વૈશ્વિક સ્તરે આતંકવાદ વધુ લોહિયાળ, ક્રૂર અને કોઇપણ પ્રકારના નિયંત્રણ વગરનો બની રહ્યો છે અને તે જાણે માનવ સમુદાયનું નિકંદન કરવા નીકળેલા રાક્ષસ જેવો છે
રશિયાએ યુક્રેન પર ચઢાઇ કર્યાને 600 દિવસથી વધારે દિવસ થઇ ચૂક્યા છે. આ સંઘર્ષને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક, રાજકીય કટોકટીનો માહોલ તો છે જ. કયો દેશ કોની પડખે, કોણે કોને કેટલી મદદ કરવી, યુ.એસ.એ.નો અભિગમ, ભારતનું વલણ વગેરે મુદ્દાઓ ધાર્યા કરતાં ઘણા જટિલ છે. એ સંઘર્ષ હજી ચાલુ છે એમાં હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો પછી હમાસ-ઇઝરાયલ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ છેડાયું છે. આ મામલે કોણ કોની પડખે છે-ના વિવાદ અટકવાનું નામ નથી લેતા. જાનહાનિના વીડિયોઝથી હ્રદય દૃવી ઊઠે. હમાસ અને ઇઝરાયલના ખટરાગમાં થોડા દિવસો પહેલાં યમનના હૂતી વિદ્રોહીઓએ ઝંપલાવ્યું અને ભારત આવી રહેલા ઇઝરાયલના એક માલવાહક જહાજને કબજે કરી લીધું. ઇઝરરાયલને જ્યારે આ અપહરણ અંગે સમાચાર મળ્યા, ત્યારે આ જહાજ તુર્કીના કોરફેજમાંથી ભારતના પીપાવાવ તરફ આવી રહ્યું હતું. ઇઝરાયલ-હમાસના સંઘર્ષનો વ્યાપ વગર કારણ ફેલાઇ જવાની શક્યતા આ ઘટનાને કારણે મજબૂત બની છે.
હૂતી વિદ્રોહીઓએ એવી જાહેરાત કરી છે કે ઇઝરાયલ સાથે જોડાયેલા અથવા ઇઝરાયલની માલિકીના જહાજો પર તેઓ આંતરરાષ્ટ્રિય જળ ક્ષેત્રમાં નિશાન સાધશે જઅને આવું એ લોકો ત્યાં સુધી કરશે જ્યાં સુધી ઇઝરાયલ હમાસ સામે લડત આપશે. આ જે જહાજને એ લોકોએ કબજે કર્યું એમાં કોઈ ઇઝરાયલી નાગરિક હતો પણ નહીં તેમાં ફિલિપાઇન્સ, મેક્સિકો, યૂક્રેન જેવા દેશોના નાગરિક હતા પણ કોઈ ઇઝરાયલી નહોતું. હવે આવા સંજોગોમાં જે રાષ્ટ્રોના નાગરિકો ફસાય છે એ બધા જ રાષ્ટ્રોને પોતાના નાગરિકોના હિતમાં કોઇને કોઇ તરફનું વલણ તો સ્પષ્ટ કરવું જ પડે તે સ્વાભાવિક છે. ઇઝરાયલને હમાસ, હિઝબુલ્લા અને હવે હૂતી સાથે ઝીંક ઝીલવી પડે છે.
