૨૨મી માર્ચ, કવિ શ્રી સુંદરમ્ના જન્મદિવસ નિમિત્તે …
મારી બંસીમાં …
કવિશ્રી 'સુંદરમ્'
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા. … મારી o
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. … મારી o
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. … મારી o
ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ્. ‘સુંદરમ્’ તેમનું ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે, વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે, તો પુષ્પ તણી પાંદડી પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદ્ભુત વાત પણ કરી છે, આવા મહાન કવિ સુંદરમ્ની કવિતા ખૂબ કર્ણમંજુલ અને મનોહારી છે.
‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’થી શરૂઆત કરીને, જરાક રમતિયાળ રીતે ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત જ ‘મારી વીણાની વાણી જગાડી તું જા’ કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના ઘટસ્ફોટની ભાગ્યે જ જરૂર રહે છે. એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આધિવ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય, તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાંયે લેશ માત્ર દર્દનો સૂર સંભળાતો નથી. એટલું જ નહીં, ત્રણે અંતરા તો જુઓ :
ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે? એમ વિચારી કવિ, પાછા પોતે જ મઝાના ઉપાયો પણ સૂચવે છે. એક અતિ પ્રેમાળ માનુનીની જેમ ધીરે ધીરે ખભા ઉલાળી, ડોલતા ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા, સરકતા કહે છે કે,
‘ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.’
કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મક્તા અને કેટલી આબેહૂબ ચિત્રાત્મકતાથી ભરીભરી પંક્તિઓ છે ! પિયાનું સંબોધન કરી ઈશ્વરને પલાળવાની આ તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ !
પછી બીજા અને ત્રીજા અંતરામાં એ જ સુંદર લયમાં નાગદમનની, શબરીની, નૈયાપારની વગેરે પ્રખ્યાત અને ચમત્કારિક વાર્તાઓની યાદ અપાવીને, શબ્દે શબ્દમાં મીઠાશ વેરીને ‘તારે તારવા હોય તો તું કોઈ પણ રીતે તારી જ શકે છે’, એવી પોતાની અંતરની શ્રદ્ધા વ્યક્ત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે, સ્વયંને જ સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી જ તો છેલ્લે ‘મનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યાં એને હંકારી તું જા’ કહી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોડિંચરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાર સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલી નથી તે પરખાય છે. સમાજને એક ઊંચો અને ગર્ભિત સંદેશ મળે છે કે, ફાવે ત્યાં હંકારાતી લાગતી આ હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને, માલિક જ પાર પાડશે. સફળ જીવનની ચાવી સમું આ મનોબળ અને આત્મશ્રદ્ધા ખૂબ સહજ રીતે પ્રગટ થયાં છે; જે ભાવકના મનમાં દૃઢપણે અંકિત થઈ જાય છે.
આખાયે કાવ્યમાં શરૂઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ મળતો ગયો છે. કોઈ દુન્યવી કારણોસર શાંત અને અચેતન થયેલી શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા અને અરજનો સ્પષ્ટ ભાવ લઈને કવિની કલમ આગળ ગતિ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા, અલંકાર, ઉચિત શબ્દ-પ્રયોગો, ખળખળ વહેતાં ઝરણાં જેવો મઝાનો વર્ણાનુપ્રાસ અને આ બધાની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે ગુંજતું રહ્યું છે. સૃષ્ટિનાં સૌન્દર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિય પાત્રને જેણે સહરાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્ત્વને જેણે સમર્પિત થઈ વાંછ્યું છે, એ જ વ્યક્તિ આવી ઉત્તમ, કાવ્યત્વથી ભરીભરી કલાત્મક રચના સાહિત્ય-જગતને આપી શકે.
વાંચતાં વાંચતાં અને વાંચી લીધાં પછી પણ ગણગણવું ગમે તેવાં મઝાનાં આ ગીત / કાવ્યના સર્જકને અને તેમના કલામય કવિકર્મને સો સો સલામ.
http://devikadhruva.wordpress.com