સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી દીધો છે કે દિલ્હીમાં લોકો દ્વારા ચૂંટેલી સરકાર સતાધીશ છે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે (એલ.જી.) દિલ્હી સરકારના નિર્ણયોને મંજૂર રાખવાના છે. દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી એનો અર્થ એવો નથી કે એલ.જી. દિલ્હી સરકારના દરેક નિર્ણયને નામંજૂર કરે અને કેટલીકવાર તો તેની વિરુદ્ધ નિર્ણય લે. ખરી સત્તા દિલ્હીની ચૂંટાયેલી સરકાર ધરાવે છે. સર્વોચ્ચ અદાલતે જો કે જમીન, પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની બાબતે કેટલીક સત્તાનો સ્વીકાર કર્યો છે.
દિલ્હીમાં એલ.જી. આવો અધિકાર ધરાવે એટલે પરંપરા એવી હતી કે દિલ્હીમાં જમીન, પોલીસ અને કાયદો તેમ જ વ્યવસ્થાને લગતા કોઈ નિર્ણય લેવાના હોય. ત્યારે એલ.જી. અને ચૂંટાયેલી સરકાર સલાહ-મસલત કરતા હતા અને નિર્ણય લેતા હતા. આ પરંપરા દિલ્હી શહેર સો ટકા યુનિયન ટેરિટરી હતું ત્યારે પણ હતી અને ૧૯૯૧માં દિલ્હીને મર્યાદિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો એ પછી પણ હતી. આ પરંપરા હમણાં સુધી જળવાઈ રહી હતી તે ત્યાં સુધી કે દિલ્હી અને કેન્દ્રમાં અલગ અલગ પક્ષોની સરકાર હોય તો પણ જળવાતી હતી. દિલ્હીમાં શીલા દીક્ષિતની કોંગ્રેસની સરકાર હતી અને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, પરંતુ ત્યારે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અથડામણ થઈ હોય જાણમાં નથી.
૨૦૧૫માં નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીના એલ.જી.ને સલાહ આપી હતી કે તેમણે કોઈ મુદ્દે દિલ્હીની ચૂંટાયેલી સરકાર સાથે સલાહ મસલત કરવાની જરૂર નથી, એટલું જ નહીં દિલ્હી સરકારના કોઈ નિર્ણયો એલ.જી.ની મંજૂરી વિના લાગુ ન થવા જોઈએ. આ સલાહ કે આદેશનો તાત્પર્ય સ્પષ્ટ છે. એલ.જી. તેનો બંધારણીય અધિકાર વાપરે અને અરવિંદ કેજરીવાલની સરકારને કામ કરવા ન દે. એલ.જી. જો આવા અધિકાર ધરાવે છે તો એ ૨૦૧૫ પહેલાં પણ હતા, પરંતુ ત્યારે કેન્દ્રમાં ખારીલા શાસકો શાસન નહોતા, જે ગમે તે માર્ગે પ્રતિસ્પર્ધીને ખતમ કરી નાખવાની માનસિકતા ધરાવતા હોય. પ્રજાએ જેને તક આપી છે એની રાજકીય/શાસકીય ભૂમિનો આદર કરવા જેટલી સભ્યતા તેઓ ધરાવતા હતા. આને કારણે એનું એ બંધારણ અને દિલ્હીનો એનો એ દરજ્જો હોવા છતાં અથડામણો નહોતી થતી. ત્યારે એલ.જી. કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ નહોતા કરતા.
નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિલક્ષણ સંસ્કાર ધરાવે છે. ૨૦૧૫માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૭૦માંથી ૬૭ બેઠકો મળી અને બી.જે.પી.ને માંડ ત્રણ બેઠકો મળી ત્યારે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર તેનો ખેલદિલીપૂર્વક સ્વીકાર નહોતા કરી શક્યા. બે વાતનો ડર હતો. એક તો એ કે આ તેજસ્વી છોકરાઓ શાસન કેમ કરાય એટલું જ નહીં, સડી ગયેલી વ્યવસ્થામાં વ્યવસ્થાકીય સુધારાઓ કેમ કરાય એ બતાવી આપશે તો? જુમલાઓ ફેંકીને અને ખેલ પાડીને પ્રજાને ભ્રમમાં રાખવાની જ્યારે આખી રમત હોય, અને એ સિવાય બીજી કોઈ આવડત ન હોય, ત્યારે આ છોકરાઓ ભૂમિ ભાંગશે તો? તો તો મોઢું બતાવવું ભારે પડે.
