બી.જે.પી.ના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે અમે અમારા રાજકીય પ્રતિસ્પર્ધીઓ સાથે બૂરો વહેવાર નહોતા કરતા. બી.જે.પી.એ તેમને માટે ‘દુ:શ્મન’ અને ‘દેશદ્રોહી’ જેવા શબ્દપ્રયોગો નહોતા કર્યા, પણ હંમેશાં તેમને રાજકીય પ્રતિસ્પર્ધી તરીકે જોયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બી.જે.પી.ની રાષ્ટ્ર વિશેની એક કલ્પના છે, પરંતુ જે લોકો એ કલ્પના સાથે સંમત નથી તેમને અમે પક્ષના કે દેશના દુ:શ્મન તરીકે નહોતા ઓળખાવ્યા.
આ રાંડ્યા પછીનું ડહાપણ છે એ બધા જોઈ શકશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી લાલકૃષ્ણ અડવાણીની અસહ્ય ઉપેક્ષા થઈ રહી છે, એટલું જ નહીં તેમનું અપમાન પણ કરવામાં આવી રહ્યું છે. ખબર નહીં, કયા ગુનાનું વેર વાળવામાં આવે છે; જ્યારે કે ૨૦૦૨ના ગોધરા પછી અને એ પછી બે વખત અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુરશી બચાવી હતી. જો અડવાણીએ નરેન્દ્ર મોદીને ન ઉગાર્યા હોત તો આજે નરેન્દ્ર મોદી વડા પ્રધાન ન હોત. બીજું સભ્યતા અને સંસ્કારની ચિંતા આટલી મોડેમોડે કેમ થઈ? છોકરો ગાળો બોલતો થાય ત્યારે મા-બાપ ટપારે નહીં અને પછી જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે સંસ્કાર અને સભ્યતાની યાદ દેવડાવવામાં આવે એનો શો અર્થ છે? નરેન્દ્ર મોદી ગુજરાતમાં કઈ રીતે રાજકારણ કરતા હતા અને કઈ ભાષામાં બોલતા હતા એ અજાણ્યું હતું? સંઘપરિવારમાંથી એક પણ માઈનો લાલ નીકળ્યો નથી જેણે કહ્યું હોય કે આ આપણા સંસ્કારની વિરુદ્ધ છે.
ખબર નહીં એમ તો કેમ કહેવાય! ૨૦૧૩માં નરેન્દ્ર મોદી બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર બને તેનો અડવાણીએ વિરોધ કર્યો હતો, અને નરેન્દ્ર મોદી વિરોધીઓને દુ:શ્મનથી ઓછા ગણતા નથી એ હવે કોણ નથી જાણતું? જો લાલકૃષ્ણ અડવાણી રાજકીય પ્રતિસ્પર્ધીની જગ્યાએ દુ:શ્મન હોય તો રાહુલ ગાંધી અને બીજાઓ તો ઘણા દૂર છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને યશવંત સિન્હાને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા હતા, જેની પાંચ વરસમાં એક પણ બેઠક બોલાવવામાં આવી નહોતી. હવે તો અડવાણી-જોશીને લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી નથી. આ જે બળાપો છે એ ઉપેક્ષા, અપમાન અને ટિકિટ નકારવાનો છે. ઉપર કહ્યું એમ આ રાંડ્યા પછીનું ડહાપણ છે.
એ વાત ખરી છે કે બી.જે.પી.ની અત્યારની સંસ્કૃતિમાં અને વાજપેયી-અડવાણી યુગની સંસ્કૃતિમાં ઘણો ફરક છે. અત્યારે સભ્યતા તળિયે પહોંચી ગઈ છે અને મદ અને આછકલાઈ તેની ચરમસીમાએ છે. જાણે કે એવરેસ્ટ પરથી ક્યારે ય પાછા ઊતરવાના જ ન હોય એ રીતે તેઓ વરતી રહ્યા છે. આમ છતાં સંઘપરિવારમાંથી કોઈ કહેતું નથી કે ભાઈ, મર્યાદાનું પાલન કરો. જરા વિવેક જાળવો. આ આપણને ન શોભે.
પણ ચર્ચાનો મુદ્દો એ નથી. ચર્ચાનો મુદ્દો એ છે કે લાલકૃષ્ણ અડવાણી કેટલા સભ્ય હતા? ચર્ચાનો બીજો મુદ્દો એ છે કે તેમના વખતમાં બી.જે.પી.એ તેમની કલ્પનાના રાષ્ટ્રવાદને ક્યારે શબ્દબદ્ધ કર્યો છે અને તેને ચર્ચાની એરણે આણ્યો છે? એ સમયે તેઓ સભ્ય હતા કારણ કે બી.જે.પી. લોકસભામાં ૧૮૬ બેઠકોથી આગળ ગઈ નહોતી અને તેમાં પણ મીથ ઓફ સિસિફસના સાપની સાથે બનતું હતું એમ માંડ ધકેલીને ઉપર ચડાવેલો પથ્થર નીચે ગબડી પડતો હતો. એ વખતે જે નમ્રતા હતી એ રાજકીય મજબૂરીનું પરિણામ હતું, સભ્યતા તો નહોતું જ.
જરા મેમરીઝને રિવાઈન્ડ કરો. એ દિવસો યાદ કરો જ્યારે ‘હિન્દુસ્તાન મેં રહના હો તો વન્દે માતરમ્ બોલના હોગા’, ‘તીન નહીં તીન હઝાર, રહેગી નહીં એક મઝાર’, ‘હર મુસલમાન બાબર કી ઔલાદ’ જેવા સૂત્રો લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં બોલવામાં આવતા હતા. મહાન સંસ્કૃતિ પુરુષ લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં સાધ્વી ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા કાનમાંથી કીડા ખરે એવી ભાષામાં બોલતાં હતાં. બાબરી મસ્જિદને હાથ લગાડવામાં નહીં આવે એવી સર્વોચ્ચ અદાલતમાં લેખિત બાંયધરી આપ્યા પછી મસ્જિદને જ્યારે તોડવામાં આવતી હતી ત્યારે અડવાણી, જોશી અને ઉમા ભારતીનાં મોઢાં ફૂલીને ચાંદ જેવડાં થઈ ગયાં હતાં એ તસ્વીર યાદ કરો. તેઓ હરખ છુપાવી નહોતા શકતા. રામના નામે રાજકારણ કરવામાં આવ્યું એમાં અત્યાર સુધીમાં દસેક હજાર લોકો કોમી હુલ્લડોના અને ગુજરાત અને ભાગલપુર જેવા નરસંહારમાં માર્યા ગયા છે, પણ અટલ બિહારી વાજપેયી સહિત કોઈ સંઘવાળાની આંખ ભીની થઈ હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી.
આમ શબ્દની મર્યાદા તો ત્યારે પણ સાચવવામાં નહોતી આવતી. ગરીબ માણસની જિંદગીની ત્યારે પણ ખેવના કરવામાં નહોતી આવતી. આયોજનબદ્ધ કરવામાં આવેલાં નરસંહારોનો શરમાવાની જગ્યાએ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બહુ મીઠી વાણીમાં બોલવાનું ફાવતું નહોતું ત્યારે તેમાં પાવરધા અટલ બિહારી વાજપેયીની સેવા લેવામાં આવતી હતી. વાજપેયીએ પણ ખોંખારો ખાઈને કોઈની નિંદા કરી નથી, કોઈને મર્યાદા ઓળંગતા રોક્યા નથી કે કોઈનો કાન આમળ્યો નથી. સમસ્યા કૂવામાં છે, હવાડામાં નથી. શાખાના સંસ્કાર વડા પ્રધાન બન્યા પછી પણ છુપાવવા મુશ્કેલ બને છે. વાજપેયીમાં એ આવડત હતી અને માટે વાજપેયી લોકોનો આદર ધરાવતા હતા. બાકી લાલ કૃષ્ણ અડવાણીની મર્યાદા રાજકીય મજબૂરીનું પરિણામ હતું, જન્મજાત સંસ્કારનું નહોતું. તેમનું રાજકારણ અસભ્ય ભાષા અને લાશો ઉપર રચાયેલું હતું એ કોણ નકારી શકે?
બીજો મુદ્દો છે બી.જે.પી.ની (ખરું પૂછો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની) કલ્પનાના રાષ્ટ્રવાદની. સંઘની સ્થાપના ૧૯૨૫માં થઈ હતી. આજે સંઘની ઉંમર ૯૪ વરસની થઈ. તેની કલ્પનાના રાષ્ટ્રની નિર્મિતિમાં ઉપયોગી થાય એ માટે ૧૯૫૧માં ભારતીય જનસંઘની અને ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. તેઓ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવા માગે છે એમ વારંવાર કહેવામાં આવે છે. કોઈ વાંધો નહીં, તેમનો તે અધિકાર છે. માત્ર તેમણે ફોડ પાડીને કહેવું જોઈએ કે તેમની કલ્પનાનું રાષ્ટ્ર કેવું હશે. અત્યારે બંધારણમાં અંકિત કરવામાં આવેલા ભારતીય રાષ્ટ્રમાંથી શું રાખવામાં આવશે અને શું દૂર કરવામાં આવશે એ દેશની જનતાને જણાવી દે. આ કોઈ અયોગ્ય માંગણી છે? જેના હિતમાં તમે જે રાષ્ટ્રની નિર્મિતિ કરવા માગો છો એ પ્રજાને જણાવવાનું પણ નહીં કે તમે તેને માટે શું કરવા માંગો છો? આટલો પણ ભોળી પ્રજાનો હક નહીં?
આજે ૯૫ વરસ પછી પણ ફોડ પાડીને કહેવામાં આવ્યું નથી કે તેમનું હિંદુ રાષ્ટ્ર કેવું હશે! અત્યારના ભારતીય રાષ્ટ્રમાનું શું હશે અને શું નહીં હોય. શું આ દેશ સાથે અને દેશ છોડો હિંદુ પ્રજા સાથે છેતરપિંડી નથી? આવું છદ્મ રાજકારણ કરવું એ અસભ્ય ભાષા કરતાં પણ વધુ અસભ્ય છે. લાલ કૃષ્ણ અડવાણી પોતાની જાતને જ પૂછી લે કે તેઓ સંઘમાં જોડાયા એ પછી તેમને જે સૌથી વહાલું છે તે હિંદુરાષ્ટ્ર વિષે કેટલી વાર સાચું બોલ્યા? અને પાછા અત્યારે એમ કહે છે કે, ‘અમારી રાષ્ટ્રની સંકલ્પના સાથે સંમત નહીં થનારાઓ સાથે અમે દુર્વ્યહાર નહોતા કરતા.’
કઈ સંકલ્પના એ જરા કહેશો ખરા? એસ.એચ. દેશપાંડે નામના એક રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા કૃષિ અર્થશાસ્ત્રી હતા. તેઓ તેમના તરુણાવસ્થામાં સંઘમાં જોડાયા હતા. શાખામાં હિંદુરાષ્ટ્રની વાત કરવામાં તો આવતી હતી, પરંતુ તેના ચહેરા-મહોરા વિષે કોઈ ફોડ પાડવામાં નહોતો આવતો. એક દિવસ શાખામાં આવેલા સંઘના મોટેરા નેતાને તેમણે પૂછ્યું હતું કે આ હિંદુરાષ્ટ્રના કોઈ રૂપરંગ ખરા કે નહીં? કોઈકની કલ્પનાની કન્યા માટે મારે મારું અમૂલ્ય જીવન વેડફી નાખવાનું? તેમને ઉત્તર આપવામાં આવ્યો હતો કે યોગ્ય સમયે રૂપરંગ બતાવવામાં આવશે. ૧૯૪૫થી આ પ્રશ્ન પુછાઈ રહ્યો છે અને આ જ સુધી યોગ્ય સમય આવ્યો નથી.
માનનીય લાલજી, (તમારે માટે વપરાતું લાડનું સંબોધન વાપરું છું) આ જે લબાડી છે એ અસભ્ય ભાષા કરતાં પણ વધુ અસભ્ય છે. હિંદુરાષ્ટ્રને પરિભાષિત કરોને આપણે એક જ ડાળના બે પક્ષીની માફક ચર્ચા કરી લઈશું. જો તમારી કલ્પના યોગ્ય લાગશે તો અમે તમારી સાથે ઊડીએ પણ ખરા. બોલો તો ખરા કે તમે શું કરવા માગો છો? સંઘપરિવારમાં એક નેતા એક બોલે, તો બીજો નેતા એ જ સમયે સાવ તેનાથી વિપરીત બીજું બોલે. એવું પણ બને છે કે એનો એ જ નેતા બીજા પ્રસંગે બીજું બોલે. જાતી જિંદગીમાં સભ્યતાના ભેખધારી બની ગયેલા લાલકૃષ્ણ અડવાણીના સોએક જેટલા વિરોધાભાસી નિવેદનો ઇતિહાસ કે ઈન્ટરનેટ ફંફોળ્યા વિના ટાંકી શકું એમ છું. અડવાણીની ક્યાં વાત કરીએ, સંઘપરિવારના એક માત્ર મર્યાદાપુરુષ અટલ બિહારી વાજપેયીએ પણ વચનમાં સાતત્ય જાળવવાની મર્યાદા પાળી નથી.
હા, લાલકૃષ્ણ અડવાણી એટલું જરૂર કહી શકે કે પક્ષના આજના નેતાઓને કેમ બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, ક્યાં અટકવું, ક્યારે ભાષા બદલવી, ક્યારે ગુલાંટ મારવી એનું ભાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો પક્ષના આજના નેતાઓ સભ્યતા નથી છોડી રહ્યા, સંઘના સંસ્કારથી દૂર જઈ રહ્યા છે.
શું આ વાત ખોટી છે?
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઍપ્રિલ 2019