એ દિવસો હતા જ્યારે હૃદયાત્ અને પ્રથમદર્શી પ્રમાણવશ બે પરંપરાગત ઉક્તિઓ – ખરું જોતાં એક ઉક્તિ અને બીજી સૂક્તિ – સહજ ચાલી આવી હતી : ‘આપ સમાન બળ નહીં’, એ ઉક્તિ; અને ‘અપનો પારસ આપ’ એ સૂક્તિ. આપ કહેતાં આમ આદમી પાર્ટીની પ્રભાવક ગુંજાશના સાક્ષાત્કારી ખયાલે આવી પડેલ એ સહજોદ્ગાર હતો. આજે દિલ્હીનાં મ્યુિનસિપલ પરિણામો સાથે શું કહીશું? અરવિંદ કેજરીવાલના પૂર્વસાથી યોગેન્દ્ર યાદવના અભિજાત ટિ્વટમાં કહેવાયું છે કે અરવિંદે શાલીનતાથી પરાજયનો સ્વીકાર કરવો જોઈએ. યાદવની આ ટિ્વપ્પણીમાં જેમ ઇ.વિ.એમ. છળચાતુરી પર ટોપલો નાખી છૂટી જવા સામેનો સંકેત છે તેમ આત્મનિરીક્ષણની જરૂરતનું સૂચન પણ છે. એવા જ એક, જો કે યોગેન્દ્ર યાદવ કરતાં ઓછા જાણીતા પણ મુંબઈસ્થિત હોવાને કારણે ગુજરાતને તાજેતરનાં વરસોમાં ઠીક ઠીક પરિચિત થયેલા પૂર્વસાથી મયંક ગાંધીની ટિ્વપ્પણી છે કે આ કિસ્સો એક વીરનાયકના નકરા સત્તાભૂખ્યા બનવાનો છે.
૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૭નાં દિલ્હી પરિણામો – પછી તે વિધાનસભા નિમિત્તે હોય કે લોકસભા અગર સ્થાનિક નિમિત્તે – રાષ્ટ્રીય મિજાજના ચઢાવઉતાર લેખે એક અચ્છું ચિત્ર આપનારાં છે. પહેલી ત્રણે ચૂંટણીમાં ઉત્તરોત્તર સંકોચાતી ગયેલી કૉંગ્રેસ ૨૦૧૭માં ખાસા ૨૧ ટકા મત લઈ ગઈ છે, અને જો જણનારીમાં જોર હોય તો નવજીવનની શક્યતા લગોલગ સીમિત સંદર્ભમાં ઢૂંકી પણ છે. ૨૦૧૪ની ભા.જ.પ.ની ફતેહ સામે ૨૦૧૫ની આકરી હાર, વળી એક બીજા છેડાનું ચિત્ર રજૂ કરે છે. આ ચૂંટણીઓમાં ‘આપ’ની હાજરી જેમ એના વધતા કદના ઉત્તરોત્તર નીચે જઈ શકતા ગ્રાફની રીતે તેમ – અને આ ‘તેમ’ બહુ અગત્યનું છે – કૉંગ્રેસ અને ભા.જ.પ.માં સીમિત ચર્ચામાં છૂટી જતી ક્ષિતિજોનીયે દ્યોતક છે. આ ક્ષિતિજોમાં શું શું સૂચવાતું હશે તે બાબતે થોડીકેક ઉપલક ઉભડક નુક્તેચીની કરીએ તો પણ એટલું તો કહી શકીએ કે કૉંગ્રેસે પાછલાં વરસોમાં જે બધાં ધારાધોરણોને નેવે મૂક્યાં તેણે વિકલ્પ માટે જગ્યા બનાવી છે. આ જગ્યા, સ્વાભાવિક જ સૌથી મોટા સંગઠિત પક્ષ તરીકે ભા.જ.પ. ભરી શકે. પણ ભા.જ.પ.માં, તેમ છતાં, કાંક કશુંક ખૂટેખટકે છે એટલે એના ને કૉંગ્રેસ સિવાયના સક્ષમ વિકલ્પ માટે પણ પ્રજામાનસમાં અવકાશ હોઈ શકે છે. જો દિલ્હીને ક્યારેક લાગ્યો હતો એમ આપ જેવો સક્ષમ વિકલ્પ હોય તો બધી રાજકીય ભોંય કેવળ અને કેવળ ભા.જ.પ. (અને કૉંગ્રેસ) જ ખંડી લઈ શકતાં નથી.
