ઘણાં વર્ષોની અટકળો પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી આવતા મહિને કૉન્ગ્રેસના પ્રમુખ બનશે.
આમ તો રાહુલ ગાંધી ૨૦૦૪ની સાલમાં રાજકારણમાં આવ્યા હતા, પણ તેમનું રાજકારણ સમજાતું નહોતું. ક્યારેક લાગે કે આ માણસને રાજકારણમાં રસ જ નથી. એક ભલો માણસ છે અને પરાણે કૉન્ગ્રેસની ધૂંસરી તેમની ગરદન પર લાદવામાં આવી રહી છે. ક્યારેક લાગે કે તેમનામાં રાજકીય આવડત જ નથી. એક નાદાન રાજકુમાર છે. ક્યારેક લાગે કે આ માણસ આદર્શવાદી છે અને કૉન્ગ્રેસમાં જડમૂળથી પરિવર્તન કરવા માગે છે.
ત્રણેક વરસ પહેલાં સોનિયા ગાંધી બીમાર પડ્યાં અને તેમની સક્રિયતા ઓછી થઈ ગઈ એ પછી પણ રાહુલ ગાંધી જ્યારે કૉન્ગ્રેસપ્રમુખ બનતા નહોતા ત્યારે એવી વાતો શરૂ થઈ હતી કે પક્ષમાં પરિવર્તનો કરવાની બાબતે મા-દીકરા વચ્ચે મતભેદો છે. રાહુલ ગાંધી ગંજીફો ચીપી નાખવા માગે છે, ઘરડા નેતાઓને નિવૃત્ત કરી દેવા માગે છે, નવયુવાનોને પક્ષમાં જવાબદારી સોંપવા માગે છે, સત્તાના દલાલોને બાજુએ હડસેલવા માગે છે અને પક્ષમાં લોકતંત્ર તેમ જ પારદર્શકતા દાખલ કરવા માગે છે. સોનિયા ગાંધી એકસાથે આટલું મોટું જોખમ ઉઠાવવા નથી માગતાં, જેને કારણે રાહુલ ગાંધીનું રાજ્યારોહણ ઘોંચમાં પડ્યું છે. અવ્યવહારુ આદર્શવાદનું શું પરિણામ આવે છે એ સોનિયા ગાંધીએ તેમના પતિ રાજીવ ગાંધીના થયેલા હાલ દ્વારા જોઈ લીધું હતું એટલે તેઓ ધીરે ચાલવાનાં મતનાં હતાં.
રાહુલ ગાંધી ૨૦૦૪માં જ્યારે સીધા રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણની ક્ષિતિજે પણ નહોતા. ૨૦૦૨ના ગુજરાતકાંડ પછી બદનામ થયેલા નરેન્દ્ર મોદી હજી વધુ બદનામ હિન્દુ શાસક બનવા માટે પ્રયત્નશીલ હતા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે મુસ્લિમવિરોધી હિન્દુ રાષ્ટ્રવાદી શાસક ગુજરાતમાં પૂજાય શકે એમ છે, પછી ભલે નૅશનલ મીડિયા તેમને બદનામ કરતાં. બન્યું પણ એમ જ. પાછળનાં વર્ષોમાં તેમની મહત્વાકાંક્ષા દિલ્હી પહોંચવાની બની હતી અને તેમણે વિકાસના આઇકન તરીકે ઇમેજ મેકઓવર કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૪માં તેઓ વિકાસપુરુષ તરીકે દિલ્હી પહોંચી ગયા હતા. આ બાજુ રાહુલ ગાંધીની કોઈ ઇમેજ જ ઊપસતી નહોતી અને આ કન્ફ્યુઝનમાં જે ઇમેજ બની એ આવડત વગરના ભોંદુ રાજકારણી તરીકેની બની હતી. BJPના સાઇબર સેલે અને પેઇડ ટ્રોલ્સે તેમને પપ્પુ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું.
વિરોધ પક્ષના નેતાને પપ્પુ તરીકે ઓળખાવવા એ કમરપટ્ટા હેઠળ ઘા કરનારું હલકું રાજકારણ હતું એટલે એની સામે પ્રતિક્રિયા પેદા થવી સ્વાભાવિક છે. જ્યારે દિવસો પલટાય છે ત્યારે ભદ્રતા અને અભદ્રતા ત્રાજવે તોળાય છે. એને કવિન્યાય જ કહેવો જોઈએ કે રાહુલ ગાંધી તેમને પપ્પુ તરીકે બદનામ કરનારા નરેન્દ્ર મોદીની ભૂમિમાં એક પરિપક્વ અને ભદ્ર રાજકારણી તરીકે પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. જો ગુજરાતમાં BJPનો પરાજય થયો કે એને માંડ-માંડ વિજય મળ્યો તો એ ઘટનાને કાબે અર્જુન લૂંટ્યો જેવી ગણવામાં આવશે. નરેન્દ્ર મોદી રઘવાયા થયા છે એનું કારણ આ છે. તો આજે સ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદીની વિકસાવેલી ઇમેજ ખરડાઈ રહી છે અને જે ઇમેજના અભાવનું સંકટ અનુભવતા હતા તેમની આજે આપોઆપ ઇમેજ બની રહી છે એક શાલીન અને ઠીક-ઠીક પ્રમાણમાં પરિપક્વ રાજકારણી તરીકેની.