આ કોઇ બે-ત્રણ રાષ્ટ્રો વચ્ચેના વૈમનસ્યની વાત નથી રહી. વર્તમાન સમયમાં આતંકવાદ એક એવું વમળ બની ચૂક્યો છે, જેમાં ક્યારે કોણ ક્યાંથી તેનો હિસ્સો બની જશે એ કળવું મુશ્કેલ બની રહ્યું છે. ગાઝા અને ઇઝરાયલ વચ્ચે જે પણ થઇ રહ્યુ છે તેમાં આ સંઘર્ષ કેટલો વખત ચાલશે, તેમાં કેટલા બાહરી પક્ષોને મને-કમને જોડાવું પડશે, યુ.એસ.એ. – મહાસત્તા હોવાને નાતે તેમાં કેટલો હસ્તક્ષેપ કરશે, આ બધી જ બાબતો આતંકવાદના જોખમને વધારનારી છે. વૈશ્વિક સ્તરે જેહાદીઓ અત્યારે ચાલી રહેલા સંઘર્ષનો પોતાની રોટલી શેકવા ઉપયોગ કરી જ શકે છે અને હિઝબુલ્લા અને હૂતીઓએ જે રીતે હમાસના આતંકવાદીઓને ટેકો આપ્યો તે તેનો ઉઘાડો પુરાવો છે. હિઝબુલ્લા પાસે મોટી સંખ્યામાં શસ્ત્રો છે અને જો તેઓ પોતાનું જોર વધારશે અને સીરિયા, ઇરાક અને યમનમાં ઇરાન તરફી સૈન્યો ગાઝાના સંઘર્ષમાં જોડાયા છે તેને કારણે યુ.એસ.એ. જવાબી હુમલો કરવાનું પસંદ કરે તેવી પૂરી શક્યતાઓ છે. અત્યારના સંજોગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ મધ્ય પૂર્વીય દેશોની આગળ વધે તેવી વકી છે. યુ.એસ.એ.ના જહાજને નિશાન બનાવવા, યુ.એસ.એ.ના અધિકારીઓ કે નાગરિકોને બંધક બનાવવા જેવી વ્યૂહાત્મક પગલાં લેવામાં ઇરાન પાછું વળીને નહીં જુએ. હમાસ પાસે વ્યાપક આંતરરાષ્ટ્રીય નેટવર્ક નથી પણ હમાસની તરફેણ કરનારા જૂથોને કારણે તેમની એ સમસ્યા ઉકલી જાય એવું બની જ શકે છે. વિવિધ આતંકી જૂથો હમાસના સંઘર્ષમાં જોડાઇને પોતાના એજન્ડા પ્રમાણે કામ કરે છે અને આ કારણે બે રાષ્ટ્રો વચ્ચે ચાલતો સંઘર્ષ વૈશ્વિક સ્તરે વ્યાપક બનવાની તલવાર તોળાઇ રહી છે. ભૂતકાળમાં આતંકી ષડયંત્રોમાં અન્ય ગુનાહિત વિશ્વના ગુનેગારોને સંડોવવાની ઘટનાઓ બની છે જેમ કે ભૂતકાળમાં હિઝબુલ્લા અને ઇરાને અંડરવર્લ્ડના માફિયાઓને યુ.એસ.એ. જ નહીં પણ બીજા રાષ્ટ્રોમાં પણ રાજકીય હત્યાઓના પ્લોટ ઘડવામાં પોતાની સાથે લીધા હતા. 2011માં ઇરાની ઓપરેટિવે યુ.એસ.એ.માં સાઉદીના એમ્બેસેડરની હત્યા અને વૉશિંગ્ટનમાં ઇઝરાયલી એમ્બેસીને બોમ્બથી ઉડાવી દેવા માટે મેક્સિકન ડ્રગ કાર્ટેલની મદદ લીધી હતી.
