હવે તરતમાં ગાંધી જયંતી આવશે. સાર્ધ શતાબ્દી નિમિત્તે કંઈક શોરઉજવણાં, કંઈક સહવિચાર-દોર તો ક્રિયોપચાર વગેરે વિરમ્યાં કે આછર્યાં પછી બાકી સિલક શું રહે છે એ એક સહજ જાગતો સવાલ છે અને રહેશે. ગાંધીનાં ચશ્માં ને ઝાડુ તો કે’દીનાં સત્તા-પ્રતિષ્ઠાને હસ્તગત કીધાં છે. તેમ છતાં, સ્વચ્છતા ઝંખતી પારદર્શક દૃષ્ટિની રીતે જે ગાંધીની વિરાસત છે તે છે.
દેખીતી રીતે જ સામ્પ્રત કોરોનારણ્યે પહેલો પ્રતિભાવ કદાચ એવો હોઈ શકે કે સરવાળે સવાલ તો જીવનશૈલીનો છે. જે જીવનશૈલી ભણી આપણે આંધળીદોટ ને આકરી હરીફાઈ(રેટ રેસ)માં ગાંડાતુર પેશ આવીએ છીએ – રનિંગ એમક, એ પુનર્વિચાર માગે છે. હજુ ઔદ્યોગિકીકરણ આજની હદે નહોતું ત્યારે, ખાસાં એકસો દસથી પણ વધુ વરસ પર, ‘હિંદ સ્વરાજ’માં ગાંધીએ આ સ્તો ઊહાપોહ કરેલો. જો કે લાંબા સમય લગી ઘણાં વર્તુળોમાં આ કિતાબ સાહિત્યેર ઉપેક્ષિતા શી રહી છે. બલકે, માદામ સોફિયા વાડિયાએ ‘આર્યન પાથ’નો વિશેષાંક ‘હિંદ સ્વરાજ’ વિશે કાઢવાનું નક્કી કર્યું ત્યારે ખુદ ગાંધીએ સંદેશમાં કહ્યું હતું કે વાચક યાદ રાખે કે એક મિત્રે આને ‘મૂર્ખ માણસની કૃતિ’ કહી છે. અને આ મિત્ર, ગાંધીજીના ગુરુઓ પૈકી ગોખલે હતા.
ગમે તેમ પણ, જીવનશૈલી બાબતે જે બુનિયાદી વિચારભૂમિકા ‘હિંદ સ્વરાજ’ના લેખકે સૈકાથીયે પહેલાં લીધી હતી તે ભૂમિકા આજે ઔદ્યોગિકોત્તર (પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ) સમયમાં તો ઊલટાની વધુ વિચારણીય અને આચરણીય લાગે છે. લૉકડાઉનનાં અઠવાડિયાઓમાં કંઈક પ્રદૂષણ ઘટ્યું ન ઘટ્યું અને સુદૂર જલંધરથી હિમાલયનાં દર્શન થવાં લાગ્યાં ત્યારે કેવી હરખની હેડકી ઉપડી’તી યાદ છે ને. પણ એ તો એક આભાસી આનંદ હતો, અને જીવનશૈલીનો પડકાર તો એથી દૂર, એથી ઊંડે જતો એકદમ જ મૂળગામી છે.
મારી દૃષ્ટિએ જો કે મુશ્કેલી જરી જુદી છે. મૂળગામિતાની જિકર કરતી વખતે આપણે ખોટા નથી. પણ ગાંધીને સારુ મૂળગામિતા એ પ્રત્યક્ષ સામે આવી ઊભેલ સીધા સવાલનો તત્ક્ષણ વિકલ્પ નહોતો. સામ્પ્રત જોડે કામ પાડવાનું લગારે ચૂક્યા વગર એ ચાલતા. અલબત્ત, એ પ્રકારની મથામણ અગર જદ્દોજહદ વહોરતી વખતે એ દૂર જોવાનું ચૂકતા નહીં; પણ એમનું દૂર જોવું તે સામ્પ્રત પડકારમાંથી પલાયન થવાની પેરવી નહોતી. દૂરિતને દૂરની આશાએ અણદીઠું કરવું ને વણપડકાર્યા રહેવું એ ગાંધીની પદ્ધતિ નહોતી. એક ડગલું બસ થાય, એ ક્રિયારૂપ ગાંધીની સૂઝતાં સૂઝે એવી રણનીતિ હતી.
વિશ્વસ્તરે બીજી ઑક્ટોબર અહિંસા દિવસરૂપે મનાવાય છે ત્યારે આ સંદર્ભમાં એ સંભારવું રસપ્રદ ને વિચારપ્રદ થઈ પડશે કે આ અહિંસામૂર્તિને નોબેલ શાંતિ પારિતોષિક મળ્યું નહોતું! ભાઈ, એનો ખુલાસો સીધોસાદો એ છે કે એ અન્યાયનો પ્રતિકાર ટાળીને શાંતિ ખાતર શાંતિના હિમાયતી નહોતા. સામ્પ્રતમાં પ્રત્યક્ષ દૂરિતને વણદેખ્યું વણપડકાર્યું જવા દેવું, અન્યાયને આધીન થવું એવી કોરીધાકોડ ને અર્થશૂન્ય શાંતિ એ આ અહિંસામૂર્તિને પસંદ નહોતી. એટલે સહજરૂપે શાંતિ પુરસ્કાર માટે ઉભરવું જોઈતું એમનું નામ યુરોપીય સંસ્થાનવાદની ભીંતે અફળાઈને પાછું પડતું રહ્યું. શાંતિ અને ન્યાય વચ્ચે અવિનાભાવ સંબંધ જોતી અહિંસાદૃષ્ટિ આ માણસની હતી, પણ સંસ્થાનવાદી સત્તાઓને એમની ભૂમિકા ક્યાંથી રાસ આવે? અલબત્ત, ૧૯૪૮નું શાંતિ માટેનું નોબલ પારિતોષિક કોઈને ય અપાયું નહીં (કેમ કે ૩૦મી જાન્યુઆરીની ઇતિહાસઘટનાએ જેની પાત્રતા અંકે કરી હતી તે વ્યક્તિને મરણોત્તર માન આપવું શક્ય નહોતું).
ગાંધી પરત્વે લાંબો સમય ટીકાભાવ સેવતા ડાબેરીઓને ગાંધીના બલિદાને છેક નહીં તો પણ કંઈક પુનર્વિચાર કરવા પ્રેર્યા હતા, એ ઇતિહાસવસ્તુ છે. જો કે ખાસું નોંધપાત્ર નિરીક્ષણ બીયૉન્ડ માર્ક્સિઝમની રીતે નવમાનવવાદ વિકસાવી ચૂકેલ ક્રાંતિપંડિત માનવેન્દ્રનાથ રાય (એમ.એન. રોય) તરફથી દર્જ થયેલું છે. બલિદાન પરત્વે આદરાંજલિના હૃદયભાવ સાથે એમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદના ઉદ્ગાતાનો ભોગ છેવટે રાષ્ટ્રવાદે જ લીધો! ગાંધીએ દેશની આમ જનતાને પૂર્વે નહીં તે હદે ઉદ્યુક્ત કરી ત્યારે તેમાં રહેલી હિંસક શક્યતા વિશે ગુરુદેવે મહાત્માને જાહેરમાં આલોચનાવચનો કહેતાં સંકોચ કર્યો નહોતો, અને એમણે જેમાં ‘ધર્મ’ જોયો તે વિશે ઘટતી નુકતેચીની અને સફાઈને ધોરણે મહાત્માએ એમને ‘ગ્રેટ સેન્ટિનલ’ (મહાન સંત્રી) કહ્યા હતા. એ આખી ચર્ચા રાષ્ટ્રવાદની રવીન્દ્ર-ગાંધી ભૂમિકાને યુરોપીય અભિગમથી અલગ તારવવાની દૃષ્ટિએ મૂળગામી મહત્ત્વની બની રહે છે. અમદાવાદમાં આશ્રમની સ્થાપના વેળાએ વિશ્વહિતને અવિરોધી એવા દેશહિતની જે ભૂમિકા ગાંધીએ લીધી હતી એમાં પણ એ સંકેત વાંચી શકાશે. યુરોપીય રાષ્ટ્રવાદમાં રમી દેશમાં એક પ્રકારે સાંસ્થાનિક માનસિકતાવશ ખીલી રહેલા સંકીર્ણ ને પ્રતિગામી રાષ્ટ્રવાદથી ઉફરાટે ગાંધીવલણને એક સળંગ પ્રક્રિયારૂપે જોતાં, બને કે, રૉયને પોતાની ટિપ્પણીમાં કંઈક સુધાર કરવાપણું પણ લાગી શકે.
એમની અહિંસાદૃષ્ટિ કહો, પ્રેમની ભૂમિકા કહો, એણે ગાંધી પાસે એક સત્યાગ્રહી અભિગમ વિકસાવ્યો. દૂરિતનો શાંતિમય પ્રતિકાર કરતે કરતે, ખુદ કષ્ટસહનને રસ્તે, ન્યાય વાસ્તે મથવું એ એમનો વિશેષ હતો. એમનાં ચશ્માં અને એમનું ઝાડુ તો સત્તા-પ્રતિષ્ઠાને માનો કે ઓળવી લીધાં, પણ એમની કને તો એક આખું પેકેજ હતું જેમાં સત્યાગ્રહી પ્રતિકાર એ કદાચ સૌથી મોટી વાત હતી – અને એ પ્રતિકારની જ એક છટા જેને અસંમતિનો અવાજ કહેવામાં આવે છે તે હતી.
વિશ્વસ્તરે અહિંસા દિવસનું ગૌરવ લેવું અને ઘરઆંગણે અસંમતિના અવાજને રૂધવો તેમ જ દમવો, શું કહીશું એને. અસંમતિના અવાજ સહ શાંતિમય પ્રતિકારની રીતે જેઓ કાર્યરત છે એ સૌ પોતપોતાની ગજાસંપત પ્રમાણે નાના નાના પણ ગાંધી છે. તેઓ પ્રસંગે વિરોધ કે પ્રતિકારની જે ભૂમિકા લેતા માલૂમ પડે છે એ વાસ્તવમાં સમાજમાં જે લૂણ પડેલું છે એનું પ્રગટીકરણ નથી તો કશું નથી.
મુદ્દે, ગાંધીનાં ચશ્મે જોવા સારુ જે સાફ નજર જોઈએ અને ગાંધીનું ઝાડુ સાહવા માટે જે મજબૂત પકડ જોઈએ તેનું હાલના સત્તા-પ્રતિષ્ઠાનમાં એ હદે ટાંચુ પડેલું છે કે તે કેવળ અને કેવળ સત્તાશાહી, સામ્રાજ્યશાહી, સંસ્થાનશાહી માનસ સિવાય કામ લઈ શકતી નથી.
હમણેના દિવસોમાં જે દાખલા બહાર આવી રહ્યા છે તેની લગરીક વાત કરીએ તો મુદ્દો તરત સાફ થઈ જશે. શાહીનબાગના નમૂનેદાર શાંતિમય પ્રતિકાર નિદર્શન પછી રાજધાનીના એક હિસ્સામાં હિંસાનો જે દોર ચાલ્યો એને અંગે મોડે મોડે એફ.આઈ.આર. દર્જ કરી જે પકડાપકડી થઈ તેમાં મહદ્ ધોરણે વરતાતી રૂખ જેઓ ભોગ બન્યા છે એમને જ કનડવાની છે. પોલીસ ચાર્જશીટમાં યોગેન્દ્ર યાદવ, હર્ષ મંદર, રાહુલ રોય, સબા દીવાન વગેરે વાતચીત, સમાધાન, શાંતિ-પ્રયાસમાં રોકાયેલાઓને ગુનેગાર ઠરાવવાની કોશિશ જણાય છે. જેમણે શાંતિના પ્રયાસ કીધા એ પકડવા લાયક મનાયા! સામ્રાજ્યશાહી સંસ્થાનવાદ અન્યાય પ્રતિકારક ગાંધીનું શાંતિ સૈનિક શું સ્વરૂપ સમજવામાં ગોથું ખાતો અગર જોયું ન જોયું કરતો હતો, કંઈક એવું જ આ કિસ્સામાં બની રહ્યું છે. તાજેતરનાં વરસોમાં ભીમા કોરેગાંવ ઘટના પણ બીજું શું છે? એને બહાને દેશભરમાંથી એવાઓને ખોળી ખોળીને પકડવામાં આવ્યા છે જેઓ મોટે ભાગે અહીં કે તહીં અન્યાયપીડિતોને ન્યાય અપાવવાની શાંતિમય ચળવળમાં પડેલા છે. બીજી બાજુ, મિલિન્દ એકબોટે અને સંભાજી ભીડે (હિન્દુત્વવાદી નેતાઓ) સામે ઉશ્કેરણીના આરોપો અને પુરાવાના સગડ છતાં પોલીસ કારવાઈનો કોઈ સંચાર નથી.
જેઓ નવી ને ન્યાયી દુનિયા ઝંખે છે અને શોષણયુક્ત સમાજવ્યવસ્થાના સિપાહી છે તેઓ પોતપોતાની મર્યાદામાં ગાંધીનું કામ કરી રહ્યાં છે. એમની કનડગત કરનારું સત્તા-પ્રતિષ્ઠાન ગાંધીની સાર્ધ શતાબ્દીનાં શોરઉજવણાં પછી અને છતાં કાલચક્રની કસોટીએ ગુનેગાર ઠર્યા વિના રહેવાનું નથી.
કાશ, ગાંધીનું એકસો એકાવનમું આ પાયાની સમજ સાથે સંકેલાઈ શકતે!
સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 01-02