"હું એ મસીહા છું, જેનો અમેરિકાને ઈન્તેજાર હતો" – રજનીશ, જૂન ૧૯૮૧, જે.એફ.કે. એરપોર્ટ, ન્યૂયોર્ક.
તમે સુભાષ ઘાઈની 'તાલ' ફિલ્મ (૧૯૯૯) જોયેલી? એમાં બડે બાપ કી ઔલાદ માનવ (અક્ષય ખન્ના) માનસી(ઐશ્વર્યા રાય)ને એમ કહે છે, એ મંદિર નહીં જાય. માનવ એની પાછળનો તર્ક આપતાં કહે છે, "ઈશ્વર ઇન્સાન કે દિલ મેં બસતા હૈ. ઉસ કે અંદર સ્વયં મેં રેહતા હૈ. આખિર ઈશ્વર હૈ ક્યા? વિશ્વાસ હૈ, સચ્ચાઈ હૈ. હર ઇન્સાન અપને રૂપ મે ઉસ કો દેખાતા હૈ. કોઈ કિતાબ મે, કોઈ મૂરત મે, કોઈ રોશની કી લૌ મે. મેં ઈશ્વર કો ખુદ મેં દેખાતા હું. તુમ્હારા પ્યાર ભી મુજ પર એક વિશ્વાસ હી તો હૈ."
અંબાલાલ પટેલ દોસ્તના દીકરા સાથે, અને શીલા રજનીશ સાથે
ખુદમાં જ ઈશ્વરને જોવો એ કેટલો ખૂબસુરત વિચાર છે! ઈશ્વર એક શ્રદ્ધા છે, તો પ્યાર પણ તો માન્યતા જ છે. માનવની પોતાની અંદરની આ શ્રદ્ધા જ અંતે માનસીને એની પાસે પાછી લાવે છે. એ વિશ્વાસથી કહે છે કે, વિક્રમ (અનિલ કપૂર) જ માનસીને એની પાસે મોકલશે. એ પછીના એક દ્રશ્યમાં આપણને માનવના ઘરમાં આચાર્યમાંથી ભગવાન અને ભગવાનમાંથી ઓશો બનેલા રજનીશની એક તસ્વીર દેખાય છે. આ ઓશોએ જ કહ્યું હતું ને કે, "ઈશ્વર અંદર છે, સત્ય ભીતર છે. જીવનથી મોટો ઈશ્વર કોઈ નથી. સત્ય અંદર છે, એને બીજે ક્યાં ય ના શોધો."
સુભાષ ઘાઈ ૧૯૮૮માં નિર્માતા-નિર્દેશક વિજય આનંદ (ગાઈડ, તીસરી કસમ, જ્વેલ થીફ, જોની મેરા નામ) સાથે રજનીશને મળેલા, અને એટલા પ્રભવિત થઇ ગયેલા કે એમની ફિલ્મોમાં એની અસર પાડવા માંડેલી. 'તાલ' ફિલ્મ એમાંથી જ આવેલી. એમાં નાની બનેલી સુષમા સેઠનો એક સંવાદ છે, "પ્યાર મેં ગીરો મત, બચ્ચે, ઊઠો. Rise in love." ઓશો આ વિધાન કાયમ બોલતા, અને ઘાઈએ એનો આધાર લઈને એક એવી છોકરીનું પાત્ર સર્જ્યું હતું, જે કોઇપણ પ્રકારના માલિકીભાવ કે ઓબ્સેશન વગર પ્યાર કરે છે.
ઓશોના ત્રીસ વર્ષના 'ઓબ્સેશન' પછી સુભાષ ઘાઈએ હવે એમના મુકતા આર્ટસ બેનર તળે રોમ સ્થિત નવાલા પ્રોડક્શન સાથે મળીને રજનીશનું બાયોપિક બનવાની ઘોષણા કરી છે. મુક્ત આર્ટસની આ પહેલી અંતરરાષ્ટ્રીય ફિલ્મ હશે. નામ છે, "ઓશો: લોર્ડ ઓફ ધ ફૂલ મૂન." એનો સ્ક્રીનપ્લે 'રંગ દે બસંતી' ફેમ ઓશો-સંન્યાસી કમલેશ પાંડેએ ઓશોના જ ફેન ઇટાલિયન ડિરેક્ટર લક્શેન સુકામેલી સાથે મળીને લખ્યો છે. એમાં એક મહિલા પત્રકારની કહાની હશે, જે ઓશો સાચે જ કોઈ ગુરુ છે કે ફ્રોડ છે, તેની છાનબીનમાં અમેરિકાના રજનીશપુરમ જાય છે, અને પુણેમાં એમના અવસાન સુધી સાથે રહે છે.
હરકિસન મહેતાની 'અમીર અલીના પીળા રૂમાલની ગાંઠ' જેના પરથી લખાઈ હતી, તે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં અત્યારે વ્યસ્ત આમીર ખાન પણ ઓશોની ફિલ્મ માટે ઉસ્તુક છે. એવું કહેવાય છે કે, 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ના પ્રમોશનમાં આમીર ઓશોના ગેટઅપમાં જોવા મળે તો નવાઈ નહીં. એની પાસે ઓશોના બાયોપિકની સ્ક્રીપ્ટ આવી છે, અને એ એને ગમી છે. એવી પણ વાત છે કે, કરણ જોહર અને આમીર ખાન આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે, અને આલિયા ભટ્ટ આ ફિલ્મમાં ઓશોની સૌથી અંતરંગ સચિવ મા આનંદ શીલાનો રોલ કરશે.
ઓશો સાથે બોલીવુડનો પ્યાર બહુ જૂનો છે. વિજય આનંદ, મહેશ ભટ્ટ, પરવીન બાબી, ઈરફાન ખાન ઓશોથી પ્રભાવિત થયાણ છે. અક્ષય ખન્નાના પિતા વિનોદ ખન્નાએ તો ધુઆઁધાર કારકિર્દી છોડીને ઓશોનાં ભગવાં પહેરી લીધાં હતાં, પણ 'ભગવાન'ની શરણમાં ય શાંતિ ના મળતાં પાછા 'સંસારી' બની ગયા હતા. ઓશોની બાયોપિક બનાવવાની જે જાહેરાતો થઇ છે, તેના મૂળમાં અમેરિકામાં નેટફ્લીક્સ ઉપર જબરદસ્ત સફળ રહેલી ઓશોની ડોકયુમેન્ટરી Wild Wild Country છે. છ ભાગની આ ડોક્યૂમેન્ટરીમાં રજનીશ ઉર્ફ આચાર્ય ઉર્ફ ભગવાન ઉર્ફ ઓશોના 'રજનીશપુરમ'ના પ્રારંભ અને પતનની કહાની છે. એ એટલી લોકપ્રિય થઇ છે કે એની સિકવલ બનાવાની વાત ચાલી રહી છે.
આજની પેઢીને આ ઓશોનો પરિચય આપવો હોય તો કૈંક આવી વાર્તા છે: ચંદ્રમોહન જૈન તરીકે 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્યપ્રદેશના કુચવાડામાં તેમનો જન્મ થયો. ફિલોસોફીમાં નાનપણથી જ રસ. જબલપુરમાં શિક્ષણ મેળવી તેઓ જબલપુર યુનિવર્સિટીમાં ફિલોસોફીના અધ્યાપક તરીકે જોડાયા. બોલતા બહુ સરસ આવડે, એટલે એમના ક્લાસ હાઉસફૂલ હોય. એમાંથી તેમણે પ્રવચનો આપવાની શરૂઆત કરી. ‘મુંબઈ જૈન યુવક સંઘે’ એમને પર્યુષણ વ્યાખ્યાનમાળાનું મસ્ત પ્લેટફોર્મ પૂરું પાડ્યું, અને તેજાબી વક્તા તરીકે રજનીશ ગાજવા લાગ્યા. શરૂમાં એ રજનીશ હતા, પણ મુંબઈમાંથી એ 'આચાર્ય' બન્યા. પુણેમાં ૧૯૭૪માં આશ્રમ ખોલ્યો ત્યારે એ 'ભગવાન' હતા, અને અમેરિકાના ઓરેગોનમાં ૬૫ હજાર એકરનું 'રજનીશપૂરમ' બનાવ્યું ત્યારે ઓશો બની ગયા હતા.
1981થી 1985 દરમિયાન તેઓ રજનીશપુરમમાં રહ્યા. ઓરેગોનનું એન્ટેલોપ નાનકડા કસ્બા જેવું હતું, અને ત્યાં ૪૦ લોકો રહેતા હતા. ઓશોએ (આજના) દોઢ કરોડ ડોલરમાં એ જગ્યા ખરીદી હતી, અને બીજા ૧૨ કરોડ નાખીને રજનીશપુરમ નામના સ્વર્ગની ઇંટો ચણી. ત્રણ વર્ષમાં તો પોલીસ, એરપોર્ટ, ફાયર સ્ટેશન, પોસ્ટ ઓફિસ, રેસ્ટોરન્ટ, દુકાનો, બસો, હોસ્પિટલ, બાગ-બગીચાઓથી આચ્છાદિત શહેર બની ગયું, અને ૭,૦૦૦ રજનીશીઓએ ૯૯ રોલ્સ રોયસ કારવાળા 'ભગવાન' સાથે રહેતા થઇ ગયા.
ડાહ્યા માણસો સદીઓથી કહેતા આવ્યા છે કે, પૈસો અને પાવર, જો સાચવતા ના આવડે તો, પનોતી નોતરે છે. રજનીશપુરમનાં એ પાંચ વર્ષ રજ્નીશીઓના સ્થાનિક લોકો સાથે ઝઘડા, કાવાદાવા, હિંસા, ચૂંટણીમાં ઘાલમેલ, ખોરાકી ઝેર (બાયો-ટેરરિઝમ), ઇલેક્ટ્રિક ફેન્સિંગ, સેમી-ઓટોમેટિક હથિયારોની આયાત, ફોન-ટેપિંગ, બોમ્બ-બ્લાસ્ટ, કોર્ટ કેસ, હત્યાના પ્રયાસ, ઈમિગ્રેશન કાનૂનોના ભંગનાં વર્ષો હતાં. એમાં જ ઓશોની ધરપકડ થઇ અને દેશનિકાલ કરાયા. 1985માં તેઓ ભારત પરત આવ્યા, અને પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા આશ્રમમાં સ્થાયી થયા. 19 જાન્યુઆરી, 1990ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ આશ્રમની સંપત્તિ કરોડો રૂપિયાની છે. તેમના શિષ્યો વચ્ચે આ મુદ્દે મતભેદો અને કોર્ટ કેસ પણ ચાલે છે.
તેમની લેફ્ટનન્ટ મા આનંદ શીલા Wild Wild Country ડોક્યુમેન્ટરીમાં કહે છે, "ઓરેગોનમાં અમારું આવવું એ જાણે દુનિયાના છેડે આવવા જેવું હતું. અમે એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યા હતા. એ એક એવી મરુભૂમિ હતી, જ્યાં ભગવાન દુનિયાની વિક્ષિપ્ત માનસિકતાથી દૂર રહીને આદર્શ માણસ અને આદર્શ સમાજની રચના કરવા માંગતા હતા." આ ડોક્યુમેન્ટરીમાં શીલાથી લઈને અનેક પૂર્વ સંન્યાસીઓ, સ્થાનિક અધિકારીઓનાં ઈન્ટરવ્યુ મારફતે રજનીશપુરમના ધબડકાની કહાની પેશ કરવામાં આવી છે.
