Opinion Magazine
Number of visits: 9446983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રઘુવીરને જ્ઞાનપીઠ તિલક, થોડું મંથન

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Opinion - Literature|2 January 2016

લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવક્તા પણ નથી

ગુજરાત જોગ ચોથા જ્ઞાનપીઠ પુરસ્કારના સમાચાર સાંભળ્યા કે તત્ક્ષણ ધસી આવેલો દુર્વિચાર અગર સુવિચાર એ હતો કે માણસા પંથકને રાષ્ટ્રીય સ્તરે અમિત શાહથી ઉફરી ઓળખનાં દ્વાર ઠીક ખૂલ્યાં: તે સાથે એક પડકાર પણ મીઠી વલૂરની પેઠે ખણુંખણું થવા લાગ્યો કે સહરાની ભવ્યતા સરખા સાહિત્યિક ઊંચાઈ ને ગહરાઈ ધરાવતાં વ્યક્તિચિત્રોના તેમ જ તિલકશ્રેણીના ઉમદા પીઆર પરિચયોના લેખકને જ્ઞાનપીઠ તિલકની આ ક્ષણે એમના બરનો ચરિત્રકાર મળશે તો ક્યારે મળશે.

ના, આ લખનારની નથી એ માટે ઉમેદવારી કે નથી તૈયારી, કેમ કે ‘અમૃતા’ અને ’વાસત્રયીના સર્જકને શોભીતાં હુન્નર ને કલાકારીગરીને કસબ ક્યાંથી લાવું. જો કે એમના લ-ગ-ભ-ગ હમઉમ્ર, ભાષાસાહિત્યપ્રેમે કંઈક હમજુલ્ફ અને જોગસંજોગે સાથી-કટારચીને નાતે સમસામયિક સંદર્ભમાં નિસબતની બેત્રણ વાતો એમને મિષે કહેવા જરૂર ઈચ્છું છું. હજુ હમણે લગીનાં ઘણાં વરસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પર્યાયપુરુષ જેવી એમની છવિ બની છે. મુનશીની આજ્ઞાંકિતા મટી પરિષદે ઉમાશંકરનું સખીકૃત્ય સ્વીકાર્યું એ આજે છ દાયકાને છેડે કેમ જાણે વીસરું વીસરું ઈતિહાસવસ્તુ છે. સંસ્થાપુરુષ રઘુવીરની છવિ પાછી કવિતામાં અને કવિતાની બહાર ફૂટપાથનો થાક શેઢે ઉતારનાર તરીકે તો ગ્રામભારતી જેવા નઈ તાલીમ શિક્ષણ સંસ્થાનના મોભી તરીકેની પણ છે. સરવાળે નર્યાનકરા અક્ષરકર્મી નહીં, અક્કરમી નહીં પણ કર્મઠ કલમીની એમની આબરૂ છે.

પેરેલલ દોરવાની મર્યાદા અને ભયસ્થાનો જાણું સમજું છું પણ એક વાત આ ક્ષણે અચૂક સંભારવા ઈચ્છું છું કે દુરારાધ્ય બ.ક.ઠા.એ એક તબક્કે ઉમાશંકર જોશી વિશે એ મતલબનું કહ્યું હતું કે તે હવે ‘ઈત્યાદિ પ્રકારના’ નથી. એ પણ દોડ્યો’તો એવી હમભી ડીચ ઓળખ એમની નથી. જેને અભિપ્રાય આપવાનો અધિકાર છે અને આપણે જેનો અભિપ્રાય સાંભળવા ઈચ્છીએ એવું એક કેરેક્ટર આ છે. જ્ઞાનપીઠ તિલક રઘુવીરના આ તરેહના આભામંડળની શક્યતાને જરી ઓર અધોરેખિતપણે ચાચરચોકમાં આણે છે.

