ગોળમેજ પરિષદો, સો વરસ દરમ્યાન બ્રિટિશ સરકારે ભારત મોકલેલાં કુડીબંધ પંચો સમક્ષ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓએ આપેલી જુબાનીઓ, નેહરુ રિપોર્ટ અને એવા બીજા અનેક અનુભવો જોતાં ભારતીય નેતાઓને ડર હતો કે બંધારણ ઘડવાની પ્રક્રિયા અધવચ્ચે ક્યાં ય ચેરાઈ ન જાય! આવી પૂરી શક્યતા હતી કારણ કે ઉપરના દરેક પ્રસંગે ભારતીય નેતાઓએ મતભેદો જ પ્રગટ કર્યા હતા. મતભેદોનો અને એકબીજા ઉપરના અવિશ્વાસનો સો વરસનો અનુભવ હતો અને એમાં ઓટ આવતી નહોતી. દરેકને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરનારા ગાંધીજીની હાજરી હોવા છતાં પરસ્પર શ્રદ્ધાનું વાતાવરણ ભારતીય રાજકારણમાં જોવા નહોતું મળતું. આ જે મતભેદો હતા એ ભારતના જે તે સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતાઓ વચ્ચેના હતા અને દરેક આગ્રહી હતા. અથાક પ્રયાસો પછી પણ આગ્રહોના નહીં ઓગળવાનો ભારતનો સો વરસનો ઇતિહાસ સામે હતો.
આ સ્થિતિમાં બંધારણ સભા રચવામાં આવે અને એમાં એ જ ઇતિહાસનું પુનરાવર્તન થાય તો જે ઉપરના દરેક પ્રસંગે થયો હતો? સુખદ અપવાદ તો એક પણ નહોતો. બંધારણ સભાના સભ્યો એકબીજા ઉપર દોષારોપણ કરે, બીજાઓ સામે શંકા કરે, પોતાના સમાજ માટે રક્ષણ માગે અને બંધારણ સભામાં એવી રીતે ભાષણ કરે કે જાણે પોતાના કાર્યકર્તાઓની રેલીને સંબોધતા હોય. અંગ્રેજીમાં આને પ્લેયિંગ ટુ ધ ગેલેરી કહેવામાં આવે છે. આવી પૂરી શક્યતા હતી અને એ ટાળવી જરૂરી હતી. બંધારણ સભા એવી રીતે ચાલવી જોઈએ જેમાં દરેક સભ્ય નાગરિક તરીકે બોલે અને ભારતના નાગરિકો માટેનું બંધારણ ઘડે.
તો આને માટે કરવું શું? કોઈ સોગંદનામું તો કરાવાય નહીં કે તમારે તમારા સમાજ માટે કે કોઈ ચોક્કસ વર્ગવિશેષ માટે બોલવાનું નથી. ઊલટું એવા કેટલાક સભ્યોની જરૂર પણ હતી જે ચોક્કસ લોકોના હિત માટે બોલે. ખાસ કરીને ઇશાન ભારતની પ્રજા, સ્ત્રીઓ અને આદિવાસીઓ અને દલિતોનાં હિત માટે બોલનારાઓની. આમાં ખાસ કરીને પહેલા ત્રણ વતી બોલનારા કોઈ નહોતા. ઉપર સો વરસ દરમ્યાનના જેટલા પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે તેમાં સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત માટે બોલનારા અને ન્યાય માગનારા ઓછા હતા. વળી સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત વતી બોલનારાઓની જરૂર પણ હતી. આમ જરૂર હતી બંધારણ સભાના સભ્યો બંધારણ સભામાં નાગરિક બનીને નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એની સાથે જ કેટલીક પ્રજાનાં હિતોનું વિશેષ ધ્યાન પણ રાખે.
આ સિવાય લગભગ ધર્મઘેલછા કહેવાય એટલી હદની ધાર્મિકતા ધરાવનારા મુસલમાનો બંધારણ સભામાં નાગરિક તરીકેની ભૂમિકા લઈને ભારતીય નાગરિકો માટેનું (જેમાં મુસલમાનો પણ આવી ગયા) ભારતીય બંધારણ ઘડવાની ભૂમિકા લેશે કે કેમ એ પણ પ્રશ્ન હતો. મુસલમાનોનો એક પક્ષ ભારતનું વિભાજન અને મુસલમાનો માટે સ્વતંત્ર પાકિસ્તાનની માગણી કરતો હતો તો બીજો પક્ષ રાષ્ટ્રવાદી મુસલમાનોના પક્ષ તરીકે ઓળખાતો હતો, પરંતુ તેણે સેક્યુલર ભારત માટેની દ્રઢ શ્રદ્ધા ખોંખારો ખાઈને વ્યક્ત નહોતી કરી. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાંથી કોઈ પ્રજા કે સમાજ વિશેષને બહાર રખાય જ નહીં અને તેવો ઈરાદો પણ નહોતો.
