એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની ને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટ્રિપલ તલાકના મુદ્દે કોઈ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. તેમણે બીજી વાત એ કહી છે કે ભારતીય દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી વખતોવખત જરૂરી સુધારા થતા રહે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પરંપરાને અનુસરીને અને બદલાયેલા સમયની જરૂરિયાત પારખીને મુસ્લિમ સમાજ પોતે જ ટ્રિપલ તલાકનો અંત લાવશે અને મુસ્લિમ બહેનોને ન્યાય મળશે. વડા પ્રધાનની વાત સાચી છે. કોઈ રાજકીય પક્ષે ધર્મનું રાજકારણ ન કરવું જોઈએ. વડા પ્રધાન આવું બોલે છે ત્યારે ઘડીભર વ્હાલ વકરી લેવાનું મન થઈ આવે છે, પરંતુ ત્યાં તો બીજા દિવસે ગાંવ મેં યદિ કબ્રસ્તાન હો સ્મશાનભૂમિ ભી હોની ચાહિએ એવું કથન સાંભળવા મળે છે અને મન ખાટું થઈ જાય છે. દેશના ભવિષ્ય વિશે ચિંતા થવા લાગે છે. ઓછામાં ઓછી વડા પ્રધાન પાસેથી એટલી અપેક્ષા રહે છે કે તેઓ તત્ત્વનો ખીલો પકડી રાખે જે રીતે જવાહરલાલ નેહરુ ગમે એવી સ્થિતિમાં પકડી રાખતા હતા. નેહરુની મહાનતા આ કારણે છે.
જે દિવસે વડા પ્રધાને મીઠીમધુરી વાત કહી એ દિવસે જ ઉત્તર પ્રદેશના એક પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે કામાંધ મુસલમાનો વાસના સંતોષવા ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના આ એક પ્રધાન બહુ મોટી હસ્તી છે. તેઓ BJPના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વમાં BJPને ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય મળ્યો હતો. તેઓ મુખ્ય પ્રધાન થતાં-થતાં રહી ગયેલા માણસ છે. આવાં તો બીજાં અનેક કથનો ટાંકી શકાય એમ છે અને એવાં કથનો કરનારાઓમાં ખુદ નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. આનો દેખીતો અર્થ એ થયો કે વડા પ્રધાન પોતે અને BJP સમયે-સમયે જરૂરિયાત મુજબ ધર્મનું રાજકારણ કરે છે. પ્રમાણ જોઈએ તો એક નહીં હજાર મળી શકે એમ છે.
યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારા લોકોએ બંધારણસભામાં આ પ્રશ્ન કઈ રીતે હાથ ધરવામાં આવ્યો હતો એના પર એક નજર કરવી જોઈએ. એ પ્રશ્નને ધર્મની એરણે, સુધારાઓની એરણે, સ્ત્રીઓને મળવા જોઈતા ન્યાયની એરણે અને ભારતની એકતા તેમ જ ભવિષ્યની એરણે તપાસવામાં આવ્યો હતો. સાંગોપાંગ અભ્યાસ કર્યા પછી એટલો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધર્મના નામે અન્યાય કરવાનો કોઈને અધિકાર નથી. જો અન્યાયી રિવાજ, કાયદો કે વિધિવિધાન કાયમ રાખવા માટે ધર્મની આડ લેવામાં આવતી હોય તો સંબંધિત સમાજને સમજાવવો જોઈએ અને યોગ્ય સમયે ભવિષ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવામાં આવે.
પુરુષોને ફાયદો કરી આપનારા કાયદાઓ અને રિવાજોને ટકાવી રાખવા માટે પુરુષો દ્વારા ધર્મની આડ લેવામાં આવે છે એ એક હકીકત છે. એ અર્થમાં એ પ્રશ્ન ધાર્મિક છે એમાં કોઈ શંકા નથી. કોઈ સમાજનો સ્થાપિત વર્ગ ધર્મનો દુરુપયોગ કરતો હોય તો બીજા લોકોને એનો વિરોધ કરવાનો અધિકાર છે. અધિકાર નહીં, એ તેમની ફરજ બને છે. એ ફરજ બને છે એટલે તો બંધારણસભામાં એ વિશે ચર્ચા થઈ હતી. સવાલ એ છે કે એ વિરોધ ન્યાયકેન્દ્રી હોવો જોઈએ કે ધર્મકેન્દ્રી? જો ન્યાયની ખેવના હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય અને જો ધર્મ કેન્દ્રમાં હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય.
વાચકોએ નોંધ્યું હશે કે ન્યાયની ખેવના ધરાવનારા લોકો જ્યારે યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ કરે છે ત્યારે તેમની દલીલો અને ભાષા શરિયતના કાયદાઓનો બચાવ કરનારા મુસ્લિમ પુરુષોની અને સંઘપરિવારની દલીલો અને ભાષા કરતાં જુદાં પડે છે. ધર્મને કેન્દ્રમાં રાખીને શરિયતનો બચાવ કરનારાઓની દલીલો અને ભાષા જુનવાણી હોય છે જ્યારે ધર્મને કેન્દ્રમાં રાખીને યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારાઓની દલીલો અને ભાષા કોમી હોય છે. એટલે તો સ્વામી પ્રસાદ મૌર્યે કોમી અને અભદ્ર ભાષામાં યુનિફૉર્મ સિવિલ કોડની વકીલાત કરી છે. આ સંઘપરિવારની વૈચારિક પરંપરા છે અને વડા પ્રધાને જે કહ્યું છે એ અપવાદ છે. આપણે આશા રાખીએ કે વડા પ્રધાને કરેલી દલીલો અને વાપરેલી ભાષા અપવાદ મટીને સંઘપરિવારમાં નિયમ બને, નવી પરંપરા બને.
ભારતની દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી આપોઆપ સુધારાઓ થતા રહે છે એ વડા પ્રધાને કહેલી બીજી વાત આંશિક પ્રમાણમાં સાચી છે. એમાં કોઈ શંકા નથી કે ભારતમાં અનેક સામાજિક સુધારાઓ સ્થળકાળની જરૂરિયાત મુજબ થતા આવ્યા છે. સુધારાઓમાં ધર્મ આડો આવતો હોય અને મોટા પ્રમાણમાં સમાજ વિગ્રહ થયો હોય એવું ભારતમાં બન્યું નથી જેવું પશ્ચિમના દેશોમાં અને અન્યત્ર બન્યું છે. વાચકોને મારે એટલું જ કહેવું છે કે વીતેલા યુગમાં અને આધુનિક ભારતમાં સુધારાઓના પક્ષે કરવામાં આવેલી દલીલો અને ભાષાનું સ્વરૂપ કેવું હતું એના પર એક નજર કરી જાય. એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને સૂફીઓની, આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની અને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય.
આમ છતાં કેટલાક સુધારાઓ નહોતા થયા એ નહોતા જ થયા. ન્યાય, માનવતા અને કરુણાસભર દલીલોની લાંબી પરંપરા હોવા છતાં ખાસ કરીને દલિતો અને સ્ત્રીઓ સાથે ન્યાય કરવામાં નહોતો આવ્યો. આ કામ છેવટે બંધારણસભાએ અને એ પછી હિન્દુ કોડ બિલ લાવીને ભારત સરકારે કરવું પડ્યું હતું. એ સમયે કૉન્ગ્રેસના જુનવાણી વિચારો ધરાવનારા નેતાઓએ અને સંઘપરિવારે એનો વિરોધ કર્યો હતો. જો એ સમયે હિન્દુઓએ એનો વિરોધ ન કર્યો હોત તો કદાચ એ સમયે જ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો હોત. ભારતના વિભાજન પછી મુસલમાનો શરિયતના કાયદાઓ માટે આગ્રહ કરવાની સ્થિતિમાં નહોતા. આમ ભારતની દાર્શનિક પરંપરા લચીલી અને સમૃદ્ધ છે એમાં કોઈ શંકા નથી, પરંતુ એ એટલી પણ લચીલી અને સમૃદ્ધ નથી કે રાજ્યે હસ્તક્ષેપ ન કરવો પડે. મુસલમાનો સાત દાયકા પછી પણ સ્વૈચ્છિકપણે સ્ત્રીઓને ન્યાય આપવાની પહેલ કરતા નથી એટલે રાજ્યે હસ્તક્ષેપ કરવો પડે છે. એનો અર્થ એ થયો કે ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો અને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો.
વડા પ્રધાન ભૂલ્યા ત્યાંથી ફરી ગણવા માગતા હોય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. અહીં માત્ર વાસ્તવિકતાનો અરીસો સામે રાખવામાં આવ્યો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 મે 2017