દરેક પ્રજાએ પોતાના સાંસ્કૃિતક ઉપક્રમોને તટસ્થપણે અને ઝીણવટથી તપાસતા રહેવા જોઈએ. કેટલાને રોજગારી મળી, કેટલા રસ્તા બંધાયા, કેટલું વેચાણ વધ્યું એ આંકડામાં માપી શકાય. પરંતુ સંસ્કાર-પરંપરાઓ અને સાંસ્કૃિતક ગતિવિધિઓ સૂક્ષ્મ રૂપે કાર્ય કરતી હોય છે. એમાં આગળ વધ્યા કે પાછા પડ્યા. એ ઝટ પરખાતું નથી. એ સઘળું માન્યતા, વલણ અને મૂલ્ય રૂપે વ્યક્ત થતું હોય છે. એ જાણીતું વિધાન છે કે કોઈ પ્રજાને આંતરિક રીતે નિર્માલ્ય અને નિર્વીર્ય કરી નાખવી હોય, તો તેની ભાષા અને સાંસ્કૃિતક પરંપરાઓ માટે હીનભાવ ઊભો કરવો. એટલે એ પ્રજા ધીરેધીરે લઘુતાગ્રંથિથી ઘેરાશે અને પ્રભુત્વવાળાની ગુલામી સ્વીકારી લેશે. હિટલરે જે દેશ જીત્યો ત્યાં જર્મન ભાષા દાખલ કરી અને જે તે ભાષાના શિક્ષકોને કાઢી મૂક્યા. અંગ્રેજોએ અંગ્રેજનું મહત્ત્વ સ્થાપ્યું. પરિણામે આપણે અંગ્રેજીના વ્યામોહમાં ફસાયા. હવે માતૃભાષાની ઉપેક્ષા શરૂ થઈ છે. વધી રહી છે.
આ સંદર્ભમાં ગુજરાતમાં ગુજરાતી ભાષાની સ્થિતિ તપાસવા જેવી છે. આ આત્મનિરીક્ષણની પળ છે. દર વર્ષે બૉર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય છે. પરિણામ જાહેર થાય ત્યારે છાપાંઓ, વાલીઓ, તંત્ર દેખાવ પૂરતું કશુંક કરે છે, પછી લાંબી ઊંઘમાં પડી જાય છે. જો પ્રશ્નનાં વિવિધપાસાંઓ તપાસી સંકલ્પશક્તિ સાથે દૃઢતાથી ઉપાયો થશે. તો જ સ્થિતિ બદલાશે.
(૧) અત્યારે મહાવિદ્યાલય કક્ષાએ ગણિત-વિજ્ઞાન-અંગ્રેજી કેમ ભણાવવું, એના શિક્ષણ અંગે જ બધી કાળજી લેવાય છે, ચિંતા થાય છે. આ એકાંગિતા છે. માનવીય વિદ્યાઓની ઉપેક્ષાથી સાંસ્કૃિતક અને સામાજિક સમતુલા જોખમાશે, એ યુરોપના સી.પી. સ્નો અને ગુજરાતીના મહાન કેળવણીકાર મનુભાઈ પંચોળી દર્શકે વારંવાર ધ્યાન દોર્યું હતું. આપણે એ ભૂલી ગયા છીએ એટલે ગુજરાતીની (માતૃભાષાની) ઉપેક્ષા થાય છે.
(૨) ગણિત-વિજ્ઞાન-અંગ્રેજી કેમ ભણાવવું, એના શિક્ષકોની તાલીમ વગેરે અંગે જ વધુમાં વધુ ધ્યાન અપાય છે. તેના પ્રમાણમાં ગુજરાતી શીખવવા અંગે નહિવત્ વિચાર કે તાલીમ થાય છે. એટલે શિક્ષકોની સજ્જતા ઘસાતી ગઈ છે. શિક્ષકોની સાહિત્યકૃતિઓનો આસ્વાદ કે ભાષા-વ્યાકરણની સજ્જતા કેમ વધે, એની સતત તાલીમ આપવાની જરૂર છે. ગુજરાતીની સજ્જતા અને ક્ષમતા વધશે, તો વિદ્યાર્થીની ગ્રહણશીલતા અને અભિવ્યક્તિક્ષમતા અનેકગણી વધી શકે છે. એટલે ગુજરાતી શીખવવા અંગે શિક્ષકતાલીમનો અલગ રીતે પ્રબંધ થવો જરૂરી છે. એ ભ્રમમાંથી તુરત મુક્ત થવા જેવું છે કે ગુજરાતી ગમે તે ભણાવી શકે. ઊલટાનું ગુજરાતી શીખવવા માટે ઘણી વધારે બુદ્ધિ અને સજ્જતાની જરૂર પડે છે. આવી તાલીમની કામગીરી કેવળ સરકારે હાથમાં ન રાખતાં તે માટેની ઉત્તમ સાહિત્યિક સંસ્થાઓ અને મંડળોને સોંપવી જોઈએ. સદ્ભાગ્યે ગુજરાતમાં આ માટેની ખેવનાવાળા અનેક વિદ્વાનો છે. તેમનો લાભ લેવો જોઈએ. ભૂતકાળમાં એ માટેના પ્રયત્નો થયા હતા, પરંતુ તેમાં સાતત્ય જળવાયું નથી.
