મુંબઈ શહેર છે એક ધારાવાહિક નવલકથા જેવું
ધનિકોનું ધામ વાલકેશ્વર
જ્યારે પત્ની સાથે ફોટો પડાવવો એ હિંમત માગી લેતું કામ ગણાતું
મુંબઈ શહેર છે એક ધારાવાહિક નવલકથા જેવું. દરેક હપ્તે કૈંક નવું, કૈંક જૂદું. આ એક એવી નવલકથા છે જે ક્યારે ય પૂરી થતી નથી. એનો આરંભ છે, અંત નથી. પણ આપણી ભાષાની નવલકથાઓમાં મુંબઈની છબી કેવીક અને કેટલી ઝીલાઈ છે? આપણી પહેલી મહત્ત્વની નવલકથા સરસ્વતીચંદ્રમાં કથાનાયકનો બાપ લક્ષ્મીનંદન મુંબઈનો ધનાઢ્ય વેપારી હતો અને દશબાર લાખ રૂપિયાનો ધણી કહેવાતો હતો. આજે આપણને કદાચ હસવું આવે. આજે તો લોકલ ટ્રેનમાં ફેરી કરનારા પાસેથી પણ દસ કરોડ રૂપિયા મળી આવે છે! પણ ગોવર્ધનરામ વાત કરે છે ૧૯મી સદીનાં પાછલાં પચાસેક વરસની. લક્ષ્મીનંદન એક બાજુથી ધનવાન હતો તો બીજી બાજુથી ‘બગડેલો’ પણ હતો. પત્ની ચંદ્રલક્ષ્મીની સાથે ફોટો પડાવવાનો અને એ ફોટો પોતાની મેડીની ભીંત પર ટાંગવાનો, એમ બબ્બે ગુના તેણે કર્યા હતા. આટલું જણાવ્યા પછી લેખક ઉમેરે છે : ‘મુંબઈવાસી હોવાને લીધે તેણે આ હિંમત ચલાવી હતી.’
૧૯મી સદીનું વાલ્કેશ્વર
માત્ર સરસ્વતીચંદ્રમાં જ નહિ, આપણી એ જમાનાની ઘણી ખરી નવલકથાઓમાં, મોટા ભાગનાં નાટકોમાં, મુંબઈ એટલે ‘સુધારા’નું જીવતું જાગતું પ્રતીક કે ઉદાહરણ. કોઈ પણ નવલકથામાં પાત્રો અને પ્રસંગો પછી સૌથી વધુ મહત્ત્વનું કાંઈ હોય તો તે છે સ્થળ અને કાળ. બલકે સ્થળ અને કાળ ઘણે અંશે પાત્રો અને પ્રસંગોને ઘડે છે. કથાનાયક નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનું જે વ્યક્તિત્વ નજરે પડે છે તે ઘણે અંશે તેનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો એ વાતને આભારી છે. અને કાળ અથવા સમય? આજે જો કોઈ આવી નવલકથા લખે તો કથાનાયકને મુંબઈથી સુવર્ણપુરની મુસાફરી વહાણમાં કરતો બતાવી શકે? અને ના, તો એ ‘જાના થા જાપાન પહોંચ ગયે ચીન’ની જેમ સુવર્ણપુર પહોંચી શકે ખરો? અંગ્રેજી અને પશ્ચિમની બીજી ઘણી ભાષાઓમાં ‘ભ્રમણકથા’નો પ્રકાર ઘણો વિકસ્યો છે. આ પ્રકારની નવલકથામાં નાયક કોઈ હેતુ કે કારણથી લાંબી મુસાફરી કરે છે, રઝળપાટ કરે છે, અને છેવટે તે સ્વસ્થાને આવે છે. પણ ગયો હતો ત્યારે હતો તેવો તે પાછો આવે ત્યારે નથી હોતો. ઘણો બદલાયો હોય છે. સરસ્વતીચંદ્ર નવલકથામાં પણ આમ જ બને છે. બુદ્ધિધન સાથેની પહેલી મુલાકાતમાં નવીનચંદ્ર ભલે કહે કે ‘મુંબઈમાં હું વિદ્યાર્થી હતો, હવે અનુભવાર્થી છું … હું બોલ્યા વગર જોઈ શકું છું, કાને સાંભળેલું મનમાં રાખી શકું છુ. જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકું છું.’ પણ કથાને અંતે તો જણાય જ છે કે તે જાતે પણ રંગાયો જ છે. મુંબઈના વાલકેશ્વરના બંગલાથી શરૂ થતી કથા ઘણું હરીફરી છેવટે પાછી એ જ બંગલામાં આવીને ઠરે છે, પૂરી થાય છે. પણ ત્યારે નવીનચંદ્ર ઘણો બદલાયેલો છે.
૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયો તે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં મુંબઈ અને તેનું જીવન વણાયેલાં છે, પણ તે કેન્દ્રસ્થાને નથી. જ્યારે ૧૮૯૪માં પ્રગટ થયેલી ‘વિક્રમની વીસમી સદી’ નામની નવલકથામાં તો મુંબઈ શહેર જ કેન્દ્ર સ્થાને છે. અલબત્ત, અ નવલકથા આજે તો સાવ ભૂલાઈ ગઈ છે. આ નવલકથાનો પહેલો ભાગ ૧૮૯૪માં અને બીજો ભાગ ૧૯૦૧માં પ્રગટ થયેલો. તેના લેખક મોતીલાલ ત્રિભોવનદાસ સટ્ટાવાળા બી.એ. એલ.એલબી. થયા હતા અને બોમ્બે હાઈકોર્ટના વકીલ હતા. આ ઉપરાંત તેઓ ભાવનગર રાજ્યના પહેલા વર્ગના દીવાની ન્યાયાધીશ હતા. બંને ભાગની ૭૯૮ પાનાની સંયુક્ત આવૃત્તિ ૧૯૨૩માં પ્રગટ થઈ ત્યારે લેખકના નામ આગળ ‘સ્વ.’ લગાડ્યું છે એટલે તે પહેલાં ક્યારેક તેમનું અવસાન થયું હોય. આ નવલકથામાં ઓગણીસમી સદીના અંત ભાગના મુંબઈના વ્યાપારી જગતનું ધ્યાનપાત્ર નિરૂપણ જોવા મળે છે. લેખક અહીં મુંબઈના જુદા જુદા પ્રકારના શેઠિયાઓનો વિગતે પરિચય આપે છે અને પછી તેમની વચ્ચેના વ્યવહારમાંથી કથા નીપજાવે છે. એ સમયના મુંબઈના ધનવાનોનાં ઘર કેવાં હતાં? લેખક કહે છે : ‘મુંબઈ શહેરના સરિયામ રસ્તા ઉપર આવેલા કોઈ ઘરના બીજા મજલાના એક ઓરડામાં નકસીદાર ફર્નિચર ગોઠવેલું હતું. ટેબલ, કોચ, ખુરસી, અને કબાટો જ્યાં ત્યાં મૂકેલાં હતાં. એક બાજુએ પિત્તળનો પલંગ હતો. ટેબલ ઉપર થોડી સારી બાંધણીની અંગ્રેજી ચોપડીઓ આકારબંધ – કાપ્યા વગરની અને ધૂળ ચડેલી, પણ શોભાને સારૂ ગોઠવી દીધી હતી. તેની પાસે થોડી એક હાલહવાલ બાંધણીની ગુજરાતી ચોપડીઓ તથા થોડાં અંગ્રેજી અને ગુજરાતી છાપાં હતાં. એ સિવાય નાટક, ફારસ, અને ગાયનની નાની નાની ચોપડીઓ, ચોપાનિયાં, અને હેન્ડ બિલોનો ત્યાં વરસાદ વરસી રહ્યો હતો.’ આ ઓરડો હતો શેઠ વનમાળીદાસના વીસ વરસના દીકરા નવલશાનો. તેનાં લગ્ન નજીક આવી રહ્યાં હતાં એટલે તે બેફામ રીતે ખરીદી કરી રહ્યો હતો. આખી નવલકથામાં એ જમાનાના મુંબઈનું અને તેના અમીરોના જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે.
તો ધનવાન કુટુંબના અવિચારી યુવાનો વારસામાં મેળવેલી સંપત્તિ કઈ રીતે વેડફીને ગુમાવે છે તેની વાત ૧૮૯૬માં પ્રગટ થયેલી નવલકથા ‘પંદર લાખ પર પાણી’માં ચુનીભાઈ લલ્લુભાઈ પારેખ કહે છે. આ નવલકથામાં તેનાં પાત્રો અને મુંબઈનાં સ્થળોનાં વિગતવાર વર્ણનો ધ્યાન ખેંચે તેવાં છે. એ જમાનામાં આ નવલકથા સારી એવી લોકપ્રિય થઈ હશે તેમ લાગે છે. કારણ, ૧૯૦૮ સુધીમાં તેની ચાર આવૃત્તિ પ્રગટ થઈ હતી. સરસ્વતીચંદ્રની જેમ આ કથાનો યુવાન નાયક પણ વાલ્કેશ્વરના એક બંગલામાં રહે છે. ૧૯મી સદીના અંત સુધીમાં તવંગર ગુજરાતીઓ માટે વાલકેશ્વર એ રહેવા માટેનું મનપસંદ સ્થળ બની ગયું હતું. લેખક વાલ્કેશ્વરનું વર્ણન કરતાં કહે છે : ‘વાલકેશ્વરની રમણીય ટેકરીનો દેખાવ આજે દર્શનીય થઈ પડ્યો છે. જ્યાં ત્યાં સુંદર અને ભવ્ય મહેલો, અને પાન ફળ ફૂલથી ફાલી તથા ફૂલી રહેલા મોટા બાગ બગીચાઓ અને વાડીઓ, વિશાળ રસ્તાઓ, રત્નાગર સાગરને તટે ફરવા હરવા કે હવા ખાવાને સ્થાપિત કરેલી રળીયામણી જગ્યાઓ વગેરે નજરે જોતાં આજે ત્યાં બિરાજતા ભક્તકલ્યાણકારી મહાદેવની કૈલાસ પુરી હોય નહિ, એવો ભાસ થાય છે.’ મુંબઈનાં વિગતવાર વર્ણનો એ આ નવલકથાની પણ વિશેષતા છે.
જ્ઞાનસુધા નામના માસિકના માર્ચ ૧૮૯૨ના અંકમાં લેખકના નામ વગર એક નવલકથાનું પહેલું પ્રકરણ છપાયું. અને તરત લોકો પૂછવા લાગ્યા : ‘આ નવલકથાનો લેખક છે કોણ?’ અલબત્ત, ચકોર નજરવાળા વિવેચકો સમજી ગયા હતા કે આવી નવલકથા લખવાનું સાહસ ‘જ્ઞાનસુધા’ના તંત્રી રમણભાઈ નીલકંઠ સિવાય બીજું કોઈ કરે નહિ. નવલકથાનું છેલ્લું પ્રકરણ છેક ઈ.સ. ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં છપાયું હતું. કેમ? નવલકથા એટલી લાંબી છે? ના. છે તો માત્ર ૩૨૭ પાનાંની. એનું એક કારણ એ કે ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન સારું એવું અનિયમિત હતું. ઘણી વાર ત્રણ કે છ મહિનાનો એક સંયુક્ત અંક બહાર પડતો. તો કેટલાક અંકોમાં નવલકથાનો હપ્તો છાપી ન શકાયો હોય એવું પણ બનતું. પોતાના મૂળ નામ ‘દોલતશંકર’માં આવતા દોલત જેવા યાવની શબ્દને કારણે એ નામ ત્યજીને ભદ્રંભદ્ર એવું નામ ધારણ કરનાર તેનો કથાનાયક છે. એ નવલકથા પુસ્તકાકારે છાપી હતી દોલતરામ મગનલાલ શાહે પોતાના ‘દેશભક્ત’ નામના છાપખાનામાં. અને આ ‘દેશભક્ત’ના બીજા ભાગીદાર હતા યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈના પિતા વસંતલાલ દેસાઈ!
આ નવલકથા લખાઈ ત્યારે આપણે ત્યાં સુધારાવાદીઓ અને સનાતનીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. મુંબઈમાં સુધારાવિરોધીઓની મોટી સભા માધવ બાગમાં મળવાની છે એવા ખબર મળતાં ભદ્રંભદ્ર તેમના ચેલા-સાથી અંબાશંકર સાથે મુંબઈ જવા પ્રસ્થાન કરે છે. સુધારાની ચળવળના કેન્દ્ર જેવા મુંબઈ સાથેનો સંઘર્ષ અમદાવાદ રેલવે સ્ટેશનેથી જ શરૂ થાય છે. ટિકિટ બારીએ જઈને ભદ્રંભદ્ર ઉવાચ : ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ પારસી ટિકિટ ક્લાર્ક : ‘સું બકેચ? આય તો ટિકિટ ઓફીસ છે.’ ‘યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’ બીજો એક હિંદુ ક્લાર્ક વચમાં પડે છે એટલે ટિકિટ તો મળે છે. પણ આપતાં આપતાં સોરાબજી ક્લાર્ક કહે છે : ‘સાલો કંઈ મેદ થયેલો ચ. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’ ક્રોધાયમાન થયેલા ભદ્રંભદ્ર: ‘દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ …’ અને છંછેડાયેલો સોરાબજી ભદ્રંભદ્રના નાક પર જોરથી મુક્કો મારે છે. રમણભાઈએ આ નવલકથા લખીને સનાતનીઓનાં નાક પર જોરથી મુક્કો મારેલો, જેની કળ એમને લાંબા વખત સુધી વળી નહોતી.
મુંબઈ પહોંચીને જેમ તેમ એક રેંકડો ભાડે કરીને ભદ્રંભદ્ર અને સાથી માધવ બાગ જવા નીકળે છે. ત્યારે મુંબઈના રસ્તા પર શું જુએ છે? ‘રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હતી. પગે જનારા લોકો ધસમસ્યા ચાલ્યા જતા હતા. કોઈ કોઈ માટે વાટ જોતું જણાતું નહોતું.’ તે જોઈ ભદ્રંભદ્ર કહે છે : ‘આ સર્વ માધવ બાગમાં જતા હશે.’ ભદ્રંભદ્ર’ પુસ્તક રૂપે પહેલી વાર પ્રગટ થઈ આજથી ૧૨૧ વરસ પહેલાં. છતાં મુંબઈ ક્યાં બદલાયું છે? આજે પણ રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હોય છે. હા, ઘોડા ગાડીને બદલે મોટર ગાડી. આજે પણ પગે જનારા લોકો ધસમસતા ચાલ્યા જતા હોય છે. આજે પણ કોઈને માટે કોઈ વાટ જોતું નથી. અને દરેક જણ જતો હોય છે પોતપોતાના મનના માધવ બાગ તરફ. પહોંચે છે કેટલા એ જૂદી વાત છે. તો ચાલો, આપણે પણ હવે જઈએ મનના માધવ બાગ તરફ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 ઑગસ્ટ 2021