હમાસ અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ અંગે અમેરિકન સમાજનો જે પ્રતિભાવ આવ્યો છે તેમાં પણ વિરોધાભાસ છે. મોટાભાગના અમેરિકન્સ ઇઝરાયલને ટેકો આપે છે પણ કેટલાકે તો બેધડક 7મી ઑક્ટોબરના હુમલાને વખાણ્યા કારણ કે તેમને માટે ઇઝરાયલ પ્રત્યેની શત્રુતા યહૂદીઓ પ્રત્યેના ખુન્નસનો જવાબ હતી. આ વિભાજનને પગલે આતંકવાદની વ્યાખ્યા પણ જટિલતાથી બદલાશે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. હમાસના આતંકી હુમલાને વખોડવાનું ટાળનારા તેને સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ તરીકે જુએ છે અને હમાસની હિંસાની ટીકા નહીં કરી તેને યોગ્ય ઠેરવે છે. સામી બાજુએ ઇઝરાયલ અને હમાસના સંઘર્ષને પેલેસ્ટિયન મુસ્લિમ બ્રધરહુડનો જ એક પ્રકાર ઠેરવી રહ્યા છે. ઉગ્રવાદીઓ વિશ્વના જે પણ ખૂણે છે ત્યાં બેસી આતંકીઓને શાબાશી આપી રહ્યા છે અને ઇન્ટરનેટ પર હિટલરે શરૂ કરેલા કામને પૂરું કરવા બદલ હમાસને બિરદાવી રહ્યા હોવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો. ઓનલાઇન ફેલાઈ રહેલું ઝેર ક્યારે ય પણ વાસ્તવિકતા બની શકે છે. આતંકી હુમલા રાજકીય એજન્ડા નથી હોતા પણ શત્રુતાના ખુન્નસનું પરિણામ હોય છે – બદલો, ધાર્મિક અને વંશીય તિરસ્કાર જેવી બાબતો હિંસાના પ્રકારમાં દેખાઈ આવે એમ બનતું જ હોય છે અને એમ થવાની સંભાવના પણ છે. આતંકવાદ વધુ લોહિયાળ, ક્રૂર અને કોઇપણ પ્રકારના નિયંત્રણ વગરનો બની રહ્યો છે અને તે જાણે માનવ સમુદાયનું નિકંદન કરવા નિકળેલા રાક્ષસ જેવો છે.
એક તરફ રશિયા જેણે યુક્રેન સાથેનું યુદ્ધ ચાલું રાખ્યું છે તેણે પણ હમાસની નિંદા નથી કરી અને તેની સાથે સારસારી રાખી છે. રશિયાએ હમાસને આતંકવાદી સંગઠન તરીકે સ્વીકારવાનું પણ ટાળ્યું છે. મોસ્કો હમાસને પડખે છે કારણ કે તે ગ્લોબલ સાઉથ સાથેના સંબંધોને મજબૂત કરવા અને મિડલ-ઇસ્ટ અને તેનાથી આગળના રાજદ્વારી ભાગીદાર તરીકે પોતાનું સ્થાન દ્રઢ બનાવવા માગે છે. ક્રેમલિને પહેલાં પણ આ રીતે આતંકી જૂથોના ઇરાદાઓ અને ઉદ્દેશોને ટેકો આપ્યો છે – જેમ કે અફઘાનિસ્તામાં કાળો કેર વર્તાવતા તાલીબાનીઓ સાથે મોસ્કોના સંબંધો આજે પણ સારા છે. બીજી તરફ પોતાના વિરોધીઓને આતંકી જૂથો તરીકે ઓળખાવવામાં રશિયાને ક્યારે ય કોઇ વાંધો નથી આવ્યો.
એક તરફ યુ.એસ.એ. છે તો બીજી તરફ રશિયા છે. વળી ઇઝરાયલે પણ હમાસના હુમલાનો જવાબ આપવામાં ‘યુદ્ધમાં શુ કરવું યોગ્ય છે’ વાળી બાબતનો બિંધાસ્ત છેદ ઉડાડ્યો છે કારણ કે તેને અમેરિકા અને અન્ય મિત્ર દેશોનો ટેકો મળી રહ્યો છે. અમેરિકાએ લડેલા બધાં જ યુદ્ધોનાં પરિણામ ભયાનક જ આવ્યા છે એટલે અમેરિકા માનવાધિકારને નામે ઇઝરાયલને ખમ્મા કરવા કહેશે એવું માનવાનો કોઇ સવાલ નથી. ગાઝાના નાગરિકો, જેને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી તે પોતાને ભરોસે છે. ઇઝરાયલ અને અમેરિકાએ એ સમજવું પડશે કે આતંકવાદ તાકતથી નહીં ખતમ થાય. આતંકવાદ આમે ય નબળાઓનું હથિયાર છે અને તેને ડામવા માટે રાજનૈતિક પ્રશ્નોનું સમાધાન જરૂરી છે. આ પ્રશ્નોને આગળ ધરીને જ આતંકી હુમલાઓ કરાય છે.
