મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહે વિરોધ પક્ષોને સલાહ આપી હતી કે મણિપુરની સ્થિતિ એટલી બધી ગંભીર છે કે તેણે મણિપુર વિષે સંસદમાં રચનાત્મક ચર્ચા કરવી જોઈએ.
બોલો. આપણને તો આ વાતની ખબર જ નહોતી કે મણિપુરમાં સ્થિતિ ગંભીર છે. આપણને તો એમ લાગતું હતું કે વડા પ્રધાને ૭૯ દિવસ સુધી બોલવાની જરૂર ન પડી અને એ પછી મણિપુર વિષે માત્ર ૩૦ સેકન્ડ બોલ્યા તો સ્થિતિ સામાન્ય હોવી જોઈએ. એની વચ્ચે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યો, સેંકડો ટન ફૂલ ઉડાડ્યાં, ગળું બેસી જાય એટલાં ભાષણ કર્યા, નવાં સંસદભવનનું ઉદ્ઘાટન કર્યું, વિદેશયાત્રાઓ કરી, ભારતની પૂર્વ દિશા તરફ મોઢું પણ ન કર્યું, મણિપુરના કોઈ પ્રતિનિધિમંડળને મળવાની જરૂર ન લાગી આ બધું જોતાં એમ લાગતું હતું કે મણિપુરની સ્થિતિ ગંભીર નહીં હોય. આપણા વડા પ્રધાન એટલા બધા અસંવેદનશીલ થોડા છે કે મણિપુરમાં સ્થિતિ ગંભીર હોય અને બોલે પણ નહીં!
આ જ રાહે આપણે એમ પણ માનીને ચાલવું જોઈએ કે ચીનની સરહદે પણ સ્થિતિ ગંભીર નથી અને ભારત ઉપર કોઈ જોખમ નથી. ચીન છાતી પર ચડીને બેઠું છે, ચીન કબજો કરેલ ભૂમિ ખાલી કરતું નથી, લદાખમાં ૬૪માંથી ૨૭ પેટ્રોલિંગ થાણાં ભારતે ગુમાવી દીધાં છે જ્યાં ભારતીય લશ્કર જઈ શકતું નથી, ચીને અરુણાચલ પ્રદેશનું અને તેનાં શહેરો અને પ્રદેશોનાં નામ બદલી નાખ્યાં છે, અરુણાચલ પ્રદેશના નવા નકશા બનાવ્યા છે, ભૂતાને ભારત સાથેની સમજૂતી તોડીને ભારતને બાજુએ મૂકીને સીધી ચીન સાથે સરહદી વાટાઘાટો શરૂ કરી છે, ભૂતાન બારોબાર ચીન સાથે સમજૂતી કરી રહ્યું છે, નેપાળે ભારતનાં પ્રદેશ પર દાવો કર્યો છે અને નકશા બદલી નાખ્યાં છે વગેરે વાતો થઈ રહી છે એ ખોટી હોવી જોઈએ. આપણા વડા પ્રધાન એટલા બધા બેજવાબદાર થોડા છે કે સરહદે આટલું બધું બની રહ્યું હોય અને એક શબ્દ બોલે પણ નહીં!
ના ના, એવું ન બને. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર વળી ક્યારેક ક્યારેક ચીન સાથેની સ્થિતિની ગંભીરતા વિષે અને ચીનની આડોડાઈ વિષે બોલે છે એ તેમનું ઉતાવળાપણું હોવું જોઈએ અથવા અજ્ઞાન. અમિતભાઈ પણ મણિપુરની સ્થિતિ વિષે વિશેષ જાણતા હોય એવું લાગતું નથી અથવા સ્વભાવ ઉતાવળો હોવો જોઈએ. બાકી આપણા વડા પ્રધાન અસંવેદનશીલ અને બેજવાબદાર ન હોઈ શકે.
