સ્ત્રી-પુરુષના સંયોગથી બાળક જન્મે છે ને સ્ત્રી માતા બને છે ને પુરુષ પિતા બને છે. આમ તો આ સહજ ને સરળ લાગે છે, પણ દરેક કિસ્સામાં એવું નથી. ઘણીવાર બાળક જન્મવાનું સહેલું નથી પણ હોતું. કેટલાક કિસ્સાઓમાં પુરુષની ક્ષમતા પિતા બનવામાં ઓછી પડે છે અથવા તો સ્ત્રી માતા બનવામાં ઓછી પડે છે. ઘણીવાર બધાં પ્રયત્નો છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી તો તબીબી સલાહ લેવામાં આવે છે. એ સારવાર પછી કેટલાંક યુગલો બાળક મેળવવામાં સફળ થાય છે, તો તબીબી સારવાર પછી પણ એવું બને છે કે બાળક પ્રાપ્ત ન જ થાય. ટૂંકમાં, માતા બનવું દરેક વખતે સહેલું નથી. એટલે જ આપણે માતૃત્વને પવિત્ર વરદાન ગણ્યું છે. કેટલાંકને એમાં કૈં નવું લાગતું નથી. બચ્ચાં તો પશુપંખી પણ પેદાં કરે છે, એમાં પવિત્ર શું ને વરદાન શું? પણ બાળક ન થવાની ચિંતા મનુષ્યોની છે. પશુપંખીમાં બચ્ચું જન્મશે કે નહીં એવી ચિંતા હોય છે કે કેમ તેની આપણને ખબર નથી, પણ મનુષ્યને અભિવ્યક્તિની અનુકૂળતા કુદરતે આપેલી છે એટલે આનંદ કે ચિંતાની ખબર પણ તેને જ વધારે પડે છે.
જો કોઈ સંજોગોમાં ઉપચાર પછી પણ બાળક શક્ય નથી બનતું તો કેટલાંક યુગલો અનાથ બાળકને દત્તક લે છે ને એને પોતાનાં બાળકની જેમ જ મોટું કરે છે. ઘણાં યુગલોનો એવો આગ્રહ હોય છે કે બાળક પોતાનું જ હોય. પોતાનું જ બીજ વિકસે ને એને મોટું કરવાની ઈચ્છા પણ, પતિ-પત્નીની, બાળક માટેની ઝંખના વધારે એમ બને. એના એક ઉપાય તરીકે હવે સરોગસીનો આશરો પણ લેવાય છે. એમ લાગે કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે એમ જ નથી, તો ભાવિ માતા-પિતાનું બીજ, બીજી સ્ત્રીની કૂખમાં ઉછેરવામાં આવે છે. એ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને પૂરા સમયે બાળકને જન્મ આપે છે. એ પછી મૂળ માતાપિતાને તે બાળક પરત કરે છે. ખરેખર તો મા, કૂખ ભાડે આપનાર સ્ત્રી બને છે, પણ અગાઉથી ઠરાવ્યા મુજબ માબાપ બીજા જ બને છે. એ યુગલ બને છે જેનું બીજ આ ભાડૂતી કૂખે ઉછેર્યું છે. આ સ્ત્રી પણ માતા થઈ છે, ખરેખર તો તે જ થઈ છે, કારણ બાળકને જન્મ તો આ સ્ત્રીએ જ આપ્યો છે, પણ તે ભાડૂતી માતા પણ ગણાતી નથી. ઇન ફેક્ટ તે માતા જ ગણાતી નથી. માતાપિતા તો બીજા જ બને છે. બાળક પર કાનૂની અધિકારો પણ તેમના જ રહે છે. જન્મ આપનાર સ્ત્રી આ કામ આર્થિક વળતરની અપેક્ષાએ કરે છે. આમ તો હમણાં હમણાં આવી સ્ત્રીને રક્ષણ મળે એવા કાયદાઓ બન્યા છે, પણ માતૃત્વનો અધિકાર તેને નથી જ મળતો, કારણ કરાર જ એવો થયો હોય છે, પતિપત્ની અને કૂખ ભાડે આપનાર સ્ત્રી વચ્ચે. એટલે કોઈ વિશેષ અધિકાર એ ભાડૂતી સ્ત્રી આગળ કરી શકતી નથી. હા, આર્થિક વળતર આપવામાં મૂળ માબાપ ગલ્લાંતલ્લાં કરે તો તેની સામે ફરિયાદ થઈ શકે છે અથવા તો બાળક ખામીવાળું જન્મે તો પેલી ભાડૂતી સ્ત્રી દાદ માંગી શકે છે, પણ નાજુક મુદ્દો ક્યારેક સંવેદનાનો ઊઠે છે ને તેનું કોઈ વળતર તેને મળતું નથી. ખરેખર તો એ વાત જ વળતરની હોતી નથી.