ગમે તમે પણ, રઘુવીરનો પ્રભાવ અને પકડ, એમનાં વગ અને વર્ચસ ઉત્તરોત્તર (બને કે કેટલાક કિસ્સામાં વાસ્તવિક કરતાં વધુ તો મનોવૈજ્ઞાનિક) એટલાં વિસ્તર્યા છે કે ચોક્કસ સંજોગોમાં સ્વીકૃતિ માટે એમનો હવાલો જરૂરી લેખાય છે. એનો હમણેહમણેનો ક્લાસિક દાખલો અકાદમી પ્રકરણનો છે. સ્વાયત્ત બંધારણને નષ્ટભ્રષ્ટ કરી પેરાશુટ પ્રમુખ સાથે અસ્તિત્વમાં આવેલી સરકારી અકાકમીમાં જોડાયેલા કોઈ કોઈ મિત્રો તમને રઘુવીરભાઈની શુભેચ્છાઓ કે આશીર્વચનોનો હવાલો આપશે. અકાદમી પ્રમુખને બે’ક વરસનો સમય આપો, એવું બોલતા રઘુવીર ક્યાંક ટંકાતા જણાશે. બીજી પાસ, રઘુવીર એમના ખુદના શબ્દોમાં સ્વાયત્તતાથી બંધાયેલા છે. અલબત્ત, આમ કહેવા સાથે એમણે સરળતાથી ઉમેર્યું છે કે સંવાદથી ઉકેલ શક્ય છે.

આટલું ઓછું હોય એમ ઉકેલ ભણીનો રોડમેપ પણ એમણે ચીંધી બતાવ્યો છે. પ્રમુખ ચૂંટાયેલા હોય કે સરકારે નીમેલા એ વૈચારિક મતભેદનો મુદ્દો છે. (આનંદો, નિયુક્તિ અને ચૂંટણી એકમેકના વિકલ્પ હોઈ શકે છે…અને સ્વાયત્તતા બરકરાર છે.) સરવાળે, ઉમાશંકર સંક્રાન્તિમાં અપેક્ષિત લોકશાહી ય રખાવટ હાલ કેવી પરિસ્થિતિમાં મુકાઈ છે એનું ચિત્ર ભૂજ અધિવેશનની પૂર્વસંધ્યાએ ચંદ્રકાન્ત ટોપીવાળાએ આપેલી મુલાકાતમાંથી ટાંકીએ તો ‘ગુજરાત સાહિત્ય અકાદમી સામે અસહકારની સંમતિ આપી સરકારને સહકાર આપ્યા કરવાનું જે ચાલ્યું છે એમાં સાહિત્યકારોને સ્વાયત્તતાના મૂલ્યની ખબર નથી એવું તો નથી, પણ બીજાં અનેક મૂલ્ય-અમૂલ્યનાં લેખાંજોખાં એમની સાથે રહ્યાં છે.’

રહો, જ્ઞાનપીઠ તિલક સરખી અખિલ ભારતીય મહત્ત્વ ઘડીને ગુજરાતમાં જ શા સારુ ગોટવી દઉં, એવું પણ આ ચર્ચતી વેળાએ થઈ આવે છે. પણ આ સન્માન એક એવી વ્યાસપીઠની સંભાવના રચી આપે છે જેના પરથી કિંચિત્ માર્ગદર્શનની અપેક્ષા રહે જ રહે. મીડિયાએ જ્ઞાનપીઠ પ્રતિભાને પૂછ્યું અને બારતેર વરસ પર આવા જ અવસરે રાજેન્દ્ર શાહે જગવ્યો હતો એવો વિવાદ જગવ્યા વગર એ હેમખેમ સોંસરા નીકળીયે ગયા. પણ વ્યાપક હિતમાં આ સવાલજવાબ થોડીએક ચર્ચા માગી લે છે.

લેખક, રઘુવીરભાઈના મતે લેખક છે એટલે કે વિરોધપક્ષનો નેતા નથી. એવોર્ડ વાપસીના અસાધારણ ઘટનાક્રમ સબબ એમની આ ટિપ્પણી આવી પડી છે. ગુજરાતના સ્વાયત્તતા વિવાદમાં હો કે દેશના અસહિષ્ણુતા વિવાદમાં, સરકાર અને રાજ્ય બાબતે લોકશાહીમાં શાસનતંત્રના સહજ સ્વીકાર કરતાં કંઈક સવિશેષ સ્વીકાર તરફ જાણે જતા ન હોય! એવોર્ડ પાછા વાળવાનું એમને મતે ગ્રાહ્ય નથી પણ પાછા વાળનારાઓનો ટીકામુદ્દો (એની રજૂઆતમાં, વિરોધપક્ષ જેવી તીવ્રતા બાદ કરતાં) સાચો હોઈ શકે છે એવું તો એમણે કહ્યું છે. જો કે, સરવાળે સરકાર અને રાજ્યને તે ‘સેફ પેસેજ પણ આપી શકે, કેમ કે આજે કોઈ ‘ઇમરજન્સી’ નથી જેનો વિરોધ કરવામાં પોતે પણ હતા. અસહિષ્ણુતા વિવાદનો છેદ એમણે એમ કહીને ઉડાડ્યો છે કે એ તો ભાગલા વખતે હતી તે હતી, આજે એને મુકાબલે ક્યાં છે.

