કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્રને પાછળ ધકેલ્યું છે અને એનું કારણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું આપવામાં આવે છે.
આ બહાનું સાચું છે, પણ જરા જુદા અર્થમાં. સંસદનું શિયાળુ સત્ર એટલા માટે નથી પાછળ ધકેલવામાં આવી રહ્યું કે કૉન્ગ્રેસ અને BJPના નેતાઓ ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હશે અને અને કારણે ગૃહમાં કામકાજ પર અસર થશે. એની પાછળનું સાચું કારણ એ છે કે જો સંસદનું સત્ર બોલાવવામાં આવે તો કૉન્ગ્રેસ અને બીજા પક્ષો રાફેલ વિમાનસોદાની ચર્ચા કાઢશે અને એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે BJPને પરવડે એમ નથી. ઘણી મોટી રમત રમાઈ છે અને હવે એ વાત બહાર આવી ગઈ છે. સરકાર પાસે આનો ગળે ઊતરે એવો કોઈ ખુલાસો નથી અને સંસદમાં ગલ્લાંતલ્લાં કરવાં પડે તો ગુજરાતના નારાજ મતદાતાઓ આખી રમત પામી જાય. એટલે તો કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ૧૬ નવેમ્બરે પત્રકારોને કહ્યું હતું કે ‘તમે મને જેટલા સવાલ પૂછ્યા છે એના મેં જવાબ આપ્યા છે. હવે એક સવાલ તમારે વડા પ્રધાનને પૂછવાની હિંમત કરવી જોઈએ કે રાફેલ વિમાનસોદામાં શી રમત રમાઈ છે? શા માટે સોદાના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એનાથી કોને ફાયદો થવાનો છે?’
શા માટે UPA સરકારે ૨૦૧૨માં કરેલા સોદામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એનો ફાયદો કોને થવાનો છે? લાખ રૂપિયાનો સવાલ આ છે જેના વિશે ‘નેશન વૉન્ટ્સ ટુ નો’નો દેકારો કરનારા બિકાઉ મીડિયા ચૂપ છે.
ગઈ કાલે કહ્યું હતું એમ ભારતે સાત દાયકામાં પાંચ લડાઈ લડવી પડી છે અને ચીનનો વિસ્તારવાદ જોતાં ભારત પર મોટું લશ્કરી જોખમ છે. આની સામે દેશના સંરક્ષણ માટે ભારતે લડાકુ વિમાનોના મોટા કાફલાની જરૂર છે. સંરક્ષણનિષ્ણાતોના અભિપ્રાય મુજબ બની શકે તો ૩૦૦ અને નહીં તો ઓછામાં ઓછાં ૨૦૦ વિમાનોની ભારતના હવાઈ દળને જરૂર છે. જો ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ સંપૂર્ણપણે ઘરેલુ ટેક્નૉલૉજી સાથે વિમાનો બનાવે તો ૨૦૦ વિમાનો બનાવતાં ૫૦ વર્ષ લાગે. આને ધ્યાનમાં રાખીને ૨૦૦૭માં ડૉ. મનમોહન સિંહની સરકારે વિશ્વભરમાંથી ટેન્ડરો મગાવ્યાં હતાં. કુલ ૬ કંપનીઓએ ટેન્ડર ભર્યાં હતાં જેમાંથી ૨૦૧૨માં ભારત સરકારે ડેસૉલ્ટ એવિયેશન નામની ફ્રેન્ચ કંપની સાથે ૧૨૬ રાફેલ વિમાનો ખરીદવાનો કરાર કર્યો હતો. કરાર મુજબ ૧૮ વિમાનો આવતાંની સાથે જ ઉપયોગમાં લઈ શકાય (ટેક્નિકલ ભાષામાં ઇન અ ફ્લાય અવે કન્ડિશન) એવાં ખરીદવાનાં હતાં અને બાકીનાં ૧૦૮ વિમાનો ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ ડેસૉલ્ટ એવિયેશન પાસેથી ટેક્નૉલૉજી મેળવીને બનાવવાની હતી. એ સોદો ૧૦.૨ બિલ્યન ડૉલર્સ – ૫૪,૦૦૦ કરોડ રૂપિયાનો હતો.
