જમણેરી બૌદ્ધિકોના અનુમોદન આપનારા અવાજો શાંત થઈ ગયા છે એ નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાના સંકટનું મુખ્ય કારણ છે
ચાર વરસના અંતે જો કોઈ માણસ આ દેશમાં સૌથી વધુ દુ:ખી હોય તો એ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. પ્રજાને ગેલમાં રાખવાના ગુજરાત મોડેલના ભરોસે સમય ગુમાવી દીધો, જે હવે પાછો આવે એમ નથી. વડા પ્રધાન જો પ્રયત્નશીલ નજરે પડ્યા હોત, તો જમણેરી બૌદ્ધિકોનો ટેકો જળવાઈ રહ્યો હોત, અને જો એમ બન્યું હોત તો તેમની સામે આજે જે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે એ ન થયું હોત. ઊલટું આજે જમણેરી બૌદ્ધિકો કહેવાતા ગુજરાત મોડેલનું પરીક્ષણ કરવા લાગ્યા છે.
સ્મૃિતને પાંચ વરસ પાછળ લઈ જાવ અને ૨૦૧૩-૨૦૧૪માં દેશની પ્રજાનો મૂડ કેવો હતો અને આજે કેવો છે એની એક તુલના કરી જુઓ. ત્યારે લોકોના મનમાં ગુસ્સો હતો. ભ્રષ્ટાચારના એક પછી એક પ્રકરણો બહાર આવી રહ્યા હતા અને વડા પ્રધાન મૌન રહેતા હતા. આર્થિક વિકાસ થંભી ગયો હતો, બેકારી વધવા લાગી હતી, પેટ્રોલના ભાવ વધતા હતા, મોંઘવારી વધતી જતી હતી અને ફરી એકવાર વડા પ્રધાન ચૂપ હતા. દેશમાં હતાશાનું વાતાવરણ હતું, પરંતુ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ પ્રજાની આશામાં વધારો થાય એવા બે બોલ બોલવાની વાત તો બાજુએ રહી, લોકોની આશા જળવાઈ રહે એ સારું પણ બે શબ્દો નહોતા બોલતા. એવા તે કેવા વડા પ્રધાન જે ઠોઠ નિશાળિયાની જેમ નીચી મૂંડી કરીને મૂંગા રહે.
ટૂંકમાં લોકો ત્યારે હતાશ હતા, હતાશાને કારણે ગુસ્સામાં હતા અને ગુસ્સાનું મુખ્ય કારણ એ કે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ પાસેથી બહુ મોટી અપેક્ષા હતી. આ એ માણસ છે જેણે દેશને ૧૯૯૧માં આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો હતો. આ એ માણસ છે જેણે દેશના વિકાસદરને અઢી ટકાના હિંદુ રેઈટઓફ ગ્રોથને આઠ ટકા સુધી પહોંચાડ્યો હતો. આ એ માણસ છે જેણે અમેરિકા સાથે અણુસંધિ કરી હતી. આ એ માણસ છે જેના માટે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ આદરપૂર્વક કહ્યું હતું કે ડૉ. સિંહ જ્યારે બોલે છે ત્યારે જગત સાંભળે છે. જેને જગત સાંભળતું હતું એ ડૉ. મનમોહન સિંહ ચૂપ કેમ થઈ ગયા? ડૉ.મનમોહન સિંહ આમ પણ ઓછું બોલે છે, પણ જ્યારે બોલતા ત્યારે રસ્તો બતાડી આપતા અને અત્યાર સાવ ચૂપ?
લોકો ગુસ્સામાં હતા, કારણ કે ડૉ. મનમોહન સિંહની નિષ્ક્રિયતા અને ચુપકીદી અસહ્ય લાગતી હતી. જેની પાસેથી આશા હોય અને કીર્તિવાન કર્તુત્વનો જેનો ઇતિહાસ હોય એવો માણસ જ્યારે ચૂપ અને નિષ્ક્રિય થઈ જાય ત્યારે ગુસ્સો આવતો હોય છે. ગુસ્સો એના પર આવે જેની પાસેથી અપેક્ષા હોય, જેના ભર ભરોસો હોય. ડૉ. મનમોહન સિંહ પર ભરોસો હતો, એટલે તો દેશની પ્રજાએ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૦૦૪ કરતાં વધુ બેઠકો આપી હતી.
