જૂનાગઢ પાકિસ્તાનથી ઘણું છેટે હતું, પાકિસ્તાન ધારે તો પણ જૂનાગઢના નવાબને લશ્કરી મદદ કરી શકે એમ નહોતું, વળતી ૯૮ ટકા વસ્તી હિંદુઓની હતી એટલે જ્યારે ભીંસ વધવા લાગી ત્યારે જૂનાગઢનો નવાબ પાકિસ્તાન નાસી ગયો. પરંતુ એ પહેલાં પાકિસ્તાનના ઈશારે ગુગલી ફેંકતો ગયો કે રાજવીની ઈચ્છા સર્વોપરી કે પછી પ્રજાની બહુમતી અને પાકિસ્તાન સાથેનું પાડોશીપણું?
ભારતે ક્યારે ય વિચાર્યું પણ નહોતું કે જમ્મુ અને કાશ્મીરનો રાજા તેના રાજ્યને પાકિસ્તાનમાં જોડાવા સામે પ્રતિકાર કરશે. આગળ કહ્યું એમ માર્ગદર્શિકા મુજબ સ્વાભાવિક ક્રમે કાશ્મીર પાકિસ્તાનને જવું જોઈતું હતું. રાજાનાં વલણને કારણે જમ્મુ અને કાશ્મીર મેળવવાની ભારતને તક સાંપડી હતી; પરંતુ એને માટે જમ્મુ અને કાશ્મીરનો રાજા વહેલાસર ભારતમાં જોડાઈ જાય, શેખ અબ્દુલ્લાને સત્તા સોંપી દે, લોકતંત્ર માટે દરવાજો ખોલી આપે એ જરૂરી હતું. એમ જો બને તો શેખ અબ્દુલ્લાને ભારતની તરફેણમાં રહેવા માટે સમજાવી શકાય. આ બાજુ શેખ અબ્દુલ્લાની પહેલી પસંદગી લોકતાંત્રિક સ્વતંત્ર કાશ્મીરની હતી. એ જો શક્ય ન બને તો બીજી પસંદગી સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં રહેવાની હતી. પાકિસ્તાનમાં જોડાવામાં તેમની ખાસ રુચિ નહોતી, કારણ કે શેખ સાહેબ મૂળભૂત રીતે સેક્યુલર ડેમોક્રેટિક હતા. આમ ભારતને અનાયાસ તક મળી હતી જો રાજા ભારતની તરફેણમાં ઝડપથી નિર્ણય લે તો.
પણ રાજા સમજ્યો નહીં તે સમજ્યો જ નહીં! એ માણસ પાકિસ્તાનની પડોશમાં, મુસ્લિમ બહુમતીવાળી રિયાસતમાં, નેપાળ જેવું હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગતો હતો અને એ પણ આધુનિક યુગમાં રાજાશાહી સાથે. આવું વિચારનાર અને આવું વિચારવા માટે પ્રેરનારાઓને શેખચલ્લી ન કહેવાય તો બીજું શું કહેવાય? સરદાર પટેલે અને કૉન્ગ્રેસના બીજા નેતાઓએ રાજાને ભારતમાં જોડાઈ જવા લાખ સમજાવ્યો પણ તે માન્યો જ નહીં.
૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રાજાએ પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કરી. મહમ્મદઅલી ઝીણાએ મહારાજાને ખાતરી આપી કે પાકિસ્તાન મહારાજાના નિર્ણય લેવાના અધિકારને માન્ય રાખે છે. તે ભારતમાં જોડાવા સહિત કોઈ પણ બાજુએ નિર્ણય લઈ શકે છે. તેમને ખાતરી હતી કે રાજા આઝાદીની તરફેણમાં નિર્ણય લેવા માગે છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજા સાથે કરાર કર્યો કે મહારાજા જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી પાકિસ્તાન જૈસે થે વાળી સ્થિતિ જાળવી રાખશે. કાશ્મીર જતા રસ્તાઓ બંધ કરવામાં નહીં આવે અને પુરવઠો ખોરવવામાં નહીં આવે.
પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કર્યા પછી મહારાજાનો દીવાન દિલ્હી આવ્યો હતો અને ભારત સરકાર સાથે પણ જૈસે થે સંધી કરવાની સરદાર પટેલ પાસે ઇચ્છા વ્યક્ત કરી હતી. સરદાર એટલા ગુસ્સામાં હતા કે તેમણે દીવાનને બેસવા માટે પણ નહોતું કહ્યું. સરદારે તાડૂકીને કહ્યું હતું કે, ‘તમે શું એમ માનો છો કે પાકિસ્તાન સંધીની શરતો પાળશે? પાકિસ્તાન વિશ્વાસઘાત કરે અને પછી બહુ વધારે મોડું થાય એ પહેલાં મહારાજાએ નિર્ણય લઈ લેવો જોઈએ. જાવ, જઈને મહારાજાને સમજાવો અને કહો કે ભારતને જૈસે થે સંધી કરવામાં કોઈ રસ નથી.’
થોડા જ દિવસમાં એ જ બન્યું જેની ચેતવણી સરદારે આપી હતી. પાકિસ્તાને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો રોકી દીધો. એ જમાનામાં જમ્મુ અને કાશ્મીર જવા માટેના રસ્તા પશ્ચિમ પંજાબમાંથી પસાર થતા હતા. ઉપર નોર્થન કાશ્મીર (ગિલગીટ અને બાલ્તિસ્તાન)માં સૈનિકોએ બળવો કર્યો. પાકિસ્તાને પઠાણોના વેશમાં લશ્કરને કાશ્મીરની પ્રજાને કાશ્મીર મુક્ત કરવા મોકલ્યું જે રીતે ભારતે મોટી સંખ્યામાં લોકોને આરઝી હકૂમત માટે જૂનાગઢ મોકલ્યા હતા. બધું જ સમાંતરે થઈ રહ્યું હતું. ફરક એ હતો કે આરઝી હકૂમતમાં સૈનિકો નહોતા, જ્યારે પઠાણોના આક્રમણમાં પઠાણો સાથે સૈનિકો પણ હતા.
હવે જમ્મુ અને કાશ્મીરનો રાજા ઘેરાઈ ગયો હતો. સરદારે કહ્યું હતું એમ ઘણું મોડું થઈ ગયું હતું. જો કાશ્મીર પર કૂચ કરનારાઓ રસ્તામાં લૂંટફાટ કરવામાં રોકાયા ન હોત તો શ્રીનગર પણ હાથમાંથી ગયું હોત. અંકુશ રેખા શ્રીનગરથી માત્ર ૧૨ કિલોમીટર દૂર છે. પઠાણો અને પાકિસ્તાની સૈનિકો શ્રીનગર પહોંચે એ પહેલાં રાજાએ ભારતમાં જોડાવાની તૈયારી બતાવી. એ પહેલાં રાજા પાકિસ્તાની સૈનિકોના હાથમાં ન આવે એ માટે તેને શ્રીનગરથી જમ્મુમાં ખસેડવામાં આવ્યો. ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહારાજાએ ભારતમાં જોડાવાના ખતપત્ર પર સહી કરી. તરત જ મહારાજાની ભારતમાં જોડાવાની વિનંતી માન્ય રાખવામાં આવી અને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં આવ્યું.
જમ્મુ અને કાશ્મીરનો ૬૦ ટકા હિસ્સો જો ભારત પાસે રહ્યો છે અથવા ૪૦ ટકા હિસ્સો ભારતે ગુમાવ્યો છે તો તેની પાછળનો આ ઇતિહાસ છે. જો મહારાજાએ નેપાળ જેવા રાજાશાહીવાળા, સ્વતંત્ર હિંદુરાષ્ટ્રનાં સપનાં ન જોયાં હોત, અને મહારાજાએ વહેલાસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. શેખ અબ્દુલા તો અનુકૂળ હતા અને પ્રજાનું દિલ જીતી શકાયું હોત. અકસ્માત હાથ લાગેલી લોટરી આખે આખી હાથમાં ન આવી અને ઉપરથી સાવ નિર્દોષ પ્રજાને સહન કરવાનું આવ્યું એ માટે રાજા અને તેમના સલાહકાર શેખચલ્લીઓ જવાબદાર છે.
મહારાજાએ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું તો ખરું, પરંતુ એ સંપૂર્ણ નહોતું. વિલીનીકરણની નિર્ધારિત કરેલી જોગવાઈ મુજબ ભારતમાં જોડાનાર રાજવીએ પહેલાં સંરક્ષણ, વિદેશ વ્યાપાર અને સંદેશ વ્યવહારની સત્તા ભારત સરકારને સોંપી દેવાની હતી. એ પછી વાસ્તવિક સત્તા પ્રજા પરિષદના લોકોના પસંદ કરેલા પ્રતિનિધિને આપવાની હતી અને રાજવીએ અત્યારના ગવર્નર તરીકે કામ કરવાનું હતું. જમ્મુ અને કાશ્મીરની બાબતમાં એક સમસ્યા હતી. રિયાસતમાં શાસકની ઇચ્છા સર્વોપરી નથી, પણ પ્રજાની છે એ બતાવવા માટે જૂનાગઢમાં લોકમત લેવામાં આવ્યો હતો. હવે જમ્મુ અને કાશ્મીરની બાબતમાં ભારત લોકમતને કઈ રીતે તેને અવગણી શકે? જૂનાગઢમાં એકલો લોકમત પર્યાપ્ત હતો, જયારે કશ્મીરમાં રાજાની ઇચ્છા સાથે લોકમત પણ લેવો જરૂરી હતો. પાકિસ્તાને આક્રમણ કરવાને કારણે અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો કબજે કર્યો હોવાને કારણે લોકમત ઘોંચમાં પડ્યો.
આ બાજુ ભારતનું બંધારણ ઘડાઈ ચૂક્યું હતું જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઊભો હતો. છેલ્લે બંધારણમાં આમેજ કરવામાં આવેલ આર્ટીકલ ૩૭૦ એના ઉકેલરૂપે હતો. જમ્મુ અને કાશ્મીર સંરક્ષણ, સંદેશ વ્યવહાર અને વિદેશ વ્યાપાર સિવાયની બધી સત્તા ભોગવે છે. સુજ્ઞ વાચકને એટલું તો સમજાઈ ગયું હશે કે આર્ટીકલ ૩૭૦ કાશ્મીરીઓને કરવામાં આવેલા લાડનું પરિણામ નથી, પણ જરૂરિયાતનું પરિણામ છે. એક રીતે આર્ટીકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડે છે. બંધારણ ઘડનારાઓ બેવકૂફ નહોતા.
કાશ્મીરની સમસ્યા મુખ્યત્વે મહારાજા અને તેના સલાહકારોએ પેદા કરી હતી અને કિંમત ત્યાંની પ્રજા ચૂકવે છે. આજે પણ ત્યાંની નિર્દોષ પ્રજાનો છૂટકારો નથી થયો.
બીજો મુદ્દો છે સભ્યતાનો અને લોકતંત્રનો. મનમાની કરીને જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરવું, કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય જાહેર કરવું, અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે એટલે રાજ્યના રાજ્યપાલને રાજ્યનો પ્રતિનિધિ ગણવો અને તેની ભલામણ મુજબ આર્ટીકલ ૩૭૦નો અંત લાવવો એ સભ્યતા છે? આ લોકતંત્ર છે કે તાનાશાહી? ત્રણ સંભાવના અને એક વાસ્તવિકતા નજરે પડી રહ્યા છે.
૧. કાશ્મીર ભારત માટે બંગલાદેશ બની શકે છે.
૨. કેન્દ્ર સરકારે જે રીતે સમવાય ઢાંચા (ફેડરલ ઇન્ડિયા) પર કુઠારાઘાત કર્યો છે એ જોતાં ઈશાન ભારતમાં, પંજાબમાં અને તામિલનાડુમાં સમસ્યા પેદા થઈ શકે છે.
૩. ચીન અશાંતિનો લાભ લઈ શકે છે. અને વાસ્તવિકતા એ કે ભારત લોકતંત્ર ગુમાવી રહ્યું છે.
જો તમારી અંદર માણસ બેઠો હોય તો આજે તમારા દિલમાં વગર ગુને યાતના ભોગવતા નિર્દોષ કાશ્મીરીઓ માટે ઊંડી સહાનુભૂતિ હોવી જોઈએ અને જો તમારી અંદર હિંદુ રાષ્ટ્રવાદી બેઠો હોય તો કાંઈ અપેક્ષા રાખવાપણું રહેતું જ નથી!
કોણ બેઠો છે?
07 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2019