પુસ્તક પરિચય
ગુજરાતી કથા-સાહિત્યમાં અત્યારે નોંધપાત્ર કામ કરી રહેલાં ગિરીમા ઘારેખાનની લઘુકથાઓના બીજા સંગ્રહ ‘ક્ષણનો ટહુકો’ની સાઠ વાર્તાઓમાંથી અનેકમાં નારી સંવેદનની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ છે.
એમાંથી કેટલીક, પરિણીત સ્ત્રીના તન-મન પરના ઉઝરડા એવી રીતે બતાવે છે, જેનાથી જખમોનો અંદાજ આવી જાય. આવી માર્મિકતા લઘુકથાના સ્વરૂપની લેખિકાની પાકી સમજ બતાવે છે. વિભાએ શરીર પરના સોળ છતાં ‘લંપટ અને દારુડિયા’ મેહુલ સાથે ‘નિભાવવાનું જ હતું’. ‘રાક્ષસ’થી દૂર થઈને પિયર આવેલી પ્રતીમાની તેને પાછી ન મોકલવાની આજીજીઓ મા-બાપને અડતી નથી.
જ્યાં સગપણ જ કરવા જેવા ન હતા તેવા સાસરેથી એક મહિનામાં ‘રાયણમાંથી કોકડી થઈ’ ઘરે આવેલી શ્રાવણીની હાલતની માને પરવા નથી. પતિએ તરછોડેલી બે જીવસોતી વૈદેહી આપઘાત કરવા નીકળે છે.
મોટી વહુને કઠપૂતલીવાળાનો ખેલ એટલા માટે ખૂબ જ ગમે છે કે એ ચાલતો હોય એટલો વખત એ ખુદને દોરીસંચાર કરનારની જગ્યાએ જુએ છે, અને ઢીંગલીઓ તરીકે તેના વસ્તારી કુટુંબના માણસોને કલ્પે છે.
પુત્રવધૂની તકેદારીને લીધે પુષ્પાબહેન હાર્ટ એટેકના મોતમાંથી બચી જાય છે. તે પછી તેની પાસે માળા માંગતાં પળવાર માટે તેમના મોંમાંથી ‘ભૂમિ બેટા’ એવું નીકળી જાયછે. પણ તરત જ સ્પષ્ટતા આવે છે : ‘હા બેટા, હવે તો આ 108 જ મારી જીવાદોરી છે.’ ચકલીના બચ્ચાંની ચિંતામાં મેધાનું ધાબે રોકાઈ રહેવું તેની સાસુને કઠે છે.
જો કે નણંદ-ભાભીના સંબંધો કૂણાં છે. સોનાભાભીને લગ્ન પછીના એક વર્ષમાં લાગેલી ઠેસ નણંદ મીતાના ધ્યાનમાં આવે છે. લગ્ન બાદ થોડા જ દિવસોમાં સ્વાતિના પગ ઢીલા પડતા હતા’ એનો લોપાભાભીને ખ્યાલ આવ્યા વિના રહેતો નથી.
દેખીતી રીતે સુખી ઘરસંસારમાં પણ બધું સમુસૂથરું નથી હોતું. શ્રાવણની સવારે આંગણામાં ખીલેલાં ગુલાબ માલિની બતાવે છે, પણ પરેશ સમય જ નથી. પેલી ફૂલના ફોટાને વૉટસએપ પર મૂકે છે, પેલો તેમને ઑફિસમાં જઈને તરત ‘લાઇક’ કરી દે છે.
ભ્રષ્ટાચારમાં ઊતરતો જતો મોહિત ‘ઑફિસની બાબતમાં બૈરાંઓએ ગાંધારી જ થઈને રહેવાનું’ એમ અંજનાને સંભળાવતો હોય છે. એક હદ પછી એ પાટા અને પતિને છોડી દે છે.
દામ્પત્યના વધુ સંકુલ પાસાં પણ ઝીલાયાં છે. તમાચા સુધીના ઝગડા પછી તરતનો મનમેળ અહીં છે. ‘રિપોર્ટ’ વાર્તામાં ‘યંગ ડૉક્ટરની ટ્રીટમેન્ટ’થી પોતે પ્રેગ્નન્ટ થઈ હોવાના સમાચાર માતંગી તેના પતિને આપે છે એટલે અને ‘કૅન નેવર બી ફાદર’ એવો રિપોર્ટ પેલો ખીસામાં મૂકી રાખે છે.
અત્યાચાર પીડિતા માટેની સમાજની દૂષિત પૂર્વધારણા પણ જોવા મળે છે. ગરીબ ઘરની ગુમ થયેલી દીકરી ‘આશિક સાથે ભાગી ગઈ હશે’ એમ માનવામાં પોલીસ એ ‘પાંચ જ વર્ષની છે’ એ વિચારી જ શકતી નથી.
ઇન્સ્પેક્ટર ઝાલા માને છે કે છોકરીઓ ‘રાતવરત ગમે તેવાં કપડાં પહેરીને ભટક્યા કરે’ એટલે બળાત્કારો થાય છે. સંગ્રહની સહુથી વેધક અને ઉત્તમ વાર્તા ‘ટૅક્સ’ દેહવ્યવસાય કરતી રેવતી અને અંજુ વચ્ચે કુર્તાનું ગળું સરખું કરવા નિમિત્તે થયેલી વાતચીતથી રચાય છે.