અને અત્યારે? અત્યારે લોકોનો મૂડ રાજીપાના બીજા અંતિમે નથી, હતાશા અને ગુસ્સાના જૂના અંતિમે પણ નથી, પરંતુ ક્યાંક વચ્ચે છે. કોઈકને એમ લાગે છે કે આપણે છેતરાયા. કોઈક વિચારે છે કે હજુ એક વાર ભરોસો મૂકીને નરેન્દ્ર મોદીને બીજી મુદ્દત (તક) આપવી જોઈએ કે નહીં કે પછી બહુ થયું? કોઈકને એમ લાગે છે કે ગાજ્યા વાદળ તો વરસ્યા નહીં, પરંતુ સામે શક્તિશાળી વિકલ્પ પણ નથી તો કરવું શું? કોઈકને એમ લાગે છે કે બને કે દેશમાં ખીચડી સરકાર આવશે અને એ તૂટી પડશે, પણ અત્યારે તો જુઠાણાં અને ખોટા જુમલાઓથી મુક્તિ તો મળશે. આગળ આગળ જોયું જશે. કોઈકને એમ લાગે છે કે કોઈ માણસ એક મુદતમાં તો જાદુ ન કરી શકે એટલે બીજી તક આપવી જોઈએ, પરંતુ સમસ્યા એ છે કે વડા પ્રધાન અને તેમની સરકાર પ્રયત્નશીલ પણ નજરે નથી પડતી. આમ અલગ અલગ માણસ પોતપોતાની રીતે નરેન્દ્ર મોદીની સરકારનું મૂલ્યાંકન કરે છે જેમાં સંપૂર્ણ સંતુષ્ટ હોય એવા બહુ ઓછા છે.
મને એમ લાગે છે કે ચાર વરસના અંતે ચાર વરસના કામકાજ અંગે જો કોઈ માણસ આ દેશમાં સૌથી વધુ દુ:ખી હોય તો એ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. જેમ છોડેલું બાણ અને બોલેલું વચન પાછુ આવતું નથી, એમ ગુમાવેલી પળ (તક) પણ પાછી આવતી નથી. આવતીકાલની હેડલાઈન્સને નજરમાં રાખીને ખેલ પાડવામાં, શબ્દરમતો કરવામાં, જુમલાઓ ફેંકવામાં, કારણ વિનાની વિદેશયાત્રાઓ કરવામાં, કપડાં અને પાઘડાઓ પહેરવામાં, ગોરક્ષા અને લવ જેહાદના નામે ધ્રુવીકરણ કરવામાં, મીડિયામાં દેશપ્રેમના દેકારા કરાવવામાં સમય વેડફી નાખ્યો અને પ્રજા અત્યારે વડા પ્રધાન વિશેની હેડલાઈન્સથી ખુશ નથી. આપણી આસપાસ કંઈક અદ્ભુત અને અનોખું બની રહ્યું છે એવો વહેમ પ્રજાની અંદર ટકાવી રાખવાથી વારંવાર ચૂંટણી જીતી શકાય એમ છે એવું જે ગુજરાત મોડેલ હતું, એ તેમણે દેશમાં લાગુ કર્યું અને તેના ભરોસે ખેલ પાડતા રહ્યા. આમાં ચાર વરસ વીતી ગયાં અને વીતેલો સમય પાછો આવતો નથી.
૨૦૧૪માં દેશની પ્રજાએ વડા પ્રધાનદના કહેવાતા વિઝનરી (દ્રષ્ટા) ઉમેદવારને મત આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ વિઝન, કટિબદ્ધતા અને હિમતનો દાવો કર્યો જેના પર પ્રજાએ ભરોસો મૂક્યો હતો અને બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી આપી હતી. વડા પ્રધાનના આ દાવાને જમણેરી બૌદ્ધિકોએ પણ અનુમોદન આપ્યું હતું. અનુમોદનનું મુખ્ય કારણ તો એ હતું કે ગતિરોધનો શિકાર બની ગયેલા દેશને હવે એમાંથી બહાર કાઢવાની જરૂર છે. નરેન્દ્ર મોદી આત્મવિશ્વાસપૂર્વક આવો દાવો કરે છે તો જરૂર તેમને વધાવી લેવા જોઈએ. કોઈક તો આગળ આવે જે શિવધનુષ ઊંચકવાનું બીડું ઝડપે? ડૉ. મનમોહન સિંહે મોઢું સીવી લીધું છે, ઘૂંટણીએ પડી ગયા છે, કોંગ્રેસ પાસે બીજો કોઈ નેતા નથી; જ્યારે આ માણસ ઊર્જાનો ધોધ છે, દેશભરમાં ઘૂમી વળ્યો છે અને આત્મવિશ્વાસપૂર્વક સમસ્યાઓના ઉકેલની વાત કરે છે. સાવ નિષ્ક્રિયતા કરતાં કોઈની સક્રિયતાને વધાવવી જોઈએ, એ ન્યાયે તેમણે કહેવાતા ગુજરાત મોડેલને ચકાસવાની પણ પરવા કરી નહોતી.
જમણેરી બૌદ્ધિકોને ખબર હતી કે જેટલા દાવા કરવામાં આવે છે એટલા પૂરા થવાના નથી, પણ માણસ પ્રયત્નશીલ તો છે. દેશને કમસેકમ એવા કોઈ પ્રયત્નશીલ ઊર્જાવાન માણસની જરૂર છે જે દેશની સામેના ગતિરોધને દૂર કરે અને પ્રજાની અંદર પેદા થઈ રહેલી હતાશાને દૂર કરે. હમણાં કહ્યું એમ તેમણે ગુજરાત મોડેલની ચકાસણી કરવાની તસ્દી લીધા વિના નરેન્દ્ર મોદીની ઉમેદવારીને આવકારી હતી.
કોણ હતા એ જમણેરી બૌદ્ધિકો? જગદીશ ભગવતી, અરવિંદ પનગરિયા, વિવેક દેબરોય, અરુણ શૌરી, સુરજિત ભલ્લા, સ્વામીનાથન અંકલેસરિયા ઐયર, તવલીન સિંહ, ગુરુચરણ દાસ વગેરે. આ ઉપરાંત બ્રહ્મ ચેલાની જેવા આન્તરરાષ્ટીય ખ્યાતિપ્રાપ્ત સુરક્ષા નિષ્ણાતોએ પણ આંખમાં આંખ પરોવીને વાત કરવાના નરેન્દ્ર મોદીના દાવા પર ભરોસો મુક્યો હતો. પ્રામાણિકતા અને સ્વચ્છ વ્યવસ્થામાં શ્રદ્ધા રાખનારા (લશ્કરી તેમ જ સનદી) નિવૃત્ત સરકારી અધિકારીઓએ પણ નરેન્દ્ર મોદીના પારદર્શકતાના દાવા પર ભરોસો મુક્યો હતો. ટૂંકમાં ૨૦૧૪માં સો કરતાં વધુ જમણેરી બૌદ્ધિકો, સુરક્ષા નિષ્ણાતો અને નિવૃત્ત અધિકારીઓ હતા જેમણે નરેન્દ્ર મોદીની ઉમેદવારીને અનુમોદન આપ્યું હતું.
આ ટેકો હવે ખસી રહ્યો છે. એમાંના કેટલાક ખુલ્લી ટીકા કરવા લાગ્યા છે તો કેટલાક ચૂપ છે. જેમને સરકારને ટેકો આપવાથી સીધા કે આડકતરા લાભ થઈ રહ્યા છે કે લઈ રહ્યા છે એવા લોકોને છોડીને કોઈ સરકારના બચાવમાં કાંઈ બોલતું નથી. એમાંથી પણ વિવેક દેબરોય જેવા સરકારના બચાવમાં આગળ આવતા નથી, જ્યારે કે તેઓ નીતિ આયોગના સભ્ય છે. તાજેતરમાં તવલીન સિંહે પોતાની ભૂમિકા વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું અનુમોદન કરવા માટે ડાબરી બૌદ્ધિકો મને ભક્ત તરીકે ઓળખાવતા હતા જેની સામે મને કોઈ વાંધો નહોતો, પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ પછી પણ જો હું સરકારનો બચાવ કરું કે ચૂપ રહું તો એ ભક્તિ ન કહેવાય ભાટાઈ કહેવાય.
