ગાંધીજી ઇતિહાસકાર નહોતા, પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ લખીને તેમણે સર્જનાત્મક ઇતિહાસલેખનનો એક આદર્શ પૂરો પાડ્યો. એમાં ભૂમિકા, પુરાવા, આધાર બધું ઇતિહાસનું, પ્રસંગ–પાત્રનું નિરુપણ નવલકથાકારનું અને દૃષ્ટિ સંતત્વ તરફ ગતિ કરતા મહાપુરુષની આવું સંયોજન થયું છે.
ગાંધીજીનું ધ્યેય સાહિત્યકાર કે પત્રકાર બનવાનું નહોતું પણ તેમના નામનો એક યુગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બોલે છે અને તેમના પત્રકારત્વએ લોકકેળવણીનું અને લોકોને સાચી માહિતીથી અપડેટેડ રાખવાનું જે કામ કર્યું તે માટે પત્રકારત્વ ભણનારે પત્રકાર ગાંધીને ભણવા પડે છે. આ લેખન–પત્રકારત્વની શરૂઆત દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર થઈ, જેના વિશે પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પ્રકરણો છે
‘જે સંસ્થાને લોકો મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાનો અધિકાર જ નથી. જાહેર સંસ્થાના ચાલુ ખર્ચનો આધાર લોકો પાસેથી મળતા ફાળા પર રહેવો જોઈએ. પ્રતિવર્ષ મળતો ફાળો તે તે સંસ્થાની લોકપ્રિયતા અને તેના સંચાલકોની પ્રામાણિકતાની કસોટી છે અને દરેક સંસ્થાએ તે કસોટી પર ચડવું જોઈએ તેવો મારો અભિપ્રાય છે.’ મહાત્મા ગાંધીનો આ બહુ જાણીતો અને અનેક સંસ્થાઓએ અનુસરેલો વિચાર તેમના દક્ષિણ આફ્રિકાકાળની નીપજ છે.
મહાત્મા ગાંધીની આત્મકથાના લગભગ 250 પાનાં એમના દક્ષિણ આફ્રિકાકાળની વાતમાં રોકાયાં છે. આમ છતાં એમણે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ નામે જુદું પુસ્તક લખ્યું છે. ગાંધીજીના જીવનમાં 6 એપ્રિલનું જાણે એક આગવું સ્થાન છે. કાળા કાયદા તરીકે ઓળખાતા રોલેટ એક્ટ સામે સત્યાગ્રહ 6 એપ્રિલ 1919ના દિવસે શરૂ થયો હતો. ત્યાર પછી 6 એપ્રિલ 2024ના દિવસે નવજીવન દ્વારા ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પ્રગટ થયું હતું અને 6 એપ્રિલ 1930ના દિવસે એમણે અન્યાયી મીઠાનો કાયદો તોડી નમક સત્યાગ્રહ શરૂ કર્યો હતો.
આજે થોડી વાતો કરીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની.
ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની ભવ્ય જ્વલંત સફળતા પાછળ ઢંકાઈ ગયેલી છે. આત્મકથાનાં 200થી વધારે પાનાં દક્ષિણ આફ્રિકાની ઘટનાઓના વર્ણનમાં રોકાયેલાં છે એટલે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને માટે જુદું પુસ્તક વાંચવાનું અને તેનો અભ્યાસ કરવાનું ઓછા લોકોને મન થયું હશે. પણ ગાંધીજીએ તો આત્મકથા લખાઈ એ જ ગાળામાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પર સ્વતંત્ર પુસ્તક લખ્યું છે અને તેને ‘નવજીવન’માં સાપ્તાહિક શ્રેણી રૂપે આત્મકથા સાથોસાથ, કદાચ એની પહેલાં 1923ના ગાળામાં પ્રગટ કર્યું છે.
એ જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે તેની પ્રસ્તાવનાના પહેલા જ ફકરામાં ગાંધીજી લખે છે, ‘સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત અંગે શોધાયો અને યોજાયો. આ લડતનો ઇતિહાસ મારા હાથે લખાય એમ હું ઘણા વખતથી ઈચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ તે તો લડાઈનો ચલાવનારો જ જાણી શકે. અને એના મોટા પાયા પર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ બધા લોકો જાણે એ જરૂરી હતું’ ગાંધીસાહિત્યના વાચકો અને અભ્યાસીઓએ પણ આ વાત યાદ રાખવા જેવી છે.
પુસ્તક બે ભાગ, 50 પ્રકરણ ને 620 પાનાંમાં વિસ્તાર પામ્યું છે. પહેલા 30 પ્રકરણ યરવડા જેલમાં લખાયાં છે. ગાંધીજી બોલતા અને ઈન્દુલાલ યાજ્ઞિક લખતા જતા. ત્યાર પછીનાં પ્રકરણો જૂહુથી લખાયાં.
તો સત્યાગ્રહનો પ્રથમ સફળ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં થયો. આ અનુભવને આધારે જ ગાંધીજીએ ભારતમાં સત્યાગ્રહો કર્યા. યાદ રાખીએ કે સત્યાગ્રહનું મહત્ત્વ ગાંધીજી પૂરતું કે દક્ષિણ આફ્રિકા પૂરતું કે ભારત પૂરતું પણ નથી. જગતના ઇતિહાસમાં એ પ્રથમ દ્વેષમુક્ત, વેરવિહીન, સતનો સંગ્રામ હતો. તેની તવારીખ સમજવા માટે આ પુસ્તક મહત્ત્વનું છે.
ઇતિહાસને સામાન્ય રીતે કોઈ રાષ્ટ્ર, કોઈ રાજનીતિ કે કોઈ પ્રજા પ્રત્યે પક્ષપાત હોય છે – અહીં એવું નથી. પક્ષપાત હોય તો તે નીતિ, ન્યાય અને સત્યનો છે. આ કદાચ પહેલો જ ઇતિહાસ છે જે કોઈ ઇતિહાસકારે નહીં; પણ એક સંતે, એ ઇતિહાસના સર્જનહારે-સૈનિકે લખ્યો છે. અને જાત પર, શબ્દો પર, નિરુપણ પરનો ગાંધીજીનો સંયમ ચકિત કરી દે તેવો છે.
શરૂઆતનાં પ્રકરણોમાં ત્યારના દક્ષિણ આફ્રિકાનાં ઇતિહાસ-ભૂગોળ અને ત્યાંના મૂળ હબસી રહેવાસીઓની વાતો છે. એ પછી ત્યાં હિંદીઓનું આગમન કેવી રીતે થયું, ગિરમિટ શું, ગિરમિટિયા કોણ ને ગિરમિટમુક્ત કોણ, એમની મુસીબતો કયા કારણથી ને કેવી-કેટલી વધી તેનું વર્ણન છે. પોતાની હાલાકીઓનું ટૂંકું વર્ણન પણ છે, ‘આ બધા અનુભવો મારા હાડમાં પેસી ગયા.’
આ પશ્ચાદભૂમિકા પછી એક પછી એક રાજકીય અનુભવો – 27ની ઉંમરે લખાયેલું ‘ગ્રીન પેમ્ફલેટ, તેની ભારત અને ઇંગ્લેન્ડમાં વ્યાપકપણે લેવાયેલી નોંધ, પરિણામે આફ્રિકામાં થયેલો હુમલો, પરવાનાની હોળી, મીર આલમનો કિસ્સો – આ બધાથી નવો ઇતિહાસ રચાતો-આલેખાતો જાય છે.
લડત ન્યાય માટે હતી. સત્ય અને અહિંસાના પાયા પર હતી. આંદોલન સ્વરૂપની હતી. તેને ખૂબ સહાનુભૂતિ મળી. એના સૈનિકો એકસંપથી ને એકસમાન આદર્શોથી જીવે તે માટે ગાંધીજીએ આશ્રમો બનાવ્યા. ખ્રિસ્તી પદ્ધતિથી થયેલાં હોય તે સિવાયનાં લગ્નો અમાન્ય ગણતા કાયદા સામેની લડતથી સામાજિક પાસું ઉમેરાયું અને સ્ત્રીઓનો લડતમાં પ્રવેશ થયો. હિંસા સામે અહિંસા, દ્વેષ સામે પ્રેમ, જુલમ સામે મિત્રભાવ વગેરે શસ્ત્રો કામિયાબ નીવડતાં ગયાં. છેવટે અસત પર સતનો વિજય થયો.
આ ઇતિહાસમાં રાજકીય અને સામાજિક સાથે નૈતિક અને આધ્યામિક તત્ત્વ પણ છે કેમ કે તેમાં ગાંધીજીની અંત:પ્રેરણા પગલે પગલે મુખ્ય ભાગ ભજવે છે.
લેખનશૈલી શુષ્ક નથી, રોચક છે. ભૂમિકા, પુરાવા, આધાર બધું ઇતિહાસનું, પ્રસંગ-પાત્રનું નિરુપણ નવલકથાકારનું અને દૃષ્ટિ સંતત્વ તરફ ગતિ કરતા મહાપુરુષની આવું સંયોજન થયું છે. વાતો સૂક્ષ્મ અને અટપટી છતાં રસમય છે. ગાંધીજીના વ્યક્તિત્વમાં રહેલી ઉત્કૃષ્ટ માનવતા સાત્ત્વિક આનંદના ઓઘ ઉછાળે છે. એક પણ વાત નકામી કે બિનજરૂરી નથી. ઔચિત્ય, કલાસંયમ, સતર્કતાનો સતત અનુભવ થાય છે.
સાહિત્ય અને જીવન પરસ્પર સંકળાયેલાં છે. કોઈ કોઈ કૃતિ એવી હોય છે જેણે પ્રબળતાથી જીવનની અસર ઝીલી હોય. કોઈ કૃતિ એવી હોય છે જે જીવનને પ્રભાવિત કરે. ગાંધીજીનાં પુસ્તકોમાં આ બન્ને રીતના પ્રભાવ જોવા મળે છે. એમણે જિવાતા જીવનને ઝીલ્યું પણ છે અને પ્રભાવિત પણ કર્યું છે. ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પણ આ બન્ને તત્ત્વ છે. જો કે સત્યના પ્રયોગો જેટલો વિરાટ પ્રભાવ આ પુસ્તકનો નથી. પણ ગાંધીસાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર જે સમગ્ર પ્રભાવ છે તેમાં આ પુસ્તકનો પણ ફાળો છે જ. 1909માં લખાયેલા ‘હિંદ સ્વરાજ’ને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની બાયપ્રોડક્ટ ગણી શકાય.
ગાંધીજી ઇતિહાસકાર નહોતા, પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ લખીને તેમણે સર્જનાત્મક ઇતિહાસલેખનનો એક આદર્શ પૂરો પાડ્યો. તેઓ સાહિત્યકાર નહોતા પણ તેમના નામનો એક યુગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બોલે છે. ગાંધીજીનું ધ્યેય પત્રકાર બનવાનું નહોતું, પણ તેમના પત્રકારત્વએ લોકકેળવણીનું અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડી એમને અપડેટેડ રાખવાનું જે કામ કર્યું તે માટે પત્રકારત્વ ભણનારે પત્રકાર ગાંધીને ભણવા પડે છે. આ લેખન-પત્રકારત્વની શરૂઆત દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર થઈ, જેના વિશે પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં પ્રકરણો છે.
કેટલાક પુસ્તકોનો ઉલ્લેખ કરું – ગાંધીજીની સૌ પહેલી જીવનકથા મિ. જૉસેફ ડૉક (અનુ. પ્રાણજીવનદાસ મહેતા) અને રાવજીભાઈ પટેલ – ગાંધીજીના અંતેવાસીનું ‘ગાંધીજીની સાધના’ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ની સમાંતરે ચાલ્યાં છે. પ્રભુદાસ ગાંધીના ‘જીવનનું પરોઢ’માં આ પુસ્તકોની ખૂટતી કડીઓ છે. ગિરિરાજ કિશોરનું ‘પહેલો ગિરમિટિયો’ (અનુ. મોહન દાંડીકર), રાજેન્દ્રમોહન ભટનાગરનું ‘કુલી બેરિસ્ટર’ (અનુ. છાયા ત્રિવેદી) અને નારાયણ દેસાઈ લિખિત ‘મારું જીવન એ જ મારી વાણી’ના પહેલા ભાગના અડધાથી વધારે પાનાં ગાંધીજીવનના દક્ષિણ આફ્રિકાકાળ પર લખાયાં છે.
દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ સંભાળતાં ગાંધીજીએ જે ટકોર કરી છે તે આજના સોશ્યલ મિડિયા માટે પણ કેટલી સાચી છે – ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે અને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો નિરંકુશતા વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ઍપ્રિલ 2023