ઓશોની કહાનીમાં આ મા આનંદ શીલાનું પાત્ર દિલચસ્પ અને કેન્દ્ર સ્થાને છે. શીલા ઓશોની અંગત સચિવ અને રજનીશપુરમની કર્તાહર્તા. ઓશોને પ્રેસિડેન્ટ ગણીએ તો શીલાને પ્રાઈમ મિનિસ્ટર કહેવાય. ગુજરાતી ભાષામાં માથાભારે પણ કહેવાય. અમેરિકાન સરકારે ઓરેગોનમાંથી ઉચાળા ભરાવ્યા (ઓશોને બારેક દેશોમાં પેસવા દેવાયા નહીં એટલે ભારત આવ્યા), ત્યારે વૈકલ્પિક વસવાટ માટે શીલા ઓસ્ટ્રેલિયામાં હતી. 'સુવાસ' તો પહોંચી જ ગઈ હતી. કોક પત્રકારે પૂછ્યું કે, "અહીં કેમ આવ્યા છો?" ત્યારે શીલાએ આકરી જબાનમાં કહેલું, "શું કહું? ડીંટડીઓ સખ્ત છે.” (What can I say? Tough titties).
આ શીલાને પણ રજનીશપુરમના સ્થાનિક લોકો પર બાયોટેરર હુમલા માટે ૨૦ વર્ષનો કારાવાસ થયેલો, પણ ૨૯ મહિના પછી પેરોલ પર છોડી મુકાઇ હતી. ત્યાંથી એ સ્વીત્ઝરલૅન્ડ જતી રહી હતી. શીલાએ જ્યારે ઓશોથી છૂટા પડવાનો નિર્ણય કર્યો ત્યારે, આજીવન માલિકીભાવ અને ઈર્ષ્યા નહીં રાખવાનું શિક્ષણ આપનાર ઓશોએ ઓન-કેમેરા કહેલું, "એ (શીલા) ગુનાઓના અપરાધબોધથી આત્મહત્યા કરશે, અથવા જેલમાં સડશે." પુણેમાં રજનીશ આશ્રમમાં મોરારજી દેસાઈની સરકારની તવાઈ, છાપાઓની હેડલાઈન્સ અને ફ્ર્રી-સેક્સને લઈને વિવાદો-વિરોધો થયા, ત્યારે સુદૂર અમેરિકામાં એક નવું સ્વર્ગ ઉઊભું કરવાનો આખો આઈડિયા આ શીલાનો હતો.
આ મા આનંદ શીલા એટલે, મૂળ વડોદરા પાસે ભાયલી ગામના અંબાલાલ અને મણિબહેનનાં ૬ સંતાનો પૈકીની સૌથી નાની દીકરી શીલા પટેલ. અંબાલાલ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં સક્રિય હતા, અને કાકાસાહેબ કાલેલકરના સચિવ તરીકે પણ કામ કરતા હતા. એકદમ આધ્યાત્મિક અને ફિલોસોફિકલ જીવ. શીલા તો બહુ પાછળથી રજનીશના પરિચયમાં આવી હતી. સૌથી પહેલાં તો આ અંબાલાલે રજનીશની સંભાળ લીધી હતી. 'સંભાળ' એ અર્થમાં કે, એમણે બાળક ચંદ્રમોહન ઉર્ફ રજનીશને દત્તક લીધો હતો. ઓરેગોનમાં રજનીશપુરમ ધમધમતું હતું ત્યારે, મેગ્ના પબ્લિશિંગવાળા નારી હીરાના 'સોસાઈટી' સામયિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં ૭૪ વર્ષના અંબાલાલ ચતુરભાઈ પટેલે કહ્યું હતું કે, ૧૯૩૬માં એમણે રજનીશને દત્તક લીધો હતો, કારણ કે જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે, જો એ બાળકને બીજા કોઈ પરિવારમાં મૂકવામાં નહીં આવે તો, એ સાત જ વર્ષ જીવશે. અંબાલાલે ત્યારે કહ્યું હતું, "દત્તક લીધાના એ કાગળો આજે પણ એમની દીકરી (શીલા) પાસે ઓરેગોનમાં છે."