પણ ઊલટું બન્યું તો? ગુજરાતમાં BJPને ભવ્ય વિજય મળ્યો તો? તો રાહુલ ગાંધીનાં બારે વહાણ ડૂબી જવાનાં અને કૉન્ગ્રેસ સામે અસ્તિત્વનું સંકટ પેદા થશે. બન્ને શક્યતાઓ છે એટલે સોનિયા ગાંધીએ, રાહુલ ગાંધીએ અને કૉન્ગ્રેસના નેતાઓએ અત્યારે જ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવે એ પહેલાં, પણ એ જ અવસરે રાહુલ ગાંધીની તાજપોશી કરવાનો નિર્ણય લઈ લીધો છે. જો ગુજરાતમાં કૉન્ગ્રેસને વિજય મળે અથવા કમસે કમ કૉન્ગ્રેસ બેઠી થાય તો રાહુલ ગાંધીની પ્રતિષ્ઠામાં અને કૉન્ગ્રેસીઓના આત્મવિશ્વાસમાં વધારો થશે. જો ગુજરાતમાં કૉન્ગ્રેસનો નાલેશીભર્યો પરાજય થાય તો રાહુલ ગાંધીના રાજ્યાભિષેકનો કોઈ અર્થ નહીં રહે. અત્યારે દરબારગઢમાં રાજ્યાભિષેક થઈ રહ્યો છે; જો ગુજરાતમાં વિજય મળશે તો ફુલેકું કાઢવામાં આવશે અને પરાજય થશે તો સિંહાસન કબજે કરેલું છે, આગે આગે દેખા જાએગા, જેમાં કંઈ પણ બની શકે એનું નામ રાજકારણ.
સવાલ છે પક્ષીય લોકતંત્રનો તો એ સામ્યવાદી પક્ષોને છોડીને ભારતીય રાજકારણમાં અજાણી ચીજ છે. વારસદારી ન હોય એનો અર્થ લોકતંત્ર નથી થતો. BJPના નેતાઓ પક્ષમાં વારસદારીના અભાવને લોકતંત્ર તરીકે ઓળખાવે છે એ ખોટું છે. તાત્વિક રીતે જે પક્ષો લોકતંત્રમાં નથી માનતા એ સામ્યવાદી પક્ષો આ દેશમાં સૌથી વધુ લોકતાંત્રિક છે. જવાહરલાલ નેહરુના સમયમાં પણ ખરા અર્થમાં પક્ષીય લોકતંત્ર નહોતું, તો આજની ક્યાં વાત કરવી! પણ આનો અર્થ એવો નથી કે પક્ષીય લોકતંત્ર માટે આગ્રહ ન રાખવો. રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસપ્રમુખ બન્યા પછી બે કામ કરવાં જોઈએ. એક, કૉન્ગ્રેસમાં સાચી લોકશાહી દાખલ કરવી જોઈએ. નીચેથી ઉપર સુધી ચૂંટણી યોજવામાં આવે અને છેવટે કૉન્ગ્રેસપ્રમુખની પણ ચૂંટણી થાય. તેઓ ભલે વારંવાર ચૂંટાઈને આવે, પણ ખરા અર્થમાં લોકતાંત્રિક માર્ગે ચૂંટાવા જોઈએ. બીજું કામ ફન્ડિંગમાં પારદર્શકતા દાખલ કરે. અત્યારે બધા પક્ષોએ મળીને રાજકીય પક્ષોને મળતા ફન્ડને ચકાસણીની એરણથી મુક્ત રાખ્યું છે. મૂલ્યોની મહાન વાતો કરનારા રાહુલ ગાંધીએ સામે ચાલીને કૉન્ગ્રેસમાં નવી પરિપાટી દાખલ કરવી જોઈએ.
રાહુલ ગાંધીનો નકલી પક્ષીય લોકતંત્રમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં વિજયી થશે એ વિશે કોઈ શંકા નથી, પરંતુ એ પછી તેઓ પક્ષમાં લોકતંત્ર અને પારદર્શકતા દાખલ કરશે એની કોઈ ખાતરી નથી. કરવા ધારે તો પણ કપરાં ચઢાણ છે, પરંતુ કોઈકે તો પહેલ કરવી જોઈએ અને રાહુલ ગાંધી એક ભલા માણસ છે એટલે તેઓ કરશે એવી આશા રહે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 22 નવેમ્બર 2017