ભારત ઉપર વિદેશીઓએ કે વિધર્મીઓઓએ કરેલાં આક્રમણ વખતે પ્રત્યેક વેળા ભારતનો પરાજય એટલા માટે થયો છે કે હિંદુઓ સંગઠિત નહોતા. આ કોઈ હું નવી વાત નથી કહેતો. તમે અનેક લોકોને આમ કહેતા સાંભળ્યા હશે, અને આ રીતની દલીલ કરનારા લેખો વાંચ્યા પણ હશે. આ વાત ખોટી પણ નથી, એટલે તેને પડકારવાની જરૂર પણ નથી.
અહી આટલા સવાલ ઉપસ્થિત થાય છે :
૧. જો હિંદુઓ સંગઠિત નથી કે નહોતા તો જગતની કઈ પ્રજા આપણે ઈચ્છીએ છીએ એ રીતે કે એવા સ્વરૂપમાં સંગઠિત છે?
૨. સંગઠિત થવા માત્રથી યુદ્ધો જીતી શકાય છે કે પછી એને માટે કોઈ બીજી આવડત પણ હોવી જરૂરી છે? જગતમાં અને ભારતમાં થયેલાં યુદ્ધો ઉપર એક નજર નાખશો તો શું જોવા મળશે? જે લોકો યુદ્ધ જીત્યાં છે એ માત્ર સંગઠિત હતા એટલે જીત્યાં છે?
૩. સંગઠિત થવાથી માત્ર ફાયદો જ ફાયદો છે કે એમાં કોઈ નુકસાન પણ છે? શું ખબર સંગઠિત થવાથી કોઈકને નુકસાન પણ થતું હોય! જો સાફ હ્રદયે વિચાર કરવા બેસશો તો આની પણ તપાસ તો કરવી પડશે. અને
૪. હિંદુઓ જો જગતમાં સૌથી વધુ અસંગઠિત છે તો એવું શા માટે છે? વિભાજક તત્ત્વો આપણાં પોતાનાં હોવાં જોઈએ, અર્થાત્ હિંદુ માનસ અને હિંદુ સમાજ-શરીરમાં તે અવિભાજ્ય રૂપે બેઠેલાં હોવાં જોઈએ. અને એ એટલી હદે ઘર કરી ગયાં છે કે તેને આપણે દૂર કરી શક્યા નથી, અથવા કેટલાક લોકો તેને દૂર કરવા દેતા નથી. અહીં થોડું આત્મપરિક્ષણ પણ કરવું પડશે.
તો પહેલો સવાલ પહેલા હાથ ધરીએ.
જગતની કઈ પ્રજા સાચા અર્થમાં સંગઠિત છે? જવાબ છે એક પણ નહીં. જગતની છેક દરેક પ્રજાને એમ લાગે છે કે આપણને છોડીને બીજી પ્રજા સંગઠિત છે, પણ એ એક આભાસ છે. માત્ર હિંદુઓ માટે આખા જગતનો એક મત છે કે તે સંગઠિત નથી અને ક્યારે ય એ સંગઠિત થઈ શકશે નહીં. આવો અભિપ્રાય બનવાનું કારણ દેખીતું છે. હિંદુ સમાજનાં વિભાજક તત્ત્વો નજરે પડે એવાં છે. તો વાત એમ છે કે જગતની દરેક પ્રજાને એમ લાગે છે કે આપણે સંગઠિત થવું જોઈએ અને તેમને આવું લાગવાનું કારણ એ છે કે તેઓ સંગઠિત હોતા નથી. તેઓ ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન નથી એટલે ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન થવા માગે છે.
શું જગતના ખ્રિસ્તીઓ સંગઠિત છે? જો એમ હોત તો ખ્રિસ્તીઓ યુરોપમાં આટલા બધા દેશોમાં વહેંચાયેલા ન હોત. તેઓ એક જ ધર્મના અનુયાયીઓ છે. યુરોપની ભાષાઓ પણ એક જ કુળની અર્થાત્ એક જ પરિવારની છે. યુરોપિયન ખ્રિસ્તીઓમાં હિંદુઓ જેટલી વંશ-બહુલતા નથી. યુરોપ નામનો એક દેશ રચીને યુરોપ રાષ્ટ્રમાં એક સાથે જીવવા માટે આપણા કરતાં ઘણી વધારે અનુકૂળતા ખ્રિસ્તીઓ ધરાવે છે અને છતાં તેઓ એકબીજાથી અલગ છે. ભારત નામના એક દેશમાં ઘણાં ધર્મોની પ્રજા વસતી હોવા છતાં આપણે ત્યાં ભાષાવાર પ્રાંતો છે, જ્યારે યુરોપમાં એક જ ધર્મની અને ગણીને બે-ચાર વંશની પ્રજા હોવા છતાં ભાષાવાર દેશો છે. આપણે ત્યાં પ્રાંતો છે, ત્યાં દેશો છે. તો વધારે સંગઠિત કોણ? વિશ્વયુદ્ધ તરીકે ઓળખાતાં જગતના ઇતિહાસમાં સૌથી રાક્ષસી યુદ્ધો યુરોપમાં ખ્રિસ્તીઓએ લડ્યાં છે. ખ્રિસ્તી ખ્રિસ્તી સામે લડતો હતો. મુસલમાનોમાં જે રીતે શિયા અને સુન્નીઓ વચ્ચે હિંસક હુલ્લડો થાય છે એ રીતે એક જમાનામાં ખ્રિસ્તીઓમાં કેથલિક અને પ્રોટેસ્ટન્ટો વચ્ચે થતાં હતાં. આ સિવાય બીજા ફિરકાઓ વચ્ચે અવિશ્વાસ અને ઘૃણાના સંબંધો હતા. શ્વેત ખ્રિસ્તીઓનો અશ્વેત ખ્રિસ્તીઓ સાથેનો વહેવાર અમાનવીય હતો અને હજુ આજે પણ છે એ ઉઘાડું સત્ય છે. અત્યારે હવે ઉઘાડી અથડામણો નથી થતી કારણ કે ખ્રિસ્તીઓએ અને તેમના ધર્મગુરુઓએ ખ્રિસ્તી વિભાજનને એક વાસ્તવિકતા તરીકે સ્વીકારી લીધું છે. યાદ રહે, ખાસ્સા રક્તપાતને અંતે તેમને આવી અક્કલ આવી છે.
મુસલમાનો સંગઠિત છે? દરેક હિન્દુને એમ લાગે છે કે મુસલમાનો સંગઠિત છે અને મુસલમાનોને પણ એમ લાગે છે કે તેઓ સંગઠિત છે. ચુસ્ત મુસલમાન પોતાને ભારતીય મુસલમાન તરીકે નહીં ઓળખાવે પણ મુસ્લિમ ભારતીય તરીકે ઓળખાવશે. પાકિસ્તાની મુસલમાન તરીકે નહીં ઓળખાવે પણ મુસ્લિમ પાકિસ્તાની તરીકે ઓળખાવશે. તેઓ એમ કહેવા માગે છે કે તેઓ પહેલા મુસલમાન છે અને જે તે દેશના વતની છે. ક્યાંનો વતની છે એ એક અકસ્માત છે, મુસલમાન છે એ તેનું સૌભાગ્ય છે. અલ્લાહની તેના પર વિશેષ મહેરબાની છે. ‘સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીત લખનારા એક સમયના ભારતીય રાષ્ટ્રવાદી કવિ ઇકબાલ મુસ્લિમ કોમવાદી બન્યા એ પછી તેમણે ૩૦મી ઓક્ટોબર ૧૯૩૦ના રોજ અલ્હાબાદમાં ભાષણ આપતા હિંદુઓને ઉદ્દેશીમેં કહ્યું હતું કે મુસલમાન સંગઠિત પ્રજા છે, કારણ કે તે મુસલમાન છે. જો એમ હોય તો પાકિસ્તાન બન્યા પછી ગણતરીનાં વરસોમાં પાકીસ્તાનનું વિભાજન કેમ થયું? અસંગઠિત હિંદુઓની બહુમતીવાળું ભારત અખંડ રહે અને સંગઠિત મુસલમાનોના પાકિસ્તાનના માત્ર પચીસ વરસમાં ટુકડા થાય? કોણ વધારે સંગઠિત? અને આજે પણ ક્યાં બાકીના પાકિસ્તાનની એકતા આકાર પામી છે. મુસલમાનો સંગઠિત છે એમ માનનારા હિંદુઓને અને એવો દાવો કરનારા મુસલમાનોને પૂછવું જોઈએ કે વિભાજન પહેલાના અખંડ ભારતના સંગઠિત મુસલમાનો વિભાજન વખતે ભારતમાં પાછળ રહેલા મુસલમાનોને હિંદુઓને ભરોસે મૂકીને કેમ પાકિસ્તાન જતા રહ્યા? ક્યાં ગઈ હતી એકતા? મુસ્લિમ એકતાનો દાવો કરનારાઓને પૂછવું જોઈએ કે કરબલાના યુદ્ધમાં ખુદ પેગંબરના વંશજોની હત્યા કરનારા કોણ હતા? ગેર મુસલમાન હતા કે મુસલમાન? કેટલાક મુસ્લિમ દેશોમાં જે ઘમાસાણ ચાલી રહ્યું છે એ કોની વચ્ચે ચાલી રહ્યું છે? મુસલમાનો એકબીજાનાં ગળાં કાપી રહ્યા છે.
હકીકતમાં મુસ્લિમ પ્રજા એટલી જ વિભાજીત છે જેટલી અન્ય ધર્મીય પ્રજા છે અને એમાં ભારતીય મુસલમાનો તો એટલા જ અસંગઠિત છે જેટલા ભારતીય હિંદુઓ છે. તેમની અંદર જ્ઞાતિપ્રથા પણ છે અને આપસમાં લગ્ન-વ્યવહાર વર્જ્ય છે.
શું બૌદ્ધો સંગઠિત છે? અહિંસામાં માનતા હોવા છતાં તેમનો ઇતિહાસ તપાસશો તો એમાંથી પણ એ જ હાથ લાગશે જે અન્ય ધર્મીય પ્રજાની બાબતમાં જોવા મળે છે. મારી આપને ભલામણ છે કે તમે જગતની દરેક પ્રજાસમૂહના ઇતિહાસને જોઈ જાઓ અને શોધી કાઢો કે જગતની કઈ પ્રજા સંગઠિત છે. ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન દોરજો.
અને હા, હજુ એક વાત. ધર્મ, ભાષા અને વંશ એ ત્રણ પરિબળો એવાં પ્રબળ છે જે ઓળખ આધારિત પ્રજાસમૂહો રચે છે. આ ત્રણમાં ધર્મ સૌથી વધુ તકલાદી પરિબળ છે, કારણ કે એમાં કોઈ ધારે ત્યારે ફણગા ફોડી શકે છે. ધર્મગ્રંથોનું અલગ અર્થઘટન, અલગ પૂજા-અર્ચના શૈલી, અલગ મઠ, અલગ વેશપરિધાન એટલું વિકસાવો એટલે જે તે ધર્મના છોડમાં નવો ફણગો ફૂટી શકે. આવું વંશ અને ભાષાની બાબતમાં બનતું નથી. વંશ સ્થાપી શકાતો નથી જે રીતે ધર્મ કે સંપ્રદાય સ્થાપી શકાય છે. એવું જ ભાષાની બાબતમાં. કોઈ મસીહા નવી ભાષા રચી શકતો નથી, ભાષાનો નોખો ચોકો સ્થાપી શકાતો નથી અને કોઈને પોતાની ભાષા બોલતો કે ભાષામાં પ્રવેશતો રોકી શકાતો નથી. બીજી બાજુ ધર્મ એક એવી સંસ્થા છે જેમાં નોખા ચોકા કરી શકાય છે અને કરવામાં આવી રહ્યા છે. જે સંસ્થા પોતે જ તકલાદી હોય અને જેમાં લોકો ધારે ત્યારે છીંડાં પડતા હોય એને આધારે કોઈ પ્રજા સંગઠિત થઈ અને રહી શકે ખરી? અને છીંડાં કોણ પાડે છે? અંદરના જ લોકો.
છેલ્લે, હમણાં કહ્યું એમ ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય એવું જો તમારા ધ્યાનમાં આવે તો મારું ધ્યાન દોરવાનું નહીં ભૂલતા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2021