આ ઇન્ટરવ્યુ 'સોસાઈટી'ના આસિસ્ટન્ટ એડિટર ગોડફ્રે પરેઈરાએ લીધો હતો. એ આખી વાત આ પ્રમાણે છે:
યુવાન અંબાલાલ ત્યારે મુંબઈમાં ક્લાર્કની નોકરી કરતા હતા. એમના એક ભાઈબંધની કાલબાદેવીમાં કપડાંની દુકાન હતી. અહીં ૧૯૩૫માં અંબાલાલને મધ્ય પ્રદેશના કાપડના વેપારી બાબુલાલ જૈનનો ભેટો થયો, જે વેપારાર્થે મુંબઈ આવતા હતા. એકવાર, બેવાર અને વારંવાર મળ્યા, એમાં દોસ્તી થઇ. દોસ્તી એવી કે, અંબાલાલ એક છોકરીને પરણવું કે નહીં એની મુંઝવણ બાબુલાલને કહે, અને બાબુલાલ એમની નાની-મોટી મુસીબતોની વાતો અંબાલાલને કરે.
એમાંને એમાં અંબાલાલને લાગ્યું કે, બાબુલાલને કશુંક ગંભીર કોરી ખાય છે. એક વાર ભેગા થયા ત્યારે કાલબાદેવીની એક રેસ્ટોરન્ટમાં અંબાલાલે દોસ્તીના સમ આપીને બાબુલાલને પૂછી જ લીધું. બાબુલાલ ભાંગી પડ્યા, અને રડતા-રડતા બોલ્યા, "મારો એકનો એક છોકરો મરી જવાનો છે." અંબાલાલે લાગણીનો ઊભરો માનીને સાંત્વન આપવા પ્રયાસ કર્યો તો બાબુલાલે કહ્યું, "તું સમજતો નથી. ગ્રહો એના પક્ષમાં નથી. જ્યોતિષીઓએ સાત જ વર્ષ આપ્યાં છે. કોઈ એની કુંડળી બનાવવા તૈયાર નથી. કહે છે કે, જે જીવવાનો નથી એની કુંડળી ના બને."
અંબાલાલને સમજ ના પડી કે શું કહેવું. બાબુલાલે જ પછી કહ્યું, "એક આશા એવી છે કે, હું એનો પિતા ના હોઉં અને કોઈ અપરિચિતને દત્તક આપી દઉં તો એ બચી જાય. લોહીની સગાઈમાં આપું તો ગ્રહો ભેગા થાય છે. સાત વર્ષ જો એ જીવી જાય તો એની કુંડળી બની શકે એમ છે."
"એનું નામ શું?" અંબાલાલે પૂછ્યું.
"રજનીશ ચંદ્રમોહન."
"સરસ નામ છે," અંબાલાલે સ્વગત બોલ્યા, અને તરત નક્કી કર્યું, "હું એને દત્તક લઈશ."
કાલબાદેવીની એ રેસ્ટોરન્ટમાં કુચવેડા(મ.પ્ર.)ના કાપડના વેપારી અને એક ગુજરાતી ક્લાર્ક વચ્ચે ગ્રહોને પરાજય આપવાના કોલ લેવાયા. એટલું સરળ હતું નહીં, કારણ કે રજનીશની માતાએ જીદ કરી કે, "દીકરો મરી જ જવાનો હોય તો ભલે મારી પાસે જ મરતો, સાત વર્ષ તો હું એની સાથે રહું. એટલે દૂર મુંબઈમાં મોકલાય?" એમાં આ દત્તક આપવાનો આ ખાનગી પ્લાન લગભગ ચોપટ થઇ ગયો. એમાં બે-ત્રણ વર્ષમાં રજનીશ એકવાર શીતળા અને બીજીવાર ટાઈફોડમાં પછડાઈને ઊભો થયો એટલે બાબુલાલે ઐસી કી તૈસી કરીને રજનીશને બેગ-બિસ્તરા સાથે અંબાલાલ પાસે મોકલી જ દીધો.
