઘટાડા સાથે જાય, તો આખા વર્ષનો જી.ડી.પી.નો વૃદ્ધિ દર નકારાત્મક જ આવશે. એમ લાગે છે કે એ મોટે ભાગે સાત ટકા કે તેથી વધુ દરે ઘટશે અને તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી વધારે હશે! એને અચ્છે દિન કહેવાય?
(૮) સવાલ એ છે કે હવે ઉત્પાદન કેવી રીતે વધારવું. સરકાર બજેટમાં ખાધ વધારે અને અસંગઠિત ક્ષેત્રના ગરીબોની આવક વધે એ માટે ખર્ચ કરે તો જ જી.ડી.પી. ઝડપથી વધી શકે. આ ખર્ચ શિક્ષણ, આરોગ્ય અને ‘નરેગા’ માટે ખાસ થવું જોઈએ.
(૯) જી.ડી.પી. વધે એ જેટલું મહત્ત્વનું છે તેટલું જ, કદાચ તેનાથી વધારે મહત્ત્વનું એ છે કે દેશમાં વધેલી જી.ડી.પી. એટલે કે વધેલી આવક દેશના કયા લોકોના ખિસ્સામાં કેટલી જાય છે.
(૧૦) અર્થશાસ્ત્રીઓ ક્યારના ય કહેતા રહ્યા છે અને રિઝર્વ બેંક પણ હવે તો કહે છે કે સરકાર ખર્ચ વધારે. પણ મોદી સરકાર માનતી નથી. તો એ કંઈ ઈશ્વરીય કૃત્ય ના કહેવાય, મોદી સરકારનું કૃત્ય પણ કહેવાય. જો માન્યું હોત તો ગરીબોને વધુ સહાય મળત અને જૂન મહિનામાં ઉત્પાદન વધારે વધત તો આટલો મોટો ખાડો ના થાત.
e.mail : hema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 11