માતાના અનેક રૂપો લેખિકાએ બતાવ્યાં છે. ‘બાવીસ વર્ષ પહેલાં’ મૃત્યુ પામેલા દીકરાનો ફોટો જોયા પછી જ સરલાબહેનનો અટકેલો જીવ નીકળે છે.
મમતા દીકરીને આગમાંથી બચાવે છે. ગોબરા લીંટાળા દીકરા શિવાને ફેરિયો ‘રૂપાળો’ કહે છે એટલે તરત જીવલી ફુગ્ગો ખરીદી લે છે. સવિતા સાવ વંઠેલ હિતીયા માટે ય બારણાને ક્યારે ય ‘સાંકળ ન દેતી’. સરહદ પરનું ગામ ખાલી કરાવવામાં આવ્યું હોય ત્યારે ય યુદ્ધમાં દીકરો ગુમાવી ગંગામાસી લડાઈ માટે ગામમાં થાણું નાખીને રહેતા સૈનિકોને ‘રોટલા ઘડીને’ ખવડાવવા ખાતર સલામત જગ્યાએ જતાં નથી.
અનાથાશ્રમમાં સમાજસેવા કરવામાં વ્યસ્ત તનુજાથી તેના દીકરાની ઉપેક્ષા થઈ જાય છે. મંજુબહેન કાનૂની લડતથી ઘર પરનો પોતાનો હક સાબિત કરીને ‘તમે માના ઘરમાં રહો છો’ એમ દીકરા અને વહુને બતાવી આપે છે. દીકરો કોલકાતા સ્થાયી થતાં નયનાબહેન ખૂબ નારાજ રહે છે.
સંતાન માટે મા એ મા હોય છે. સુકેશિની મા કૅન્સરને કારણે વાળ ગુમાવી દે છે. પતિથી ફારકત પછી અનેક જવાબદારીઓના બોજ તળે દીકરાને ઉછેરતી મા ‘અકાળે વૃદ્ધ’ દેખાવા લાગે છે. પણ બંને વાર્તાઓમાં સંતાન માટે તે સુંદર તો ‘એવી ને એવી જ છે’.
બાળ માનસને લગતી અન્ય એક વાર્તા ચશ્માં આવવાને કારણે શાળાએ જવા ન માગતી છોકરીની છે. ‘છત્રી’ અને ‘બહાદુરી’ નાની ઉંમરના દીકરાઓને ન સમજનારા પિતા વિશે છે.
‘હૅંડ ને!’ અને ‘રેલા’ વાર્તાઓ કારમી ગરીબી નિરુપે છે. ‘પાંઉભાજી’ અને ‘સીયાની ભાવના’ વર્ગભેદ પરની ખૂબ સૂચક વાર્તાઓ છે. રમખાણોમાં ઘર ગુમાવનાર યુગલ અને કાર્ગોમાં શહીદ સાથીનો દેહ હોય તેવી ફ્લાઇટમાં જતા સૈનિકની વાર્તાઓ વ્યાપક અર્થમાં હકારાત્મક દૃષ્ટિકોણ બતાવે છે.
લઘુકથાના સ્વરૂપની ગિરિમાબહેનની સમજ મોટાભાગની વાર્તાઓમાં દેખાય છે. સંગ્રહ તેમણે ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભકાર ‘હૃદયસ્થ મોહનભાઈ પટેલ’ને અર્પણ કર્યો છે.
‘હૅંડ ને કોરોના લઈ આપડેય ચોંકથી કોરોના લૈ આઇયે’, ‘એ કાર્ગોમાં સૂતા છે’, ‘એક નો એક’, ‘જેવો છે તેવો’ જેવા વાક્યો બરાબર નિશાન તાકે છે. દીકરી કે પુત્રવધૂ ધાબે ઊભી રહે, બાળક છત્રી વિના ભીંજાઈને શાળાએથી ઘરે આવે, પ્રૌઢા ખુદનું પ્રતિબિંબ નિહાળે જેવી રોજ બ રોજના પરિસ્થિતિઓ(situations)માંથી લેખિકાએ વાર્તાઓ સર્જી છે.
સરળ ભાષા અને સહજ અભિવ્યક્તિ, ઓછા શબ્દોમાં પણ અસરકારક વર્ણનો, સૌંદર્યસ્થાનોના અકૃત્રિમ લસરકા લેખિકાની શૈલીની ખાસિયતો છે. વધારે પડતી પ્રતીકાત્મક, અપ્રતીતિકારક, ધારણા મુજબની predictable અને અસ્પષ્ટ વાર્તાઓ પણ છે. બે વાર્તાઓ પ્રગતિશીલતાનો નિર્દેશ આપીને પરંપરામાં અટકી જાય છે.
જો કે સમગ્ર રીતે આ ‘ક્ષણના ટહુકા’ સંગ્રહ, ગયાં છએક દાયકામાં ધીરે ધીરે સમૃદ્ધ થતાં જતાં ગુજરાતી લઘુકથા સાહિત્યમાં મહત્ત્વનું ઉમેરણ છે.
[આભાર : સુશ્રી તોરલબહેન પટેલ, ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી]
——————————–
ક્ષણના ટહુકા, ગૂર્જર પ્રકાશન, પાનાં 136, રૂ.200/-
પ્રાપ્તિસ્થાન :
ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663,22149660, મો. 9835368759
ગ્રંથવિહાર : 079-26587949 , 9898762263
26 નવેમ્બર 2023
[800 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર