રમેશ પારેખ એટલે ગુજરાતી કવિતાનું માઈલસ્ટોન અને હરિવંશરાય બચ્ચન એટલે હિંદી કવિતાનું માઈલસ્ટોન. જીવ સોંસરી જાય ને ઘણી વાર જીવલેણ લાગે એવી પંક્તિઓ, એવી રચનાઓ આ બન્ને આપી શકે. પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં આ બંનેને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે.
આ બન્ને કવિઓનો જન્મદિન 27 નવેમ્બરે (હોય) છે એ આપણને ખબર છે?
‘સોનલ, તમે હાથમતીનું વહેણ અને અમે ઢળતા સૂરજ, સોનલ, તમે સોનમુખીનું ફૂલ ને અમે બળતા બુરજ’ આ પંક્તિ રમેશ પારેખની જ હોઈ શકે અને ‘મિટ્ટી કા તન મિટ્ટી કા મન, ક્ષણભર જીવન મેરા પરિચય’ આ પંક્તિ હરિવંશરાય બચ્ચનની જ હોઈ શકે.
એક સમય એવો હતો જ્યારે યુનિવર્સિટીની કૉલેજો અને હૉસ્ટેલોમાં રમેશ પારેખનો ડંકો વાગતો. છોકરીઓને થતું પોતે કોઈની સોનલ બને અને છોકરાઓને થતું, પોતાને પણ કોઈ સોનલ મળે. ર.પા.ની આ સોનલ કોણ છે એ શોધવા યુવાનો જ નહીં, કાવ્યરસિકો અને વિવેચકો પણ આતુર આતુર હતા.
27 નવેમ્બરે આ ભવ્ય કવિનો જન્મદિન. 27 નવેમ્બરે બીજા એક ભવ્ય કવિ હરિવંશરાય બચ્ચનનો પણ જન્મદિન. રમેશ પારેખ એટલે ગુજરાતી કવિતાનું માઈલસ્ટોન અને હરિવંશરાય બચ્ચન એટલે હિંદી કવિતાનું માઈલસ્ટોન. જીવ સોંસરી જાય ને ઘણી વાર જીવલેણ લાગે એવી પંક્તિઓ, એવી રચનાઓ આ બન્ને આપી શકે. રમેશ પારેખ એટલે સોનલ, મીરાં અને આલા ખાચરની સૃષ્ટિ અને બીજું ઘણું બધું. હરિવંશરાય બચ્ચન એટલે ‘મધુશાલા’, ‘નીડ કા નિર્માણ ફિર ફિર’ અને ‘જો બીત ગઈ સો બાત ગઈ’નું અનુરણન અને બીજું ઘણું બધું.
યુરોપમાં ચૌદમી-પંદરમી સદીથી શરૂ થઈ ગયેલી નવજાગૃતિ – રેનેસાં ભારતમાં ઘણી મોડી આવી. પણ એ પછી અંગત અનુભૂતિની અભિવ્યક્તિ, કલ્પના, સૌંદર્ય તરફનું આકર્ષણ, વિસ્મય, એક જ સૂક્ષ્મ ચેતનાનું સમગ્ર વિશ્વમાં દર્શન, સામાજિક-ધાર્મિક-રાજનૈતિક અને સાહિત્યિક બંધનો અને રૂઢિઓ સામે વિદ્રોહ અને ઉન્મુક્ત પ્રેમ – આ બધી એની અસરો ભારતના સર્જકો પર મોટા પ્રમાણમાં જોવા મળી. આ રોમેન્ટિસિઝમ, જેને હિંદીમાં છાયાવાદ કહે છે તેની વિશેષતાઓ બચ્ચનજી અને ર.પા. આ બન્ને કવિઓએ ભરપૂર ઝીલી છે.
હરિવંશરાય બચ્ચનનો જન્મ 1907માં અને રમેશ પારેખનો 1940માં. હરિવંશરાય બચ્ચનના પુત્ર અમિતાભ 1942માં જન્મ્યા છે એ જોતાં હરિવંશરાય બચ્ચન અને રમેશ પારેખ વચ્ચે ખાસ્સું એક પેઢીનું અંતર. પણ એમના શબ્દોની તાજગી અને અર્થની સુગંધ વચ્ચે કોઈ અંતર નથી. બંને કવિઓએ રોમેન્ટિસિઝમનાં શિખરો સર કર્યાં, પછી એની અસરમાંથી નીકળી પણ ગયા અને પોતીકા બળથી પોતાના શબ્દો અને ભાવોને માંજ્યા અને કંડાર્યા. પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં આ બંનેને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે.