ફ્રેન્ચ કંપની ડેસૉલ્ટ એવિયેશન વિમાનોની ડિલિવરી કરે એ પહેલાં કેન્દ્રમાં સરકાર બદલાઈ હતી અને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી હતી. ૨૦૧૫ના એપ્રિલમાં ફ્રાન્સની મુલાકાતે ગયા હતા. તેમની સાથે રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના અધ્યક્ષ અનિલ અંબાણી પણ ફ્રાન્સ ગયા હતા. વડા પ્રધાને ખાસ રસ લઈને ડેસૉલ્ટ એવિયેશનના સંચાલકો સાથે બેઠક કરી હતી જેમાં પણ અનિલ અંબાણી ઉપસ્થિત હતા. એ બેઠકમાં વડા પ્રધાને ૨૦૧૨ની સાલના સોદાને રદ કરીને આવતાંની સાથે ઉપયોગમાં લઈ શકાય એવાં ૩૬ વિમાનોનો સોદો કર્યો હતો અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ સાથે મળીને ભારતમાં વિમાન બનાવવાની સમજૂતીને પણ રદ કરી હતી. ભારત સરકાર ૩૬ વિમાનો માટે ૫૮,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવશે.
વડા પ્રધાન ફ્રાન્સની મુલાકાતેથી પાછા ફર્યા હતા, પરંતુ અનિલ અંબાણી રોકાઈ ગયા હતા. તેમણે બીજા જ અઠવાડિયે ડેસૉલ્ટ એવિયેશન કંપની સાથે ભારતે ખરીદેલાં ૩૬ વિમાનોના મેઇન્ટેનન્સનો અને ભારતમાં વધુ વિમાનો બનાવવા માટે ટેક્નૉલૉજીનો કરાર કર્યો હતો. આનો અર્થ એ થયો કે અનિલ અંબાણીની કંપનીએ સરકારની માલિકીની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સની જગ્યા લઈ લીધી હતી. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૧૯૪૦થી અસ્તિત્વમાં છે અને દાયકાઓથી હવાઈ દળ માટે વિમાનો બનાવે છે, જ્યારે રિલાયન્સ ડિફેન્સને વિમાન બનાવવાનો કોઈ અનુભવ નથી અને હજી પ્લાન્ટ સ્થાપવાનો પણ બાકી છે. ખબર નહીં, બાકીનાં વિમાનો ભારતને ક્યારે મળશે અને કયા ભાવે મળશે.
હવે કહો કે તમને આ સોદો ગળે ઊતરે છે? નરેન્દ્ર મોદી જ્યારે ફ્રાન્સની મુલાકાતે ગયા ત્યારે તેમના કાર્યક્રમમાં ડેસૉલ્ટ એવિયેશનના સંચાલકોને મળવાનું ઠરાવાયું છે એની એ સમયના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને કોઈ જાણ નહોતી. તેમને એ વાતની પણ જાણ કરવામાં નહોતી આવી કે સરકાર રાફેલ વિમાનોના સોદા વિશે પુર્નવિચાર કરી રહી છે. તેમને સાથે ફ્રાન્સ તો નહોતા લઈ જવાયા, પરંતુ તેમનો ૨૦૧૨ના ભારત સરકારના રાફેલસોદા વિશે શું કહેવાનું છે એ વિશે અભિપ્રાય પણ માગવામાં નહોતો આવ્યો. તેમને એ વાતની પણ જાણ નહોતી કરવામાં આવી કે વડા પ્રધાન સાથે રિલાયન્સ ડિફેન્સના વડા અનિલ અંબાણી ફ્રાન્સ જવાના છે અને તેમને એ વાતની પણ જાણ નહોતી કે રિલાયન્સ ડિફેન્સ હિન્દુસ્તાન ઍરોનૉટિક્સની જગ્યા લેવાની છે. મનોહર પર્રિકરે ત્યારે બળાપો ઠાલવ્યો હતો અને ૬ મહિનામાં ગોવાના મુખ્ય પ્રધાન બનીને પણજી પાછા જતા રહ્યા હતા. દેશના સંરક્ષણપ્રધાન એક ખોબા જેવડા રાજ્યના મુખ્ય પ્રધાન બનવા પાછા જાય એ ગળે ન ઊતરે એવી ઘટના હતી એ બાબતે આ લખનાર સહિત અનેક લોકોએ શંકા વ્યક્ત કરી હતી.
