રવિવાર, 29 મેએ રાત્રે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલાં, બિનવ્યવસાયિક નાટ્યપ્રવૃત્તિના કેન્દ્ર એવા ખુલ્લાં રંગમંચ ‘સ્ક્રૅપયાર્ડ’ – Scrapyardમાં બે બાળનાટકો જોયાં. એકનું નામ હતું ‘અપના ટાઇમ લાયેગા’ અને બીજાનું ‘યમલોક’.
*****
સત્તરેક બાળકોએ ભજવેલું પહેલું નાટક ‘અપના ટાઇમ લાયેગા’ સ્ક્રૅપયાર્ડના નેજા હેઠળ ઊગતા રંગકર્મી ભવ્ય દોશી અને ‘સ્ક્રૅપયાર્ડ’ના સ્થાપક-સંચાલક કબીર ઠાકોરે કિશોર-કિશોરીઓ સાથે કરેલી બે અઠવાડિયાની નાટ્યશિબિરમાંથી તૈયાર થયું હતું.
દસેક કલાકારોનું બીજું નાટક ‘યમલોક’ પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક પરા વસ્ત્રાલની ‘ધ નાચ સ્ટૂડિયો’ નામના નૃત્યવર્ગના બાળકોએ કર્યું હતું.
*****
બંને નાટકો બાળકોના થનગનાટથી ઊભરાતાં હતાં, એક પણ નીરસ પળ ન હતી, લગભગ દરેક કલાકારને તેની ક્ષમતા મુજબનું કામ મળ્યું હતું. ‘ટાઇમ’ નાટકની સતત બદલાતી દૃશ્યરચનાને જાળવી રાખવામાં બાળકોએ ભાગ્યે જ ગફલત કરી હતી. સંવાદો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં હતા. માઇક ન હતા અને બાળકોએ અવાજ પહોંચાડવા જહેમત ઊઠાવી હતી. જીવંત અને રેકૉર્ડેડ બંને પ્રકારનું સંગીત હતું, ગ્રુપ ડાન્સ હતો, સૂત્રધાર હતો, ચમચમાટ લાઇટો હતી. બાળકોને બિલકુલ માફક આવે તેવાં સન્નિવેશ અને મંચસજ્જા હતાં.
*****
‘સ્ક્રૅપયાર્ડ’ના ફેઇસ બુક પેઇજ પર કબીરભાઈએ આ નાટકના પોસ્ટરમાં લખ્યું છે : ‘બાળકો કહે એ વાર્તામાંથી નાટકનો આઈડિયા મળે …. એક બાળક પોસ્ટર બનાવે …. બધા ભેગા થઈ ને નાટક માટે જરૂરી પ્રોપર્ટી બનાવે …’ આ નાટકની શિબિરની પ્રોસેસ હતી. તેમાંથી સારા દહાડા-ખરાબ દહાડા, હાર-જીત, આશા-નિરાશા જેવા વિષય પરનું આ રમતિયાળ નાટક થયું.
તેના માટેની શિબિર બળબળતા ઉનાળાના સવારના ભાગમાં ત્રણ કલાક માટે કૂલર અને ઠંડા પાણીની સગવડ સાથે ‘સ્ક્રૅપયાર્ડ’ના પરિસરમાં આઠથી પંદર વર્ષની ઉંમરના બાળકો સાથે હતી.
મહામારીથી લગભગ બધે જ આવેલી નિષ્ક્રિયતાની અસર હેઠળના સાધનસંપન્ન પરિવારનાં બાળકો સાથે કરેલી આ શિબિરના કબીરભાઈના અનુભવો પણ રસપ્રદ હતા. નાટકમાં મયંક ઓઝા અને પરેશ વ્યાસનાં ગીતોને નિસર્ગ ત્રિવેદીએ સંગીત આપ્યું હતું.
*****
‘યમલોક’ નાટક ગુજરાત કૉલેજમાંથી નાટ્યવિદ્યાની પદવી ધરાવનાર જયેશ કોષ્ટીએ દિગ્દર્શીત કર્યું હતું. નાટકના લેખનમાં તેમની સાથે જિનય પટેલ હતા. નાટક વસ્ત્રાલની સંસ્થાના પરિસરમાં તૈયાર થયું હતું. પણ તેના અનેક ગ્રાન્ડ રિહર્સલ બાળકોએ ભર ઉનાળામાં ખૂબ મહેનતથી ‘સ્ક્રૅપયાર્ડ’માં કર્યાં હતાં. નાટકમાં યમલોકમાં પૃથ્વી પરના નેતા અને યમરાજ વચ્ચે થયેલી ચૂંટણીની વાત હતી. યમરાજ અને ચિત્રગુપ્ત ઉપરાંત જાતજાતની ઇચ્છા-એષણાઓ ધરાવતાં દુન્યવી પાત્રો હતા. આ નાટકમાં બાળકોના વ્યક્તિગત અભિનય માટે ઘણી તક હતી જેનો કલાકરોએ ઠીક લાભ લીધો હતો.
અલબત્ત, બંને નાટકોમાં વત્તાઓછા પ્રમાણમાં સ્ત્રી-પુરુષ ભૂમિકા (gender), જીવનશૈલી (life style) અને સમાજ (society) જેવી બાબતોનો સૂક્ષ્મ ખ્યાલ તેમ જ એકંદર સુઘડતા અપેક્ષિત હતાં.
અલબત્ત, આ કહેવું ખૂબ સહેલું છે અને કરવું ખૂબ અઘરું છે. કબીર – નેહા અને તેમની આખી ટીમ અમદાવાદ જેવા શહેરમાં નાટક કરવાનું આ અઘરું કામ કરતાં રહે છે.
01 જૂન 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર