વાડજમાં ટોળાએ ‘વાદી’ નામની વિચરતી અને વિમુક્ત જાતિનાં મહિલા શાન્તાદેવીની કરેલી હત્યાના વિરોધમાં ગઈ કાલે થયેલા ધરણાંનો સંદર્ભ આ ખાનાબદોશ લોકોના યાતનાલોકને સ્પર્શે છે.
અમદાવાદમાં આઠ દિવસ પૂર્વે ટોળાંએ એક ભિક્ષુક મહિલાને તે બાળકચોર હોવાના વહેમથી મારી નાખી અને તેની સાથેની ત્રણને ઘાયલ કરી. તેના ચાર જ દિવસ પછી ટોળાંએ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના રાઇનપાડામાં ગામમાં એ જ વહેમથી પાંચ પુરુષોને અને તેના દસેક દિવસ પહેલાં ઔરંગાબાદમાં બે અલગ બનાવોમાં બે પુરુષોને મારી નાખ્યા.
આ બધા બનાવોમાં મળતાંપણું એ હતું કે જેમની પર ચોર હોવાના આરોપ હતા, તે બધાં ચોક્કસ કોમોના હતા. વાડજમાં ભોગ બનનાર મહિલાઓ વાદી, ધુળે જિલ્લાના મૃતકો ડવરી ગોસાવી અને ઔરંગાબાદના બહુરૂપી સમુદાયનાં હતાં. આ ત્રણેય કોમોનો સમાવેશ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં થાય છે. ભારતના દરેક રાજ્યમાં આ સમુદાયની કેટલીક જાતિઓ વસે છે. તેમની દશા બહુ જ ખરાબ છે. ભૂખમરો, ગરીબી, બેકારી, અજ્ઞાન, ખનાબદોશી, અલગાવ, અપમાન જેવાં આ દેશના વંચિતોને લલાટે લખાયેલા તમામ શાપ વિચરતી વિમુક્ત સમુદાયોના લોકો પર છે. આટલું ઓછું હોય તેમ આ સમુદાયો પર જન્મજાત ગુનેગાર જાતિઓ એવો સિક્કો વિદેશી અંગ્રેજ શાસકોએ માર્યો હતો, જે આપણા દેશનો સમાજ હજુ સુધી મિટાવી શક્યો નથી, એટલું જ નહીં આ સમુદાયોના લોકો પર દેશના કોઈ ને કોઈ ભાગમાં થતાં રહેતાં અત્યાચારો બતાવે છે કે એ સિક્કાની છાપને આપણે વધુ ઘેરી બનાવતા જઈએ છીએ.
સાદી ભાષામાં કહીએ તો એવું બને છે કે ગુજરાતમાં કોઈ જ્ગ્યાએ ચોરી કે લૂંટનો ગુનો થાય અને તપાસમાં ઝડપી કામયાબી ન મળતી હોય તો પોલીસ ડફેર કે છારા કોમના, કે મહારાષ્ટ્રમાં રામોશી કે ફાસેપારધી જેવી કોમના લોકોને પકડીને ખૂબ મારે. તેઓ મોટે ભાગે શહેરની બહાર, વગડામાં કે રસ્તાની બાજુ પરની તેમની વસાહત કે દંગા પર રહેતા હોય. આવો વારો બીજી ઘણી ફરતી કોમનો પણ પડી શકે. પોલીસ જેવું જ સમાજ માને. ‘બેટા બાવો ઉપાડી જશે’ એવા બોલ આપણા બાળઉછેરનો હિસ્સો બની ગયા છે. એક જમાનામાં સાપ-ઘો-નોળિયા-વીંછીના ખેલ બતાવનાર માટે હવે ‘આ વાદીઓ છોકરાં ચોરી જાય’ એવો ડર ફેલાવવામાં આવે છે. ભભૂત લગાવીને ભીક્ષા માંગતા ગોસાવી માટે મહારાષ્ટ્રમાં ‘ગોસાવડા બચ્ચાને લઈ જશે’ એમ મનાવા લાગ્યું. ફલાણી કોમનો છે તો સાચવજે કંઈ ઊઠાવી ન જાય, એવી ચેતવણીઓ મળે છે. સમાજમાનસનાં આ જાળાં પાછળ દોઢસોએક વર્ષનાં ઇતિહાસ અને સમાજવ્યવસ્થા છે.
વક્રતા તો એવી છે કે આ એ જ લોકો છે કે જે પોતે રઝળીને આપણાં વસેલાં ઘરસંસારની જરૂરિયાતોને પૂરી પાડતા રહ્યા છે. એ બધા આપણી આજુબાજુ જ હોય છે, પણ તેમનાં હોવાની દખલ ભાગ્યે જ લેવામાં આવે છે. બંધારણ, સમાજશાસ્ત્ર અને સરકારી પરિભાષામાં તેમને વિચરતી અને વિમુક્ત જાતિઓ અથવા ડિનોટિફાઇડ અને નૉમૅડિક ટ્રાઇબ્સ (ડી.એન.ટી.) તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહોના મહેનતકશ હુન્નર અને કામધંધાનું સ્વરૂપ એવું છે કે જે તેમને ફરતી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે. આ સમૂહોના લોકો જંગલમાં કે પહાડોમાં નહીં, પણ આપણા શહેરો અને કસબાની રોજબરોજની જિંદગીમાં પણ જોવા મળતા હોય છે. છતાં તેમના રઝળપાટનો આપણને ખ્યાલ હોતો નથી. આપણી સોસાયટીઓમાં છરી-ચપ્પાની ધાર કાઢવા માટે આવનાર સરાણિયા નામના વિચરતા સમુદાયના હોય છે. ચાદરો વેચનાર સલાટ અને ગધેડાં પર માટીફેરા કરનાર તે ઓડ. થોડાં વર્ષો પહેલાં સુધી સાપ લઈને આવનાર વાદી-મદારી, અને અને કાંસકામાં ઊતરી આવેલા વાળ વેચાતા લેનાર વઢિયારી બજાણિયા. વેશ કાઢનાર તે બહુરૂપી અને ભજવનાર તે ભવાયા. શહેરમાં રસ્તાની બાજુએ નેતર કે વાંસમાંથી પડદા બનાવનાર તે વાંસફોડા, દોરડાં પર ખેલ કરનાર તે બજાણિયા અને અને અંગકસરતના દાવ બતાવનાર નટ. રાવણહથ્થા વગાડતાં ફરનારા ભરથરી, લોબાન લઈને જનાર ફકીર, મૂર્તિઓ બનાવનાર કે નદીના ભાઠામાં શાકભાજી ઊગાડીને વેચનાર દેવીપૂજક. પોલીસના અમાનુષ જુલમોનો હંમેશાં વગર કારણે ભોગ બનાનારા ડફેર. આ કંઈક અંશે જાણીતી જાતિઓ ઉપરાંતની કેટલીક વિચરતી જાતિઓ આ મુજબ છે : કાઠોડી, કોટવાળિયા, ગરો, ગાડલિયા, ગારુડી, ઘાંટિયા, ચામઠા, જોગી, તુરી, નાથ, પારઘી, બાવા-વૈરાગી, ભવૈયા, ભોપા, ભાંડ, રાવળિયા, વણઝારા, વાદી, વિટોળિયા, શિકલીગ, છારા, મે, મિયાણા, વાઘરી, વાઘેર.
આમાંથી અનેક કોમોનો કર્મશીલ મિત્તલ પટેલે કરેલો સમાજશાસ્ત્રીય અભ્યાસ ‘ગુજરાતના વિચરતા-વિમુક્ત સમુદાયો’ પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પુરોગામી સંશોધન-પુસ્તક ‘સરનામાં વિનાનાં માનવી’ વિરલ સામાજિક કાર્યકર અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય અરવિંદ આચાર્યે લખ્યું છે. તેમાં તેમણે ઝવેરચંદ મેઘાણીએ નાથ-બાવા, ડફેર, મિયાણા જેવા સમુદાયોનું લોકસાહિત્યના અભ્યાસના ભાગ તરીક જે ગૌરવ કર્યું છે તેના સંદર્ભો પણ આપ્યા છે. ખોટી રીતે ગુનેગાર ગણાયેલી પાટણવાડિયા કોમની પોલીસ દ્વારા લેવાતી ખૂબ અપમાનકારક હાજરીનો નિયમ દૂર કરાવવા માટે મહારાજે સરકારી કચેરીઓમાં જે કેટલા ય માઇલોના ધક્કા લોઢા જેવા પગે ચાલીને ખાધા છે તેનું વૃત્તાન્ત ‘માણસાઈના દીવા’માં મળે છે. મહાશ્વેતાદેવીની કેટલીક કૃતિઓ, લક્ષ્મણ ગાયકવાડની ‘ઉઠાઉગીર’ કે કર્મશીલ દક્ષિણ છારાની ‘બુધન બોલતા હોય’ કે સાત છારા રંગકર્મીઓની ‘કહાની મેરી તુમ્હારી’ જેવી આપવીતી, છારા યુવાનો જે ભજવતા રહે છે તે ‘બુધન’ નાટક, મિત્તલ અને સાથીઓની સંસ્થા ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’નો બ્લૉગ એ આ સમૂહોના યાતનાલોકમાં લઈ જાય છે. વળી, સરકાર અને સમાજને તેમાંથી બહાર નીકળવાની દિશા મથામણ પણ મિત્તલની સંસ્થા કે દક્ષિણ અને એના સાથીઓના ડી.એન.ટી. અધિકાર મંચ જેવાં જૂથોનાં કામમાંથી જ મળે છે.
વિચરતા અને વિમુક્ત જાતિ સમૂદાયોને એંગ્રેજોએ ‘ગુનેગાર કોમો’ તરીકે કેમ ખતવી અને આઝાદ ભારતની પોલીસે તે કલંક શી રીતે ટકવા દીધું છે તેની સમજૂતી જાણીતા વિદ્વાન સમાજસેવક ગણેશ દેવીએ આપી છે. દેવી કહે છે કે અંગ્રેજો તેમના સામ્રાજ્યનો વિરોધ કરનાર સહુને ગુનેગાર ગણતા, અને તેમાં ય જેમની પાસે હથિયાર હોય તેમને વિશેષ. એમાં શાહિરો-ચારણો, ફકીરો, ગામે ગામ ફરીને ધંધો કરનાર નાના વેપારીઓ, ગામડાંમાં માલ વહન કરનાર, વિખરાયેલા કે છોટા થયેલા સૈનિકો વગેરે બધા આવી જતા. ઓગણીમી સદીના પૂર્વાર્ધમાં ઇશાન ભારતની આદિવાસી જાતિઓનો વારો આવ્યો, ત્યાર બાદ બીજા રાજ્યોનો. 1871માં અને ક્રિમિનલ ટ્રાઇબ્સ (સી.ટી.) ઍક્ટ હેઠળ આવતી જાતિઓની લાંબી યાદી બની. દેશ આઝાદ થયો ત્યારે પણ સંખ્યાબંધ જાતિઓ ‘જન્મજાત ગુનેગાર’ની યાદીમાંથી મુક્ત ન થઈ. 1952માં સંસદે તેમને આ યાદીમાંથી મુક્ત કર્યા, એટલે વિમુક્ત જાતિ શબ્દ આવ્યો.
જો કે અંગ્રેજોએ પછી ય આ સમુદાયોની હાલતમાં ઝાઝો ફેર ન પડ્યો. સી.ટી. ઍક્ટની જગ્યાએ હૅબિચ્યુઅલ ઑફેન્ડર્સ ઍક્ટ એટલે કે કાયમી ગુનેગાર કાયદો બન્યો ! પોલીસ અને સત્તાનો એક હિસ્સો અંગ્રેજોના જમાનાના જ રહ્યા. પોલીસ વાડજના કિસ્સામાં મહિલાઓને બચાવવાની કોશિશ કરે છે. પણ સારી જિંદગી માટે વલખાં મારનાર ડફેરોના કડી તાલુકાના વામજ ગામ બહારના દંગા પર ચૌદમી મેએ તૂટી પડે છે! મ્યુિનસિપલ કૉર્પોરેશન સાબરમતી વિસ્તારમાં વર્ષોથી વસતા દેવીપૂજક, બજાણિયા અને વાંસફોડા લોકોનાં છાપરાં પર સત્તરમી જૂને બુલડોઝર ફેરવે છે ! તેના બાર દિવસ પછી વાડજમાં ટોળું વાદી મહિલાને મારી નાખે છે !
*******
05 જુલાઈ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 06 જુલાઈ 2018