બંને શબ્દોના જાદુગર. પણ બચ્ચનજી સોફેસ્ટિકેટેડ, ર.પા. સીધાસાદા. બચ્ચનજી પ્રયાગના એમ.એ., અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યેટ્સ પર કેમ્બ્રિજમાં પીએચ.ડી., વર્ષો સુધી અંગ્રેજીના અધ્યાપક અને ભારતના વિદેશ મંત્રાલયના હિંદી ભાષાના વિશેષજ્ઞ. ર.પા.નું ભણતર અમરેલીમાં. ચિત્રકાર બનવું હતું પણ આર્થિક ભીડને લીધે પંચાયત કચેરીમાં નોકરી લીધી ને ત્યાંથી જ રિટાયર્ડ થયા. સંગીત અને ચિત્રનો શોખ તરીકે સાથ ખરો. પોતાનાં બધાં કાવ્યો એમને યાદ ન રહેતા. સ્ટેજ પર બોલવા ઊભા થાય ત્યારે ખિસ્સામાંથી ચબરખી શોધે. પણ એક વાર બોલે એટલે બુલંદ બની જાય. ધેઘૂર આંખો કોઈ અન્ય લોકને તાકે ને અવાજ-શૈલી અને સંવેદનની એમની બળકટતા શ્રોતાઓને પણ એમના વિશ્વમાંથી ઊંચકી લે, ‘તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકરધાડું, મારે ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું’.
રમેશ પારેખનો પહેલો કાવ્યસંગ્રહ ‘ક્યાં’ (1970) બે પારિતોષિક વિજેતા થયો. કવિ સામયિકોમાં ને મુશાયરાઓમાં ખૂબ ગાજ્યા. એમની સોનલે ભાવકોને વશ કરી લીધા. નવ વર્ષ બાદ આવ્યા એક પછી એક ત્રણ સંગ્રહો ‘ખડિંગ’ (1979), ‘ત્વ’ (1980) અને ‘સનનન’ (1981). પછીના સંગ્રહો ‘ખમ્મા આલા બાપુને’ (1885) અને ‘મીરાં સામે પાર’ (1986) અન્ય બે વિશિષ્ટ પાત્રોને લાવ્યા. સોનલને સુરેશ દલાલ ‘વાસ્તવિક કલ્પના અથવા કાલ્પનિક વાસ્તવિકતા’ કહેતા. આલા બાપુ હતા સૌરાષ્ટ્રના ખલાસ થઈ ગયેલા નાનાં રજવાડાઓના કરુણ દશામાં મુકાયેલા મિથ્યાભિમાની ધણીઓના પ્રતિનિધિ – જાણે ટ્રેજિકોમેડી કે ટિયરફૂલ કોમેડીનો મૂર્તિમંત અવતાર. અને મીરાં એટલે પ્રેમ, પીડા, અધ્યાત્મ અને કાવ્યત્વનું શિખર.
1989માં આવ્યો ‘વિતાન સુદ બીજ’. દરેક સંગ્રહને વાચકો અને વિવેચકોએ વધાવ્યો અને પારિતોષિકોથી નવાજ્યો પણ. એમની લોકપ્રિયતા એટલી હતી કે એમનાં કાવ્યોનો સમગ્ર ગ્રંથ ‘છ અક્ષરનું નામ’ પ્રગટ થયો એની ચાર વર્ષના ગાળામાં ત્રણ આવૃત્તિ થઈ! આ પછી પણ એમણે ત્રણ કાવ્યસંગ્રહો આપ્યા. સાથે બાળસાહિત્ય પણ ખેડ્યું.
‘તેરા હાર’ બચ્ચનજીનું પહેલું પ્રકાશન. 1935માં આવેલી ‘મધુશાલા’એ તેમને શિખરે બેસાડ્યા. અદ્દભુત ‘મધુશાલા’ને મન્ના ડેએ અદ્દભુત કંઠે અને જયદેવના એવા જ અદ્દભુત સંગીત નિર્દેશનમાં ગાઈ છે. એના પછી આવ્યા ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ અને બચ્ચનજી હિન્દીમાં ‘હાલાવાદ’ના સ્થાપક અને સાધક બન્યા. હાલા એટલે મદિરા. તેને જ વર્ણ્યવિષય માનીને થતી રચનાઓ એ હાલાવાદ. બચ્ચનજી લખે છે, ‘કભી ન કણભર ખાલી હોગા, લાખ પિયે દો લાખ પિયે; પાઠકગણ હૈ પીનેવાલે, પુસ્તક મેરી મધુશાલા’. મધુશાલા ફક્ત સુરાલય નથી. મધુશાલા પ્રતીક છે – પ્રણયનું, જિંદગીનું, ડૂબી જવાય એવી મસ્તીનું અને તરી જવાય એવી વિરક્તિનું – ‘મધુર ભાવનાઓં કી સુમધુર નિત્ય બનાતા હૂં હાલા; ભરતા હૂં ઈસ મધુ સે અપને અંતર કા પ્યાસા પ્યાલા; ઉઠા કલ્પના કે હાથોં સે સ્વયં ઉસે પી જાતા હૂં; અપને હી મેં હૂં મૈં સાકી, પીનેવાલા, મધુશાલા’ અને ‘જગતી કી શીતલ હાલા સી પથિક, નહીં મેરી હાલા; જગતી કે ઠંડે પ્યાલે સા પથિક, નહીં મેરા પ્યાલા; જ્વાલ સુરા જલતે પ્યાલે મેં દગ્ધ હૃદય કી કવિતા હૈ; જલને સે ભયભીત ન હો જો, આયે મેરી મધુશાલા’.
‘મધુશાલા’, ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ ઉમર ખય્યામની રુબાઈઓથી પ્રભાવિત હતા. ઉપરાંત કાવ્યસંગ્રહો ‘નિશાનિમંત્રણ’ (1938) – ‘એકાન્તસંગીત’, ’સતરંગિની’ (1945) અને ‘મિલનયામિની’ (1950), અંગત વ્યથાકથા સાથે ત્યારના દેશકાળની હૃદયસ્પર્શી વાતો કહેતા ચાર આત્મકથાનકો -‘ક્યા ભૂલૂં ક્યા યાદ કરું?’ ‘નીડ કા નિર્માણ ફિર’ ‘બસેરે સે દૂર’ અને ‘દશદ્વાર સે સોપાન’ અને ગંભીર અધ્યયનના પરિણામસ્વરૂપ ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબેથ’ વગેરેના અનુવાદો, સમીક્ષાત્મક નિબંધો. સંઘર્ષ અને વ્યથા, મસ્તી અને ફિલોસોફીના ગાયક બચ્ચનજી લેખન અને જીવનમાં આડંબરને પ્રવેશવા દીધા વિના એકાકી છતાં ઉત્કૃષ્ટ કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા. રોબર્ટ ફ્રોસ્ટની ‘ધ વૂડસ આર લવલી’નો બચ્ચનજીએ કરેલો અનુવાદ જ જોઈ લો, ‘ગહન સઘન મનમોહક તરુગણ મુજકો આજ બુલાતે હૈં, કિંતુ કિયે જો વાદે મૈંને યાદ મુજે આ જાતે હૈં, અભી કહાં આરામ બદા યહ નેહ-નિમંત્રણ છલના હૈ, અરે અભી સોને સે પહલે મુજકો મીલોં ચલના હૈ …’
અને કદી ભૂલી નહીં શકીએ ર.પા.ની આ અને આવી પંક્તિઓને પણ, ‘હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે’ ‘આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈ, કોઈ રાત લઈને આવ્યા છે … આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ, સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે’ ‘તમારા કંઠમાં પહેલા તો એક છિદ્ર મળે, પછી તરસ ને પછીથી હરણ મળે તમને’ ‘મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટમોટ પોઢેલો નાગ છે’ ‘આ હથેળી બહુ વહેમવાળી જગા છે, અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે’
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે, કોઈની હથેળીને કંઈ કેટલી વાર ટેરવાં ભરીને પીએ ને ચાલ્યા કરીએ : બસ, આ પહૂંચે, દૂર નહીં કુછ, ચાર કદમ અબ ચલના હૈ, ચહક રહે સુન, પીનેવાલે; મહક રહી, લે, મધુશાલા …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 નવેમ્બર 2022