અંબાલાલે ત્યારે જ બીજો નિર્ણય કર્યો, પેલી છોકરી મણિબહેન સાથે લગ્ન કરવાનો. લગ્ન પછી અંબાલાલ, મણિબહેન અને રજનીશ જુહુ કોલીવાડામાં સ્થાઈ થયા. અંબાલાલ કહે છે,"આખી વાત ખાનગી હતી. અમે કોઈને એવું કહેવા માંગતા ના હતા કે રજનીશ દત્તક લીધેલો છે. મારા એ દિવસો બહુ ટેન્સ હતા. એને કૈંક થઇ ગયું તો? એની આંખો બહુ મોહક હતી. એવી ચમક મેં પહેલીવાર જોઈ હતી. એ મારી સામે જુવે તો મને લાગતું કે કોઈ બહુ પૌરણિક માણસ મને જોઈ રહ્યો છે. એ બહુ શાંત હતો. બાળકોમાં એ બહુ ભળતો નહીં. ખબર નહીં, ખૂણામાં બેસીને એ શું જોયા કરતો હતો. એ નોર્મલ બાળક નો'તો. એને શ્વાસની તકલીફ હતી. અમે એની દરકાર રાખતા. જુહુનું વાતાવરણ એને માફક આવ્યું હતું, અને એ તંદુરસ્ત થવા લાગ્યો. એને દરિયો ગમતો હતો, અને ક્ષિતિજ તરફ જોયા કરતો. બાબુલાલ અને હું ટચમાં હતા. રજનીશ માટે હું જ એનો પિતા હતો, અને મેં દીકરાની જેમ એને પ્રેમ કર્યો હતો. એને બહુ સહન કર્યું હતું. મેં દત્તક ના લીધો હોત તો જીવ્યો ના હોત."
રજનીશ સાડા સાત વર્ષનો થયો, તે પછી એ બાબુલાલ પાસે રહેવા જતો રહ્યો. એ પછી અંબાલાલને છ સંતાનો થયાં. એ કહે છે, "એ ગયો પછી હું સતત રજનીશના સંપર્કમાં હતો. મેં મારાં તમામ સંતાનોને રજનીશ તરફ ધકેલ્યાં હતાં. એમને ખબર નો'તી પડતી કે હું કેમ આવું કરું છું. શીલા અને રેખા (જ્યેષ્ઠ દીકરી પ્રતીક્ષા) રજનીશ સાથે ગઈ. મારી બે દીકરીઓ એમના ભાઈ સાથે રહે છે, એ મારા માટે બહુ જ આનંદની વાત છે."
રજનીશને અંબાલાલે દત્તક લીધો હતો તે વાત બહાર આવી, એની પાછળ ઈમિગ્રેશનનો મુદ્દો હતો. ૧૯૮૧માં પુણે આશ્રમમાં 'ગરમી' વધી ગઈ, એટલે રજનીશે અમેરિકા માટે ઉચાળા ભર્યા. પુણેના ડોકટરોએ લખી આપેલા સર્ટિફિકેટના આધારે કરોડરજ્જુની બીમારી ઠીક કરવા માટે છ મહિનાના કામચલાઉ વિઝા ઉપર એ અમેરિકામાં પ્રવેશ્યા. એ પૂરા થયા થયા એટલે બીજા છ મહિનાનું એક્સ્ટેન્શન લીધું. એ પછી ૨૪ નવેમ્બર, ૧૯૮૧ના રોજ એમણે કાયમી વસવાટ માટે અરજી કરી. યુ.એસ. ઈમિગ્રેશને તરત જ રજનીશના મેડિકલ રિપોર્ટની જાંચ શરૂ કરી. ૨૪ ડિસેમ્બર, ૧૯૮૨ના રોજ ઈમિગ્રેશને કાયમી વિઝાની ના પાડી દીધી.
