(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)
સાહિત્યના સર્વોત્તમ વાચકો મોટે ભાગે સાહિત્યકારો જ હોય છે. તેઓ સહૃદય હોય છે, તેઓએ ઉત્તમ કૃતિઓનું વાચન અને પરિશીલન કર્યું હોય છે. તેઓ ઊંચા અધિકારી દરજ્જાના વાચક ગણાય છે.
તેઓ વાંચીને બેસી નથી રહેતા. પોતાના વાચન વિશે પોતાના જેવા બીજા જોડે વાત કરે, બીજો પોતાના વાચન વિશે વાત કરે. ઘણી વાર તેઓ અન્યોનાં વાચનની પણ વાત કરતા હોય છે.
તેઓ વાત કરીને બેસી નથી રહેતા, સાહિત્યપદાર્થના આવિર્ભાવનું તન્ત્ર શોધી કાઢે છે. કયા તત્ત્વને કારણે રચના રસપ્રદ બની તેની ચર્ચા માંડે છે. તેવાં તત્ત્વોનાં વર્ગીકરણ કરે છે. ચર્ચામાંથી ધોરણો ઊભાં કરે છે. નિયમો બનાવે છે. નિયમોના આગ્રહો રાખે છે. પોતે બનાવેલા નિયમોની સાર્થકતા બતાવવા માટે કેટલુંક તેઓ જાતે પણ સરજી કાઢે છે -એવું સરજેલું ભલે કૃતક લાગે !
અને તેથી, ભવિષ્યમાં આવનારી કોઈપણ કૃતિ એમણે નક્કી કરેલાં ધોરણસરની કે નિયમસરની ન લાગે તો નાપાસ કરે છે. એમના મહાનુભાવી બહુમતને કારણે કેટલાક સર્જકોને ‘મહાકવિ’, ‘સદીના શ્રેષ્ઠ વાર્તાકાર’ ‘મહાન નવલકથાકાર’ જેવાં બિરુદ પ્રાપ્ત થાય છે.
કોઈ કોઈ બિચારા એમના દૃષ્ટિપાત માત્રથી ભૂમિસાત થઈ જાય છે.
આ સર્વોત્તમોમાંના કેટલાક સહૃદય તો હોય છે જ, પણ રચનાને રસપ્રદ બનાવનારા કોઈ એક મહત્ તત્ત્વનાં સ્વરૂપ અને કાર્યનો વિચારપૂર્વક નિર્ણય લે છે, મત બાંધે છે અને પછી તેને વળગી રહે છે.
સંસ્કૃત કાવ્યમીમાંસામાં એવા અનેક મત જોવા મળે છે, જેમ કે, અલંકાર. અલંકારને એ વિચારકે, રુય્યકે, ‘સર્વસ્વ’ ગણ્યો. જેમ કે, રીતિ. રીતિને એ વિચારકે, વામને, કાવ્યનો ‘આત્મા’ ગણ્યો. જેમ કે, વક્રોક્તિ. વક્રોક્તિને એ વિચારકે, કુન્તકે, રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણી. જેમ કે, રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ. એને એ વિચારકે, જગન્નાથે, ‘કાવ્ય’ ગણ્યો. વગેરે.
સર્વોત્તમ વાચકમાંથી તેઓની એક સ્વરૂપે ઉત્ક્રાન્તિ થાય છે – કોઇ ‘કાવ્યશાસ્ત્રી’ કહેવાય છે – કોઈ ‘ટીકાકાર’ કહેવાય છે – કોઈ ‘આચાર્ય’ – કોઈ ‘મહા વિવેચક’ – કોઈ ‘સાહિત્યજ્ઞ’ – કોઈ ‘સાહિત્યસમીક્ષક’.
આવાઓની જમાતને લિટરરી કૉમ્યુનિટી કહેવાય છે.
આવા ઉત્ક્રાન્ત જીવો નિયમો અને સિદ્ધાન્તોના તો આગ્રહી તો ખરા જ પણ તદુપરાન્ત પોતાની ભાષાની, દેશની તેમજ વિશ્વની ઉત્તમ કૃતિઓના વાચન-મનનના પણ આગ્રહી બની જાય છે. અવારનવાર તેઓ પોતાના આગ્રહોને દોહરાવતા હોય છે.
“આ ૫૦ કૃતિઓ તમારે મૃત્યુ પહેલાં વાંચવી અનિવાર્ય છે” એવી ધમકીભરી જાહેરાતો પણ કરતા હોય છે.
પરિણામે, ધીંગું સાહિત્યશાસ્ત્ર રચાય છે. આપણી પરમ્પરામાં ભરત મુનિનું “નાટ્યશાસ્ત્ર” અને પશ્ચિમમાં ઍરિસ્ટોટલનું “પોએટિક્સ” સાહિત્યશાસ્ત્રના મૂળાધારો ગણાય છે.