જ્ઞાનપીઠ પ્રતિભાની મીડિયા સાથેની વાતચીતમાં આ બધાં વિધાનો એકસાથે મૂકીને તપાસતાં શું સમજાય છે? સરકાર અને રાજ્ય માત્રની પ્રકૃતિ જોતાં એને અંગે એક આલોચનાત્મક દૃષ્ટિબિંદુ હર શાસનમાં જરૂરી છે. ઈંદિરા ગાંધીના ‘અનુશાસન પર્વ’માં અને અન્યથા આપણને એ ઉત્કટપણે સમજાતું રહ્યું છે. એવોર્ડવાપસીનો સ્વયંભૂ ઉદ્રેક પણ આ જ આલોચનાત્મક દૃષ્ટિબિંદુનો એક દાખલો છે. ક્યારેક કૉંગ્રેસ સરકાર વિશે લાગ્યું હશે તેમ આજે ભાજપ સરકાર વિશે લાગે છે. કારણ, લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવકત્તા પણ નથી. બંધારણીય સુધારા છતાં કટોકટી પાછી નહીં જ આવે એ બાબતે પોતે આશ્વસ્ત નથી એવી અડવાણીની કેફિયતમાં વ્યક્તિગત સમીકરણના શક્ય અંશો ગાળ્યા પછી પણ દમ છે તે છે.

જો કે, અડવાણી આ પરિસ્થિતિમાં એમની અને નમો બેઉની ગોત્રગળથૂથીગત વિચારધારાકીય ભૂમિકાનો જે હિસ્સો હોઈ શકે છે તે કેટલું સમજ્યા હશે એ આપણે જાણતા નથી. એમના અવલોકનમાં મુખ્ય હિસ્સો કદાચ નમોના રાજકીય ચરિત્રમાં રહેલ એકાધિકારવાદનો હશે. સરકાર અને રાજ્યમાત્રની પ્રકૃતિગત વાસ્તવિકતા વત્તા વિચારધારાકીય માંજો એ નવા શાસનની ઓળખ છે. ભાગલા વખતની અસહિષ્ણુતા અને આજની સરખામણી સ્થૂલ રીતે કરવા જેવી નથી. જે પણ બન્યું એને સ્વરાજ સરકારનું સૅન્કશન નહોતું. બિનસાંપ્રદાયિકતા ભણી લૂલીલંગડી પણ ગતિ હતી. આજે નાના નાના જે અસહિષ્ણુતાના બનાવો જારી છે એની પાછળ વિચારધારાકીય સમર્થન અને વૈકલ્પિક વિમર્શદાવો પડેલા છે. અસહિષ્ણુતાની ટીકા પરત્વે દાખવાતી અસહિષ્ણુતા, એ આપણા સમયની બલિહારી છે. સત્તાપક્ષના પ્રવકત્તા કે વિરોધપક્ષના નેતા કરતાં વધુ સારી રીતે આ કોણ કહી શકે, સિવાય કે કલમશીલ.

જ્યારે સમાજ અને સાહિત્ય વચ્ચેના જુવારાની એક આખી ફિલસૂફિયાણી ચાલતી હતી ત્યારે પ્રજાપરક લેખક તરીકે કલમ સાહનાર રઘુવીરના ઉજાસમાં આ થોડુંકેક જ્ઞાનપીઠ મંથન.  

સોજન્ય : ‘કલમશીલનો ધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 02 જાન્યુઆરી 2016

Loading

2 January 2016 admin
← લોકતંત્રના પાયામાં સરકારી કુઠારાઘાત
ભારત-પાક, ચાય પે ચર્ચા →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved