આ વર્ષે કસ્તૂરબા અને ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ થાય છે, તે નિમિત્તે બંને વિભૂતિઓને વંદન.
આજે ‘વાચક વૃંદ’માં સહુ ગાંધી વિચારના ચિંતન નિમિત્તે ભેળાં મળ્યાં છો, ત્યારે ગાંધી વિચારનું જે ભાથું મને મળ્યું છે તેની પોટલી આપોઆપ ખૂલી ગઈ. નદીનું મૂળ જેમ તેના પિતા સમાન પર્વતરાજમાં હોય, તેમ મારો આ સંસ્કાર વારસો ખાસ કરીને મારા પિતા અને માતા પાસેથી મળ્યો. એની કહાની કઇંક આવી છે.
ઈ.સ.1925ની સાલમાં ગાંધીજી જ્યારે કચ્છના પ્રવાસે આવ્યા, ત્યારે મારા પિતાશ્રી અને તેમના સાથીદારો એ યાત્રાના આયોજન અને વ્યવસ્થા કરનારી મંડળીમાં જોડાયેલા. તેમની ઉંમર માત્ર વીસ વર્ષ. એ યાત્રા દરમ્યાન બધા ધર્મ અને વર્ણના લોકો સાથે કામ કરવાનું બનતું એ કારણે નાગરી નાતે ત્રણ યુવાન નાગરોને નાત બહાર મુકેલા, જેમાંના મારા પિતા એક હતા. મારા પિતાની ગાંધીજી સાથેની યાત્રાની નોંધથી ‘ઓપિનિયન’ના વાચકો પરિચિત છે.
આમ મારા ઘરમાં મારા જન્મ પહેલાં ગાંધી વિચાર અને આચારનાં પગરણ થઇ ચૂકેલાં. મારો જન્મ 1930માં, એટલે જન્મથી જ આ વિચારોમાં આળોટવાનું બન્યું. મારાં દાદી અને મા પણ પિકેટિંગ કરવું, સભા-સરઘસોમાં જોડાવું વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હતાં. પિતાજીએ કાંતવાનું શરૂ કર્યું. મેં બે વર્ષની ઉંમરે ખાદી પહેરવી શરૂ કરી, તે આજ સુધી પહેરું છું અને સમજણી થઇ ત્યારથી કાંતતી થઇ.
મારા પિતાજીએ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં ગાંધી વિચારને અનુસરીને સ્વ. નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઇ ત્રિવેદીની પ્રેરણાથી એક છાત્રાલય સાથેની શાળા શરૂ કરી. અમારી શાળામાં ખેડૂત, વણકર અને અન્ય હલકા ગણાતા વ્યવસાય કરનારનાં બાળકો ભણવાં આવતાં, તો વળી મુંબઈ, કલકત્તા કે આફ્રિકા જેવા દૂર દૂરના પ્રદેશોમાં રહેનાર ગુજરાતી વેપારીઓનાં સંતાનો પણ અભ્યાસ કરવા આવતાં. આમ દરેક કોમ અને જ્ઞાતિનાં લોકો સાથે હળી મળીને રહેવાનાં, તેમની સાથે એક પંગતે બેસીને જમવાનાં, એક બીજાના તહેવારો ઉજવવાનાં અને પરસ્પરને સમ્માનથી જોવાનાં સંસ્કાર અનાયાસે નાનપણથી જ મળ્યાં. એ શાળામાં ખેતી અને કાંતણ મુખ્ય વિષય તરીકે અભ્યાસમાં સામેલ હતા. આમ શ્રમનો મહિમા લોહીમાં વણાયો. મને યાદ છે, અમે ગાંધીજીનો જેટલામો જન્મદિવસ હોય તેટલા કલાકનું અખંડ કાંતણ કરતાં. આ હતા મારા ઘડતરના પાયા.
મારી કિશોરાવસ્થાનો ઉલ્લેખ કરું તે પહેલાં બે એક ઘટનાઓ કે જેની અસર મારા પર પડી, તેની વાત કહું. મારા પિતાશ્રીની શાળાના અન્ય વિદ્યાર્થીઓ અમદાવાદના પ્રવાસે ગયા ત્યારે હું માત્ર પાંચ વર્ષની હતી, છતાં હઠ કરીને હું તેમની સાથે ગયેલી ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીને પહેલી વાર મેં દૂરથી જોયા. એવી જ રીતે 1938માં હરિપુરામાં 51મા કૉન્ગ્રેસ અધિવેશન વખતે પણ દેશના તમામ નેતાઓની સાથે ફરી ગાંધીજીને જોયાની અમીટ છાપ મારા માનસ પટ પર પડી. એવી જ રીતે તે સમયે આવતાં સામાયિકો, છાપાં, મેઘાણીભાઈનાં કાવ્યો અને મુલાકાતીઓની વાતોથી અમારા ગાંધી વિચાર વિશેના ખ્યાલો વધુ સ્પષ્ટ અને દ્રઢ થતા ગયા.
પછી આવી 1942ની સાલ. વાનરસેનાનાના સૈનિક બનીને મેં પ્રભાતફેરી, સરઘસ અને પિકેટિંગમાં ભાગ લીધો. ત્યારે એક આખો દિવસ અમને એક ઓરડામાં સજા રૂપે બેસાડી રાખેલાં તે બરાબર યાદ છે. મારાં જેવાં અનેક કિશોર-કિશોરીઓ ‘ઇન્કલાબ ઝિંદાબાદ’, ‘ઝંડા ઊંચા રહે હમારા’, ‘હમ મરેંગે લડતે લડતે; નહીં લડાઈ મરનેવાલી’, ‘ખિદમતે મુલ્કમેં જોકી મર જાયેંગે નામ ઝિંદોમેં અપના હી કર જાયેંગે’ અને ‘સર જાયે તો જાયે, પર આઝાદી ઘર આયે’ જેવાં સૂત્રો અને ગીતોની કડીઓ લલકારતાં સરઘસાકારે પૂરા ગામમાં ફરતાં રહેતાં.
મારું માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરની મુકતાલક્ષ્મી વિદ્યાલયમાં સંપન્ન થયું કે જે ગાંધી વિચારને અમલમાં મૂકનારી હતી. અમારા શિક્ષકો બધા ખાદીધારી અને વાતાવરણ સ્વાતંત્ર્ય સંગ્રામની વાતોથી ગુંજતું રહેતું. તે વખતે હું નિયમિત રેંટિયો કાંતીને એ સૂતરના બદલામાં મળતાં કાપડનાં કપડાં પહેરતી થઇ. તે દરમ્યાન રોમાં રોલાં, દીનબંધુ એન્ડ્રુઝ, ટોલ્સ્ટોય અને આઈન્સ્ટાઈનથી માંડીને દાદાભાઈ નવરોજજી અને સરોજિની નાયડુ જેવાં દેશ-વિદેશના ધુરંધર નેતાઓનાં જીવન અને કાર્ય વિશેનાં પુસ્તકો અને લેખો વાંચવામાં આવ્યાં. અહીં મારા સ્વતંત્ર વિચારોનું ઘડતર થયું. 1946-47માં સ્વતંત્રતા મળ્યાં પહેલાં દેશના ભાગલા થવાના ભણકારા વાગ્યા, ત્યારે ભાવનગરમાં આવેલા નિરાશ્રિતોની છાવણીમાં સહાય કરવા પણ જતી.
આમ રચનાત્મક કાર્યો અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલ અનેક પ્રવૃત્તિઓ કરતાં ઘડાયેલા મારા વિચારોનું ભાથું ખાસ્સું વજનદાર થઇ ગયેલું. શિક્ષણ પૂરું થતાં 1948માં મારાં લગ્ન નરેન્દ્રભાઈ અંજારિયા સાથે થયાં. મારા સદ્નસીબે તેઓ પોતે પણ ગાંધી વિચારના રંગે રંગાયેલ. તેઓએ હિન્દી પ્રચાર તેમ જ અન્ય રચનાત્મક કાર્યોમાં જ જીવન વ્યતીત કર્યું. મેં રાજકોટની વિરાણી કન્યા વિદ્યાલય કે જે ગાંધી વિચારના પાયા પર સ્વ. ઢેબરભાઈ, દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબાની પ્રેરણાથી સ્થપાયેલી, ત્યાં એક વણાટ શિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને 35 વર્ષ પછી એક આચાર્ય તરીકે પૂરી કરી. સામાન્ય રીતે માવતર પાસેથી મળેલ દીક્ષા-શિક્ષા ખાસ કરીને દીકરી જો તેને અનુકૂળ જીવનસાથી અને સાસરિયાં મળી શકે તો જ અમલમાં મૂકી શકે. એ બાબતમાં મારા પતિનો મને પારાવાર ટેકો અને સહકાર મળતા રહ્યાં, જેથી આ દિશામાં અમારી નાવ સારી પેઠે આગળ વધી. મારા પતિનાં અને મારાં પોતાનાં કાર્યક્ષેત્રનાં કારણે અમે તે સમયના સમાજ સુધારકો, રચનાત્મક કાર્યકરો અને સંત સમાન રાજ પુરુષોના સંપર્કમાં રહ્યાં જેથી અમારા વિચારોને પુષ્ટિ મળતી રહી.
હજુ આજે પણ હું સાતેક જેટલી રચનાત્મક કાર્યો કરતી સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે જોડાયેલી રહી છું. હાલમાં હું પુસ્તકો, સામાયિકો અને લેખોનાં વાંચનથી સતત સામાજિક-આર્થિક સમાનતા, તેને વેગ આપવા થતાં કાર્યો અને સાંપ્રત પ્રવાહોથી પરિચિત રહું છું.
એટલું કહી શકું કે જન્મથી માંડીને મારો ઉછેર, શિક્ષણ, લગ્નજીવન, કારકિર્દી અને અન્ય સ્વૈચ્છિક કાર્યોમાં એક તંતુ સતત જોડાયેલો રહ્યો, જે છે ગાંધી વિચાર આધારિત મૂલ્યોની જાળવણી. જાણે એ ભાથું ખૂટયું ખૂટે તેવું નથી. આને હું મારું સદ્ભાગ્ય લેખું છું.
સમાપન કરતાં કહીશ:
ગાંધી તૂ આજ હિન્દકી એક શાન બન ગયા
સારી મનુષ્ય જાતિકા અભિમાન બન ગયા
જય જગત!
[ગુજરાતી સાહિત્ય અકાદમીની માસિકી બેઠકમાં − ‘ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણી’ – નામક અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય; 06 ઑક્ટોબર 2018]