ચુસ્તતાથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે લિટરરી કૅનન રચાય છે – સર્વકાલીન સર્વોત્તમ કૃતિઓ, સામાન્ય નિયમો, સિદ્ધાન્તો, ધોરણો અને માપદણ્ડોનો સમવાય.
લિટરરી કૅનનનાં ચુસ્ત પાલનને પ્રતાપે આખી પરમ્પરા ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે. એને મૅટાનૅરેટિવ પણ કહેવાય છે. સાહિત્યની એ કેટલીયે બાબતો તર્કસંગત, સિદ્ધાન્તસંગત અને સ્વીકાર્ય લાગે એ પ્રકારનું લૅજિટિમેશન કરી આપે છે, અને એ પોતે તો સૅલ્ફલૅજિટિમેટેડ હોય છે !
ઉદાહરણ તરીકે, ફૂટપટ્ટી કોઈપણ વસ્તુનું માપ કાઢી આપે છે, અને તે માપ હમેશાં સર્વસ્વીકાર્ય હોય છે. મોનિયર વિલિયમ્સ લૅજિટિમેશનને ‘ઔરસસમીકરણમ્’ કહે છે. સાદું એટલું સમજવાનું છે કે વસ્તુઓ કાયદેસરની છે એમ મહોર મારીને બધું જડબેસલાક નક્કી કરી આપે છે.
ગ્રાન્ડ નૅરેટિવ્ઝના અવસાનને ફ્રૅન્ચ ફિલસૂફ લ્યોતાર્-આધુનિકતાનું મહત્ લક્ષણ કહે છે.
Pic courtesy : SlidePlayer
વૈચિત્ર્ય તો એ છે કે ફૂટપટ્ટી કાયદાથી પર મનાય છે, અને તેથી એના માપ વિશે કોઈને પ્રશ્ન થતો જ નથી. જેમ ફૂટપટ્ટી સ્વયંસિદ્ધ હોય છે તેમ ગ્રાન્ડ કે મૅટાનૅરેટિવ પણ સ્વયંસિદ્ધ હોય છે.
સૌના વિચારવિમર્શ માટે ૪ પ્રશ્નો :
પ્રશ્ન : ૧ :
કોઈ મનુષ્ય આવા લિટરરી કૅનનને કે ગ્રાન્ડ નૅરેટિવને જાણતો જ ન હોય, એવો અજ્ઞાની હોય, સહૃદય ન હોય, પણ સંવેદનશીલ મનુષ્ય હોય, અને એને સાહિત્યકૃતિ જો આનન્દ આપી શકતી હોય, ભલે એને રસાનુભૂતિ ન કહેવાય, એવા દૃષ્ટાન્તમાં, એ કૅનન, એ નૅરેટિવ, ફેરવિચાર માગે કે કેમ? કે પછી પેલાને એમ જ કહ્યા કરે કે અમારું કથ્યું જેને સૌ અનુસર્યા, તે જાણીને આવ, એમ હઠ પકડે?
પ્રશ્ન : ૨ :
લિટરરી કૅનનના કે ગ્રાન્ડ નૅરેટિવના નકશામાં કે વાતાવરણમાં ન બેસે એવી સાવ જ નૂતન કે પ્રયોગશીલ સર્જનાત્મક કૃતિની ગુણસમૃદ્ધિનો નિર્ણય કેવી રીતે થાય? કોણ કરે?
પ્રશ્ન : ૩ :
કૅનનનું ‘વિઘટન’ કરી આપે, ડિકન્સ્ટ્રક્શન, અને ગ્રાન્ડમાંથી ‘લિટલ’ નૅરેટિવ રચાય તે શું સાહિત્યપદાર્થના જીવનસાતત્ય માટે જરૂરી બલકે અનિવાર્ય નથી?
પ્રશ્ન : ૪ :
ગુજરાતી સાહિત્યક્ષેત્રે સમાજસુધારો, પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિઓનો સમન્વય, ગ્રામ-વાસ્તવિકતા અને કલાસૌન્દર્યને માટે એના એ પ્રત્યેક યુગમાં જે માંગ ઊઠી એ દરેકને ‘લિટલ’ નૅરેટિવને માટેનો ધખારો કે પ્રારમ્ભ ગણી શકાય કે કેમ?
કોશિયાને સમજાય એવું સાહિત્ય એઓશ્રીએ માગ્યું તે ‘લિટલ’ નૅરેટિવને માટેની જિકર હતી કે કેમ?
(Sep 18, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર