સ્વામિનારાયણ તથા વલ્લભાચાર્યે આપણી માણસાઈનું હરણ કર્યું. તેઓએ માણસોની રક્ષણશક્તિ લઈ લીધી. માણસોએ દારૂ, બીડી ઇત્યાદિનો ત્યાગ કર્યો, એ તો ઠીક જ છે. પણ એ કાંઈ સાધ્ય વસ્તુ નથી, તે સાધન છે. બીડી પીનારા ચારિત્ર્યવાન હોય તો તે સત્સંગ કરવા લાયક છે, અને જન્મથી બીડીનો ત્યાગી વ્યભિચારી હોય તો કંઈ કામનો નથી. સ્વામિનારાયણે અને વલ્લભે શીખવેલો પ્રેમ વેવલો છે. તેમાંથી શુદ્ધ પ્રેમ પેદા ન થઈ શકે … હિંસામાં અહિંસા છે એ વાત નહોતો જોઈ શક્યો, તે હવે જોતો થયો છું. દારૂમાં મસ્ત થયેલ માણસને અત્યાચાર કરતો અટકાવવાની ફરજ પૂરી નહોતો સમજ્યો, મહાવ્યથાથી પીડાતા કૂતરાનો જીવ લેવાની જરૂરિયાત નહોતો સમજ્યો. હડકાયા કૂતરાને મારવાની જરૂરિયાત નહોતો સમજ્યો. આ બધી હિંસામાં અહિંસા છે.
(મગનલાલ ગાંધી પરના પત્રમાં … ૨૫-૭-૧૯૧૮)
પ્રેષક : મહેન્દ્ર મેઘાણી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 19