પ્ર.ચુ. વૈદ્યસાહેબના જીવનની કેટલીક રસપ્રદ બાબતો ઓછી જાણીતી છે…
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી ગણિતજ્ઞ પ્ર.ચુ. વૈદ્યનું જન્મશતાબ્દી વર્ષ 23 મેના, મંગળવારથી શરૂ થાય છે.
વૈદ્યસાહેબનું નામ આઇન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના અભ્યાસીઓમાં જાણીતું છે તે તેમણે આપેલા એક સિદ્ધાન્તને કારણે. જે રીતે ભૌતિક શાસ્ત્રમાં સી.વી. રામનના નામે રામન ઇફેક્ટ તેમ ખગોળ ભૌતિકમાં પી.સી. વૈદ્યના નામે ‘વૈદ્ય મેટ્રિક’ એટલે કે વૈદ્યમાન. ‘ગૂગલના માહિતીસંગ્રહ મુજબ જગતમાં ખભૌતિકનાં જે સંશોધનપત્રો લખાયાં તેમાં વૈદ્ય મેટ્રિકનો ઉલ્લેખ એક લાખ વીસ હજારથી પણ વધુ વાર થયો છે’ – આ વિગત વૈદ્યસાહેબના સુવાંગ જીવનચરિત્ર ‘આપણી મોંઘી ધરોહર’માં મળે છે. સાહેબના ભત્રીજા અને ગણિતના વરિષ્ઠ અધ્યાપક અરુણ મ. વૈદ્યએ લખેલું આ પુસ્તક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે છએક મહિના પહેલાં બહાર પાડ્યું છે.
તેમાં લેખક એ પણ માહિતી આપે છે કે આ સિદ્ધાન્ત તો વૈદ્ય સાહેબે પચીસ વર્ષની ઉંમરે આપ્યો. તે પછી પણ તે સિદ્ધિવંત જીવન જીવ્યા. દેશવિદેશની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અધ્યાપન કર્યું તેમ જ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાત યુનિવર્સિટી તેમ જ વેડછીની ગાંધી વિદ્યાપીઠના વાઇસ-ચાન્સલર પદે રહ્યા. રાજ્યના તેમ જ દેશના જાહેર સેવા આયોગના અનુક્રમે અધ્યક્ષ અને સભ્ય નિમાયા. આ બધા વચ્ચે ગુજરાતનું શિક્ષણ જગત તેમનું ઋણી રહેશે તે ગણિતના સ્તરને ઊંચે લઈ જવાના તેમના પ્રદાન બદલ. ‘ગુજરાત ગણિત મંડળ’ થકી તેમણે શિક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ માટે કાર્યશાળાઓ, તાલીમ વર્ગો અને ગણિત સ્પર્ધાઓ જેવા ઉપક્રમો હાથ ધર્યા. તેમણે વર્ષો લગી સંપાદિત કરેલું ‘સુગણિતમ્’ સામયિક આજે 286મા અંક સાથે પંચાવનમાં વર્ષમાં છે. એક પ્રકાંડ વિદ્વાન પોતાના વિષયને કેન્દ્રમાં રાખીને લોકોના સ્તરે આવીને સમાજને કેવું નક્કર પ્રદાન કરી શકે છે તેનો દાખલો વૈદ્યસાહેબના ગણિતશિક્ષક-પ્રચારક તરીકેના કામમાંથી મળે છે.