બીજી ચિંતા તેમને એ વાતની હતી કે જો તેઓ શાસનમાં સફળ થાય અને ભૂમિ ભાંગી બતાવે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ઊભરે અને એમાં તો વધારે નુકસાન થાય. કોંગ્રેસ આમ પણ નિર્બળ બની ગઈ છે, એટલે કેન્દ્રની ડાબે એક રાજકીય પક્ષની દેશને જરૂર છે જે જગ્યા આપ લઈ શકે એમ છે. અરવિંદ કેજરીવાલે તાનાશાહીનું પ્રદર્શન કરીને યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી કાઢી નહોતા મુક્યા ત્યાં સુધી આવી સંભાવના નજરે પડતી હતી. ચૂંટણી પછી તરત જ કેજરીવાલે તાનાશાહીનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીય વિકલ્પ બનવાની સંભાવના પર તેમણે પોતે જ પાણી ફેરવી દીધું. આમ નરેન્દ્ર મોદી માટે બીજી ચિંતાનો તો અંત આવ્યો, પરંતુ પહેલી ચિંતા સતાવતી હતી. આ તેજસ્વી છોકરાઓ શાસન કેમ કરાય અને વ્યવસ્થામાં સુધારા કેમ કરાય એ બતાવી આપશે તો?
આવી ચિંતાથી પ્રેરાઈને દિલ્હીના એલ.જી.ને કહેવામાં આવ્યું હતું કે તમારે દિલ્હીની સરકાર સાથે સલાહ મસલત કરવાની નથી. સરકાર તરફથી જો કોઈ પ્રસ્તાવ આવે તો એ અંગે તમારે તમારી શાસનિક સતા (એક્ઝિક્યુટિવ પાવર) વાપરીને નિર્ણય લેવાનો છે. એલ.જી.ને સમજાઈ ગયું હતું કે આદેશમાં શું કરવાનું કહેવામાં આવ્યું છે. સનદી અધિકારીઓ બે લાઈન વચ્ચેનું લખાણ વાંચવામાં આમ પણ પણ ચાલાક હોય છે, અને અહીં તો આદેશ ઘણો સ્પષ્ટ હતો. પહેલા એલ.જી. નજીબ જંગ અને એ પછી તેમની જગ્યાએ આવેલા અનીલ બૈજલ દિલ્હીની સરકારને કામ કરવા નહોતા દેતા. અનીલ બૈજલ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનું ફરજંદ છે.
દિલ્હી સરકાર અને એલ.જી. વચ્ચેના સંઘર્ષનો સાડા ત્રણ વરસનો લાંબો ઇતિહાસ છે. એમાં ૨૦૧૬માં દિલ્હીની વડી અદાલતે એલ.જી.ની શાસનિક સતાને મંજૂર રાખનારો ચુકાદો આપ્યો, એટલું જ નહીં દિલ્હીની ચૂંટાયેલી સરકાર કરતાં એલ.જી.ની સત્તા વધુ છે, એમ કહ્યું એ પછીથી કેન્દ્ર સરકારને દિલ્હીની સરકારનું ગળું ટીપી નાખવાનો મોકો મળી ગયો હતો. નવાબ જંગને નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ બૈજલને સંઘની સંસ્થામાંથી ખાસ લાવવામાં આવ્યા હતા. ઉદ્દેશ એક જ હતો; આ તેજસ્વી છોકરાંવ કામ કરવામાં સફળ ન નીવડવા જોઈએ.
આમ છતાં બન્ને પગે એલ.જી.એ ડામણ બાંધ્યાં હોવા છતાં દિલ્હીમાં તેજસ્વી છોકરાઓએ શિક્ષણ અને આરોગ્યના મોરચે એવી કમાલ કરી છે, જેની કોઈની સરખામણી ન થઈ શકે. આમ આદમી શિક્ષણ અને આરોગ્યની બાબતે પરેશાન છે, અને કેજરીવાલે તેને લક્ષ બનાવ્યા હતા. આ જમીન, પોલીસ અને કાયદો તેમ જ વ્યવસ્થા સાથે સંબંધીત નથી એટલે એમાં એલ.જી.ની મંજૂરીની કોઈ જરૂર નહોતી. આમ છતાં દિલ્હીની વડી અદાલતના ચુકાદા પછી અનીલ બૈજલે તેમાં પણ અડચણો પેદા કરવાનું શરુ કર્યું હતું. લોકો ડામણ બાંધેલી ગાય દ્વારા આપવામાં આવતાં દૂધના પ્રમાણ સાથે છુટ્ટી ફરતી અને લીલું લીલું ઘાસ ખાતી તાજીમાજી ગાય દ્વારા આપવામાં આવતાં દૂધનાં પ્રમાણની તુલના કરવા લાગ્યા હતા.
અનેક વિઘ્નો છતાં દિલ્હીની સરકાર કેન્દ્ર સરકાર સહિત ભારતની બીજી કોઈ પણ સરકાર કરતાં વધુ સફળ સરકાર છે, એમાં કોઈ શંકા નથી. હવે સર્વોચ્ચ અદાલતે પણ એલ.જી.ને કહી દીધું છે કે બંધારણની મર્યાદામાં રહો અને દિલ્હી સરકારને તેનું કામ કરવા દો. સર્વોચ્ચ અદાલતનો આવો ચુકાદો બે વરસ વહેલો આવ્યો હોત, તો દિલ્હી સરકાર હજુ વધુ કામ કરી શકી હોત. ભારતમાં ન્યાયતંત્ર પોતે પણ એક સમસ્યા છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 જુલાઈ 2018