સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક -9 : સાર્ત્રના પૂર્વસૂરિઓ :
સાર્ત્ર એમના પૂર્વસૂરીઓથી કેટલા અને શા માટે જુદા પડે છે એ વાતને એક દોડતી કલમે કહી જવા માગું છું.
દેકાર્તથી શરૂ કરું :
દેકાર્ત (1596-1650) ‘સ્કૉલેસ્ટિસિઝમ’ કહેવાતી પરમ્પરાની સ્થાપનાઓને ઓળંગી ગયેલા. સ્કૉલેસ્ટિસિઝમ ફિલસૂફીની મધ્યયુગીન શાખા હતી, એમ કહેવાયું છે. ૧૧૦૦થી ૧૭૦૦ દરમ્યાન યુરપની યુનિવર્સિટીઓમાં ‘લેટિન કૅથોલિક થેઇસ્ટિક’ અભ્યાસક્રમો અનુસાર શિક્ષણ અપાતું હતું. એ ભૂમિકાએ સ્કૉલેસ્ટિસિઝમમાં, જ્ઞાનપ્રાપ્તિ માટે ‘ડાયલૅક્ટિક રીઝનિન્ગ’-નો આગ્રહ વિકસ્યો હતો. એ વડે અનુમાનો કરાય અને વિરોધાભાસોનું નિરસન થાય. એમાં પ્રમુખ સ્થાપના એ હતી કે વિચારો વસ્તુપદાર્થોને ઓળખવાનું ઉપકરણ છે. દેકાર્ત એથી ફંટાઈને જુદું કહે છે.
દેકાર્ત કહે છે કે તત્ત્વચિન્તનનો પ્રારમ્ભ વિચારવાથી થાય છે. ચિન્તક પ્રત્યેક પદાર્થને વિશે શંકા અને પ્રશ્ન કરીને ચિન્તનનો પાયો નાખે છે. તેમ છતાં, એક ચીજ એવી છે જેને વિશે માણસ શંકા નથી કરી શકતો અને એ ચીજ તે, એ પોતે. ફિલસૂફીનું કર્તવ્ય એ છે કે એ માણસને માણસ વિશે વિચારતો કરે.
દેકાર્ત મોટું પરિવર્તન લઇને આવ્યા. એમણે કહ્યું – cogito ergo sum – I think, there for I – હું વિચારું છું, માટે છું. એમણે હોવાપણાની પ્રતીતિને આગળ કરી. દર્શાવ્યું કે એ પ્રતીતિ – હું મને વિચારું ત્યારે થાય – મારે વિશે પ્રશ્ન ઊભો કરું ત્યારે થાય – મારા વડે હું અને હું વચ્ચે અન્તર સરજાય ત્યારે જ દ્વૈતનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે.
દેકાર્તના દ્વૈતવાદમાં બે ભૂમિકાઓ વર્ણવાઈ છે – ચૈતસિક અને શારીરિક. ચૈતસિકને શરીરની અનિવાર્યતા નથી અને શરીર એકલું કશું વિચારી શકતું નથી. ચૈતસિક આવિષ્કારો – મેન્ટલ ફીનૉમિના – શારીરિક નથી, મતલબ, ચિત્ત અને શરીર સ્પષ્ટ રૂપે જુદાં છે. આ સમજને કારણે ચિત્ત અને વસ્તુપદાર્થ તથા વિષયી અને વિષય જેવાં દ્વૈત નક્કી થયાં. દેકાર્તે ચિત્તને જ ચેતના ગણી લીધી, સમ્પ્રજ્ઞતા ગણી લીધી, અને એ પ્રકારે મગજને જુદું પાડ્યું. મગજને બહુ બહુ તો બુદ્ધિનું નિવાસસ્થાન કહી શકાયું.
આ પરિવર્તન એક નવપ્રસ્થાન પુરવાર થાય છે. દેકાર્તથી કાન્ટ સુધીના ફિલસૂફીપરક વિકાસમાં એનું મહત્ યોગદાન છે.
દેકાર્તના કાર્ટિસિયનિઝમના પાયામાં ૪ બાબતો પ્રાધાન્ય ભોગવે છે : ૧ : પ્રારમ્ભિક સંશય – વિશ્વના અસ્તિત્વને વિશે શંકા : ૨ : વિચારદ્રવ્ય કયું? સ્વના અસ્તિત્વની અકાટ્યતા : ૩ : જ્ઞાન શું છે? જ્ઞાન – વિભાવન : ૪ : ચિત્ત અને જડ પદાર્થો વચ્ચેનું દ્વૈત.
સાર્ત્ર મોટે ભાગે આ ચારેય બાબતોનું માળખું રચીને ચાલ્યા છે.
‘નૉસિયા’નો નાયક રૉકિન્તવૉં પોતાના અસ્તિત્વને, પોતાના ખરા સ્વને, પામે છે. એને થાય છે કે વિશ્વનો પોતે પૂરેપૂરા અર્થમાં મુક્ત એવો એજન્ટ છે. એવી પ્રતીતિ એને તર્કને લીધે નથી થઈ પરન્તુ વસ્તુઓ સાથેના સન્નિકર્ષને લીધે થઈ છે. સાર્ત્રનો એ નાયક વિચારોનું તાર્કિક પૃથક્કરણ નથી કરતો, તેનો સાક્ષાત્કાર કરે છે.
સાર્ત્ર વાસ્તવના સાક્ષાત્કાર માટે સમ્પ્રજ્ઞતાને અનિવાર્ય ગણે છે. કદાચ એ બિન્દુએથી એમણે પ્રારમ્ભ કર્યો છે. વાસ્તવિકતાને પોતાને હોવા માટે કશા કારણની જરૂરત નથી હોતી, તે માત્ર હોય છે. ‘નૉસિયા’-માં વાસ્તવિકતા એક જાતની ઉબક છે. અથવા ચીતળી ચડે કે તમ્મર આવી જાય એવી એ એક ન-ગમતી અવસ્થા છે, પરિસ્થિતિ છે.
વાસ્તવને અર્થપૂર્ણ બનાવવા વ્યક્તિ જ્યારે પોતાના સ્વાતન્ત્ર્યનો તેમ જ પોતાના દાયિત્વનો પૂરી પ્રામાણિકતાથી સામનો કરે છે ત્યારે, એને visceral cogito કહેવાય છે – અન્તસ્થ, જન્મજાત અથવા વૃત્તિજન્ય સિદ્ધાન્ત. સાર્ત્ર એ સિદ્ધાન્તે જઈ પ્હૉંચ્યા.
સાર્ત્ર હ્યુસેર્લ અને હાઇડેગરમાં જોડાયા લાગે છે. પરિણામે તેઓ જર્મન તત્ત્વચિન્તનની પરમ્પરામાં જોડાયા જણાય છે. જોડાણની કડી છે એમનું અસ્તિત્વવાદી દર્શન તેમ જ બધા જ અસ્તિત્વવાદી ચિન્તકોએ કરેલું ચિન્તન – જેમાં કિર્કેગાર્દ નિત્શે યેસ્પર્સ હ્યુસેર્લ અને હાઈડેગર મુખ્ય છે.
હ્યુસેર્લ (1859-1938) અને ફીનોમિનોલૉજિ, બન્ને, સાથેસાથે યાદ આવે. આ જર્મન ફિલસૂફે ફીનોમિનોલૉજિની સ્થાપના કરી. ફીનોમિનોલૉજિ એટલે, સાદી રીતે કહીએ તો, આવિષ્કારોનું કે ઘટનાઓનું શાસ્ત્ર. એને ‘સાયન્સ ઑફ ઇસેન્સિસ’ પણ કહેવાય છે. એને મનોવિજ્ઞાનની મહત્ત્વની શાખા પણ કહેવાય છે. તેમ છતાં એમાં મનોવિશ્લેષણો અને ચિત્તનાં મનોભાવપરક કે પરિણામજનક પાસાંની સરખામણીએ ઇન્દ્રિયપ્રત્યક્ષો અને ઇન્દ્રિયપ્રત્યક્ષોને વિષય બનાવતી વિદ્યાશાખાઓ પર વધારે ધ્યાન અપાયું છે.
હ્યુસેર્લે જર્મન સંજ્ઞા ‘લેબેન્શ્વેલત’ જેને અંગ્રેજીમાં ‘લાઇફવર્લ્ડ' કહેવાય છે, તેવો બહુ ઉપકારક વિભાવ રચ્યો છે. હું એને ગુજરાતીમાં ‘જીવનવિશ્વ’ કહું છું – વિશ્વનું જીવન નહીં પણ વ્યક્તિ વડે જિવાતાં જિવાતાં સરજાયેલું વિશ્વ.
હળવાશ ખાતર અમથાલાલનું દૃષ્ટાન્ત જોડું : અમથાલાલે પુરું ગુજરાત પણ ન જોયું હોય, ચિન જપાન કે યુરપ અમેરિકાની તો વાત જ ક્યાં ! પણ અમથાલાલ એમના ગામમાં, એમના ફળિયામાં, ૪-૫ મિત્રો સાથે, ૧-૨ પ્રિયાઓ સાથે, ને છેવટે ૧ પત્ની સાથે ભરપૂર જીવ્યા હોય, પળ પળ જીવ્યા હોય. એમાંથી એમની એક આગવી દુનિયા બની હોય, એમનું પોતાનું જ કહેવાય એવું એક વિશ્વ રચાયું હોય, જેને એમનું ‘જીવનવિશ્વ’ કહી શકાય.
Pic courtesy : Cambridge University Press.
'જીવનવિશ્વ' અહંતા, જિવાયેલું શરીર, અન્યતા, જિવાયેલો સમય અને જિવાયેલા સ્થળનું બન્યું હોય છે.
પ્રારમ્ભે હ્યુસેર્લની ફીનૉમિનોલોજિ દેકાર્ત અને કાન્ટને અનુસરતી હતી, પરન્તુ ‘જીવનવિશ્વ’ વિભાવનાને કારણે એમાં મોટું પરિવર્તન આવ્યું. ત્યારે તેઓ ચેતનાને જ ફિલસૂફીનું મહત્ ઉપકરણ ગણતા હતા – ચેતનાથી પ્રશ્ન કરાય, ઉત્તર મેળવાય, વાસ્તવને વિશેનાં જજમૅન્ટ મેળવાય, ચેતના જ રચનાઓ કરે, ચેતના જ ઘડે અને બધું વિકસાવે …
‘જીવનવિશ્વ’ વિભાવનાને કારણે હ્યુસેર્લે દર્શાવ્યું કે વિશ્વમાં ચેતના પહેલેથી છે. સામાજિક અને સાંસ્કૃતિક રીતે કે ઐતિહાસિક રીતે રચાયેલા અર્થોના જગતમાં ચેતના પહેલેથી વ્યાપારશીલ છે. પરિણામે, ત્યારથી ફીનૉમિનોલોજિ શુદ્ધ ચેતનાનું નહીં પણ સંદર્ભોથી ઊભા થતા અર્થો સાથે જોડાયેલી ચેતનાનું અધ્યયન બની …
આ પછી, હ્યુસેર્લના વિદ્યાર્થી હાઇડેગર (1889–1976) વિશે …
= = =
(March 10, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર