તાજેતરમાં બનેલી બે–ચાર ઘટનાઓ સાથે જોવી જોઈએ કે જેથી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકાર શું કરી રહી છે એનો ખ્યાલ આવે. ‘ઇકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, વડા પ્રધાનના કાર્યાલયે બી.જે.પી. શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કહ્યું છે કે તમારા રાજ્યમાં જો કોઈ પ્રકલ્પ પૂરો થઈ ગયો હોય કે પૂરો થવામાં હોય તો તેના ઉદ્દઘાટન માટે વડા પ્રધાનને બોલાવવાનું ભૂલશો નહીં. જો કોઈ પ્રકલ્પ પૂરો થવાની નજીક હોય તો ખાસ અગ્રતાક્રમ આપીને તેને પૂરો કરવામાં આવે કે જેથી વડા પ્રધાન તેનું ઉદ્દઘાટન કરી શકે. ગયા મહિનાની ૧૦મી જુલાઈએ વડા પ્રધાને નોએડામાં વિશ્વની સૌથી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન સમારંભ રંગેચંગે પતી ગયો, ત્યાં કોઈકે કહ્યું કે ફેક્ટરી તો ૨૦૦૫માં સ્થાપવામાં આવી હતી અને તેનું ત્યારે ઉદ્દઘાટન પણ થયું હતું, અત્યારે તો ફેક્ટરીની ક્ષમતામાં માત્ર વધારો કરવામાં આવ્યો છો. આમ તો મોટા ભાગનાં મીડિયા ખોળામાં બેઠેલાં છે, પણ બે–ચાર મીડિયા એવાં છે જે રંગમાં ભંગ પાડ્યાં કરે છે. તેઓ ભક્તોનો નશો ઉતારવાનું મહાપાતક કરી રહ્યા છે એની તેમને જાણ નથી.
બીજી ઘટના ગયા અઠવાડિયે ‘હિંદુ’ નામના અખબારમાં પ્રકાશિત થઈ છે. અહેવાલ મુજબ દેશભરમાં પેટ્રોલ પંપ પર ‘પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના’નું વિશાળ કદનું હોર્ડિંગ મૂકવું જરૂરી છે. જે પેટ્રોલ પંપવાળાઓ કોઈ કારણથી હોર્ડિંગ નથી મૂકતા તેમને સમયસર પેટ્રોલ આપવામાં આવતું નથી. ભક્તિ કરો, કાં ભૂખ્યા રહો, એમ બે જ વિકલ્પ છે, તેમની પાસે. એ હોર્ડિંગ પણ પાછું આવતા–જતા પ્રવાસીઓને નજરે પડે એમ પેટ્રોલ પંપની બહારની બાજુએ હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે. અંદર હોય એ ન ચાલે. બને છે એવું કે કેટલીક વાર પોલીસ વળાંક પર રસ્તાને ઢાંકતા હોર્ડીંગો હટાવવાની કે પાછળ ખસેડવાની પેટ્રોલ પંપવાળાઓને સૂચના આપે છે. સાહેબની આડે બે બદામનો આર.ટી.ઓ.નો હવાલદાર આવે? પેટ્રોલ સપ્લાય કરવાનું બંધ કરો, સાલાઓને એટલે ખ્યાલ આવે કે સાહેબ શું ચીજ છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ જેવા ઝુકરબર્ગને સાહેબે ધકો મારીને બાજુએ હડસેલી દીધો હતો, તો હવાલદાર કઈ ચીજ છે? ઝુકરબર્ગને ધ્યાન નહોતું રહ્યું કે તે વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા નેતા અને કેમેરાની વચ્ચે ઊભો છે.
હવે ત્રીજી ઘટના. બે દિવસ પહેલા ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. ચૂંટણી નજીક છે ત્યારે સ્વાભાવિક ક્રમે ચૂંટણી પંચ રાજકીય પક્ષોની બેઠક બોલાવીને તેમને સાંભળે છે. એ બેઠકમાં ઈ.વી.એમ. સહિત અનેક બાબતે ચર્ચા થઈ હતી જેમાં એક મુદ્દો ચૂંટણી ખર્ચ ઘટાડવાને લગતો હતો. ચૂંટણીખર્ચ મર્યાદાનું પાલન કરવામાં આવે અને એને લગતા કાયદાઓ અને નિયમો વધારે સખ્ત કરવામાં આવે, એવું પંચનું સૂચન હતું. આની પાછળનો ઈરાદો લોકશાહીની ગુણવત્તા સુધારવાનો હતો. દરેક પક્ષે પંચના સૂચનને આવકાર્યું હતું, માત્ર બી.જે.પી.એ તેનો વિરોધ કર્યો હતો. બીજા પક્ષોની માફક ઢોંગ પણ શા માટે કરવાનો, જ્યારે આપણી પાસે અઢળક પૈસા છે. બીજું સૂચન ગુનેગારી માટે સજા પામેલા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવાનું હતું. બી.જે.પી.એ તેનો પણ વિરોધ કર્યો હતો. હા, ઢોંગ નહીં કરવા, માટે બી.જે.પી.ને માર્ક્સ આપવા હોય તો સોમાંથી સો આપી શકાય.
ચોથી ઘટના તીન મૂર્તિ હાઉસમાં આવેલા નેહરુ મેમોરિયલ લાયબ્રેરી એન્ડ મ્યુિઝયમને ખેદાન મેદાન કરવાની છે. જવાહરલાલ નેહરુના સગડ ભૂંસી નાખવા માટેની આ ચેષ્ટા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે સરકાર આ જે કરી રહી છે એ બરોબર નથી. શા માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નેહરુ મેમોરિયલ લાયબ્રેરી, આઈ.આઈ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને ખતમ કરો છો? જોઈએ તો નવી સ્થાપો તમને કયાં કોઈ રોકે છે. કોઈની રેખા ટૂંકી કરીને પોતાની રેખા મોટી બતાવવી એ માણસાઈ નથી, એમ ભૂતપૂર્વ વડા પ્રધાને લખ્યું છે. તમને તમારી રેખા લાંબી ખેંચતા ક્યાં કોઈ રોકે છે?
મોદી સરકાર નેહરુ મેમોરિયલ લાયબેરી એન્ડ મ્યુિઝયમને ભારતના દરેક વડા પ્રધાન માટેના મ્યુિઝયમમાં ફેરવવા માંગે છે. આનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીને જવાહરલાલ નેહરુની હરોળમાં બેસવું છે. મનમાં રહેલું ઊંડુ આકર્ષણ ધિક્કારનું છુપું કારણ હોય છે, એમ જે માનસશાસ્ત્રીઓ કહે છે એ ખોટું નથી. નેહરુ કોઈક એવી ચીજ છે જેની હરોળમાં સ્થાન પામવાની દરેકને ઈચ્છા થાય. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો જાહેરમાં કબૂલ્યું હતું કે તેઓ નેહરુના અનુગામી હોવા માટે ગર્વ અનુભવે છે. તેમને તીન મૂર્તિ ભવનમાં સ્થાન પામવાનો અભરખો નહોતો, કારણ કે આકર્ષણ ક્ષૂપું નહોતું, પ્રગટ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયે સો વરસ થવા આવ્યા છે, પણ સો વરસમાં સંઘે એવી એક પણ સંસ્થા સ્થાપી નથી, જેનું નામ પડતા મનમાં આદરની લાગણી થાય. સંસ્થાઓ એ જ સ્થાપી શકે જેનું વિઝન મોટું હોય, બાકી તોડવા માટે ક્યાં કોઈ વિઝનની જરૂર પડે છે. જવાહરલાલ નેહરુએ આઝાદી પછીના એક દાયકામાં આઇ.આઇ.ટી., ઈસરો, બી.એ.આર.સી., એન.સી.એલ., આઈ.આઇ.એમ., એઈમ્સ જેવી એક ડઝન માતબર સંસ્થાઓ સ્થાપી હતી. માત્ર એક દાયકામાં એક ડઝન અને એ પણ બધી વિશ્વવિખ્યાત.
પાંચમી ઘટના મુકેશ અંબાણીની જિયો યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનું સ્ટેટસ આપવાની છે. જે યુનિવર્સિટીની હજી સ્થાપના નથી થઈ, એ યુનિવર્સિટી પ્રતિષ્ટિત (યુનિવર્સિટી ઓફ એમિનન્સ) બની ગઈ? કોઈ આવું સાંભળે તો પણ ગાંડા ગણે. પણ એવું બન્યું છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને માહિતી મેળવી છે કે રિલાયન્સ જિયો યુનિવર્સિટીને ગર્ભાધાન પહેલાં વરાવવાની વડા પ્રધાનની દરખાસ્તનો સરકારના દરેક સંબંધિત મંત્રાલયે વિરોધ કર્યો હતો. વિરોધની નોંધ અને તેનાં કારણો ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ તેના બુધવાર અને ગુરુવારના અંકમાં આપ્યાં છે. નાણા મંત્રાલયે વિરોધ કરતા કહ્યું હતું કે જેનું અસ્તિત્વ જ ન હોય, તેને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ગણાવીને કરોડો રૂપિયા આપવા કેવી રીતે? હવામાં જેનું અસ્તિત્વ હોય તેને નાણાકીય ફાળવણી કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ નોંધ તમે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જોઈ શકો છો.
શિક્ષણ મંત્રાલયે (પ્રકાશ જાવડેકરનું, સ્મૃિતબહેનનું નહીં) પ્રસ્તાવનો વિરોધ કરતા લખ્યું હતું કે પહેલાં યુનિવર્સિટી સ્થપાવી જોઈએ, તેની છથી આઠ બેચ બહાર પડવી જોઈએ, તેમની પ્લેસમેન્ટ અને બીજા વૈશ્વિક ધોરણ મુજબ એક્સલન્સની ચકાસણી થવી જોઈએ, એ રીતે યુનિવર્સિટીનું એક્સલન્સ એસ્ટાબ્લિશ થવું જોઈએ એ પછી યુનિવર્સિટી ઓફ એમિનન્સનો દરજ્જો આપી શકાય. શિક્ષણ મંત્રાલયે લખ્યું છે કે આમાં યુનિવર્સિટી સ્થપાયા પછી ઓછામાં ઓછા દસ વરસ લાગે.
આમ છતાં નાભિએ ચાંદલો કરીને જિયો યુનિવર્સિ ટીને વરાવવામાં આવી જે રીતે રાફેલ સોદામાં અનિલ અંબાણીની હજુ અસ્તિત્વ નહીં ધરાવતી કંપનીને નાભિએ ચાંદલો કરીને વરાવવામાં આવી હતી. એક જમાનામાં નાભિએ ચાંદલો કરીને સગપણ થતાં હતાં, ત્યારે કમસેકમ ગર્ભાધાન તો થયેલું રહેતું જયારે અહીં તો બન્ને કિસ્સામાં ગર્ભાધાન પણ થવાનું બાકી છે.
આ બધી ઘટનાઓને સાથે જોશો તો શું ચિત્ર ઉપસે છે? વિચારી જુઓ.
સૌજન્ય : ‘કારણ–તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ–ડે”, 01 સપ્ટેમ્બર 2018