દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA)ના વિરોધમાં જોરદાર આંદોલન ચાલ્યું. સરકારની ધીરજ પણ ખૂટવા લાગી હતી. અચાનક કપિલ મિશ્રા નામે ભાજપી નેતા દેખાવોના સ્થળે પ્રગટ થયા, તેમણે ધમકી આપી કે ‘આ વિરોધ પ્રદર્શનો બધું બંધ કરો, નહીં તો …’ તેમણે આવું કહ્યાના થોડા કલાકોમાં હિંસા ફાટી નીકળી. પરિસ્થિતિ શાંત પડી ત્યાં સુધીમાં 53 નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા હતા. ત્યાર પછી દિલ્હી પોલીસે સાતસોથી પણ વધુ કેસ કર્યા. તેમાં આડેધડ ધરપકડો થઈ. કેસોમાં આરોપી તરીકે અજાણ્યા વિદ્યાર્થી કાર્યકર્તાઓથી માંડીને યોગેન્દ્ર યાદવ – હર્ષ મંદર જેવાઓનો નંબર લાગી ગયો. પણ સ્વનામધન્ય કપિલ મિશ્રાનું ક્યાં ય નામોનિશાન નથી. દિલ્હીનાં રમખાણો અંગે પોલીસે ફાઇલ કરેલા આરોપનામા(ચાર્જશીટ)માં પણ કપિલ મિશ્રાની ભૂમિકા વિશે ચુપકીદી સેવવામાં આવી છે. તેના અહેવાલો મોડેથી ‘ધ કેરેવાન’ માસિક અને ‘ન્યૂઝલૉન્ડ્રી’ વેબસાઇટ જેવાં થોડાં માધ્યમોમાં આવ્યા છે.
‘દેશકે ગદ્દારોંકો …’ સૂત્ર બોલાવનારા અને ઑડિયન્સમાંથી ‘ગોલી મારો સાલોંકો’નો પડઘો મેળવનારા કપિલ મિશ્રા સામે ઓછામાં ઓછો, ઉશ્કેરણી ફેલાવવાનો ગુનો દાખલ થઈ શકે એવી ઘણી હકીકતો મોજુદ હતી અને છે. પરંતુ અદાલતે સુનાવણી હાથ ધરી ત્યારે સોલિસિટર જનરલે એવી દલીલ કરી હતી કે નેતાઓ સામે એફ.આઇ.આર. દાખલ કરવાનો આ યોગ્ય સમય નથી. નવાઈની વાત તો એ છે કે અદાલતે પણ આવી દલીલ સ્વીકારી લીધી. કપિલ મિશ્રા સામે એફ.આઇ.આર. સુધ્ધાં દાખલ નહીં કરનાર પોલીસે તેમની સામેની કેવી કેવી ફરિયાદોને નજરઅંદાજ કરી છે, તેની આઘાતજનક હકીકતો પત્રકારોની તપાસમાંથી મળી આવી છે. અહીં યાદ કરી લેવું જોઈએ કે દિલ્હીમાં પોલીસ રાજ્ય સરકારના નહીં, પણ કેન્દ્ર સરકારના તાબામાં હોય છે અને તે ગૃહ મંત્રી અમિત શાહની દેખરેખ હેઠળ છે. કપિલ મિશ્રા વિશે પોલીસ પાસે કેવી ફરિયાદો આવી હતી અથવા વધુ સાચું કહીએ તો, અમિત શાહની દેખરેખ હેઠળની દિલ્હી પોલીસ કપિલ મિશ્રા સામેની કેવી કેવી ફરિયાદો બેઠક તળે દબાવીને બેઠી છે, તેનાં કેટલાંક ઉદાહરણઃ
– ઉત્તર-પૂર્વી દિલ્હીના જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે કપિલ મિશ્રાએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. તેના થોડા કલાકોમાં બે કિલોમીટર દૂર હિંસાની શરૂઆત થઈ. મિશ્રાએ તેમના ભાષણમાં મુસલમાનો અને દલિતોને મારવા માટે ભીડને ઉશ્કેરી હતી.
– બીજે દિવસે સવારે કપિલ મિશ્રાના ઇશારે જ ચાંદબાગમાં પોલિસે પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો. ફરિયાદીનો દાવો છે કે પોલીસહુમલા પહેલાં કમિશનરે કપિલ મિશ્રાને એવી ખાતરી હતી (જે ફરિયાદીએ સાંભળી હતી) કે આ લોકોને એવા મારીશું કે તે કાયમ યાદ રાખશે.
– ૨૩મી ફેબ્રુઆરીના કપિલ મિશ્રાના ભાષણના બીજા દિવસે મોહમ્મદ જામી રીઝવીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ છે કે કપિલ મિશ્રાએ ટોળાં વચ્ચે ઉશ્કેરણીજનક શૈલીમાં ભાષણ કરતાં કહ્યું હતું, “આજ સુધી આપણાં ઘરનાં સંડાસ સાફ કરનારા હવે મંચ પર ચઢીને ભાષણ કરશે?” “મુસલમાનોને તો બરાબર પાઠ ભણાવવાની જરૂર છે, જેથી તે કાયમ માટે વિરોધ પ્રદર્શન કરવાનું જ ભૂલી જાય.” ભાષણ વખતે ઉત્તર-પૂર્વી દિલ્હીના નાયબ પોલીસ કમિશનર વેદપ્રકાશ સૂર્યા સ્થળ પર હાજર હતા. પોલીસની હાજરીમાં મિશ્રાએ ધમકી આપી કે “ત્રણ દિવસમાં ધરણાં પૂરા નહીં કરો તો મામલો અમારે હાથમાં લેવો પડશે.” ટોળાંમાં લોકો પાસે બંદૂક, તલવાર, ત્રિશૂળ, પથ્થર, લાકડી, કાચની બોટલ, વગેરે હથિયાર હતાં. લેખિત ફરિયાદ અનુસાર આ પછી ટોળાંએ પ્રદર્શનકારીઓ તરફ પથ્થરમારો શરૂ કર્યો તથા રસ્તા પરના વાહનોમાંથી મુસલમાન અને દલિતોનાં વાહનો ઓળખીને તેમાં તોડફોડ કરી. મિશ્રા પોતે બંદૂક હવામાં રાખીને ટોળાંને ઉશ્કેરી રહ્યા હતા.
કપિલ મિશ્રા આ મામલે ચર્ચિત બનેલું નામ છે. પણ આવું કરનારા તે એકલા નથી. ફરિયાદોમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર અને નિવૃત્તિ પછી ઉત્તર પ્રદેશના બાગપતના સાંસદ સત્યપાલ સિંહ, ઉત્તર પ્રદેશના લોણીના ધારાસભ્ય નંદકિશોર ગુજ્જર, દિલ્હીના કરાવલનગરના ધારાસભ્ય મોહનસિંહ બિશ્ત અને દિલ્હીના મુસ્તફાબાદના માજી ધારાસભ્ય જગદીશ પ્રધાન જેવા નેતાઓ સામે ગંભીર ફરિયાદો થયેલી છે. આ તમામ નેતાઓ ભા.જ.પ.ના છે. ઓછામાં ઓછી ચાર અલગ અલગ વ્યક્તિઓએ સ્વતંત્ર રીતે ફરિયાદ નોંધાવેલી છે અને તમામમાં કપિલ મિશ્રાની ભૂમિકા વિશે એકબીજાને બંધબેસતા અહેવાલ છે. બે ફરિયાદોમાં પોલીસ પર જ અહિંસક પ્રદર્શકો પર મિશ્રાના આદેશથી લાઠીચાર્જ કરવાનો આરોપ છે. એક ફરિયાદમાં લખ્યું છે કે પોલિસે જ સ્ટેજ પરથી ગાંધી-આંબેડકર-ફૂલેના પોસ્ટર ફાડી નાખ્યા. ઓળખ છતી કરવા ન ઇચ્છતી એક મહિલાની ફરિયાદમાં એ.સી.પી. દિનેશ શર્મા વિશે નોંધાયું છે કે તેઓ સાંસદ સત્યપાલ સિંહ જે કહેતા હતા તે કરી બતાવવાની વાત કરતા હતા. આરોપ મુજબ, દિનેશ શર્મા હિંસક ટોળાંને કહી રહ્યા હતા કે ગભરાશો નહીં, પોલીસ તમારી સાથે છે.
આ લોકો સામેની ફરિયાદો પોલીસ સ્ટેશન ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહ મંત્રાલય અને દિલ્હીના ઉપરાજ્યપાલને પણ મોકલવામાં આવી હતી. છતાં, તે અંગે કશાં પગલાં ભરાયાં નથી. દિલ્હી પોલીસે અદાલતમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ‘કટ્ટર હિંદુ એકતા’ નામના એક હિંસક વોટ્સએપ ગ્રુપની વાત મૂકી છે. સવાસો સભ્યો ધરાવતું એ ગ્રુપ ૨૫ ફેબ્રુઆરીની બપોરે બન્યું હતું. તેમની વચ્ચે થયેલી વાતચીતો ઘણા હિંસક બનાવોની સાહેદી પૂરી પાડનારી છે. આ ગ્રુપની ચર્ચામાં પણ કપિલ મિશ્રાનો ઉલ્લેખ મહત્ત્વપૂર્ણ રીતે થતો રહ્યો છે.
સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા મુજબ કોઈ વ્યક્તિ પર ફોજદારી કાયદો તોડવાનો દેખીતો આરોપ બનતો હોય, તો સચ્ચાઈની ચકાસણી વગર પહેલાં એફ.આઈ.આર. નોંધવાની હોય છે. મામલાની તપાસ તેને આધારે પછીથી થાય છે. પોલીસ પાસે નોંધાવવામાં આવેલી ઘણી ફરિયાદોમાં ભા.જ.પ.ના નેતાઓ પર લોકોને ઉશ્કેરવાથી માંડીને હત્યા જેવા ગંભીર આરોપો હતા. તેમ છતાં પોલિસે એફ.આઈ.આર. સુધ્ધાં નોંધી નહિ. ઘણાં બધાં ફરિયાદીઓએ ‘કેરેવાન’ અને ‘ન્યૂઝલૉન્ડ્રી’ના પત્રકારોને જણાવ્યું કે તેમનાં નિવેદનો લેવા પણ પોલીસ તૈયાર નહોતી. પોલિસે માંડ જે થોડી ફરિયાદો નોંધી, તે પણ પાછી ખેંચવાનું દબાણ હોવાના આરોપ ફરિયાદીઓએ કર્યા છે. તેમના કહેવા પ્રમાણે, પોલીસ તેમને ગમે ત્યારે ફોન કરીને ધમકાવે છે અથવા સીધી ઘરે આવી ચઢે છે.
અહેવાલ છપાયા પછી પોલિસે એક જાહેર જવાબ મારફતે ‘કેરેવાન’ની વિગતોને એકતરફી ગણાવી છે, જો કે તે આ આરોપો વિશે મૌન છે. એ જુદી વાત છે કે અમુક વાર શબ્દો કરતાં મૌન વધારે બોલકું હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 08-09