કૉંગ્રેસ જો ૨૧ ટકા મતે પહોંચી શકતી હોય અને ભા.જ.પ. જો મતસંખ્યામાં મોટા નોંધપાત્ર વધારા વગર બહુમતી બેઠકો જીતી જઈ શકતો હોય તો એનો અર્થ એ થયો કે મતદાનીય ટેકાની રીતે નવજીવનપ્રાપ્ત કૉંગ્રેસ અને પરાજિત આપ બેઉ મળીને ભા.જ.પ. કરતાં નિર્ણાયક ધોરણે આગળ હોઈ શકે છે. જો પેરેલલ જ સંભારવો હોય તો ૧૯૭૨-૭૩માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઇંદિરા કૉંગ્રેસના હેમવતીનંદન બહુગુણા વિભક્ત વિપક્ષની કૃપાથી સાવ ઓછા મતે ગાદીનશીન થયા હતા એ સંભારી શકીએ. એમાંથી પદાર્થપાઠ લઈને ૧૯૭૫માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વિપક્ષ જનતા મોરચારૂપે ગઠિત થયો … અને કહેવાય છે તેમ ધ રેસ્ટ ઈઝ હિસ્ટરી!
અલબત્ત, આ એક સરલીકૃત ચિત્ર છે, અને એમાં એક મહત્ત્વનું પરિમાણ ચૂકીયે જવાય છે. તે પરિમાણ જયપ્રકાશના આંદોલનનું છે જેણે કંઈક રાસાયણિક એવો પરિવર્તનકારી પ્રભાવ પાડ્યો હતો. કંઈ નહીં તો એની એક પ્રેરક એટલી જ ઉદ્દીપક કાર્યભૂમિકા હતી. નકરા અંકગણિતને વટી જતા બીજગણિતનો કિસ્સો એ હતો. ગમે તેમ પણ, આ પેરેલલ સંભારવા સાથે અહીં અભિમત મુદ્દો એ છે કે ત્યારે જો બિનકૉંગ્રેસવાદની ભૂમિકા હોઈ શકતી હતી તો અત્યારે બિનભાજપવાદનીયે ભૂમિકા હોઈ શકે છે. બલકે, અણ્ણાના આંદોલનથી માંડીને આપના ઉદયનો આખો દોર (એ જ ગાળામાં નિર્ભયા મુદ્દે જનવિરાટનું રસ્તા પર આવવું) એક રીતે જેપી-તહરીર ફ્રિક્વન્સી પરની ઘટના હતી. આ આંદોલન આપગ્રસ્ત બની કાળધર્મ પામ્યું; નાગરિક ધર્મ દેખીતો લંઘાયોલકવાયો; કેજરીવાલ પેલી ટિ્વપ્પણી મુજબ વીર અને ધીર મટી ધીટ અને ધૂર્ત ઊપસ્યા એ સાચું પણ જનવિરાટની વિકલ્પભૂખ અને વિકલ્પચેષ્ટા જેવી તેવી પણ જારી છે એ ય સાચું.
અહીં કેજરીવાલ પ્રકરણ અને આપકારણની લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે યોગેન્દ્ર યાદવની ‘સ્વરાજ ઇન્ડિયા’ કોશિશ (પ્રત્યક્ષ પરિણામથી નિરપેક્ષપણે) એકંદર અરવિંદાયન અને આપકારણ અંગે બોલતી ટીકારૂપ છે. દેશમાં ગાંધીજેપી પરંપરામાં કશીક પણ નવી ભોં ભાગવાની હશે તો તે માટેનો દિશા-અને-ગતિ-બોધ આપની સ્વરાજ ઇન્ડિયા મીમાંસામાંથી મળતો રહેશે. અને એમાં બિહારના નીતિશ-લાલુ અંકગણિતથી ઉફરાટે આગળ જવાની ખાસી શક્યતા છે. ૧૯૬૭ના સંવિદ(સંયુક્ત વિધાયક દળ)ના દોરે ૧૯૭૫-૭૭ના જનતા દોર રૂપે જે આશાઅપેક્ષા જગવતું કાઠું કાઢ્યું હતું તે આ સંદર્ભમાં સ્મરણીય છે.
જે રીતે અરવિંદ અને આપ ઉપરાઉપરી હાર તરફ (પંજાબમાં વિપક્ષ તરીકે આશ્વાસન ઇનામ છતાં) જઈ રહ્યાં છે તે ગતિમાં શરૂઆતમાં એક કારુણિકા અનુભવાતી હતી. હવે જે રીતે મંડળી આખી ઈ.વિ.એમ.-ઈ.વિ.એમ.નો દેદો કૂટવા લાગી છે (અને આત્મનિરીક્ષણના મુખ્ય મુદ્દાને ગૌણ બનાવવા લાગી છે) તે જોતાં પેલી કારુણિકા ફારસની દિશામાં લોટ ખાતી માલૂમ પડે છે. જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે, એણે ઉમેદવારપસંદગીમાં ‘નો રિપિટ થિયરી’ (એન.આર.ટી.) અજમાવી બિનકાર્યક્ષમ મ્યુિનસિપલ પાર્ટીને ઍન્ટિ-ઈન્કમ્બન્સીમાંથી બચાવી લઈ મોદીનામે ફતેહ હાંસલ કરી હોય તો પણ આ મત જેટલો આપવિરોધી છે એટલો ભા.જ.પ.તરફી નથી તે ભા.જ.પ.ને મળેલા મતોના ઓછા વૃદ્ધિદર પરથી સાફ સમજાઈ રહે છે. જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, વધેલા મતોમાં આશ્વાસન ખોળવાને બદલે અને જૂના ખોરડાના વૃથા ગૌરવમાં રહેવાને બદલે સૌ બિનભા.જ.પ. બળોના એકત્રીકરણના વ્યૂહમાં જરૂર પડ્યે પાછલા ક્રમમાં પણ રહેવાની સમજ અને ધીરજ એણે કેળવણી જોઈશે.
રાજ્યની પોતાની પ્રકૃતિ, કોર્પોર્મેન્ટની અનવસ્થા, ફાઈનાન્સ બિલમાંને બીજી બાબતોમાં જોવા મળે છે તેમ સત્તાકીય મનમુરાદવાદ, ઉગ્ર બિચારધારાવાદ અને સંકૃચિત મનોવલણોની વર્તમાન વાસ્તવિકતા, આ બધું મળીને જે ચિત્ર રજૂ કરે છે તે સંયુક્ત પડકારની તાકીદ સમજાવે છે. અલબત્ત, સંયુક્ત પડકારની આ તાકીદને એવા મિત્રો મળી રહેવા જોઈશે કે નવી દુનિયાની ઝંખના સેવતાં ન થાકે. એ ઝંખનાવશ જે પણ ટીકાટિપ્પણી આવી પડે તે સાંભળતાં બિનભા.જ.પ. જમાવટ ન થાકો!
‘આપ’માં રહેલી શ્લેષસુવિધાથી હટીને નાગરિકે સમજવાનું છે કે આપ સમાન બળ નહીં. હાસ્તો, આખરે તો, આપનો પારસ આપ.
એપ્રિલ ૨૭, ૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 01-02