મેં વારસામાં મેળવી છે,
આ ઉદાસી,
તમારી પાસેથી.
ભરપૂર જીવાતા જીવન વચ્ચે
અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,
જાણીતી છે મને, જન્મથી.
જન્મ આપનાર અને જન્મ લેનાર,
આપણે, પિતા-પુત્રી,
પોતપોતાના એકાંતમાં અકારણ પેદા થતા અજંપાને
અવગણીએ છીએ, એમ,
જાણે ઊંઘમાં,
મોંમાંથી બહાર આવી જતી લાળ.
લૂછી નાખતા હોઇએ.
ઘણી વખત
એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતા આપણે,
જાણીએ છીએ,
આ અજંપો, ઘર કરી ગયો છે શરીરમાં.
તમે ઘણી વાર જોઇ રહેતા,
એક જૂના ફોટામાં
દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
હું ઘણી વાર જોઇ રહેતી,
ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા
નાનીમાના હાથ.
પછી એકવાર તમે કહ્યું હતું, ઇશ્વર નથી.
ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,
લોહી કરતાં પણ સાચો,
આપણો સંબંધ છે,
ઉદાસીનો.
~ મનીષા જોષી
આસ્વાદ –
કહેવાય છે કે પિતા અને દીકરી વચ્ચે એક અનોખો વહાલનો નાતો હોય છે. આ સંબંધનું ઉદ્દગમ માત્ર લોહીનાં સગપણનું જ નથી હોતું. એ સાચું છે કે માતા-પિતા તરફથી વારસામાં જે મળે છે એના પર આપણું નિયંત્રણ નથી હોતું. કવયિત્રી કોઈ પણ છોછ વિના, કવિતાનો ઉઘાડ કરતાં, આગળ-પાછળની કોઈ પણ પળોજણમાં પડ્યા વિના, સીધી જ વાત માંડે છે કે, એને એના જન્મદાતા પાસેથી ઉદાસી વારસામાં મળી છે.
અહીં પિતા-પુત્રીના અસ્તિત્વને જોડતું એક સાદું વિધાન કવયિત્રી સ્વીકારી લે છે. સંબંધના સમીકરણને સાબિત કરવાના તર્કમાં અટવાયા વિના જ, કવયિત્રી સમીકરણના અર્કને ઘોષિત કરી દે છે. વહાલના ઉછળતા દરિયા જેવી દીકરી પિતાને કહે છે કે એના અંતરમનમાં ઘર કરી ગયેલી ઉદાસી એને એના પિતા તરફથી વારસામાં મળી છે, પણ, આ “Bold”- સાહસિક કથન કરતી દીકરી પિતા પર તહોમતનામું નથી મૂકતી, પણ, ભરપૂર જીવાતી જિંદગી, “ફેસ્ટીવિટીસ”- ઉત્સવ – બનાવીને ભલે મહાલે પણ ઉદાસીની ટીસ એક પ્રકારે છાની રીસ બનીને પ્રગટ થવા દે છે.
આ સાથે આ હકીકત પણ છે કે ઉદાસીનો અજંપો તો રોમરોમમાં ઘર કરી ગયો છે, જેને અવગણી શકાય એમ પણ નથી. પિતા-પુત્રી એમના એકાંતમાં પાંગરતા આ અજંપાને સંતાડવાની કોશિશ કરે છે કે જેથી એકલતા અને એમાંથી છલકાતી ઉદાસી પિતા-પુત્રી જિગરની આરપાર જોઈ ન લે. બસ, એટલે જ એકબીજાં સાથે નજર મેળવતાં નથી. અને, કદાચ, આ જ લોહીનું સગપણ છે એવી પ્રતીતિ કરાવે છે કે દુનિયા જાણે ન જાણે પણ પિતા-પુત્રી તો અણબોલાયેલા શબ્દોના અર્થને આત્મસાત કરી ચૂક્યાં છે. આ ઉદાસીના અજંપાની અવગણના કરવાની પ્રક્રિયાનું આલેખન કરતાં કવયિત્રી “Raw”- સદંતર પ્રાકૃતિક રૂપક, “જાણે ઊંઘમાં, મોંમાંથી બહાર આવી જતી લાળ લૂછી નાખતા હોઈએ” યોજે છે જેની નૈસર્ગિકતા એને જિંદગીના શ્વાસો જેટલું સહજ બનાવી દે છે.
આખી કવિતાનો ઉપાડ, પહેલી નજરે સાવ સાધારણ લાગતી, પણ આ “Brilliant” – તેજસ્વી પંક્તિઓમાં કવયિત્રી કરે છે.
તમે ઘણી વાર જોઇ રહેતા,
એક જૂના ફોટામાં
દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
હું ઘણી વાર જોઇ રહેતી,
ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા
નાનીમાના હાથ
એક ચમત્કાર, કવયિત્રી આ પંક્તિઓમાં કરે છે. જાણે કહેતી હોય કે, “બોસ, તમારી આ ઉદાસીનું મૂળ મને પણ ખબર છે! એ તમને દાદીમા પાસેથી મળી છે, જે હું સમજી શકી છું. દાદીમાના લાચાર લકવાગ્રસ્ત ચહેરાને જોઈને એક ઝનૂનથી તમે ઈશ્વરના હોવાપણાને નકારી શકો છો. પણ એ સાથે મને અપૂર્વ શ્રદ્ધાથી, ભગવાનની મૂર્તિ ઘસીને સાફ કરતાં, નાનીમાના બેઉ હાથમાંથી નીતરતી ભક્તિ આજે પણ યાદ છે! અહીં આપણે પિતા-પુત્રી અલગ પડીએ છીએ. કારણ, મને માતૃપક્ષ તરફથી એક સુષુપ્ત શ્રદ્ધા પણ વારસામાં મળી હશે જ.”
આ સાથે, કવયિત્રી પોતે પિતાથી ઈશ્વરની હયાતી બાબતે પિતાથી જુદી પડે છે એ તરફ સહેજ ઈશારો કરે છે, પણ, ખુલાસો તો સંદિગ્ધ રાખે છે. ઈશ્વરનું એ પરમ તત્ત્વ તો આપણામાં જન્મ સાથે વણાઈ ગયું છે, આપણા “નાળ”ના સંબંધરૂપે. અહીં “ગાલિબ” યાદ આવે છે –
જબ કુછ ન થા તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા!
ડૂબોયા મુઝ કો હોનીને, ‘ગર મૈં ન હોતા, તો ક્યા હોતા?
કવયિત્રી એમના પિતા સાથે આ અજંપાભરી ઉદાસીની નાળ સાથેની પોતાની આગવી ઓળખને સ્વીકારી લે છે, નીચેની આ કાવ્યપંક્તિઓમાં :
ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,
લોહી કરતા પણ સાચો,
આપણો સંબંધ છે,
ઉદાસીનો.
આખી કવિતા અહીં એક અદ્દભુત ઓપ પામે છે, એટલું જ નહીં, વાચકને પણ પોતાનાં માતાપિતા પાસેથી જે સ્વાભાવિક ડી.એન.એ. મળ્યા છે, એ સ્વીકાર કરવા માટે નૂતન દૃષ્ટિ પણ આપે છે.
e.mail : jayumerchant@gmail.com