(૩) ગુજરાતી ભણ્યા ન હોય તેવા શિક્ષકો ગુજરાતમાં ગુજરાતી ભણાવે છે. ગુજરાતીમાં સ્નાતક થયા નથી કે તેની શૈક્ષણિક તાલીમ લીધી નથી, તેવા ચિત્ર, સંગીત, રમત, સમાજવિદ્યાના સરપ્લસ શિક્ષકો મોટી સંખ્યામાં ગુજરાતી ભણાવે છે. આ બંધ કરવું જ જોઈએ. આ વિષયોના શિક્ષકોને ગણિત કે વિજ્ઞાન ભણાવવાનું સોંપવાનું કદી વિચારાશે ખરું? તો ગુજરાતી કેમ? ગુજરાતી નબળું પડ્યું છે, કારણ કે બધા શિક્ષકો લાયકાતવાળા નથી.
(૪) પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ભાષા અત્યંત ખરાબ અને ખોટી રીતે શીખવાય છે. પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કંગાળ અને કરુણ છે. વિદેશથી એક ઉત્તમ વિચાર લઈ આવ્યા કે પ્રાથમિક શિક્ષણમાં પરીક્ષા ન હોય, વિચાર સાચો છે, પરંતુ આપણા દેશમાં કામચોરી, જવાબદારીનો અભાવ અને ભ્રષ્ટ કાર્યપ્રણાલીને કારણે વિચાર વિકૃત થઈ ગયો. શિક્ષકોએ ભણાવવાનું જ માંડી વાળ્યું, કારણ કે પરીક્ષા નહોતી. પરીક્ષા ન હોય, પરંતુ મૂલ્યાંકન તો હોવું જ જોઈએ. માત્ર, ઉત્તરવહી લખવાની એક જ પરીક્ષા પદ્ધતિ પ્રાથમિક શિક્ષણમાં તો હોઈ જ ન શકે. એને બદલે અનેકવિધ-મૂલ્યાંકન પ્રવિધિઓ શક્ય છે, પરંતુ એ દિશામાં વિચાર ન થયો. એટલે પ્રાથમિક શિક્ષણ લીધા પછી બાળકો પોતાનું અને બાપનું નામ લખી શકતાં નથી કે બે આંકડાના ગુણાકાર-ભાગાકાર કરી શકતાં નથી. હવે સુધારા માટે ફરી માત્ર પરીક્ષા દાખલ કરી દેવી પૂરતી નહીં થાય. વિવિધ પદ્ધતિએ શીખવવું અને વિવિધ પ્રવૃત્તિએ મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ અંગે નવેસર વિચાર કરવો પડશે.
(૫) એક પ્રજા તરીકે આપણે મુગ્ધ ભ્રમમાં છીએ કે અંગ્રેજી આવડશે, એટલે બધું બરાબર થઈ જશે, બાળકોનું ભવિષ્ય ઉત્તમ થઈ જશે. ખરેખર તો માતૃભાષા નબળી હોય, તો બાળકમાં શાનીશાની ખોટ રહે છે, તેનો સાચો-સારો સર્વે થવો જોઈએ. તો ગુજરાતીનું મહત્ત્વ સમજાશે. ગુજરાતી એટલે તમામ વિષયોનું અભિવ્યક્તિ માધ્યમએ સ્વીકારશું, તો ગુજરાતીને વાજબી સ્થાન આપી શકીશું. એટલે વાલીઓ, શિક્ષકો અને તંત્રે નવેસરથી વિચારવાની જરૂર છે.
(૬) છેલ્લાં વર્ષોમાં ગુજરાતીમાં સેલ્ફ-ફાઇનાન્સ શાળાઓને ખૂબ પ્રોત્સાહન અપાયું છે, પરંતુ એ તપાસવા જેવું છે કે એવી શાળાઓ ધોરણો જાળવે છે ખરી? તેઓ વિદ્યાર્થીઓના સંસ્કારઘડતરની પ્રવૃત્તિઓ કરે છે ખરી? નેવું ટકા શાળાઓ તેમાં નાપાસ થશે. વળી, આવી શાળાઓ ગુજરાતીની ભારોભાર ઉપેક્ષા કરે છે.
પ્રાથમિક શિક્ષણ એ ગુણવિકાસ અને વ્યક્તિત્વઘડતરનો અસરકારક અને ઉત્તમ તબક્કો છે. તેમાં પ્રવૃત્તિઓ દ્વારા વધુમાં વધુ શિક્ષણ આપવું જોઈએ, તો શિક્ષણનો અને ભાષાનો જીવન સાથે અનુબંધ થશે, તો ભાષા સહજ ઝિલાશે. દુનિયાભરના કેળવણીકારોનું આને અનુમોદન છે. પરંતુ આપણે કેવળ વિષયશિક્ષણ અને તેની ગોખણપટ્ટીમાં અટવાઈ ગયા છીએ. વાલીઓ અને શિક્ષકોએ માતૃભાષા વ્યવહારમાં કેવી રીતે ઉપયોગી છે, એ સમજવાની જરૂર છે. જો આમ થશે તો ગુજરાતીમાં મોટી સંખ્યામાં નાપાસ થનારાં બાળકોનું પ્રમાણ ઘટશે. પણ આ ઉપાયો સર્વાંગી હોવા જરૂરી છે.
E-mail : mansukhsalla@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 09-10