રિઝર્વ બેન્કનો આ ધડાકો છે. એકદમ ઓફિશિયલ. રિઝર્વ બેન્કના ગવર્નરે એક વરસ અને નવ મહિના નોટબંધી પછી પાછી ફરેલી નોટ ગણવામાં લીધા, પછી છેવટે સત્ય જાહેર કરવું પડ્યું છે. શું થાય સત્ય છુપાવી શકાય એમ નહોતું, કારણ કે ચલણી નોટની સર્જનથી લઈને વિનાશની યાત્રા એટલી ચોકસાઈવાળી હોય છે કે તેની અનેક જગ્યાએ નોંધ થતી હોય છે. આ સ્થિતિમાં નોટની સંખ્યા છુપાવવી મુશ્કેલ બને છે. વધુમાં વધુ નોટ ગણવામાં આવી રહી છે, એવા ઠાગાઠૈયા કરીને જાઓ, કાબરબાઈ, કાલ સવારે આવું છું એમ કહી શકાય. રિઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલ એક વરસથી નોટ ગણવામાં આવી રહી છે એમ કહીને સરકારને સમય આપતા હતા.
હવે રિઝર્વ બેન્કે કબૂલ કર્યું છે કે ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે નોટબંધી જાહેર કરવામાં આવી એ દિવસે પાંચસો અને હજાર રૂપિયાની જેટલી નોટ દેશમાં ફરતી હતી તેમાંથી ૯૯.૩ ટકા નોટ પાછી આવી ગઈ છે. માત્ર ૦.૭ ટકા નોટ એટલે કે દસ હજાર કરોડ રૂપિયા પાછા ફર્યા નથી. રિઝર્વ બેન્કે આ સિવાય પણ કેટલીક વિગતો આપી છે. સાત હજાર કરોડ રૂપિયા નવી નોટ છાપવા પાછળ ખર્ચાયા હતા અને તેને ટાઈટ સિક્યુરિટી વચ્ચે બેંકો સુધી પહોંચાડવામાં આવ્યા એની પાછળ જે ખર્ચો થયો હોય એ જુદો. આ સિવાય એ.ટી.એમ.ના રીકેલિબ્રેશન (એટલે કો નવી નોટની સાઈઝ મુજબ એ.ટી.એમ.માં ગાળા બદલવા) પાછળ થયેલો ખર્ચ જે તે બેન્કોએ કર્યો હોય, એટલે તેનો હિસાબ રિઝર્વ બેંક પાસે નથી. દેશમાં લાખો એ.ટી.એમ. મશિન હશે જેન રીકેલિબ્રેટ કરવા પાછળ હજારો કરોડ ખર્ચાયા હશે. ટૂંકમાં દસ હજાર કરોડ કમાવા માટે ૧૫ હજાર કરોડ રૂપિયાનું આંધણ કર્યું. આને કહેવાય હિંદુ અર્થશાસ્ત્ર.
આ દેશમાં માનવજીવની કિંમત નથી એટલે એને તો ગણતરીમાં જ લેવામાં નથી આવતી. એટલે તો લિન્ચિંગ થાય છે. નોટબંધી વખતે ૧૪૪ જણા લાઈનમાં કલાકો સુધી ભૂખ્યા તરસ્યા ઊભા રહેવાને કારણે મૃત્યુ પામ્યા. ૧૪૪. કોઈ નાનો આંકડો નથી. અમેરિકામાં કેટરિના જેવા વાવાઝોડામાં આટલા માણસો નથી મરતા અને જો મરે છે તો પ્રમુખ કેમેરા સામે આવીને ખેદ વ્યક્ત કરે છે, અને જો માનવીય ભૂલથી હોનારત થઈ હોય તો માફી માંગે છે. અહીં સરકાર પક્ષે કોઈએ દિલગીરી પણ વ્યક્ત નથી કરી. ૧૪૪ જણા એક તઘલખી સાહસનો ભોગ બની જાય અને કોઈ હરફ સુધ્ધાં ન ઉચ્ચારે? આ સિવાય દેશના અર્થતંત્રને જે નુકસાન પહોંચ્યું છે અને નાના વેપારીએ જે રીતે બરબાદ થઈ ગયા છે એની ગણતરી માંડો.
નોટબંધી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સો ટકા પોતાનો મૌલિક નિર્ણય હતો. કમસેકમ એક મૌલિક નિર્ણયની ક્રેડિટ આપણા વડા પ્રધાનને આપવી જ જોઈએ. રિઝર્વ બેન્ક અનુકૂળ નહોતી એટલે રિઝર્વ બેન્કના એ સમયના ગવર્નર રઘુરામ રાજનની પાછળ શ્વાન છોડીને તેમને તગેડી મુકવામાં આવ્યા હતા. સરકારને એમ લાગતું હતું કે નોટબંધીના કારણે કમસેકમ ત્રણથી ચાર લાખ કરોડ રૂપિયા પાછા ફરવાના નથી જે રિઝર્વ બેંક સરકારી તિજોરીમાં મજરે જમા કરાવશે અને એક ધડાકે ખાધ ધોઈ નખાશે. હાથમાં ચિક્કાર રૂપિયા હશે એટલે એટલી બધી રાહતો આપી શકાશે કે ઓછામાં ઓછી ત્રણ મુદત માટે બી.જે.પી.ની સરકારને કોઈ હલાવી નહીં શકે. આ ઉપરાંત કૃતનિશ્ચય અને બહાદુરી માટે જે વાહવાહ થશે એ જુદી. આમ નોટબંધી એ સો ટકા મૌલિક સાહસ નરેન્દ્ર મોદીનો પોતાનું હતું.
આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે ત્રણ મુખ્ય કારણો આપવામાં આવ્યાં હતાં. એક કારણ કાળાં નાણાંને અર્થતંત્રમાંથી બહાર કાઢવાનું હતું. રોકડા રૂપિયાની થપ્પીઓ કાગળ થઈ જશે, પછી એને જમા ક્યાં કરાવશે? બેન્કોમાં રોકડ જમા કરાવવા માટે એ રકમ એકાઉન્ટ બુકમાં બતાવેલી હોવી જોઈએ. બીજું કારણ એવું આપવામાં આવ્યું હતું કે દેશમાં જે નકલી નોટ છે, એ બધી કચરો થઈને બહાર નીકળી જશે. નકલી નોટોનું પ્રમાણ પણ મોટું હોવું જોઈએ, અન્યથા વડા પ્રધાન નોટબંધી પાછળનાં ત્રણ મુખ્ય કારણોમાં એક કારણ તરીકે એને રજૂ ન જ કરે. ત્રીજું કારણ એવું આપવામાં આવ્યું હતું કે નોટબંધીના કારણે નકસલવાદીઓ અને ત્રાસવાદીઓ નાણાવિનાના થઈ જશે. ત્રાસવાદીઓ પાસે જે પૈસા છે એ બ્લેકના પૈસા છે.
હવે જ્યારે ૯૯.૭ ટકા પૈસા બેન્કોમાં પાછા ફર્યા છે ત્યારે એનો અર્થ એટલો જ થાય કે કાં તો દેશમાં કાળું નાણું હતું જ નહીં, અને હતું તો એ બધું વ્હાઈટ થઈ ગયું. સરકારને અને ભક્તોને આ બે વિકલ્પમાંથી જે વિકલ્પ પસંદ હોય એ અપનાવી લેવો જોઈએ. હતું જ નહીં એવું તો કોઈ માનશે નહીં, તો કુબેરપતિઓના પૈસા બ્લેકના વ્હાઈટ કઈ રીતે થઈ ગયા? કોણે મદદ કરી? શું નોટબંધી ક્રોની કેપિટાલિસ્ટોને મદદ કરવા માટે કરવામાં આવી હતી? મુઠ્ઠીભર લોકોને મદદ કરવા માટે ૧૪૪ નિર્દોષના પ્રાણ લેવામાં આવ્યા હતા? ગુજરાતની સહકારી બેંકમાં ચાર દિવસમાં અબજો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા એ શું હતું? કોણ એની પાછળ હતું? અમિત શાહના પુત્રના ધંધામાં ૧૬ હજાર ગણો ગ્રોથ નોટબંધી પછી કેવી રીતે થયો? ગુજરાતના એક ડાયમંડ મર્ચન્ટે હજારો કરોડ રૂપિયા નકદ પોતાના નામે બતાવ્યા હતા એ ભાઈ જેલમાં છે કે જેલની બહાર છે? કોઈ એફ.આઈ.આર .દાખલ કરવામાં આવી છે ખરી?
મોટરોની ડીકીઓમાં કરોડો રૂપિયાની કેશ મળતી હતી એવા સમાચાર આવતા હતા અને દેશપ્રેમી (પૈસાપ્રેમી વાંચો) મીડિયા ઊછળી ઊછળીને ક્રાંતિનાં ગાન ગાતાં હતાં એ રૂપિયાનું અને રૂપિયાની હેરાફેરી કરનારાઓનું શું થયું? નદીઓમાં પૈસા તરતા હોય એવી તસ્વીરો પણ દેશપ્રેમી મીડિયા બતાવતા હતા. વડા પ્રધાને નોટબંધી જાહેર કરી એ પછીનું તેમની પહેલી જાહેરસભામાંનું ભાષણ યુ ટ્યુબ પર જોવા જેવું છે. ક્રાંતિનું શું તેજ હતું તેમના ચહેરા પર. તેમણે એવો ઈશારો આપ્યો હતો કે હવે કાળાબજારિયાઓ મરવાના છે. સામાન્ય લોકો તો ઉદ્યોગપતિ આજ આત્મહત્યા કરે છે, કાલ કરે છે એની રાહ જોતા હેરાનગતિ ખમતા રહ્યા અને એમાં ૧૪૪ સામાન્યજનો માર્યા ગયા. તાળીઓ પાડનારાઓ ઊઠી ગયા અને જેમની પાસે કાળાં નાણા હતાં એ બધું જ નાણું બેન્કોમાં પહોંચી ગયું.
રિઝર્વ બેન્ક જ્યારે કહે છે કે ૯૯.૭ ટકા રૂપિયા બેન્કોમાં જમા થઈ ગયા છે, એનો અર્થ એ થાય કે દેશમાં જેટલું નકલી નાણું હતું એ પણ અસલી બની ગયું. કાળાં નાણાં તો વ્હાઈટ થઈ ગયા, નકલી નોટ પણ અસલી થઈ ગઈ. અને ત્રાસવાદીઓ? વડા પ્રધાન તો કહેતા હતા કે ત્રાસવાદીઓ ખાખી થઈ જવાના છે એટલે આપોઆપ ત્રાસવાદનો અંત આવશે. હવે સરકાર પોતે કહે છે કે નક્સલવાદી શહેરી ત્રાસવાદીઓ વડા પ્રધાનની હત્યા કરવાનું કાવતરું કરતા હતા.
અને છેલ્લે કેશલેસ ઈકોનોમીની વાત. રિઝર્વ બેંક કહે છે કે ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં દેશમાં જેટલી રોકડ ફરતી હતી તેમાં આજ ૩૮ (આય રિપીટ ૩૮) ટકાનો વધારો થયો છે. પહેલા એમ લાગતું હતું કે નોટબંધી એ તઘલખી છબરડો છે, પણ હવે એમ લાગે છે કે એ એક કૌભાંડ હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે તો ત્યારે જ નોટબંધીને ઓર્ગેનાઇઝ્ડ લૂટ એન્ડ લિગલાઈઝ્ડ પ્લન્ડર તરીકે ઓળખાવી હતી.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 02 સપ્ટેમ્બર 2018