આંખ ફેરવી લેવાથી અને મૂંગા રહેવાથી પરિસ્થિતિની ગંભીરતા આપોઆપ ઘટી જાય છે એવી રાજકીય સમજનો ભારતને પહેલીવાર અનુભવ થઈ રહ્યો છે. એમાં કોઈ શંકા નથી કે ઉપેક્ષા પણ એક પ્રતિક્રિયા છે અને પ્રતિસાદ પણ છે. માતા પણ પ્રારંભમાં બાળકની માગણીની, ફરિયાદની, જીદની, રુદનની ઉપેક્ષા કરે છે. એ તેની પ્રતિક્રિયા અને પ્રતિસાદ બન્ને હોય છે. પણ પ્રારંભમાં. જ્યારે તેને ખાતરી થવા લાગે કે બાળક પોતાની વાત છોડતું નથી કે ભૂલતું નથી ત્યારે માતા તેના તરફ ધ્યાન આપે છે. એમાં જવાબદાર માતાની સમજદારી અને વાત્સલ્ય બન્ને જોવા મળે છે. કેટલી ઉપેક્ષા કરવી અને ક્યારે અને કેવો પ્રતિસાદ આપવો એનું ભાન હોવું જોઈએ. પણ એ ત્યારે જ બને જ્યારે સાચી નિસ્બત હોય.
પણ કોઈ માતા એમ કહે કે ગમે તે થાય નહીં બોલું તે નહીં બોલું, નહીં સામે જોઉં તે નહીં જ જોઉં, નહીં તેડું તે નહીં જ તેડું, નહીં બોકિયો લઉં તે નહીં જ લઉં તો એવી માતા વિષે તમે શું કહેશો? એમાં કયું તત્ત્વજ્ઞાન કામ કરે છે અથવા કઈ સમજદારી છે એ મારી સમજની બહાર છે! અને ત્યારે જ્યારે આખું ગામ એ રુદન કરતાં બાળક તરફ જોતું હોય, તેના માટે સહાનુભૂતિ ધરાવતું હોય, તેને સાંભળો, તેને કાન આપો એવી સલાહ આપતું હોય, પરાયા લોકો બાળકને છાનું રાખવાનો પ્રયાસ કરતા હોય, તેના દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયાસ કરતા હોય ત્યારે પણ ગમે તે થાય નહીં બોલું … વાળો અભિગમ ધરાવવો એ જેવા તેવાનું કામ નથી. આપણા વડા પ્રધાન કોઈક ઊંડી આધ્યાત્મિક તાકાત ધરાવતા હોવા જોઈએ. આધ્યાત્મિકતાના આ સ્વરૂપનો જગતને પહેલીવાર પરિચય થઈ રહ્યો છે. એ અર્થમાં આપણા વડા પ્રધાન વિશ્વગુરુ છે.
ઉપેક્ષા એ શક્તિ છે, પણ મર્યાદિત પ્રમાણમાં. જો ઉપેક્ષા હદબહાર કરવામાં આવે તો એ વિસ્ફોટક બને છે. પરાજયની પીડા કરતાં ઉપેક્ષાની પીડા વધારે ચુભતી હોય છે. પરાજય માટે તો આપણે પણ જવાબદાર હોઈએ છીએ, પણ હળહળતી ઉપેક્ષા માટે ઉપેક્ષા કરનારા જવાબદાર હોય છે. અમારી સાથે વાત તો કરો! અમને અમારી ભૂલ તો બતાવો! અમારી પાસેથી શું ઈચ્છો છો એ તો કહો! પ્લીઝ પ્લીઝ વાત તો કરો! યાદ રહે, મણિપુર એક સરહદી રાજ્ય છે અને ચીન ઇશાન ભારતનાં ખાસ્સા મોટા હિસ્સા પર દાવો કરીને તેની ઉત્તરે છાતી પર બેઠું છે. અને બીજું નવ વરસથી મૂંગા રહેવાની અને આંખ ફેરવી લેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોઈ ફાયદો થયો? અંગત અને સરકારની પ્રતિષ્ઠામાં વધારો થયો કે ઘટાડો?
અને છેલ્લે, આંખ મીંચી દેવાથી અને મૂંગા થઈ જવાથી વાસ્તવનો અંત આવે છે ખરો? આ ખોટનો સોદો છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 જુલાઈ 2023