ભક્ત હોવા સામે વાંધો નહોતો, ભાટ બનવાની અનુમતિ અંતરાત્મા આપતો નથી. જેનો બચાવ થઈ જ ન શકે એનો બચાવ કરવો કઈ રીતે? અને કરવો પણ શા માટે? તવલીન સિંહની જેમ અનેક જમણેરી બૌદ્ધિકો ભાટ બનવા તૈયાર નથી. કેટલાક ટીકા કરવા લાગ્યા છે તો કેટલાક ચૂપ છે, બાકી ડાબેરી બૌદ્ધિકો તો ૨૦૦૨ના ગુજરાત કાંડ પછીથી નરેન્દ્ર મોદીની એકધારી ટીકા કરી રહ્યા છે. તેમની ભૂમિકામાં કોઈ ફરક નથી પડ્યો. આધુનિક માનવીય મૂલ્યો માટે તેઓ પ્રતિબદ્ધ હોવાના કારણે તેઓ ગુજરાત પર નજર રાખતા હતા, જેને કારણે તેમને ખબર હતી કે ગુજરાત મોડેલ એ જુમલાઓ અને ખેલ પાડવાનું મોડેલ છે જેને પાળીતાં વાજિંત્રો એક સૂરમાં ગાઈને પ્રતિષ્ઠિત કરતા હતા. આમ ૨૦૦૨માં તેઓ નરેન્દ્ર મોદીની ટીકા કરતા હતા, એ પછીનાં વર્ષોમાં તેઓ ટીકા કરતા હતા, ૨૦૧૪માં કરતા હતા અને આજે પણ કરે છે. જે ફરક પડ્યો છે એ જમણેરી બૌદ્ધિકોની ભૂમિકામાં પડ્યો છે અને તેને કારણે સરકારની પ્રતિષ્ઠા ઝંખવાઈ છે.
જમણેરી બૌદ્ધિકોનો ટેકો ખસી ગયો છે એના કેટલાક કારણો છે. દ્રષ્ટિવાન, હિંમતવાન અને કૃતનિશ્ચયી હોવાના નરેન્દ્ર મોદીના દાવાને કારણે તેઓ ભરમાઈ ગયા હતા એવું નહોતું, પરંતુ તેમની એવી ધારણા હતી કે અ માણસ કમસેકમ પ્રયત્નો તો કરશે જ. વડા પ્રધાન પ્રયત્નશીલ નજરે પડ્યા હોત તો પણ તેમનો ટેકો જળવાઈ રહ્યો હોત. આ માણસ ભલે સામા કાંઠા સુધી તરી શકતો નથી, પણ હાથ પગ તો મારે છે. દેશની સમસ્યાઓ વિકટ છે અને સામા પ્રવાહે તરવું એ સહેલું નથી એ સમજવા જેટલી બુદ્ધિ તેઓ ધરાવે છે, એટલે તેમની અપેક્ષા સાચી દિશાના પ્રયત્નોની હતી. જો પ્રયત્નો નજરે પડ્યા હોત તો જમણેરી બૌદ્ધિકોનું માર્ગદર્શન પણ મળ્યું હોત. આની જગ્યાએ તેમને નજરે પડી રહ્યા છે; જુમલા, ઇવેન્ટ, ખેલ, શબ્દ રમતો, ચિત્ર વિચિત્ર વસ્ત્ર પરિધાન તેમ જ પાઘડા અને દેશપ્રેમના દેકારા.
એટલે જ આગળ કહ્યું એમ ચાર વરસના અંતે જો કોઈ માણસ આ દેશમાં સૌથી વધુ દુ:ખી હોય તો એ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. પ્રજાને ગેલમાં રાખવાના ગુજરાત મોડેલના ભરોસે સમય ગુમાવી દીધો જે હવે પાછો આવે એમ નથી. વડા પ્રધાન જો પ્રયત્નશીલ નજરે પડ્યા હોત તો જમણેરી બૌદ્ધિકોનો ટેકો જળવાઈ રહ્યો હોત અને જો એમ બન્યું હોત તો તેમની સામે આજે જે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે એ ન થયું હોત. ઊલટું આજે જમણેરી બૌદ્ધિકો કહેવાતા ગુજરાત મોડેલનું પરીક્ષણ કરવા લાગ્યા છે.
બીજું મહત્ત્વનું કારણ એ છે કે જમણેરી બૌદ્ધિકો સરવાળે કાયદાના રાજમાં શ્રદ્ધા ધરાવે છે. સેક્યુલરિઝમ, લઘુમતી કોમના અધિકારો, પ્રત્યેક નાગરિકના મૂળભૂત અધિકારો, સમાનતા, વિકાસની ચૂકવવી પડતી કિંમત વગેરે બાબતે જમણેરી બૌદ્ધિકો ભલે ચુસ્ત નૈતિક વલણ નથી અપનાવતા; પણ તેમને એટલી જાણ છે કે મૂલ્યો સાથેનું સમાધાન માફકસરનું હોવું જોઈએ. અરાજકતામાં કોઈનું ભલું નથી, બહુમતી કોમનું પણ ભલું થવાનું નથી. સમાધાન ખરું, પણ અરાજકતા નહીં. કાયદાનું રાજ તો જળવાઈ રહેવું જોઈએ. શાંતિ હોય તો જ વિકાસ થાય અને શાંતિ માટે કાયદાનું રાજ જરૂરી છે. કાયદો હાથમાં લઈને માતેલા સાંઢની જેમ સત્તાના ખીલે નાચતા હોય એવા લોકો દેશમાં અશાંતિ પેદા કરે છે, જેનો શિકાર બહુમતી પ્રજા સહિત દેશની તમામ પ્રજા અને વિકાસ બન્ને બને છે.
