વડલો કહે છે વનરાયું સળગી,
મેલી દિયો જૂના માળા,
ઊડી જાવ પંખી પાંખોવાળાં …
આગાનમાં પ્રકૃતિનું એક પ્રતિનિધિ એવું ઝાડ પંખીઓને વિનવણી કરે છે કે હું સળગું છું. મારી ડાળીઓ અગનજાળથી ભડભડી ઊઠી છે. તમારા માળાઓ સળગી જવામાં હવે ઝાઝી વાર નથી. તમે જતાં રહેશો એ મોટું દુઃખ હશે. પણ તમારે હવે મને છોડી દેવાનો સમય આવી પહોંચ્યો છે. જાવ, હવે તમે જાવ!
કઠણ હૃદયે પોતાનાંઓને વિદાય કરવાં પડે છે. સૃષ્ટિના આરંભકાળમાં પંખીઓ પ્રથમ હતાં. સૂક્ષ્મ જીવાતો પછી સૃષ્ટિ પર આવનાર, આ પૃથ્વીને પૃથ્વી બનાવનાર પંખીઓ પ્રથમ હતાં. એ હવે ઓસરી રહ્યાં છે. પંખીઓની સેંકડો પ્રજાતિઓ વિનાશ પામી ચૂકી છે કે વિનાશ પામવાની તૈયારીમાં છે. આપણી આસપાસ હંમેશાં ચહકતી રહેતી ચકલીઓ ઓછી થતી જાય છે. મોર અને ઢેલનાં ટોળાં ઓછાં થતાં જાય છે. આ પંખીઓ ઈશ્વર જેવાં સર્વવ્યાપક છે. અહીં, ત્યાં, બધે-બધે પંખીઓ વસે છે. ઊડે છે, રમે છે, ચહચહાટના સંગીતથી આ દુનિયાને ભરી ભરી બનાવી દે છે. એ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે. એ પંખીઓ ધીમેધીમે ઓસરી રહ્યાં છે. શ્રાદ્ધપક્ષમાં ખબર પડે છે કે કાગડાઓ કેમ દેખાતા નથી ! ગીધપક્ષીઓ લુપ્ત થવાને આરે પહોંચેલી પંખીજાતોમાં ગણાય છે. કેમ ઓસરી રહ્યાં છે આ નિરર્થક પ્રલાપમાં જ મસ્ત રહેનારાં પંખીઓ?!
યાયાવર પંખીઓ દુનિયાભરમાં માહિતી લઈ જાય છે કે ક્યાં જળભંડારો સાબૂત છે. ક્યાં અનાજની ઊપજ તૈયારીમાં છે. ક્યાં રહેવા જેવું છે. આ સંદેશ વાહકો પારવાં પડી રહ્યાં છે. આ પંખીઓને આવવામાં સહેજ મોડું થાય તો આપણને ચિંતા થઈ જાય છે. અરે, આ વખતે હજી સુધી કેમ દેખાયાં નહીં? શું થયું હશે?
દુનિયાના વિવિધ દેશોમાં આ પંખીઓની આવનજાવનનું ચક્ર ખંડિત થઈ રહ્યું છે. ક્યાંક મોડાં મોડાં આવે છે. ક્યાંક આવતાં જ નથી પંખીઓ. આ માત્ર આપણી આસપાસનું અવલોકન નથી. બર્ડ લાઇફ ઇન્ટરનૅશનલ સંસ્થાનો અહેવાલ પણ કહે છે કે આ પંખીઓ ગાયબ થઈ રહ્યાં છે.
આ પંખીઓ દ્વારા આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની તંદુરસ્તીનો આપણને સંકેત મળે છે. પંખીઓની તંત્રમાં પરિવર્તન પ્રત્યેની સંવેદનશીલતા અને પૃથ્વી પર તેમની સર્વવ્યાપકતાથી આપણને અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. પંખીઓ બોલ્યાં વિના આપણને સમજાવે છે કે ક્યાં તળાવો ખાલી થવામાં છે. કઈ જગ્યાએ પાણી પીવા જેવું રહ્યું નથી. ક્યાંક્યાં હવામાં ઝેર ઘોળાઈ ચૂક્યું છે. આવા સંકેતો આપણને હવે કોણ આપશે કે પછી એમનાં ઓછાં થવું એ જ આ સંકેત છે!
સમય સાથે વેરાન બનતાં જતાં જંગલોએ, સુકાઈ રહેલી નદીઓએ, ઓસરી રહેલાં જળાશયોએ પંખીઓનો આશરો છીનવી લીધો છે. હવામાં ઘોળાઈ ચૂકેલાં ઝેર વસમાં બની રહ્યાં છે. માણસોનો આમાં કોઈ કરતા કોઈ વાંક નથી. માણસો તો બહુ દયાળુ છે!
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 16