બને છે એવું કે જે સ્ત્રી કૂખ ભાડે આપે છે તે બરાબર જાણે છે કે તેનો હક વળતર પૂરતો જ છે, પણ જે બીજ તે ધારણ કરે છે, તે જો બહાર રહ્યું હોત તો મોટે ભાગે તે વેડફાયું જ હોત. એને ભાડૂતી સ્ત્રી ધારણ કરે છે. તેને લોહીમાંસ સીંચે છે. આકાર આપે છે. એમાં જીવ રેડે છે એટલે જીવ પ્રગટે પણ છે. મહિનાઓ સુધી આ ભાડૂતી સ્ત્રી પોતાની છાયામાં જીવંત, નાજુક શરીર વિકસાવે છે. છોડ પર આવેલાં ગુલાબનું ખેંચાણ થતું હોય તો આ તો પેટમાં ખિલવેલું સંતાન છે, એને માટે લાગણી ન થાય? ન થાય ત્યાં સુધી તો વાંધો જ નથી, પણ થાય તો, શું? આમ તો ભાડૂતી મા બરાબર જાણતી હોય છે કે જે જન્મ્યું છે તે બાળક મૂળ સ્ત્રી પુરુષને સોંપી જ દેવાનું છે, પણ હકીકત તો એ છે કે મૂળ સ્ત્રી કરતાં માતૃત્વનો પહેલો અને સઘન રક્તજીવી અનુભવ તો આ ભાડૂતી માનો છે. તે તેણે થોડા પૈસાની લાલચમાં, લોહીમાંથી કાઢીને બાળક સીધું સોંપી જ દેવાનું? એના પર એનો કોઈ અધિકાર જ નહીં? એ બાળક ફરી ક્યારે ય જોવા ન મળે તો પેલી નોટોની થોકડી પર આંસુ સારીને જ તેણે રહી જવાનું? એ મા છે કે મશીન? એને કૈં થાય જ નહીં એવું તો કેમ બને?
પણ એના વલોપાતનો કોઈ અર્થ રહેતો નથી. કૈં પણ થાય, એણે બાળક તો છોડવું જ પડે છે. આવી ભાડૂતી માતાનું માતૃત્વ પણ સ્વાર્થ ગણાય છે. તે એ કારણે વગોવાય છે કે તેણે પૈસા માટે કૂખ ભાડે આપી છે. એનાં કારણોમાં ગરીબી મુખ્ય હોય, તો પણ તેને માટે તેણે સાંભળવાનું થાય છે. જ્યારે મૂળ પતિ-પત્ની દોષી નથી. એમને સંતાન નથી ને સંતાન વગર તેઓ તો ઝૂરે છે. બાળક માટે કોઈ કૈં પણ કરે તેમ તેઓ પૈસા આપીને જીવતી કૂખ થોડા સમય માટે ખરીદે છે. એ નિસ્વાર્થ ભાવે સંતાન મેળવે છે ને પેલી સ્ત્રી સ્વાર્થી છે, કારણ પૈસા માટે એ પેટ ઉછીનું આપે છે !
સાચું તો એ છે કે આપણે ત્યાં માતૃત્વ બાબતે બેવડાં ધોરણો છે. બેવડી નીતિ છે ને કમાલ એ છે કે માતૃત્વની પ્રક્રિયા તો કોઈ પણ સ્ત્રી માટે એક જ છે, પણ સંજોગો પ્રમાણે માતૃત્વ વખણાય છે તો વગોવાય પણ છે. દીકરી પરણે ને માતા બને તો તે બાળકને અને તેની માતાને ફૂલડે વધાવાય છે. બાળકનાં જન્મોત્સવો થાય છે, પણ જો તે કુંવારી માતા બનવાની હોય તો? તો, એ પાપ થઈ જાય છે. એ દીકરીને કોઈ સંઘરવા રાજી નથી થતું. તેણે અપમૃત્યુ વહોર્યે જ છૂટકો થાય છે. એ ખરું કે સમાજે નક્કી કરેલાં ધોરણોનો એમાં ભંગ થાય છે એટલે કુંવારું માતૃત્વ સ્વીકાર્ય નથી બનતું, પણ એને માટે જે જવાબદાર છે તે પુરુષનું સમાજ કૈં બગાડી શકતો નથી, તે પણ એટલું જ સાચું કે નહીં? સગીરવયની કન્યાઓ પ્રેમમાં પડે છે કે કોઈ તેનાં પ્રેમમાં પડે છે ને જો પ્રેમીની દાનત માત્ર પ્રેમનાં નાટકની જ હોય તો ભોગવવાનું સગીરાએ થાય છે. કહેવાતા પ્રેમીની એ ચિંતા હોતી નથી કે લગ્ન વગર તે માતા બનવા તરફ ગઈ તો તેની શી વલે થશે?