સત્તાધીશોએ એ સ્વીકારવું પડશે કે વિશ્વમાં આંતકવાદ બમણા જોરથી ત્રાટકવાનો છે અને જીઓ-પોલિટીકલ રાજકારણની અરાજકતા આ જોખમને દિવસે ને દિવસે વધુ સ્પષ્ટ કરી રહી છે. અમેરિકાએ ઇઝરાયલને ગાઝામાં વિધ્વંસ કરતા રોકવાની જરૂર છે. સાઉદી અરબના નેતૃત્વ હેઠળના દેશોને ચીનની મદદથી ગાઝામાં યુદ્ધ રોકવું છે. ઇરાન અને લેબનન જેવા દેશોએ હમાસને કાબૂમાં લેવાની જરૂર છે જેથી યુદ્ધ થોભે. અત્યારે અમેરિકા અને અરબ દેશો ચાહે એ રીતે આ સંજોગોને બદલી શકે છે, તેમનું દબાણ હશે તો આ બર્બરતા અટકી શકે છે અને આતંકવાદનો ઓછાયો મોટો થતા અટકી શકે છે.
બાય ધી વેઃ
આપણે રશિયા, ઇઝરાયલ સાથે ક્યારેક દોસ્તીનો હાથ બતાડીને તો ક્યારેક થોડી ટીકા કરીને સંતુલન જાળવીએ છીએ પણ આપણો પાડોશી દેશ – પાકિસ્તાન તો આર્થિક પાયમાલીને સાથે આખી દુનિયા સાથે થતા ધાર્મિક સંઘર્ષો સાથે જોડાયેલો છે જે આપણે માટે નાનું જોખમ નથી. પાકિસ્તાન આતંકવાદમાં હિંસાનું જુનૂન છે એવામાં બહુમતીવાદમાં ઠેકડા મારતા ભારત પર, કોઇ ધાર્મિક કાર્યક્રમમાં આતંકવાદી હુમલો થયો તો સરકાર ગુંચવાઇ જશે કે હવે સામે પાકિસ્તાનને કઇ રીતે જવાબ આપવો. નસીબજોગે આ તો એક કાલ્પનિક સ્થિતિ છે, પણ આપણે હમાસ-ઇઝરાયલ સંઘર્ષમાંથી બોધ લઇને ચેતી શકીએ છીએ, એ પણ માથે લટકતી પરમાણુ હથિયારની તલવાર યાદ રાખીને. બીજું બાય ધી વે એ કે હમાસનો નેતા છે યાહ્યા સિનવાર જે અત્યારે ગાયબ છે. આ મોસ્ટ વૉન્ટેડ ગુનેગારે હમાસે કરેલા હુમલાની યોજના બનાવવામાં ભાગ લીધો હતો અને સાવ 25 વર્ષની વયે હમાસના અત્યંત જોખમી ગણાતા સુરક્ષા સંગઠન અલ-મજ્દની સ્થાપના કરી હતી અને તે એમ માને છે કે તેણે પેલસ્ટાઇનને સ્વતંત્રતા અપાવવા જ જન્મ લીધો છે. આ વાત ખાસ ટાંકી કારણ કે આપણને એક વિશ્વ તરીકે બીજો ઓસામા બિન-લાદેન પોસાય એમ નથી. રાજનૈતિક સમજ અને માણસાઈ માત્ર આતંકવાદને વિશ્વને ભરખી જતા અટકાવી શકશે એ ચોક્કસ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 નવેમ્બર 2023