રજનીશીઓએ આની સામે જાતભાતની કાનૂની લડાઈઓ છેડી. એમાં ૨જી ફેબ્રુઆરી ૧૯૮૪માં એમણે ભ્રહ્માસ્ર છોડ્યું. ૧૯૭૩થી યુ.એસ.માં સિટીઝનશિપ ધરાવતા સ્વામી સ્વરૂપાનંદ નામના એમના એક શિષ્યએ ઈમિગ્રેશને અરજી કરીને કહ્યું કે, રજનીશ એમનો દત્તક પુત્ર છે, અને કાયમી વસવાટ માટે અધિકારી છે. આ સ્વરૂપાનંદ એટલે અંબાલાલ પટેલ. અંબાલાલે પેલા ઈન્ટરવ્યુમાં કહે છે, રજનીશને દત્તક લેવાવાળી વાત ખાનગી રાખવાની હતી, પણ અમેરિકામાં ઊતર્યા પછી ધ ઈમિગ્રેશન એન્ડ નેચરલાઈઝેશન સર્વિસે મુસીબત ઊભી કરી એટલે મારે આ વાત જાહેર કરવી પડી.
શીલા જ્યારે ૧૭ વર્ષની હતી, અને અભ્યાસ માટે અમેરિકા જવાની હતી તે જ દિવસે અંબાલાલ એને મુંબઈમાં બે સુપરસ્ટાર ગુરુને સાંભળવા લઇ ગયેલા, રજનીશ અને જે. કૃષ્ણમૂર્તિ. શીલાની માતા મણિબહેને તો છણકો પણ કરેલો કે, રજનીશને સાંભળવામાં છોકરી પ્લેન મિસ કરશે. અંબાલાલે ત્યારે કહેલું, "એને આ એક પ્રવચનમાંથી જે શીખવા મળશે એ પાંચ જીવનમાં ય નહીં મળે, અને ભગવાનને મળવામાં પ્લેન જતું હતું હોય તો ભલે જાય."
૧૯૭૩માં ૧૯ વર્ષની શીલા ૨૨ વર્ષના માર્ક હેરિસ સિલ્વરમેનને પરણીને ભારત પાછી આવી, અને ફેબ્રુઆરીમાં થાણેમાં રજનીશની માળા ધારણ કરીને મા આનંદ શીલા બની. માર્ક સિલ્વરમેન પ્રેમ ચિન્મય બની ગયો. પુણેમાં આશ્રમ સ્થપાયો ત્યારે આ બંને ત્યાં એકથી વધુ પાર્ટનર રાખતા હતા, જે રજનીશની મુખ્ય (અને વિવાદાસ્પદ) થિયરી હતી: સંભોગથી સમાધિ સુધી.
અંબાલાલને વાંધો ન હતો? પેલા ઇન્ટરવ્યુમાં એ કહે છે, "હું ૭૪ વર્ષનો છું. વડોદરામાં નાનકડું જીવન જીવું છું. ખેતરમાં ઝૂંપડીમાં રહું છું. હું કપડાં ય પહેરતો નથી. નગ્ન રહું છું. રજનીશ સાથે આજે ય સંબંધ છે. મને બાપુજી કહે છે. મને ખબર છે, બહુ લોકોને રજનીશ પસંદ નથી. ઈટ ઈઝ ઓલરાઈટ. એ જે કહે છે તે બરાબર છે. હું અહીં બેસીને એને જજ નથી કરતો. રજનીશ એક પ્રકાશ છે. એને મૂલવવાનો મતલબ જાતને મુલવવી એવો થાય. ગમે તેવી બુદ્ધિ હોય, ખોટા જ પડાય. હું એને વ્હાલ કરું છું. મારું જીવન પૂરું થયું છે. મારા માટે જન્મ કે મોત જેવું કંઈ નથી. બસ જીવન છે અને હું જીવું છું. જે છે એ બધું બરાબર છે. હું મારા મોટા દીકરા પાસે ઓરેગોન જઈ રહ્યો છું. ખબર નહીં પાછો ક્યારે આવીશ."
