બીજાને મૂંગાં કરીને ખુશ થનારાંને લોકોને ભાન છે કે એમણે પોતાની જીભ ગિરવે મૂકી દીધી છે?
ઉચ્ચ કોટિના સાહિત્યકારો પણ ક્યારેક માત્ર આંચકો આપવા, ચર્ચા જગાવવા માટે અમુક વિધાન કરી નાખતાં હોય છે. જેમ કે ચંદ્રકાંત બક્ષીએ એકવાર કહેલું કે ગાળો તો પુરુષનું મેન્સિસ છે. બક્ષીએ એવું શું જોઈને કહ્યું હશે એ ખબર નથી, પરંતુ ધારો કે એ સાચું માની લઈએ તો આપણે ત્યાં લાખો પુરુષો મહિનાના ત્રીસેય દિવસ રજસ્વલારૂપમાં રહે છે. એમનાં માટે આરાધ્યદેવ, પૃથ્વી પર માનવ તરીકે અવતરેલા સાક્ષાત્ ઈશ્વર વડા પ્રધાન મોદીજી વિષે આડકતરી, ભલે સાચી ટીકા પણ થાય તો કલેક્ટિવ મેલ મેન્સ્ટ્રુએશન શરૂ થઇ જાય. ગંદામાં ગંદી ગાળોનો સ્રાવ ફૂટી નીકળે. કમનસીબે ત્યાં ક્યારે ય પૉઝ કે મેનોપોઝ આવતો નથી. વિરોધીઓની સાત પેઢીને અપશબ્દો સંભળાવાય. સોશિયલ મીડિયા પર ગંદકીની રેલમછેલ થઇ જાય. તાજેતરમાં અમરેલીની કવિયત્રી પારુલ ખખ્ખરે ગંગા નદીમાં તરતાં મૃતદેહોની વાતથી વ્યથિત થઈને એક ધારદાર કવિતા લખી, એમાં અનેક લોકોને પોતાના યુગપુરુષ એન્ડ હીઝ ડિવાઇન આસિસ્ટન્ટનું ઘોર અપમાન થતું લાગ્યું અને બક્ષીએ જેને પુરુષનું મેન્સીસ કહેલું એનો ધોધ સોશિયલ મીડિયા પર વહેવા લાગ્યો.
આટલાં વર્ષોમાં એક વાત તમે પણ માર્ક કરી હશે કે સોશિયલ મીડિયા પર સહુથી વધુ અપશબ્દો, ગંદી ભાષાનો ઉપયોગ એ લોકો કરે છે જે પોતાને દેશપ્રેમી, ધાર્મિક અને ભારતીય સંસ્કૃતિના રક્ષક કહે છે. એ લોકોએ દેશની જ નહિ, દેશના વડા પ્રધાનથી માંડીને ભગવાનના રક્ષણની જવાબદારી ઉપાડી લીધી છે. હથિયાર ઉપાડવાની તાકાત જેમના હાથમાં ન હોય એવા લોકો એક સમયે શસ્ત્ર તરીકે જીભનો ઉપયોગ કરતાં હતા, પણ પછી એમના હાથમાં સોશિયલ મીડિયા આવ્યું અને બારે મહિના દિવાળી થઇ ગઈ. જેવો કોઈના પર ગુસ્સો આવે કે ગાળોના ફટાકડાં ફોડવા માંડે. એમાંયે સામે સ્ત્રી હોય તો તો આવા લોકોને જલસો થઇ પડે. વાંધો ભલે ગમે તે મુદ્દે પડ્યો હોય પણ બસ સીધો સ્ત્રીનાં ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાનો ધંધો શરૂ કરી દો. એ બહુ સહેલું છે. અત્યારે કવયિત્રીને અપાઈ રહેલી ગાળો સાંભળો તો એવું લાગે કે સમાજના એક વર્ગના શરીરમાં દુઃશાસન પ્રવેશી ગયો છે, અને સોશિયલ મીડિયા પર એમણે સામૂહિક ચીરહરણની એમની ફેવરિટ ગેમ આદરી છે. એમાંયે ઘણાંની સાહિત્યિક ટેલન્ટ ખીલી ઊઠી છે. પોતે લોઅર ક્લાસ ન લાગે એટલે જાણીતી હસ્તીઓએ બહુ અલંકારિક ભાષામાં વિરોધીઓને ગાળ અને સરકારની ચમચાગીરી કરી છે. અહીં સરકાર એટલે માત્ર એક, અને બહુબહુ તો દોઢ વ્યક્તિ કહી શકો. અને એમને કંઈ કહેવાય?
આપણે ત્યાં ટાઇમપાસની જે અનેક પ્રવૃત્તિઓ છે, એમાં એક છે લાગણી દુભાયાની ફરિયાદ કરવી. કોઈ ધર્મ વિષે બોલો તો ધાર્મિક લાગણી દુભાય, કોઈ કોમ વિષે બોલો તો કોમી લાગણી દુભાય, ભારત વિષે કંઈ બોલો તો રાષ્ટ્રીય લાગણી દુભાય. પણ છેલ્લાં થોડાં વર્ષોમાં જે એક ખાસ લાગણી દુભાઈ રહી હોવાનું કહેવાય છે, એને શું નામ આપવું? વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષે કંઈ પણ બોલો તો એને ગુજરાતની, ગુજરાતીઓની, ભારતની, અરે આખાયે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો મહા અપરાધ ગણી લેવાય છે. પોલીસ સ્ટેશને ફરિયાદ થાય, અને એ ન થાય તોયે સોશિયલ મીડિયા પર ફટકાર તો પડે જ. કદાચ આનાથી જ ડરીને અમુક લોકો અત્યારના સમયમાં પણ મૌન સાધે છે. અહીં માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરી રહેલા સાવ ગરીબ લોકોની વાત નથી. પરંતુ જેમની પાસે અવાજ ઉઠાવવાનું માધ્યમ છે, એવા લોકો પણ અત્યારની સ્થિતિમાં ચૂપ રહે છે, અરે, જે બોલવાની હિમ્મત કરે છે એમની મજાક ઉડાવતા કહે છે કે કકળાટ કરીને શું મળવાનું? કેમ જાણે આસપાસ બનતી ઘટના સાથે એમને કંઈ લાગતુંવળગતું જ ન હોય. અને આ તબક્કે કદાચ ખરેખર એમને એવું લાગતું હશે કે બીજાં સાથે જે થવાનું હોય એ થાય પણ એમાં આપણાં કેટલા ટકા? પરંતુ આ લોકોને એવો વિચાર સુધ્ધાં નહિ આવતો હોય કે કાલે ઊઠીને એમના પગ તળે રેલો આવશે, ત્યારે શું થશે, એવા વખતે કોણ એમને સાથ આપશે?
જર્મનીમાં હિટલરે પોતાનો લોખંડી પ્રભાવ બતાવવાની શરૂઆત કરી ત્યારે ત્યાં ઘણા બૌદ્ધિક અને ધાર્મિક ગણાતા લોકોએ એને ટેકો આપેલો. હિટલરે પોતાના વિરોધીઓને કચડવાની શરૂઆત કરી ત્યારે આ વર્ગ મૂંગો રહ્યો, અને છેવટે એ પણ ઝપટમાં આવી ગયાં, ત્યારે બહુ મોડું થઇ ગયેલું. એમાંથી એક ધર્મગુરુ, માર્ટિન નિમોલરે કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બહાર આવ્યા બાદ કન્ફેશન કહેવાય એ પ્રકારની જે કબૂલાતો કરી, એને કાવ્યનું રૂપ અપાયું છે. અનેક સ્થળે ક્વોટ થયેલા આ કાવ્યના શબ્દોમાં થોડોથોડો ફરક પડતો રહ્યો છે, પણ ભાવના સરખી છે કે આજે બીજાંને થતાં અન્યાય સામે નહિ બોલો તો આવતીકાલે તમારા માટે બોલવાવાળું કોઈ નહિ રહે. કાવ્યની શરૂઆતમાં કહ્યું છે કે First they came for the communist, and I did not speak out because I was not a communist' પછી તો ટ્રેડ યુનિયનિસ્ટ, યહૂદી, સમાજના શોષિત વર્ગ, બધાની વાત થઇ કે એ લોકોને પકડી જવાયાં ત્યારે હું મૂંગો રહ્યો કારણ કે હું ક્યાં એમાંનો એક હતો, મારે શું લાગે વળગે? પણ છેલ્લે ….. 'Then they came for me and there was no one left to speak out for me.’ મારો વારો આવ્યો ત્યારે મારા માટે બોલનારું કોઈ નહોતું બચ્યું.
કંઈ સમજાય છે? બોલો બોલો. અત્યારે મૂંગાં રહેશો તો ક્યારે બોલશો, કે બોલી શકશો?
‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 19 મે 2021