હવે તો જો કે, સ્ત્રીઓ પણ માતૃત્વથી બચવાના માર્ગો જાણે છે, એટલે પ્રેમી દગો કરે તો તે એવી સ્થિતિથી બચે છે જેમાં બાળકનો સીધો સામનો કરવાનો આવે. તેમ છતાં કેટલાક બનાવો એવા બને છે કે ગર્ભપાત સુધી સ્ત્રીએ જવું પડે કે ગર્ભ ત્યજી દેવો પડે છે. આજની તારીખમાં પણ ભ્રૂણ કે નવજાત શિશુ કચરામાંથી મળી આવે છે એ બતાવે છે કે કોઈ સગીરા કે સ્ત્રીને ન જોઈતું માતૃત્વ માથે પડ્યું છે ને બદનામીના ડરે ગર્ભ કે બાળકથી છુટકારો તેણે મેળવવો પડે છે. આ તો થઈ એવી મહિલાઓની વાત જે ખરી કે ખોટી રીતે થોડી ઘણી જવાબદાર છે ને એણે પરાણે માતૃત્વ સ્વીકારવું પડે છે, પણ જ્યાં મહિલાઓ બળાત્કારનો કે શારીરિક શોષણનો ભોગ બને છે તેમાં તેની સીધી કોઈ ભાગીદારી પણ હોતી નથી ને તેનો પરાણે ભોગ લેવાય છે. અહીં પણ બળાત્કાર કરનાર એ વિચારતો નથી કે ભોગ બનનાર સ્ત્રી ગર્ભવતી થઈ તો તેની સમાજમાં શી દશા થશે? તે તો શિકાર કરીને ચાલતો થાય છે. પછી ભોગ બનનાર ગર્ભ ધારણ કરે તો તેણે તેનાથી છુટકારો મેળવવો પડે કે બાળકને જન્મ આપીને ક્યાંક ત્યજી દેવુ પડે કે અનાથાશ્રમને આંગણે છોડવું પડે છે. બહુ ઓછી સ્ત્રીઓ એ સંજોગોમાં સ્વસ્થ માતૃત્વ ધારણ કરી શકતી હોય છે.
કહેવાનું એ છે કે આ બધાં જ માતૃત્વના પ્રકારો છે. એમાં લગ્નને બાદ કરતાં એક પણ માતૃત્વ એવું નથી જે ઇચ્છિત હોય. એ ખરું કે લગ્નથી મળતાં માતૃત્વમાં જે માન સ્ત્રીને મળે છે તે અન્ય કોઈ રીતે પ્રાપ્ત થતાં માતૃત્વમાં મળતું નથી. માતા તો આ બધી પણ છે. એ પણ એ જ રીતે ગર્ભવતી થઈ છે જે રીતે લગ્ન પછી કોઈ સ્ત્રી થઈ હોય ને છતાં તે અપમાનિત થાય છે કે તેણે જીવન બહુ મુશ્કેલીથી વિતાવવું પડતું હોય છે. આ માતૃત્વ તેણે ઇચ્છયું નથી, તે આવી પડેલું છે, પણ જવાબદાર તો તે સ્ત્રીને એકલીને જ ઠેરવાય છે. આવાં અનિચ્છનીય માતૃત્વની લહાણી કોણ કરે છે? આવું એ સ્ત્રીઓએ ઇચ્છયું નથી, પણ માતૃત્વ સાચી ખોટી રીતે તેનાં પર થોપ્યું છે, પુરુષે. એને માટે જવાબદાર પુરુષ છે, પણ તેને સમાજ કે કાયદો ભાગ્યે જ કોઈ પાઠ ભણાવે છે. તે સહેલાઈથી બીજો શિકાર કરી શકે છે, લગ્ન કરી શકે છે, છૂટો થઈ શકે છે, બીજે ગોઠવાઈ શકે છે. ક્યાં ય તેનું પુરુષત્વ કે પિતૃત્વ ચર્ચામાં નથી આવતું, જ્યારે માતૃત્વ ડગલે ને પગલે દંડાય છે. સીધું પૂછવું એ છે કે આ યોગ્ય છે?
000
e.mail : ravindra21111946@gmail.com