સાહિત્ય અકાદેમી, દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ, જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા અને કન્નડ સાહિત્યકાર યુ.આર. અનંતમૂર્તિ, ‘સંસ્કાર’ જેવી મૂલ્યવાન કૃતિ આપ્યા બાદ તેમના દેહાવસાનપૂર્વે, પોતાના દેશબાંધવો દ્વારા સચવાયેલા અને સંવર્ધન પામેલા ‘સંસ્કારો’ પર પાશવી બિનલોકશાહી અમાનવીય પરિબળો દ્વારા તરાપ મરાતી જુએ, સંતાપ અનુભવે, ત્યારે એક ઘોષણાપત્ર સ્વરૂપની કૃતિ ‘Hindutva or Hind Swaraj’ લઈને ન આવે, તો જ આશ્ચર્ય. શિવ વિશ્વનાથન આમુખમાં નોંધે છે તેમ, અનંતમૂર્તિની આ અંતિમ કૃતિ ઘોષણાપત્રથી કંઈક વિશેષ છે. તેમના જ શબ્દોમાં, ‘It was a prayer, a confession, a plea, an argument, a conversation capturing a world we might lose.’ પોતાની આ વિશદ ભૂમિકામાં તે અનંતમૂર્તિના વર્તમાન શાસકોના ખામીપૂર્ણ અભિગમ તરફના આક્રોશને વ્યક્ત કરે છે. આ રહ્યા આમુખના કેટલાક અંશો :
He reads Modi as a symptom of a deeper malaise.
U.R.A. contends that Modi is only enacting the logic of a Savarkar script.
Majoritarianism can not be a basis of either a rule of law or a rule of reason.
આજે જ્યારે ‘હિંદુત્વ’, ‘વિકાસ’, ‘દેશભક્તિ’ જેવી સંજ્ઞાઓ, રાજકીય લાભ ખાટવા માટે પ્રયોજાઈ રહી છે, ત્યારે અનિષ્ટને પારખવું અને પોતાના ગેરમાર્ગે દોરવાઈ રહેલા દેશબાંધવોને સત્યાભિમુખ કરવા તે કર્તવ્યબોધ બની રહે છે. અનંતમૂર્તિ જેવા સંવેદનશીલ સર્જકને મોદી-વ્યક્તિ માટે સહેજ પણ કડવાશ ન જ હોય. જ્યાં જરૂર જણાય ત્યાં કૉંગ્રેસની નબળાઈઓ પર પણ પ્રહાર કર્યા છે. તે કહે છે, ‘There is never a time when it is not necessary to oppose the State.’ જેઓ બહુમતી ધરાવતા નથી, તેમને અવગણવાનું, દબાવી દેવાનું, હાંસિયામાં ધકેલી દેવાનું વલણ જોવા મળે છે, પણ અનંતમૂર્તિના મતે ‘For me, providing room for those not in the majority is fundamental to democracy.’
શાસકો સાવ બિનજવાબદાર છે. કરોડોનાં કૌભાંડોમાં સંડોવણી કરનાર ‘રાષ્ટ્રપતિ’ને આગળ ધરીને વાત કરે, ત્યારે હાસ્યાસ્પદ જ લાગે અને પ્રજા લાચારી અનુભવવા સિવાય બીજું કરી પણ શું શકે ? તેમના જ શબ્દોમાં,
‘Every time the leaders of the Modi Government open their mouths, they utter the words in the National interest, one can do anything.’
કમનસીબે, દેશપ્રેમ અને વિકાસ પાછળ ડોકાતાં અનિષ્ટને ઓળખવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, જ્યારે અનંતમૂર્તિ જેવા દેશપ્રેમીઓને વતન છોડવાની ફરજ પાડવામાં આવશે, ત્યારે એ સમય દૂર નહીં હોય કે સાચા દેશભક્તો દેશ બહાર જ હશે !
વિકાસની વાત કરીએ તો, વિકાસને નામે ઇતિહાસ અને કુદરત સાથે ચેડાં કરવાં જરૂરી બની જાય છે. આપણી નજર સામે ઇતિહાસને ખોટો આકાર આપી રહ્યા છીએ. બંધો, નદીઓ, જંગલો, પર્વતો, વૃક્ષો, ખાણો, પાવરપ્લાન્ટ, વિકાસના અનિષ્ટના દાયરામાં આવે છે.
અનંતમૂર્તિ વીર સાવરકર અને મહાત્મા ગાંધીની વિચારસરણીઓનો તુલનાત્મક અભ્યાસ કરે છે. સાવરકરવાદ બહાદુરીનો તો ગાંધીવાદ નૈતિકતાનો પુરસ્કર્તા છે. આજે આપણને વિકાસની નહીં પણ સર્વોદયની જરૂર છે. ગાંધીજી હયાત હોત તો શાસકોની વિકાસ માટેની ઘેલછાને સર્વોદયના શસ્ત્ર વડે પડકારી હોત.
લેખક ખ્રિસ્તી માન્યતા અને ભારતીય માન્યતાને સરખાવતાં કહે છે, કે પહેલામાં ખોટું કરનાર વ્યક્તિને જ તેનાં ફળ ભોગવવાં પડે છે, જ્યારે બીજામાં એકનાં દુષ્કૃત્યોની વ્યાપક અસર અન્યત્ર થાય છે. ગુજરાતનાં રમખાણોમાં વિધર્મીઓની ઠંડે કલેજે કતલ, મોદી માટે કાર નીચે કચડાઈ મરેલા ગલુડિયાથી વિશેષ મહત્ત્વ ન ધરાવતી હોય, પસ્તાવો કરવો પડે, તેવી બાબત ન હોય, પણ મેધા પાટકર, તીસ્તા સેતલવાડ, અરુણા રૉય જેવાં ક્રિયાશીલો નૈતિક જવાબદારીથી અલિપ્ત ન રહી શકે.
સત્તાના મદમાં છકેલા શાસકો પ્રત્યેનો અનંતમૂર્તિનો રોષ તો જુઓઃ
‘While a dead rabbit can be seen as edible flesh, the dead body of a ruler is not worth even a single beetle nut.’
વિકાસ અને વિનાશ એકમેક સાથે સંલગ્ન છે. આમુખમાં કહેવાયું છે તેમ He claims that those whom Gods wish to destroy, they first seek to develop.
ગાંધીજીને વિવિધ ધર્મોની સહોપસ્થિતિ સામે કોઈ વાંધો નહોતો, કારણ કે તેમની નજરે કોઈ પણ ધર્મ સર્વાંગસંપૂર્ણ નથી હોતો, દરેકને પોતાની વિશેષતા સાથે મર્યાદા રહેવાની જ. સાવરકરની ‘હિંદુરાષ્ટ્ર’ની કલ્પના તેમને માન્ય નહોતી. એક રાષ્ટ્ર, એક ધર્મ, એક ભાષાના ખ્યાલને તે આત્મસાત્ કરી શક્યા નહીં.
અનંતમૂર્તિના મતે ઈઝરાયેલ અમેરિકાની મદદથી પૅલેસ્ટાઇનવાસીઓને દબાવે છે, તે જ ઇઝરાયેલ ચીંધ્યા માર્ગે મોદી પ્રસ્થાન કરી રહ્યા છે.
મોદીની ‘લાર્જર ધેન લાઇફ’ ઇમેજના સર્જન માટે મીડિયા પણ જવાબદાર છે.
આ પુસ્તકમાં ગાંધીજીની હત્યા માટે શા માટે તે પ્રેરાયો, તેનો ખુલાસો કરતા ગોડસેના વક્તવ્યમાં અમુક અંશો પણ આપવામાં આવ્યા છે.
કીર્તિ રામચંદ્ર અને વિવેક શાનબાગે મૂળ કન્નડ કૃતિને અંગ્રેજીમાં અનુવાદિત કરી યજ્ઞકાર્યમાં પ્રદાન કર્યું છે.
અનંતમૂર્તિને દંભ સામે ભારોભાર નફરત છે, પછી તે કૉંગ્રેસ દ્વારા આચરવામાં આવતો હોય કે ભા.જ.પ. દ્વારા. ગાંધીજીની હત્યા બાદ હાશકારો અનુભવતા કૉંગ્રેસીઓ અનાથ બની ગયાનો દેખાડો કરે કે મોદી ગાંધીના ફોટાને નીચા નમીને નમન કરે કે ગંગામૈયાની આરતી ઉતારી કે પાઘડી પહેરીને ફોટા પડાવે, તો લોકો તો મૂળ ચહેરો જોઈ જ શકતા હોય છે.
આભાર અનંતમૂર્તિનો આ parting gift માટે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 03