જૂનાગઢ પાસેના શાપુર ગામમાં 1918માં જન્મેલા વૈદ્યસાહેબની સત્તાવાર જન્મતારીખ 23 માર્ચ ‘ભૂલમાં’ નોંધાઈ છે એવી સ્પષ્ટતા અરુણ વૈદ્યે ‘જન્મ અને શૈશવ’ નામના ત્રીજા પ્રકરણમાં કરી છે. સાહેબના જીવનની કેટલીક બાબતો ખૂબ રસપ્રદ હોવા છતાં તેમની સંશોધક તરીકેની કીર્તિ હેઠળ ઢંકાઈ ગઈ છે. જેમ કે, વૈદ્ય મેટ્રિક માટેના પહેલા અભ્યાસ પત્રના લેખક તરીકે તેમણે પોતાના નામની સાથે સંશોધન માર્ગદર્શક પ્રોફેસર વામન વિષ્ણુ નારળીકર(વિખ્યાત વૈજ્ઞાનિક જયંત નારળીકરના પિતા)નું નામ પણ મૂક્યું હતું, જે અલબત ગુરુએ સ્વીકાર્યું ન હતું. આંકડા, સમીકરણો અને ગ્રંથોમાં રત રહેનાર વૈદ્ય સાહેબ એક તબક્કે લાલ માટીના અખાડામાં દંડ-બેઠક અને લાઠીના દાવ માટે લગાવ ધરાવતા હતા. એપ્રિલ 1941 થી જૂન 1942 દરમિયાન તેમણે મુંબઈના માલાડમાં એક અખાડનું સંચાલન કર્યું હતું. આ અખાડો, બહુ રોમાંચક જીવન જીવેલા દેશભક્ત અને પ્રહ્લાદના એક આદર્શ સરદાર પૃથ્વીસિંહ રાણાએ અહિંસક વ્યાયામ સંઘ તરીકે શરૂ કર્યો હતો. તે અંગે સામ્યવાદી પૃથ્વીસિંહે ગાંધીજી સાથે ચર્ચા પણ કરી હતી. વૈદ્ય સાહેબની દેશભક્તિ એવી તીવ્ર હતી કે તેમણે સોએક યુવાનોના ઘડતરનું આ કામ રાજકોટની ધર્મેન્દ્રસિંહ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી પડતી મૂકીને કર્યું હતું. તેમણે લખ્યું છે ‘ચૉક અને ડસ્ટર છોડીને લાઠી અને લેજીમનો સાથ લીધો હતો.’ વિશ્વયુદ્ધ સહિતની ઉથલપાથલો તેમ જ પૃથ્વીસિંહ અને ગાંધીજી વચ્ચેના રાજકીય મતભેદોને કારણે સંઘ બંધ થતાં વૈદ્ય પાછા કામની શોધમાં લાગ્યા હતા. પૃથ્વીસિંહનું જે એક સંભારણું વૈદ્યસાહેબે આજીવન સક્રિય રાખ્યું હતું તે તેમની પાસેથી ભેટ મળેલી ડેટન કંપનીની સાયકલ. અમદાવાદના જાણીતા સાયકલિસ્ટોમાંના એક એવા વૈદ્ય સાહેબ પંચોતેરના થયા ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીના ગણિત વિભાગમાં સાયકલ ચલાવીને જતા !
હંમેશાં ખાદી પહેરનાર વૈદ્યસાહેબ પર ગાંધીજીનો નોંધપાત્ર પ્રભાવ હતો. તેમણે 'ચૉક અને ડસ્ટર' નામે લખેલાં સંસ્મરણોમાં 1943ના ફેબ્રુઆરીનો પ્રસંગ આલેખ્યો છે : 'ગાંધીજીના અપવાસ અંગેના સમાચાર જાણવાની ઇંતેજારીમાં ઝાડ નીચે આંટા મારતાં મારતાં મને ખ્યાલ આવ્યો કે સાદા પ્રવાહી માટે તો ગતિમાર્ગ ઘનરેખા હોય. પણ પ્રકાશની ગતિ તો સઘળા પદાર્થની ગતિ કરતાં વધુ છે. આઇન્સ્ટાઈનના 1905ના સાપેક્ષતાના પહેલા સિદ્ધાન્ત મુજબ તો પ્રકાશનો ગતિમાર્ગ શૂન્ય-રેખા લેવો જોઈએ ! અને એક વાર દિશા સૂઝી એટલે ઝપાટાબંધ કામ ચાલ્યું. એક તરફથી ગાંધીજીની તબિયત સુધરી ગઈ, અપવાસ સુખરૂપ પૂરા થઈ ગયા. બીજી તરફથી અમે સૂર્યપ્રકાશ ગણતરીમાં લઈ આઇન્સ્ટઈન-સમીકરણોનો એક સુંદર ઉકેલ મેળવી લીધો.
એક મનીષી વિશે ચિંતા કરતા બીજા મનીષી અંગે દર્શન લાધે એ અદ્દભુત યોગાયોગ છે. વૈદ્યસાહેબે 'ગાંધી અને આઇન્સ્ટાઈન' પર માનવતાવાદ અને વિશ્વશાંતિના સંદર્ભમાં વ્યાખ્યાન આપ્યું હતું. વળી ગાંધીવાદ અને સામ્યવાદ એ બંનેને તેઓ આદર આપતા, 'પરંતુ એ બંને વચ્ચેની કશ્મકશ પણ કાયમ ચાલતી' ,એમ અરુણ વૈદ્યે નોંધ્યું છે. વૈદ્યસાહેબના સાદગીભર્યા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સ્વમાનીપણાના પ્રસંગો લખનાર અરુણભાઈ એમ પણ નોંધે છે : 'પોતાના ઓરડામાં તે કાકીને વાંસળીની ધૂનો અચૂક સંભળાવે'. લેખનકલા પણ એમને અવગત હતી એનો ઉત્તમ પૂરાવો 'પસ્તીનાં પાનાં' પુસ્તકની 150 'નિબંધિકાઓ'. તેમાં તેમનું સંવેદન તણખલાંથી તારમંડળ લગી, પગરિક્ષા ચલાવનાર મજૂરથી ભારતના પહેલા પરમાણુ વિસ્ફોટ સુધી, કવિ કાલિદાસથી રશિયન ગણિતી કોવાલેવ્સ્કાયા સુધી વિસ્તરે છે.
વૈદ્ય સાહેબનું વિરલ સન્માન એટલે તેમની પરનો એક અંગ્રેજી અભિવાદન-ગ્રંથ. તેનું નામ છે 'એ રૅ ન્ડ મ વૉક ઇન રિલેટિવિટી અૅ ન્ડ કૉસ્મૉલૉજિ : એસેઝ ઇન ઑનર ઑફ પી.સી. વૈદ્ય અૅન્ડ એ.કે. રૉયચૌધુરી'. અમલકુમાર રૉયચૌધુરી કોલકાતાની પ્રેસિડેન્સિ કૉલેજના અધ્યાપક હતા. આ અૅકેડેમિક અભિવાદનગ્રંથમાં એક પણ પ્રશસ્તીલેખ નથી, પણ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યા વિષયો પર દુનિયાભરના એકવીસ વિજ્ઞાનીઓના સંશોધનલેખો છે. તેમાં ચાર ફ્રાન્સના, ઈટાલી, જાપાન અને દક્ષિણ આફ્રિકામાંથી દરેકના બે લેખકો છે. ઇંગ્લે ન્ડ, અમેરિકા, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાના એક-એક અને ભાવનગરના બે વિજ્ઞાનીઓ છે. ગ્રંથની પ્રસ્તાવનામાં સંપાદકો કહે છે : ' ભારતમાં ત્રીજી પેઢીના સાપેક્ષતા-અભ્યાસકો માટે વૈદ્ય અને રૉયચૌધુરી આદરણીય અને પ્રેરણાદાયી શિક્ષકો છે … દુનિયાના જુદા જુદા દેશોના વિજ્ઞાનીઓએ આ ગ્રંથમાં લેખન કર્યું છે. આ ઘટના વૈદ્ય અને રૉયચૌધુરીએ સાપેક્ષતા અને બ્રહ્માંડવિદ્યાના સંશોધનમાં કરેલા આંતરરષ્ટ્રીય મહત્ત્વનું ઉચિત ગૌરવ છે.' વિશ્વના વિદ્યાજગતે પ્ર.ચુ. વૈદ્યસાહેબને આપેલી આ કેટલી ભવ્ય માનવંદના છે તે ભાગ્યે સમજાવવાને જરૂર છે.
વૈદ્યસાહેબ તેમના વિશેના દસ્તાવેજી ચિત્રપટમાં કહે છે : 'ગણિત શીખવવાનું અઘરું હોઈ શકે, પણ શીખવું અઘરું નથી … દુનિયાના કોઈ દેશની નથી તેવી ગણિત પરંપરા આપણા દેશના લોકોને મળી છે. અલબત્ત આ વાંચીને આપણો રાષ્ટ્રપ્રેમ ઊભરાઈ જાય તે પહેલાં 'પસ્તીનાં પાનાં'ના દસમાં પાને વૈદ્યસાહેબને વાંચીએ : 'મને આ ગુરુ-શિષ્ય પરંપરામાં શ્રદ્ધા નથી … મારો ગુરુ હું પોતે, મારે વળી બીજા ગુરુની શી જરૂર ? … અને જો હું એવી આત્મશ્રદ્ધા ધરાવતો હોઉં તો પછી મારે ગુરુની જરૂરત શી રહી?
3 મે 2017
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક “નવગુજરાત સમય” માંહેની લેખકની સાપ્તાહિક કટાર, 19 મે 2017