અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન રવિવારથી હેરિટેજ સપ્તાહની ઉજવી રહી છે
શહેરનાં વૃક્ષોનાં વર્તમાન વિશે આપણે બેપરવા હોઈએ ત્યારે તેમનાં ભૂતકાળ વિશે સભાન ન હોઈએ એ તર્કપૂર્ણ છે. એટલે શહેરનાં સ્થાપત્ય ,શિલ્પ, કળાઓ, ઉદ્યોગો જેવાં ક્ષેત્રોના વારસા પર સંશોધન થયું છે. પણ તેનાં ગ્રીન કવર કે વ્યાપક રીતે પર્યાવરણીય ઇતિહાસનો અભ્યાસ ભાગ્યે જ જોવા મળે છે. જો કે અમદાવાદમાં વૃક્ષો નોંધપાત્ર પ્રમાણમાં હતાં એમ અમદાવાદના ઇતિહાસ પરનાં ગ્રંથો બતાવે છે.
ગુજરાતના ૧૬૧૧માં લખાયેલા સહુથી જૂના ઇતિહાસ ‘મિરાતે સિકંદરી’ અમદાવાદનું જે વર્ણન છે તેમાં શહેરમાં પુષ્કળ વૃક્ષો હોવાનો ઉલ્લેખ છે : ‘ પોતાનાં પૂરાં કદમાં શિર ટટાર ખેંચીને વૃક્ષો ઊભાં છે – જાણે સુંદરીઓ ઊભી છે. વિશાળ વૃક્ષોની શાખાઓ પર પંખીઓ મધુર કિલકિલાટ કરે છે …. લીલાં વૃક્ષોની શોભા સ્વર્ગને ટપી જાય છે.‘
‘મિરાતે સિકંદરી’માંથી એ પણ સમજાય છે અમદાવાદમાંવૃક્ષો માટેનો ઉત્તમ કાળ મહમૂદ બેગડા(૧૪૫૮- ૧૫૧૧)નો હતો. સિકંદરીનો કર્તા લખે છે: ‘… વળી અનેક જાતનાં ઝાડ જેવાં કે આંબા, દાડમડી, રાયણ, જાંબુ, બેલ અને મહુડા વગેરે જે બધાં ગુજરાતમાં ઇશ્વરની મહેરબાનીથી છે તે બધાં આ મહાપ્રતાપી સુલતાનના પ્રયત્ન અને ઉત્તેજનથી થયેલાં છે. રૈયત પોતાની જમીનમાં ઝાડ વાવે તો તેને તે ઉત્તેજન આપતો. એટલે લોકો વૃક્ષ ઉછેરવામાં વધુ પ્રયત્ન કરવા લાગ્યા. એવું કહેવાય છે કે રસ્તા ઉપર અથવા કોઈ ગરીબ ઝૂંપડી આગળ વૃક્ષ ઉછરેલું સરકારની નજરે પડતું તો સુલતાન ઘોડાને ઊભો રાખી, વાવનારને બોલાવી મહેરબાની બતાવતો અને પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે ? જો તે એમ કહે કે દૂરથી પાણી લાવું છું તો તરત જ પાસે કૂવો ખોદાવતો અને કહેતો કે અમુક ઝાડ ઉછેરશે તેને ઇનામ આપવામાં આવશે …’
અમદાવાદમાં વૃક્ષવિપુલતા અને વૈવિધ્યની અનેક પરદેશી મુસાફરોએ નોંધ લીધી છે. તેની માહિતી રત્નમણિરાવ ભીમરાવે લખેલા ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ (૧૯૨૯) નામનાં ગ્રંથમાં મળે છે. તે લખે છે : ‘સુલતાન મહમૂદ બેગડાના ૧૫૧૧માં થયેલા મરણના બે-ત્રણ વર્ષ પછી લિસ્બનનો મુસાફર સ્ટૅંનલી બારબોસા ગુજરાતમાં આવ્યો હતો. તેણે અમદાવાદમાં વાડીઓ અને બગીચા ઘણાં હતાં એમ લખ્યું છે.’
ઇન્ગ્લેન્ડનો એલચી થૉમસ રો ૧૫ ડિસેમ્બર ૧૬૧૭ના રોજ અમદાવાદ આવ્યો હતો. તે લખે છે કે ‘રસ્તાઓ પર એવાં ઝાડ હતાં કે ગાઢ ઉપવનમાં પેસતા હોઈએ તેવું લાગે.’ ૧૬૬૬માં અમદાવાદ આવેલો ફ્રેન્ચ મુસાફર જ્યાં-દી-થેવેનો લખે છે : ‘અમદાવાદમાં ઝાડ અને શહેરના બાગ ઘણાં છે. જેથી કોઈ ઊંચી જગ્યાએથી નજર કરીએ તો લીલાં વૃક્ષોનું એક મોટું વન લાગે. વૃક્ષોની ઘટામાં શહેરનાં ઘણાં મકાનો ઢંકાઈ જાય છે.’ 1613ના નવેમ્બરમાં અંગ્રેજ મુસાફર નિકોલસ વ્હિટિન્ગટન લખે છે : ‘શહેર અને ગામડાંમાં ઝાડ પુષ્કળ છે અને તેને લીધે સૂર્યનો તાપ ઓછો લાગે છે. ઝાડ એટલાં પાસે પાસે હોય છે કે ઊંચી જગ્યાએથી જોઈએ તો શહેર એક ઉપવન લાગે છે.’
અમદાવાદમાં બાગ-બગીચા એટલા બધા હતા કે રત્નમણિરાવે તેની પર એક આખું પ્રકરણ ‘અમદાવાદના ઉદ્યાનો’ લખ્યું છે. રત્નમણિરાવે બાર બાગ વિશે લખ્યું છે. તેમાં ચારમાં વૃક્ષો વિશે વધુ વિગતો છે : કાંકરિયા તળાવની વચ્ચે બાગે નગીના, રાજપુરની હદથી વસ્ત્રાલ પાસે બાગે ફિરદોશ, રખિયાલનો હરડેનો બાગ અને સરખેજ પાસેનો ફતેહબાગ. ૧૬૩૮માં આવેલો જર્મન મુસાફર જૉન આલ્બર્ટ ડી મેન્ડેલ્સો ફતેહ બાગને ‘હિંદુસ્તાનનો મોટામાં મોટો અને સુંદરમાં સુંદર બાગ’ ગણાવે છે. રત્નમણિરાવે જણાવેલા અન્ય બાગ આ મુજબ છે : શાહવાડી, ફરમાનવાડી, બાગે શાયબાઁ, જીતબાગ, ગુલાબ બાગ, બાગે તોત, રૂસ્તમ બાગ અને શાહીબાગ.
શાહીબાગ વિશે થેવે લખે છે કે ‘એમાં હિન્દુસ્તાનમાં ઊગતાં દરેક પ્રકારનાં વૃક્ષો છે. એમાં બંને બાજુ પર ઝાડવાળા સીધા લાંબા રસ્તા કરેલા છે. તે ‘કોર દ લા રેંઈ’ [પેરિસમાં સીન નદી કિનારે આવેલાં એક જાહેર ઉદ્યાન] જેવા દેખાય છે’. જો કે ૧૭૮૧માં અંગ્રેજ કલાકાર અને લેખક જેમ્સ ફૉર્બ્સે આ બાગ જોયો ત્યારે તેમાં ભાંગેલા ફુવારા, નહેરો અને પરદેશી દેખાવનાં કેટલાંક ઝાડ હતાં. જો કે એને એકલા મહેલ સિવાય આખો બાગ એને ઉજ્જડ લાગ્યો હતો. ‘અમદાવાદનાં ઉદ્યાનો અઢારમી સદીમાં ઘણે ભાગે વેરાન થયાં હતાં’, એમ રત્નમણિરાવ જણાવે છે.
અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધુળિયું શહેર કહ્યું તે જહાંગીરે. તે ૧૬૧૭ના ડિસેમ્બરમાં અમદાવાદમાં આવ્યો ત્યારે માંદગી, થોર અને કાંટાથી તે અકળાઈ ઊઠ્યો એમ તેના ખુદબયાન ‘જહાંગીરનામા’માં છે. જો કે કાંકરિયાની રચના તેને બહુ ગમી હતી. તળાવના કિનાર પર નિઝામુદ્દિન અહમદખાંનો બાગ હતો. તેના પુત્ર સાથે કંઈક તકરાર થવાથી અબ્દુલખાં ફિરોજંગ નામના ઉમરાવે બાગનાં ઝાડ કાપી નાખ્યાં હતાં. તેની સજા તરીકે જહાંગીરે ફિરોજંગની મનસબ અને જાગિરમાં ઘટાડો કર્યો હતો. તદુપરાંત એક વખત સાબરમતીના કિનારા પરનાં ચંપાનાં ઝાડ કાપનારના બંને અંગુઠા કાપવાની સજા કરવામાં આવી હતી. અમદાવાદનાં વૃક્ષો અંગે રત્નમણિરાવ લખે છે : ‘ અમદાવાદમાં બે જ પ્રસંગ આવ્યા છે કે આસપાસ ઝાડને બદલે ઉજ્જડ અને વેરાન હોય. પહેલો પ્રસંગ છેલ્લા સુલતાન મુઝફ્ફરની હાર પછી અકબરના રાજ્ય સુધીનો. એ સમયે લડાઈઓ અને સુલતાનની છેલ્લી અવ્યવસ્થાથી શહેર બહાર કંઈક વેરાન થયું હતું. જહાંગીર એ સમય પછી તુરત અમદાવાદમાં આવ્યો હતો. એટલે એને શહેર બહાર લીલોત્રીને બદલે કાંટા દેખાયા હોય એ બનવાજોગ છે. બીજો પ્રસંગ મરાઠાની સત્તામાં અમદાવાદ વેરાન થયું તે છે …’
ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં અમદાવાદમાં વૃક્ષ-વનસ્પતિની સ્થિતિ અંગેનો ઉલ્લેખ મગનલાલ વખતચંદ શેઠે ૧૮૫૧માં લખેલા આ શહેરના ઇતિહાસમાં જોવા મળે છે. તેના ‘શેહેરનું વરણન’ નામના પહેલાં પ્રકરણમાં શહેરની ‘કાળી ભુંઈ’,‘ગોરાડુ ભુંઈ’ અને તેમાં થતા પાકના નામ આપે છે. ત્યાર બાદ તે લખે છે : ‘અમદાવાદની પછાડી આંબાનાં ઝાડ ઘણાં છે નેં તે જાહારે બરાબર આવે છે ત્યારે કેરીઓ જંઈ એકની શેર દશ લેખે વેચાય છે.’ વધુ વિગતો પુસ્તકમાં ‘હાલની અવસ્થા’ નામના ત્રીજા ભાગના ચોથા પ્રકરણ ‘અમદાવાદમાં શું શું નીપજે છે’ તેમાં છે : ‘દશકરોઈ પ્રગણામાં તથા અમદાવાદની આશપાશ આંબાંનાં ઝાડ ઘણાં જ છે એ ફક્ત વટવાની શીમમાં બે હજાર જાજાં થડ છે તેંમ નીકોલ, તથા સૈજપુર(સૈઅદપુર)માં પણ ઘણા જ છે…’ પછી મગનલાલ વખતચંદ ‘દાહાડમ, જાંબુ, મકઈ, મીઠાં લીંબુ વીગેરે ફળ ફરોળી’ના નામ અને વેચાણની વાત લખે છે. તેમનું એમ પણ કહેવું છે કે ‘આ ફળ શીવાએ પપઈઆ, રામફળ, અનાનાસ, બીજોરા વીગેરે ફળ થાય છે…’. વળી તે એમ પણ લખે છે કે ‘હઈંઆ નારીએલી, સોપારી તથા વાંસનાં ઝાડ છે પણ તે નવઈ જ જેવા જ છે.’ પ્રકરણને અંતે ઇતિહાસકાર મહત્ત્વની વાત લખે છે : ‘આ શીવાએ બીજાં ઘણીક જાતનાં ઝાડ છે પણ બધાંયની હકીકત લખતાં ઘણી જ લંબાણ થાય છે …’
આ લંબાણવાળી વાત શહેર સુધરાઈ અને સંશોધકોએ સાથે મળીને કરવાની રહે છે.
+++++++
૨૨ નવેમ્બર ૨૦૧૭
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 24 નવેમ્બર 2017