અહીં જે કેટલીક કવિતાઓ મુકાય છે તે કવિતા જ નથી ને એને એટલા જ અજાણ મિત્રો ખોટી રીતે વખાણે છે, ત્યારે આ કવિઓ તેને પ્રમાણપત્ર માનીને પોરસાય એમ બને ને વધારે નબળી કવિતાઓ બીજી વખત અહીં મૂકે એ શક્ય છે. એમાં નથી કવિતાની સેવા થતી કે નથી કવિની !
કવિ અહીં જે નબળી કવિતાઓ મૂકે છે તે બરાબર જાણે છે કે તે શું કરી રહ્યો છે. આવું વર્ષો સુધી કરે તો પણ આ ગ્રૂપ સિવાય તે કોઈ સારી જગ્યાએ કે કોઈ સારા મેગેઝીનમાં નહીં પહોંચે. તો આવી ખોટી કસરત કરવાનો કોઈ અર્થ ખરો? જે નથી જાણતા એમને કવિતાને નામે છેતરવાથી કોઈ પ્રાપ્તિ ખરી?
એને બદલે જે ખરેખર કવિતા કરવા માંગે છે તે કવિતા વિશે થોડું જાણી લે તો કવિ ખોટું લખતા અટકશે ને જે ભાવક છે તેને ખોટી કવિતા માથે નહીં મરાય એ લાભ થશે. કવિતા કુદરતી છે, પણ તે કળા છે ને કળાનું કૌશલ્ય ન હોય તો પેલું કુદરતીપણું બહુ સાથ આપતું નથી. તેલના ડબ્બામાં પાણી ભરીને તો કોઈને ના છેતરાયને ! ગઝલની ટેગ મારો ને નીચે ગઝલને નામે ગઝલકારનું અજ્ઞાન જ પ્રગટ થતું હોય તો એનો કોઈ અર્થ નથી. ડોકટર થવા એમ.બી.બી.એસ. થવું પડે, શિક્ષક થવા બી.એડ. કરવું પડે, વકીલ થવા લૉ કરવું પડે, તો કવિ થવા કૈં જ નહીં કરવાનું? આપણો આદિ કવિ નરસિંહ મહેતા નિશાળ પૂરી ભણ્યા વગર કવિ થયો છે, પણ તે પણ ઝૂલણા છંદ શીખ્યો છે. વ્યાસ કે વાલ્મીકિ કવિતા જાણ્યા વગર મહાકવિ નથી થયા ને આપણે જેમ આવે તેમ અભણની જેમ ઝીંક્યે રાખીએ એ બરાબર છે, એવું જાતને પ્રમાણિકતાથી પૂછીએ. જે કરવું છે તે જાણીને કરીએ. અંધારામાં તીર મારવાનો અર્થ નથી.
આભાર.
000
e.mail : ravindra21111946@gmail.com