બીજું, વિમાન બનાવવાની આવડત અને ક્ષમતા હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ વધારે ધરાવે છે કે રિલાયન્સ ડિફેન્સ? સાવ સાદી બુદ્ધિનો સવાલ છે. જાહેર ક્ષેત્રની અનુભવી કંપનીને બાજુએ હડસેલીને વિમાન બનાવવામાં સાવ નવશીખિયા ઉદ્યોગપતિને તક આપવામાં આવી એની પાછળ શું લૉજિક છે એ નરેન્દ્ર મોદીએ કે ભારત સરકારે સ્પષ્ટ કર્યું નથી. એમાં જો કોઈ પ્રકારનું દેશનું હિત હોય તો સરકારે પ્રજાને જણાવવું જોઈએ. નરેન્દ્ર મોદી તેમની ખાસિયત મુજબ ચૂપ છે.
ત્રીજું, ૩૬ વિમાનો તો કદાચ વહેલાંમોડાં આવશે, પરંતુ બાકીનાં વિમાનોનું શું? સંરક્ષણનિષ્ણાતોના મતે ભારતને ઓછામાં ઓછાં ૨૦૦ વિમાનોની જરૂર છે. શું દેશની સુરક્ષા અનિલ અંબાણી પર છોડવામાં આવી છે? આવી રીતે ભારત ચીનનો મુકાબલો કરવાનું છે? વડા પ્રધાન હિતસંબંધ ધરાવનાર ઉદ્યોગપતિને વિદેશપ્રવાસે સાથે લઈ જાય, એટલું જ નહીં, તેમની સાથે અને તેમના હિતમાં ડેસૉલ્ટ એવિયેશનના સંચાલકો સાથેની બેઠકમાં હાજર રહે અને સરકારી માલિકીની કંપનીને બાજુએ હડસેલીને પ્રાઇવેટ કંપની માટે રસ્તો કરી આપે એ શું દેશભક્તિનું અત્યાર સુધી અજાણ્યું કોઈ નવું સ્વરૂપ છે? હોય તો વાંધો નહીં, બસ ખુલાસો કરે. આપણી વડા પ્રધાન પાસેથી આટલી જ અપેક્ષા છે. કોના ફ્રિજમાં બીફ હતું એ જાણવામાં દેશને રસ નથી, આ જાણવામાં છે.
રાહુલ ગાંધીએ મીડિયાને ટોણો મારતાં યોગ્ય જ કહ્યું હતું કે રાફેલ વિશે તેઓ એક સવાલ વડા પ્રધાનને કરે. નેશન વૉન્ટસ ટુ નો, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર. હવે સમજાઈ ગયું હશે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે શા માટે સંસદના શિયાળુ સત્રને પાછળ ધકેલવામાં આવ્યું છે. બિકાઉ મીડિયા જે સવાલ નથી પૂછતા એ સંસદમાં પુછાવાનો છે અને એનાથી સરકાર ડરે છે. હવે વાચકને એ પણ સમજાઈ ગયું હશે કે શા માટે સંરક્ષણની બાબતમાં દેશને આત્મનર્ભિર નથી કરવામાં આવતો? ૭ પેઢી ખાય અને ૭ ચૂંટણી લડે તો પણ ખૂટે નહીં એટલું ધન સંરક્ષણસોદાઓમાંથી મળે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 25 નવેમ્બર 2017