તેમણે જ્યારે નરેન્દ્ર મોદીની ઉમેદવારીને અનુમોદન આપ્યું, ત્યારે તેમને એમ લાગતું હતું કે આ માણસ વિકાસની વાત કરે છે તો કાયદાના રાજમાં શ્રદ્ધા ધરવતો જ હશે. કાયદાના રાજ વિના વિકાસ અસંભવ છે. સેક્યુલરિઝમ, અધિકારો, નાનામોટા પક્ષપાત તરફ તેઓ આંખ આડા કાન કરવા તૈયાર હતા. એવું જ્યારે બન્યું નહીં અને ગોરક્ષા તેમ જ લવ જેહાદને નામે કેટલાક લોકોએ કાયદો હાથમાં લેવાનું શરૂ કર્યું ત્યારે પણ તેમણે વડા પ્રધાનને શંકાનો લાભ આપ્યો હતો. સંઘપરિવારના ખાસ કોઈ વજૂદ નહીં ધરવતા તોફાની તત્ત્વો (ફ્રિન્જ એલિમેન્ટ્સ) આવું કરે છે એમ માનીને જમણેરી બૌદ્ધિકો વડા પ્રધાનને સલાહ આપતા હતા કે તેમણે તેમને અંકુશમાં રાખવા જોઈએ.
જ્યારે વડા પ્રધાન તેમના વિષે એક શબ્દ નહોતા બોલતા અને ગૌરી લંકેશને કૂતરી તરીકે ઓળખવનારા ટ્રોલ્સને વડા પ્રધાન ફોલો કરે છે, એવું બધું જોવા મળ્યું એ પછીથી જમણેરી બૌદ્ધિકોને બ્રહ્મજ્ઞાન થઈ ગયું હતું કે આપણા વડા પ્રધાન કાયદાના રાજમાં સાચી શ્રદ્ધા ધરવતા નથી, અને માટે વિકાસમાં તેમને કોઈ રસ નથી. જો કાયદાના રાજમાં શ્રદ્ધા ન હોય તો કોઈ પણ પ્રજાનું ભલું ન થાય, વિકાસ તો મુદ્દલ ન થાય અને દેશ અરાજકતાનો શિકાર બની જાય.
ટૂંકમાં નરેન્દ્ર મોદીએ આજે જમણેરી બૌદ્ધિકોનો ટેકો ગુમાવી દીધો છે જે તેમને ૨૦૧૪માં મળ્યો હતો. આ જમણેરી બૌદ્ધિકોએ ૨૦૧૪માં ડાબેરી બૌદ્ધિકોનો સામનો કર્યો હતો જેને પરિણામે ૨૦૧૪ પહેલાં બી.જે.પી.ને ક્યારે ય મત નહીં આપનારા મતદાતાઓએ પણ બી.જે.પી.ને મત આપ્યો હતો. ડાબેરી બૌદ્ધિકો તો દરેક જગ્યાએ વાંધા-વચકા કાઢતા રહે છે, દેશે વિકાસ કરવાનો કે નહીં? જુઓ જગદીશ ભગવતી અને અરુણ શૌરી જેવા નરેન્દ્ર મોદીને ટેકો આપી રહ્યા છે, તો આપણે પણ ભરોસો કરવો જોઈએ.
આજે અરુણ શૌરી ટીકા કરી રહ્યા છે અને જગદીશ ભગવતી ચૂપ છે અને સાહેબ ચાર વરસ પાઘડા બદલવામાં વેડફી નાખ્યા એ માટે કદાચ દુ:ખી છે. એ માટે હવે અમિત શાહને કહેવામાં આવ્યું છે કે જાવ પાંચમાં પુછાય એવા પ્રતિષ્ટિત લોકો પાસેથી અનુમોદન લઈ આવો. તમે એક વાત નોંધી? અમિત શાહ માધુરી દીક્ષિત જેવાં પ્રતિષ્ઠિત લોકોને મળે છે, કારણ કે સો ટકા ડાબેરીઓના અને ૯૦ ટકા જમણેરી બૌદ્ધિકોના દરવાજા બંધ છે.
(સંપૂર્ણ)
સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 08 જુલાઈ 2018