બીજી ઓકટોબર નિમિત્તે મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મજયંતી અને તેમના એક જીવનચરિત્ર લેખક તરીકે હું કંઈક તો લખું જ, પણ મારે એ જ તારીખે જન્મેલા બીજા એક નોંધપાત્ર ભારતીય – લાલબહાદુર શાસ્ત્રી વિશે લખવું છે. કારણ અલગ છે. ગાંધીજીનો વારસો સમયાતીત છે અને વૈશ્વિક છે, પણ લાલબહાદુર શાસ્ત્રીનો વારસો ખાસ કરીને ૨૦૨૦ના ભારત માટે પ્રસ્તુત છે. લાલબહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષ માટે ભારતના વડાપ્રધાન રહ્યા, પણ તેમણે કેટલીક કામગીરી એવી કરી, જેને આજના વડાપ્રધાને ધ્યાનમાં લેવી જોઇએ.
તા. ૨ ઓકટોબર, ૧૯૦૨ના રોજ જન્મેલા લાલબહાદુર શાસ્ત્રી નાની વયે જ સ્વતંત્રતા સંગ્રામમાં આવી ગયા અને ઘણાં વર્ષ જેલમાં પસાર કર્યાં. તે શાંત હિંમત અને પોલાદી પ્રામાણિકતા માટે જાણીતા હતા. શાસ્ત્રીજી નેહરુના પ્રધાનમંડળમાં રેલવેપ્રધાન હતા ત્યારે એક રેલવે અકસ્માત થયો હતો. તેમણે આ અકસ્માત બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને રેલવેપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું. આવું ત્યારે પણ ભાગ્યે જ બનતું અને આજે તો વિચારી પણ નહીં શકાય. પછી શાસ્ત્રીજીને ફરી કૅબિનેટમાં લેવામાં આવ્યા અને નેહરુ તેમના પર ઉત્તરોત્તર વધુ ભરોસો મૂકવા લાગ્યા – તેમને પોતાના વારસદાર તરીકે જોવાનું ચાલુ રાખ્યું.
જૂન ૧૯૬૪માં વડા પ્રધાનપદના શપથ લીધાના થોડા વખત પછી શાસ્ત્રીજીએ ‘માન્ચેસ્ટર ગાડિર્યન’ના નવી દિલ્હીના પત્રકારને એક મુલાકાત આપી હતી અને આ પત્રકારે આ મુલાકાતનું શીર્ષક આપ્યું હતું. ‘ચકલીનો ફૈડકો’. તેમાં લખ્યું હતું કે શાસ્ત્રી ટૂંકાં પણ ધારદાર વાકયો બોલતા હતા. તે કોઈ પણ શબ્દ વેડફતા ન હતા. ૧૯૬૪ના ઑક્ટોબરમાં જ કૈરોની એક ટૂંકી મુલાકાત બાદ પાછા ફરતાં શાસ્ત્રીજી કરાંચી રોકાયા હતા. પાકિસ્તાની પ્રમુખ ફિલ્ડમાર્શલ અય્યુબખાન કદાવર નેહરુની સરખામણીમાં વામનજી કહી શકાય તેવા શાસ્ત્રીજીને જોઇને મૂછમાં હસ્યા અને કહ્યું : આ નેહરુના અનુગામી? નેહરુના નિધન સમયે ભારત-પાકિસ્તાન કાશ્મીરનો વિવાદ ઉકેલવાના ઉંબરે હતા, પણ નેહરુના નિધન પછી ઐય્યુબખાન આડા ફાટયા હતા અને કાશ્મીર બળજબરીથી પડાવવાની કોશિશ કરી. ૧૯૬૫ના ઑગસ્ટમાં પાકિસ્તાને કાશ્મીરની ખીણમાં ઘુસણખોરોને મોકલ્યા અને સપ્ટેમ્બરમાં પાકિસ્તાન સૈન્યે છામ્બ સૅક્ટરમાં હુમલો કર્યો, પણ બન્યું એવું કે ઐય્યુબખાન આ વામનજીના વિરાટ સ્વરૂપને પારખવામાં નિષ્ફળ નીવડયા હતા. શાસ્ત્રીજીએ તરત જ પંજાબમાં નવો મોરચો ખોલ્યો. ભારતીય સૈન્યે લાહોર કૂચ કરી. ત્રણ સપ્તાહ ભીષણ યુદ્ધ ચાલ્યું અને પછી સંયુકત રાષ્ટ્રસંઘની મધ્યસ્થીથી તા. ૨૨મી સપ્ટેમ્બરે યુદ્ધવિરામ થયો.
પાકિસ્તાન તરફથી જેહાદની ભૂમિકાએ હિંદુ કાફિરો સામે યુદ્ધ લડાતું હતું. ભારત તરફથી બીજી જ ભૂમિકાએ યુદ્ધ લડાતું. ભારતમાં પરમ વીરચક્રવિજેતા બહાદુર સૈનિક હતા ઉત્તર પ્રદેશના અબ્દુલ હમીદ. ભારતીય સૈનિકોએ રાજસ્થાનમાંથી કબજે કરેલી કમ સે કમ બે પાકિસ્તાની ટેંકનાં નામ હતાઃ ઐય્યુબ ખાન.
પાકિસ્તાન પોતાને મુસ્લિમ ગણાવતું હતું, જયારે શાસ્ત્રીજીની આગેવાની હેઠળ ભારત પોતાને હિંદુ નહોતું ગણાવતું. રામલીલા મેદાનની જાહેર સભામાં શાસ્ત્રીજીએ હિંદીમાં કહ્યું હતું કે આ સભાના પ્રમુખપદે એક મુસ્લિમ છે. હમણાં જ તમને સંબોધન કરનાર એન્ટની ખ્રિસ્તી છે. અહીં શીખો પણ છે અને પારસીઓ પણ છે. અહીં સર્વ ધર્મના લોકો વસે છે. અહીં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ અને દેવળ છે, પણ આપણે આમાંથી કોઈને રાજકારણમાં લાવતા નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તફાવત છે. પાકિસ્તાન પોતાને ઇસ્લામી રાજય જાહેર કરે છે અને ધર્મનો રાજકીય પરિબળ તરીકે ઉપયોગ કરે છે, જ્યારે ભારતમાં કોઇને પણ પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો અને તે રીતે પૂજા કરવાનો અધિકાર છે. રાજકારણને સંબંધ છે ત્યાં સુધી આપણે સૌ ભારતીય છીએ.
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદની બીજી મુદ્દતમાં બહુમતીવાદ પર જોર આપીને પોતાની પ્રતિષ્ઠા અને દેશને પોતાને દાવ પર લગાવ્યાં છે. શાસ્ત્રીજી મોદી કરતાં એ રીતે જુદા પડતા કે તે પોતાના કેબિનેટ પ્રધાનોને સત્તા આપતા. તેમનું ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર જાણીતું હતું અને તેમણે પોતાના આ સૂત્રને ચરિતાર્થ કરવા ખેતીવાડી અને સંરક્ષણ મજબૂત પ્રધાનોને સોંપ્યાં હતાં. વાય.બી. ચવાણે સંરક્ષણપ્રધાન તરીકે સશસ્ત્ર દળોનું લાંબા સમયથી બાકી રહેલું આધુનિકીકરણ કર્યું હતું અને સી. સુબ્રમણ્યમે શાસ્ત્રીજીના કૃષિપ્રધાન તરીકે હરિયાળી ક્રાંતિનાં મંડાણ કર્યાં હતાં. આ ઉપરાંત એમ.સી. આગલા (શિક્ષણ), એસ.કે. ડે (સમુદ્રવિકાસ) સુશીલા નાયર (આરોગ્ય) જેવા ધુરંધર પ્રધાનોને પસંદ કર્યાં હતાં.
લાલબહાદુર મોદી કરતાં વધુ એક રીતે જુદા પડતા હતા. પોતે કોઈ ભૂલ કરી હોય તો તે સ્વીકારતા, ૧૯૬૫ની ૨૬મી જાન્યુઆરીએ તેમણે દક્ષિણનાં રાજયોની અને દક્ષિણના નેતાઓની ચેતવણી અવગણીને સરકારી ઉપયોગમાંથી દૂર કરી હિંદીને ‘સત્તાવાર’ ભાષા બનાવી હતી. ખાસ કરીને તામિલનાડુમાં એટલાં પ્રચંડ તોફાન ફાટી નીકળ્યાં કે વડાપ્રધાને સ્વીકાર્યું કે હિંદીને લાદવાનું મારું કૃત્ય એક ભૂલ હતી. ‘આકાશવાણી’ પર તા. ૧૧ મી ફેબ્રુઆરી ૧૯૬૫ના રોજ તેમણે અંગ્રેજીમાં પ્રવચન કર્યું હતું અને ચાર બાંહેધરી આપી હતી.
(૧) દરેક રાજ્યને પોતાની પ્રાદેશિક ભાષા કે અંગ્રેજીમાં કામ કરવાની સ્વતંત્રતા રહેશે.
(૨) રાજ્યો તરફથી પરસ્પર સંદેશાવ્યવહાર અંગ્રેજીમાં હશે કે અધિકૃત અંગ્રેજી ભાષાંતરમાં હશે.
(૩) બિનહિંદી રાજ્યો કેન્દ્ર સાથે અંગ્રેજી સંદેશવ્યવહાર કરશે અને બિનહિંદી રાજયોની રજા વગર કોઈ ફેરફાર નહીં થાય.
(૪) કેન્દ્ર સ્તરે કામકાજમાં અંગ્રેજી વાપરવાનું ચાલુ રહેશે.
નરેન્દ્ર મોદીએ શાસ્ત્રીજીની ભૂલો કરતાં ભયંકર ભૂલો કરી હતી. તેમાંથી નોટબંધી અને આડેધડ લૉક ડાઉને દેશના અર્થતંત્રને ખાડે નાંખી સામાજિક તાણાવાણાને વેરવિખેર કરી નાખ્યા. છતાં તેની નાનકડી દિલસોજી પણ બતાવી નથી.
નરેન્દ્ર મોદીની બીજી મુદ્દત પૂરી થવાને હજી સાડા ત્રણ વર્ષ બાકી છે. તેમણે શાસ્ત્રીજી જેવા પોતાના એક મહાન પુરોગામી પાસેથી ઘણું શીખવાનું છે. તેમણે શાસ્ત્રીની બિનસાંપ્રદાયિકતા, કેબિનેટના પ્રધાનોમાં સશક્તિતકરણ અને ખાસ તો પોતાની ભૂલ સ્વીકારવાની અને સુધારવાની તૈયારી શીખવાનાં છે. નરેન્દ્ર મોદી આવું શીખવા સક્ષમ છે કે નહીં તે બીજી બાબત છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 10-11