લોકોની વાહ-વાહ તો મળે, પણ એમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. એ નુકસાન કઈ વાતનું છે અને કેવડું હોઈ શકે એ સમજી લેવું જોઈએ. વડા પ્રધાનને ચૂંટણીપ્રચાર વેળાનાં બહાદુરીનાં કથનોની યાદ અપાવવાનો કોઈ અર્થ નથી અને વડા પ્રધાને એના બોજ તળે રહેવાની પણ જરૂર નથી
અંકુશરેખા ઓળંગીને બે ભારતીય સૈનિકોની બર્બર હત્યા કરવાની ઘટનાની સર્વત્ર નિંદા થઈ રહી છે અને એ સ્વાભાવિક છે. વિરોધ પક્ષો સહિત દેશમાં લગભગ એક અવાજે માગણી થઈ રહી છે કે ભારતે પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. કોઈ વળી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણીપ્રચાર વખતનાં કથનોની વીડિયો-ક્લિપ વાઇરલ કરીને નરેન્દ્ર મોદીની ઠઠ્ઠા કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ ડૉ. મનમોહન સિંહને દુર્બળ વડા પ્રધાન ગણાવીને કહ્યું હતું કે દેશને અત્યારે એવા વડા પ્રધાનની જરૂર છે જે ૫૬ની છાતી ધરાવતો હોય અને પાકિસ્તાનને એની નાનીની યાદ અપાવી દે.
અત્યારે દેશમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો જુવાળ છે એટલે રાજકીય પક્ષો અને ઈવન રાજકીય સમીક્ષકો પણ વિવેકપૂર્વક વિવેચન કરવાની હિંમત કરતા નથી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી મુખરપણે સરકારની ટીકા કરતા હતા, પરંતુ દિલ્હીમાં માર ખાધા પછી તેમને પણ સમજાઈ ગયું છે કે લોકો દેશની સુરક્ષા, પાકિસ્તાન અને આતંકવાદની વાત આવે ત્યારે કંઈ સાંભળવા તૈયાર નથી. એટલે તો તેમણે તુકબંદ કવિ કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી બનાવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તેમણે BJP કરતાં સવાયા સૂરમાં દેશપ્રેમનાં ગાન કરવાનાં છે.
સંરક્ષણપ્રધાન અરુણ જેટલીએ બુધવારે પાકિસ્તાનના ભારત ખાતેના એલચીને સંરક્ષણ-મંત્રાલયમાં બોલાવ્યા હતા અને સૈનિકોની હત્યામાં પાકિસ્તાની લશ્કરનો હાથ હોવાના પુરાવાઓ આપ્યા હતા. મૃત સૈનિકોના લોહીનાં ટીપાં છેક અંકુશરેખા સુધી મળી આવ્યાં હતાં એ એનો સજ્જડ પુરાવો છે. બીજી બાજુ પાકિસ્તાન કહે છે કે બે ભારતીય સૈનિકોની હત્યામાં પાકિસ્તાનના લશ્કરનો કોઈ હાથ નથી. દરમ્યાન પાકિસ્તાને ચીનને કાશ્મીરના મામલામાં મધ્યસ્થી કરવાનું કહ્યું હતું જેની ચીને ના પાડી દીધી છે. ચીને કહ્યું છે કે કાશ્મીરનો મામલો બે દેશ વચ્ચેનો દ્વિપક્ષીય સવાલ છે અને એ બે દેશો મળીને ઉકેલે. સાધારણપણે દેશની મુલાકાતે આવેલા વિદેશી લશ્કરી વડાને યજમાન દેશનો વડો મળવા માટે સમય આપતો નથી, પરંતુ પાકિસ્તાનની મુલાકાતે ગયેલા શ્રીલંકાના લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ ડિસિલ્વાને વડા પ્રધાન નવાઝ શરીફે મળવા માટે સમય આપ્યો હતો એ સૂચક છે.
જ્યારે દેશમાં રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનો જુવાળ હોય ત્યારે ઊલટું વધારે વિવેકપૂર્વક વાત કરવાની જરૂર હોય છે એમ આ લખનાર સમજે છે. શા માટે ભારતે સંયમ દાખવવો જોઈએ એ સમજી લેવું જોઈએ. શા માટે આગલી સરકાર અને એ પહેલાંની સરકારો બને ત્યાં સુધી માર ખાઈને ખામોશ રહેતી હતી એ સમજી લેવું જોઈએ. પાકિસ્તાન અણુશસ્ત્રો ધરાવે છે એ એની પાછળનું એક માત્ર કારણ નથી. ભારત ઇઝરાયલની જેમ વારંવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી શક્યું હોત, પરંતુ ભારતે એવી લાલચ રોકી છે. લોકોની વાહ-વાહ તો મળે, પણ એમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. એ નુકસાન કઈ વાતનું છે અને કેવડું હોઈ શકે એ સમજી લેવું જોઈએ. વડા પ્રધાનને ચૂંટણીપ્રચાર વેળાનાં બહાદુરીનાં કથનોની યાદ અપાવવાનો કોઈ અર્થ નથી અને વડા પ્રધાને એના બોજ તળે રહેવાની પણ જરૂર નથી.
અંગ્રેજીમાં સ્ટેક નામનો શબ્દ છે જે આજકાલ બહુ ચલણમાં છે. સાદી ગુજરાતી ભાષામાં કહેવું હોય તો આપણને કેટલો લાભ કે કેટલું નુકસાન એમ કહી શકાય. કોઈ પણ પગલું ભરતાં પહેલાં લાભાલાભ વિશે વિચારવું જોઈએ. બીજા કરતાં આપણો સ્વાર્થ મોટો હોય તો ઝેરનો ઘૂંટડો પી જવો પડે. મુત્સદ્દી આને કહેવાય. એ નિર્વિવાદ હકીકત છે કે જાગતિક રાજકારણમાં અને ભારતીય ઉપખંડમાં પાકિસ્તાન કરતાં ભારતનો સ્ટેક મોટો છે. ભારત યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદનો દાવેદાર દેશ છે. ભારત ન્યુિક્લયર સપ્લાયર્સ ગ્રુપનું સભ્ય બનવા માગે છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારતનો સ્વાર્થ પાકિસ્તાન કરતાં મોટો છે. ભારત ચીન સાથે સ્પર્ધામાં છે અને જાગતિક રાજકારણને સંતુલિત કરી શકનારા એક ધ્રુવ તરીકે નજીકના ભવિષ્યમાં આગળ આવી શકે છે. ભારત જાગતિક અર્થકારણમાં એશિયન ટાઈગર બની શકે એમ છે અને બનશે એમ માનવામાં આવે છે.
આ બધું ઇઝરાયલની નીતિ અપનાવીને હાથ ન લાગી શકે. ઇઝરાયલનો જાગતિક રાજકારણમાં કોઈ સ્ટેક નથી. એનો સ્ટેક પશ્ચિમ એશિયામાં મુસ્લિમ દેશોની વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવાનો છે અને એ માટે એ પ્રો-ઍક્ટિવ લશ્કરી દરમ્યાનગીરી કરતું રહે છે. ભારત જો ઇઝરાયલી જેમ રોજેરોજ સરહદે લશ્કરી રીતે અટવાયેલું રહે તો ભારતમાં આવતું વિદેશી મૂડીરોકાણ અટકી જાય. યુનોમાં અને અન્યત્ર ભારત હકના સ્થાન અને જાગતિક રાજકારણમાં સત્તાસંતુલનની ભૂમિકા ગુમાવી દે. ભારતીય ઉપખંડ અશાંત ક્ષેત્ર બની જાય અને એની અસર બીજા પાડોશી દેશો સાથેના સંબંધો પર પણ થાય. ભારત અત્યારે જે શાંતિપ્રેમી, વિકાસશીલ જવાબદાર દેશની ઇમેજ ધરાવે છે એ ઝાંખી પડી જાય. પાકિસ્તાન એ જ તો ઇચ્છે છે અને એવું ન બને એ માટે ભારતની અત્યાર સુધીની સરકારો સંયમ રાખતી આવી છે. આમ અત્યારની ઘડીએ વડા પ્રધાન ધીરજપૂર્વક દેશહિતની લાંબી દૃષ્ટિ વાપરીને નિર્ણય લે એ માટે તેમને અનુકૂળતા કરી આપવી જોઈએ. ટોણા મારવાનો કોઈ અર્થ નથી. વડા પ્રધાને પણ કેટલાક નિર્ણયો લોકપ્રિયતાની ચિંતા કર્યા વિના લેવા જોઈએ.
તો પછી કરવું શું? પહેલું કામ કાશ્મીરની ખીણમાં પરિસ્થિતિ થાળે પાડવાનું છે. આ જરા ય મુશ્કેલ કામ નથી જો રાજકીય ઇરાદો બુલંદ હોય તો. ઊલટું પાકિસ્તાનના ભૂતપૂર્વ શાસક જનરલ મુશર્રફે કહ્યું હતું એમ ભારતની BJPની સરકાર માટે એ વધારે આસાન છે, કારણ કે BJP બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તો BJP પાસે બહુમતી છે અને નરેન્દ્ર મોદી ખૂબ લોકપ્રિય છે. નરેન્દ્ર મોદી જો કાશ્મીરની સ્થિતિ થાળે પાડે અને અંકુશરેખાને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ તરીકે સ્વીકારી લે તો કમસે કમ તેઓ એક વાતે અમર નીવડી શકે છે. બીજું કામ ભારતીય ઉપખંડમાંના બીજા દેશો સાથેના જે કોઈ વણઊકલ્યા પ્રશ્નો છે એને ઉકેલીને ભારતે એક મોટા ભાઈનું સ્થાન મેળવવું જોઈએ. આ પણ મુશ્કેલ કામ નથી. ત્રીજું કામ ચીન સાથે અથડામણ વિના કેટલીક ભાગીદારીની સમજૂતી (અંગ્રેજીમાં કહીએ તો વર્કિંગ રિલેશનશિપ) વિકસાવવી જોઈએ. આમાં થોડી સમસ્યાઓ છે, પરંતુ અસંભવ નથી. દેશને ત્રણ દાયકા પછી સ્થિર સરકાર અને પ્રચંડ લોકપ્રિય વડા પ્રધાન મળ્યા છે એ તકનો નરેન્દ્ર મોદીએ લાભ ઉઠાવવો જોઈએ.
આની સામે પાકિસ્તાનનો સ્ટેક શું છે? ભારતદ્વેષ અને તોફાન કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો.
સૌજ્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 મે 2017