અંબાલાલ પટેલ, બાબુલાલ જૈન અને ખુદ 'ભગવાન' આ સંસારમાં નથી. ૬૪ વર્ષની મા આનંદ શીલા સ્વીત્ઝરલૅન્ડમાં ત્રીજા લગ્ન કરીને શીલા બર્નસ્ટેલના નામથી એક નવી જ જિંદગી જીવે છે. ત્યાં એણે માનસિક વિકલાંગો માટે બે નર્સિંગ હોમ બનાવ્યાં છે, અને નામ આપ્યું છે, માતૃસદન અને પિતૃસદન. ગયા વર્ષે શીલાની 'ડોન્ટ કિલ હિમ' નામની ચોપડી અંગ્રેજીમાં આવી હતી, જેમાં એણે રજનીશપુરમના પ્રયોગની, કેવી રીતે એનો ધબડકો થયો તેની, એના જેલવાસ અને કેવી રીતે એ સ્વીત્ઝરલૅન્ડ જતી રહી, તેની વાતો લખી છે. ચોપડીમાં એના જીવન માટે અને રજનીશ સાથે ભેટો કરાવવા બદલ પિતા અંબાલાલ અને માતા મણિબહેનનો આભાર માને છે. એમની જ યાદમાં બે નર્સિંગ હોમ બનાવ્યાં છે.
ચોપડીના અંતે એ લખે છે, "હું રોજ એમને મીસ કરું છું. એ ખૂબસુરત ચહેરો, એમના હાથ અને પગનો ખાસ સ્પર્શ, એ મોહક અવાજ, એમની દીવાનગી-મને બધું જ યાદ છે. મેં એમને પ્યાર કરવાનું કયારે ય બંધ નો'તું કર્યું અને ક્યારે ય નહીં કરું. માણસ તરીકે એમનાં કેટલાંક કૃત્યો ભલે દોષપૂર્ણ હોય, ભગવાન શ્રી રજનીશ તરીકે એમના ઉપદેશ અલૌકિક હતા. એમનો આત્મા ૧૯૯૦માં શરીર છોડી ગયો છે. Now, please, Don’t kill him!”
આ ચોપડી આવી તે પછી ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના એક પત્રકારે શીલાને ફોન કરીને પૂછેલું;
શીલા, એમની (ઓશોની) તમારા પર કેવી અસર હતી?
"હું એમના પ્રેમમાં હતી."
પણ એ કેવા માણસ હતા?
"એ બહુ બધા લોકો માટે બહુ બધું હતા. રૂઢિચુસ્ત ઈસાઈઓ માટે એ શેતાન હતા. આધ્યાત્મિક અભ્યાસ માટે આવતા એમના અનુયાયીઓ માટે પ્રબુદ્ધ હતા. બીજાઓ માટે, ભગવાન હતા. અને મારા માટે, એક ખૂબસુરત આદમી હતા. અંતે તો, તમે જે ચાહો એવા એ દેખાય."
સુભાષ ઘાઈનું પણ એવું જ છે. એ કહે છે, "ઓશોની કહાનીમાં એટલું બધું છે કે, ધારો તો છ ફિલ્મો બને."
વેલ, ઉપર આ લખ્યું એ આવી છ પૈકીની જ એક કહાની છે.