Opinion Magazine
Number of visits: 9449349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌંદર્યશાસ્ત્રનો પ્રશ્ન ——

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|5 December 2022

બહુ ઓછાં પુસ્તકો એવાં હોય છે જે તમારા વિચારોની ધરીને ૧૮૦ ડિગ્રી ફેરવી શકતા હોય. તમે સડસડાટ તમારા વિચારોના હાઈ-વે પર જતા હોય, અને કોઈક એવું પુસ્તક આવે કે તમારે બ્રેક તો મારવી જ પડે, પણ યુ-ટર્ન ય મારવો પડે. મારા માટે આવું એક પુસ્તક એટલે મરાઠી દલિત સાહિત્યકાર શરણકુમાર લિમ્બાલેનું પુસ્તક ‘દલિત સાહિત્યાચે સૌંદર્યશાસ્ત્ર’. હું ૨૦૧૬માં કર્ણાટકમાં ભણતો હતો ત્યારે મારી યુનિવર્સિટીએ ભારતીય દલિત સાહિત્ય વિશે એક સેમીનાર યોજેલો. એ સેમીનાર માટે અમને ઘણાં દલિત સાહિત્યનાં પુસ્તકો વાંચવા માટે આપવામાં આવેલાં. એમાંનું એક આ પુસ્તક. અગાઉ લિમ્બાલેનું ‘અક્કરમાશી’ વાંચેલું, અને ધ્રૂજી ગયેલો. ઘણા દિવસો સુધી ઊંઘ હરામ થઈ ગયેલી. પછી આ પુસ્તક હાથમાં આવ્યું – દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્ર વિશેનું. મારી એ વખત સુધી બંધાયેલી સૌંદર્યશાસ્ત્ર વિશેની બધી જ માન્યતાઓને આ પુસ્તકે પ્રશ્નાર્થ હેઠળ લાવી દીધેલી.

સૌંદર્યશાસ્ત્ર એટલે મૂળે તો કોઈ પણ કળાને સમજવાનું શાસ્ત્ર. કળાને સમજવાની, એના વિશે વિચારવાની ચાવી આપનારું શાસ્ત્ર. વળી, સારી કળાકૃતિ અને નબળી કળાકૃતિ વચ્ચે શો તફાવત હોય એ પણ આ શાસ્ત્ર જણાવે. પશ્ચિમમાં એરીસ્ટૉટલનું ‘પોએટીકસ’, અને ભારતમાં ભારતમુનિનું ‘નાટ્યશાસ્ત્ર’ આ સંદર્ભે સૌથી પ્રભાવશાળી ગ્રંથો રહ્યા છે. સૌંદર્યશાસ્ત્ર વિશેની મોટા ભાગની થિયરીઝના મૂળમાં આ બે ગ્રંથો છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે, રસાનુભૂતિને કોઈ પણ કળાકૃતિનો ઉદ્દેશ ગણવામાં આવે છે. ભરતમુનિએ જણાવેલ આઠ રસોમાંથી (હાસ્ય, કરુણ, શ્રુંગાર, વીર, બિભત્સ, રૌદ્ર, અદ્ભુત, ભયાનક) એક યા એકથી વધારે રસોનું ભાવન કોઈ કલાકૃતિ થકી થાય, એના થકી ભાવકને સૌંદર્યની અને આનંદની અનુભૂતિ થાય, તો એ કૃતિનો ઉદ્દેશ પમાયો છે એમ ગણાય.

શરણકુમાર લિમ્બાલે આ શાસ્ત્રના આધારરૂપ પૂર્વવિધાન સામે, બેઝીક પ્રેમાઈસ સામે સવાલ ઉઠાવે છે. સૌંદર્યની વાતો કોણ કરે? શાસ્ત્ર લખવાની અને તેના વિશે વિચારવાની મંજૂરી, તેમ જ સગવડ કોની પાસે હોય? શાસ્ત્રો લખવા અને કળાકૃતિના ધોરણો ઊભા કરવા એ સદીઓથી સવર્ણ લેખકો-વિચારકોની ઈજારાશાહી રહી છે. વળી, સવર્ણ લેખકો દ્વારા લખાયેલ શાસ્ત્રોને એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે એ શાસ્ત્રની વાતો શાશ્વત (eternal) અને સાર્વત્રિક (universal) હોય. શરણકુમાર લિમ્બાલે પુસ્તકમાં આ પ્રકારની પેટર્ન સામે સવાલ ઉઠાવે છે. 

તેમના મતે કળાના ધોરણો શાશ્વત કે સાર્વત્રિક નહિ, બલકે સામાજિક/આર્થિક સત્તાના જોરે ઘડાયેલા હોય છે. એ ધોરણો સત્તામાં રહેલા લોકોને ફાયદો થાય એ રીતે જ ઘડવામાં આવ્યા હોય છે. આ કારણે લિમ્બાલે દલિત લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વિવેચનમાં જે અન્યાય થાય છે એ વિશે ઝુંબેશ ઉઠાવે છે. તેમના મતે દલિત લેખકો દ્વારા લખાયેલ સાહિત્યને સવર્ણ લેખકો દ્વારા રચાયેલ શાસ્ત્રની નજરે જોવું એ ભૂલભરેલું પગલું છે. આમ કરવાથી હંમેશાં દલિત સાહિત્ય ટૂંકુ પડતું જ લાગશે. કારણ કે આનંદ કે સૌંદર્યની અનુભૂતિ કરાવવી એ દલિત સાહિત્યનો ઉદ્દેશ જ નથી. દલિત સાહિત્યને માપવા માટે અલગ ફૂટપટ્ટી જોઈએ, દલિત સાહિત્યનું એક અલગ શાસ્ત્ર જોઈએ. 

આ શાસ્ત્ર કેવું હોય? કળાકૃતિને માપવાના એના મુખ્ય ધોરણો કેવા હોય? લિમ્બાલે પુસ્તકમાં આ મુદ્દા પર પ્રકાશ પાડે છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્યકારો આંબેડકરની વિચારસરણીને અનુસરે છે. એટલે એ સાહિત્યમાં મુખ્ય ઘટકો સૌંદર્ય અને આનંદ નહિ, સમાનતા, આઝાદી અને સામાજિક ચેતના છે. આ સાહિત્ય ઘોર પીડા અને અન્યાયના અનુભવમાંથી ઉદ્ભવે છે. સૌંદર્યની અનુભૂતિનો સવાલ જ નથી. આ સાહિત્ય થકી અસામનતામાં ખચિત સમાજનો કદરૂપો, બિહામણો ચહેરો તાદૃશ થાય એ મુખ્ય ઉદ્દેશ છે.

દલિત સાહિત્ય લેખકોની કલ્પનાથી નહિ, પણ નક્કર વાસ્તવિક અનુભવથી સર્જાય છે. એ અનુભવની વાત વાચક સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. રૂપની સાધના કરતા વિવેચકોએ આ સાહિત્ય પાસે પહોંચવું હશે તો પોતાના આગ્રહો છોડવા પડશે. ટેકનીક, સ્વરૂપ કે ભાષાસૌંદર્યના ઘટકો નહિ, પણ સામાજિક અસમાનતા વિશે કોઈ દલિત સાહિત્યની કળાકૃતિ વાચકને કેટલી જાગૃત કરે છે, એને માનવતાવાદી અભિગમ કેળવવા તરફ વિચારતી કરે છે કે કેમ, એ કળાકૃતિને મૂલવવાના મુખ્ય ઘટકો હોવા જોઈએ.

કળાકૃતિમાં ભાષાસૌંદર્યની અપેક્ષા રાખતા વિવેચકો સામે પણ લિમ્બાલે સવાલ ઉઠાવે છે. દલિત સાહિત્ય એ વિદ્રોહનું સાહિત્ય છે. એની ભાષા પણ વિદ્રોહની ભાષા હોવાની. જુગુપ્સા પ્રેરે એવી ઘટનાઓ, ગાળો કે જાતીયતાનું સાવ અનાવૃત નિરૂપણ દલિત સાહિત્યમાં આવે તો એને લીધે એ કૃતિઓને ડિસમીસ કરી દેવી એ વિવેચકોની તાસીર છે. પણ લિમ્બાલે કહે છે કે આ પ્રકારની ઘટનાઓ કે ભાષા એ ઘણા દલિત લેખકોના અનુભવનું ભાથું છે. જો એ બધું વિવેચકોને અસ્વસ્થ કરે છે તો એનું કારણ જાતિગત સામાજિક અસમાનતા છે. સમાજ ગંદો છે. દલિત લેખક તો એ સમાજને સચ્ચાઈથી, પોતાના અનુભવના ભાથામાંથી વ્યક્ત કરવાનું નિમિત્ત માત્ર છે. લિમ્બાલેના મત મુજબ દલિત સાહિત્ય વાંચીને તમને સૌંદર્ય કે આનંદનો અનુભવ જો ન થાય, પણ ગુસ્સો આવે, ઉબકા આવે, ઊંઘ ઉડી જાય, દીવાલને મુક્કા મારવાનું મન થાય તો એ દલિત સાહિત્યની નબળાઈ નહિ, પણ તાકાત છે.

લિમ્બાલેની વાત અસરકારક એટલા માટે છે કે પુસ્તકની દલીલો ખૂબ જ તર્કપૂર્ણ છે. પોતાની દલીલોને ટેકો આપવા લિમ્બાલે અશ્વેતોના વિદ્રોહના સાહિત્યની—બ્લેક લીટરેચર—ની પણ વાત કરે છે. આંબેડકરવાદી અને માર્ક્સવાદી સાહિત્યની પણ વાત કરે છે, આંબેડકર અને માર્કસની વૈચારિક સમાનતા અને બંને વિચારસરણીઓ ક્યા અલગ પડે છે એની પણ વાત કરે છે. મજબૂત સંદર્ભો સહિત, તર્કપૂર્ણ દલીલો થકી લિમ્બાલે કળાના સાર્વત્રિક અને શાશ્વત ધોરણોની હેઠળ રહેલા બોદાપણાને ઉજાગર કરે છે.

આ જ વાત ઈટલીના મહાન વિવેચક અને લેખક ઉમ્બર્તો એકો, અલબત્ત થોડી અલગ રીતે, પોતાના સંપાદિત પુસ્તક ‘ઓન બ્યૂટી’માં કરે છે. પુસ્તકમાં તેઓ પશ્ચિમમાં સૌંદર્યશાસ્ત્રનો ઇતિહાસ કેવી રીતે વિકસ્યો એની વાત કરે છે. એકો જણાવે છે કે સૌંદર્યના ધોરણો કદી ય સાર્વત્રિક અને શાશ્વત હતા જ નહિ, પણ અલગ અલગ સમયે એ બદલાતા રહ્યા છે. સત્તામાં રહેલા તત્ત્વોએ હંમેશાં સૌંદર્યના શાસ્ત્રોને પોતાની વિચારસરણી મુજબ બદલ્યા છે. સત્તા બદલાય, એમ સારી કળા કેવી હોય એના ધોરણો ય બદલાય. એક ફૂટપટ્ટીથી બધું જ ન મપાય.

આપણે કોઈ કળાકૃતિને માણીએ ત્યારે ઘણીવાર એને જજ કરવામાં, એનું વિવેચન કરી નાખવા ઉતાવળા થઈ જતા હોઈએ છીએ. કોઈ કૃતિ સારી છે કે ખરાબ, એ સવાલ પૂછવાની જગ્યાએ, કેવા સૌંદર્યશાસ્ત્રને આ કળાકૃતિ અનુસરે છે, અથવા તો, આ કળાકૃતિને માપવા/માણવા માટે મારે કઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ, એ સવાલ વધારે મહત્ત્વનો છે.

હું માનું છું કે આ બદલાયેલો સવાલ એ કૃતિની નજીક પહોંચવામાં, એને માણવામાં વધારે મદદ કરી શકે છે.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

5 December 2022 Vipool Kalyani
← મતદારો વધ્યા, છતાં મતદાન ઘટ્યું …
नदव लापिद की ‘कश्मीर फाइल्स’ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved