કોઈ વિચાર, ધર્મવચન કે મસીહાનાં વચનો ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન તરીકે આપવામાં આવે અને અને તે સ્વાભાવિક ક્રમે ધીરે ધીરે વિકસે એમાં જમીન-આસમાનનો ફરક છે. પશ્ચિમથી ઊલટું ભારતીય દર્શન આ રીતે સ્વાભાવિક ક્રમે વિકસ્યું છે. પ્રારંભમાં આ જગતનાં સ્વરૂપોને ભય અને વિસ્મય સાથે જોવામાં આવ્યાં હતાં. એ પછી તેનાં રહસ્યોને પકડવાની જહેમત શરૂ થઈ હતી. એ જહેમત વ્યષ્ટિ, સમષ્ટિ, જીવ, શિવ, જગત અને મોક્ષ સુધી પહોંચી હતી. એમાંથી જીવનની સાર્થકતાના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જીવનની સાર્થકતાની શોધમાંથી વિવિધ માર્ગો શોધવામાં આવ્યા હતા અને જૂના માર્ગોમાં સંશોધન થયાં હતાં. આ બધું જ દાર્શનિક ઉત્ક્રાંતિ થતી હોય એમ સ્વાભાવિક ક્રમે થતું હતું. ભારત આ બાબતમાં ભાગ્યશાળી દેશ છે.
ભારતનો વિચારયજ્ઞ કોઈ પ્રકારની પૂર્વ-યોજના વિના સ્વાભાવિક ક્રમે આગળ વધતો હતો એટલે તેમાં સુધારા અને સંશોધન માટે અવકાશ હતો. અનાગ્રહ ભારતીય વિચાર પરંપરાનું સ્વભાવ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ બન્ને છે. મહાવીરને લાગ્યું કે અમૂલ્ય માનવી જીવન મળ્યું છે તો તેને પખાળીને શુદ્ધ કરવામાં આવે એમાં જ મુક્તિ રહેલી છે. બુદ્ધને લાગ્યું કે બહુ આત્યાંતિક થયા વિના વચલા માર્ગે ચાલીને વિવેકપૂર્વક તૃષ્ણાઓનો ત્યાગ કરવામાં આવે એમાં જ દુઃખમુક્તિ છે અને દુઃખોથી મુક્તિ એ જ નિર્વાણ. આમ કર્મકાંડ, જ્ઞાન, ધ્યાન, ઉપાસના, ભક્તિ, કૃપા, પુરુષાર્થ વગેરે અનેક માર્ગ એક સાથે પરસ્પર પરસ્પર પૂરક અને પરસ્પર વિરોધમાં અજમાવવામાં આવતા હતા. આને કારણે પશ્ચિમમાં ધર્મની અંદર અને ધર્મોની વચ્ચે જેવાં યુદ્ધ થયાં છે અને ધર્મને નામે હિંસા થઈ છે એવી આપણે ત્યાં થઈ નથી.
કોયડો માત્ર નાસ્તિકો અર્થાત્ ભૌતિકવાદીઓ વિશેનો છે. જેને લોકાયત દર્શન તરીકે ઓળખાવામાં આવે છે એ ચાર્વાક આજીવક વગેરેનું નાસ્તિક દર્શન મળતું નથી. તેમનો એક પણ ગ્રંથ હાથ નથી લાગ્યો. તેમના વિશેની જે કાંઈ જાણકારી મળે છે એ તેમના વિરોધીઓએ ચર્ચા કરતી વખતે પૂર્વપક્ષ તરીકે ટાંકેલાં કથનો છે. ચાર્વાક શું કહે છે એમ કહીને ચાર્વાકનું વચન ટાંકવામાં આવે અને એ પછી તેનું ખંડન કરવામાં આવે. આપણે ત્યાં આ ખંડન-મંડનની પરંપરા બહુ જૂની છે. આવી ચર્ચામાં ટાંકવામાં આવેલું અવતરણ સંદર્ભ બહારનું પણ હોઈ શકે છે અને અનુકૂળ આવે એ રીતે સગવડ મુજબનું પણ હોય શકે છે. દાખલા તરીકે ઉધારી કરીને પણ ઘી પીવું જોઈએ એવું પૂર્વપક્ષ તરીકે ચાવાર્કના મોંમાં મૂકેલું વાક્ય આવું સંદર્ભ તોડેલું કથન છે. આ લખનારના મનમાં એ વિષે કોઈ શંકા નથી. લોકાયતો અવલંબનમુક્ત નાસ્તિક હતા, નીતિરહિત નહોતા. તેમને એટલી જાણ હતી કે સમાજને નીતિ આધારિત વ્યવસ્થાની જરૂર પડતી હોય છે. અન્યથા અરાજકતા સર્જાય જે પોતે દુઃખનું કારણ બને અને અને બીજા બધા દાર્શનિકોની જેમ ચાર્વાકો પણ સુખ શોધતા હતા. એ સિવાય અવતરણ એ અવતરણ છે સંપૂર્ણ ગ્રંથ એ સંપૂર્ણ ગ્રંથ છે.
શા માટે લોકાયત દર્શન સળંગ મળતું નથી? એક અભિપ્રાય એવો છે કે કૃપા વેચનારાઓને એ પરવડતું નહોતું એટલે તેમણે લોકાયતોને હેરાન કર્યા અને એ રીતે તેમની પરંપરાને ખતમ કરી નાખી હતી. લોકાયત દર્શન મુજબ આત્મા અમર નથી અને જીવન પૂરું થયે જીવ (આત્મા) અને જગતનો આપણા પૂરતો અંત આવે છે. જો એમ હોય તો માનવીને જીવન ઉજાળવા માટે પણ કોઈ ખાસ કારણ રહેતું નથી. આ કારણે જૈનોને અને બૌદ્ધોને પણ લોકાયતો માટે કોઈ સહાનુભૂતિ નહોતી. બીજો અભિપ્રાય એવો છે કે માણસને ધર્મ અને ઈશ્વરના અવલંબન વિના ચાલતું નથી. પોતાના બળે, ડર્યા વિના, નીતિમય જીવન વ્યતીત કરવું એ પડકાર છે જેનો સામાન્ય માણસ સામનો કરી શકતો નથી. આને કારણે લોકાયત દર્શનને અનુસરનારાઓની સંખ્યા ઘટતી ગઈ હતી અને સરવાળે તેમની દાર્શનિક પરંપરા લુપ્ત થઈ ગઈ હતી. આ સિવાય બુદ્ધે આટાપાટા વિનાનું લોકસુલભ દર્શન આપ્યું હતું એ પણ લોકાયત દર્શનના અંતનું કારણ હોઈ શકે છે.
ચોક્કસ વિચારધારાના અનુસરનારાઓના અભાવમાં એ વિચારધારા ગ્રંથ સમેત લુપ્ત થઈ ગઈ હોય એ શક્ય છે અને એવું લોકાયત સિવાયની બીજી વિચારધારાઓની બાબતે પણ બન્યું છે એવો બચાવ કરવામાં આવે છે. આ શક્ય છે. પણ જો હેરાન કરીને લોકાયત ગ્રંથોનો અને પરંપરાનો નાશ કરવામાં આવ્યો હોય તો એ ભારતીય દાર્શનિક ઉદ્યાનમાં કલંકરૂપ ઘટના કહેવાય. વાસ્તવમાં શું બન્યું હતું એ આપણે જાણતા નથી.
આગળ કહ્યું એમ સૃષ્ટિના સ્વરૂપ વિશેની ભય અને વિસ્મય સાથે માનવ-મસ્તિષ્કમાંથી ઋચાઓ ઊતરી ત્યારથી જે ખોજ શરૂ થઈ એ કર્મકાંડ, જ્ઞાન, ધ્યાન, ઉપાસના, ભક્તિ, કૃપા, પુરુષાર્થ વગેરે અનેક સ્વરૂપોમાં વિકસતી ગઈ. એમાંથી આગ્રહભેદે સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો વિકસતા ગયા. શિવની સાથે શક્તિની ઉપાસના વિકસી. તંત્રની ધારા પણ ઘણી જૂની છે. એક વાત નોંધવી જોઈએ કે આ બધા જ સંપ્રદાયોના સગડ વેદો અને ઉપનિષદો જેવા પ્રાચીન ગ્રંથોમાં મળે છે. સંપ્રદાયનું સ્વરૂપ તો જે તે અનુબંધ વિશેના આગ્રહભેદના કારણે પાછળથી વિકસ્યું હતું.
આ બધી જ શાખા-પ્રશાખાઓનો પરિચય કરાવવામાં આવે તો આ લેખમાળા બે વરસ સુધી લંબાવવી પડે એટલી આપણે ત્યાં શાખા-પ્રશાખાઓ છે. પણ આટલી શાખા-પ્રશાખાઓ વિકસી શકી એ પોતે જ એક મોંઘેરું સત્ય કહી જાય છે કે આપણે ત્યાં નોખા પડવું એ ગુનો નથી. જૂદી ભાષામાં બોલવું એ ગુનો નથી. નકારવું એ ગુનો નથી. ચીલો ચાતરવાની આટલી આઝાદી જગતમાં કોઈ બીજી સભ્યતાઓમાં મળતી નથી. આનું કારણ પ્રારંભમાં જ કહ્યું એમ કોઈ વિચાર, ધર્મવચન કે મસીહાનાં વચનો ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન તરીકે આપાવામાં આવ્યાં નથી. ભારતીય દર્શન સ્વાભાવિક ક્રમે વિકસ્યું છે એટલે એમાં નદી, ઝરણાં, વોકળા એમ બધું જ છે. આ બધા સનાતન ધર્મની મહાનદીની સાથે સાથે, સમાંતરે, રસ્તો કાપીને, વિરુદ્ધ જઇને, એકબીજામાં સમાવીને એમ દરેક સ્વરૂપમાં વહ્યા કરે છે. કોઈ ટોકતું નથી કે કોઈ રોકતું નથી. વિચાર અને વલણોનો આવો બગીચો જગતમાં ક્યાં જોવા મળે છે?
વિચાર અને વલણની બહુવિધતા સમજવા માટે અહીં આપવામાં આવેલી વિગતો જોઈ જાઓ. વૈષ્ણવ સંપ્રદાયના ૧૯ મત અથવા સંપ્રદાય છે અને તેના પેટા સંપ્રદાય જુદા. શૈવ સંપ્રદાયના પાંચ મુખ્ય મત અથવા સંપ્રદાય છે અને પેટા સંપ્રદાય જુદા. આ ઉપરાંત શાક્ત સંપ્રદાય, શાંકરમત અથવા દશનામી સંપ્રદાય, યોગીમત અથવા નાથ સંપ્રદાય, કબીરપંથ, રામસ્નેહી સંપ્રદાય, નાનકપંથ અથવા શીખ ધર્મ, ઉદાસીન પંથ, આર્યસમાજ અને તંત્રોપાસના વગેરે બીજા ડઝન સંપ્રદાય અને એ દરેકના પાછા એટલા જ પેટા સંપ્રદાય.
જે દેશમાં સેંકડોની સંખ્યામાં સંપ્રદાય અને પેટા સંપ્રદાય વિકસી શકે અને જેનું સહજ સહઅસ્તિત્વ શક્ય બને એને બગીચો ન કહેવાય તો બીજી શું કહેવાય? કેટલી સહિષ્ણુતા હશે ભારતીય પ્રજામાં તેનો વિચાર કરી જુઓ!
નોંધ : ભારતમાં વિકસેલા સંપ્રદાય અને પેટા સંપ્રદાય અને તેના તત્ત્વજ્ઞાન તેમ જ ઉપાસના પદ્ધતિ વિષે વાચકો વધુ જાણવા માગતા હોય તો હિંદીમાં પ્રકાશિત બે ગ્રંથ વાંચવાની ભલામણ કરું છું. − વાચસ્પતિ ગૈરોલા લિખિત ‘ભારતીય ધર્મ શાખાએં ઔર ઉનકા ઇતિહાસ’ અને ડૉ. ચન્દ્ર પ્રકાશ સિંહ લિખિત ‘ વેદ એવં વિભિન્ન સંપ્રદાય’.
06 જુલાઈ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 ઑગસ્ટ 2019