તો પછી કરવું શું? તંગ દોરડા પર ચાલવાની રમત હતી અને એ આસાન નહોતી. આવડો મોટો દેશ, એમાં આટલી બધી વિવિધતા, દરેકને બંધારણ સભામાં પ્રતિનિધિત્વ આપવાનું, પાછી અપેક્ષા એવી કે તે પોતાના સમાજ વિશેષ માટે વકીલાત કરવાની જગ્યાએ એક નાગરિક તરીકેની ભૂમિકા અપનાવીને ભારતના સમગ્ર નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એ સાથે જ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને ઇશાન ભારતની પ્રજાને ખાસ હાથ પણ આપે. દુનિયાની કોઈ માર્ગદર્શિકા કામ આવે એમ નહોતી. આની કોઈ શરતો ન હોય અને કોઈ સલાહ પણ ન હોય. બંધારણ સભાના સભ્ય બનવા માટેની એવી કોઈ શરત કે સલાહ ચાલે એમ પણ નહોતી. માટે જ કહ્યું છે કે તંગ દોરવા ઉપર ચાલવા જેવી સ્થિતિ હતી.
આનો ઉપાય હતો બંધારણ સભામાં લગભગ રાંધેલી રસોઈ મુકવી જેનો માત્ર વઘાર કરવાનો બાકી હોય. કોઈને એમ ન લાગે કે અમારો કોઈ સહભાગ નહોતો અને કોઈને ચોક્કસ પ્રજાવિશેષના હિતના નામે કે મહાન આર્યાવર્તની પરંપરાને નામે લાંબાલાંબા ભાષણો કરવાની અને કારણ વિનાના મુદ્દા ઉઠાવવાની તક પણ ન મળે. હવે બીજો સવાલ, રસોઈ કોણ બનાવે? આનો જવાબ છે બંધારણ સભાનું કામ આસાન થાય અને સમય બચે એ માટે રચવામાં આવેલી પેટા-સમિતિઓ. એ પેટા-સમિતિઓ કેટલી હતી, કયા વિષય માટેની હતી, એમાં કોણ કોણ હતું અને તેમાં શું ચર્ચા થઈ હતી તેની વિગતો આગળ કહેવામાં આવશે. બંધારણ સભાની પેટા-સમિતિઓ રસોઈ બનાવતી હતી પણ તેના માટેનો કાચો સામાન કોણ પૂરું પાડતું હતું? તો એનો જવાબ છે બેનેગલ નરસિંહ રાવ. તેઓ કાચા મુસદ્દા ઘડીને આપતા હતા, મુદ્દાઓને પ્રશ્નોતરીમાં વણીને અને બંધારણ સભાના સભ્યોને પ્રશ્નો મોકલીને તેમનો અભિપ્રાય માગીને ટૂંકા ઘેરામાં બાંધતા હતા વગેરે. બી.એન. રાવે જે પાયો રચી આપવાનું કામ કરી આપ્યું એની વાત પણ હવે પછી આવશે.
ટૂંકમાં નીતિ એવી હતી કે બને ત્યાં સુધી મુદ્દાઓને અને તેના પરની ચર્ચાને ટૂંકા વર્તુળમાં બાંધવી કે જેથી પાકિસ્તાન અને બીજા દેશોમાં બન્યું હતું એમ બંધારણ ઘડવાની પ્રક્રિયા ચેરાઈ ન જાય. અને એમાં પાયો રચી આપવાનું કામ બી.એન. રાવે કરી આપ્યું હતું. બી.એન. રાવના યોગદાન વિષે બંધારણ સભાના અધ્યક્ષ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે શું કહ્યું છે તે અહીં ટાંકવું જોઈએ. બી. શિવા રાવે સંપાદિત કરેલા ‘ઇન્ડિયાઝ કોન્સ્ટીટ્યુશન ઇન મેકિંગ’ નામના પુસ્તકમાં લખેલી પ્રસ્તાવનામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લખે છે : If Dr. Ambedkar was the skilful pilot of the constitution through all its different stages, Sri B. N. Rao was the person who visualised the plan and laid its foundation. He was superb in draftmanship, endowed with a style which was at once clear, illuminating and precise—qualities which are indispensable in any document of legal or constitutional importance.
ડો. રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે બી.એન. રાવે ભારતના બંધારણની કલ્પના વિકસાવી હતી, એની યોજના બનાવી હતી અને બંધારણનો પાયો રચી આપ્યો હતો.
e.mail : ozaramesh@gmail.com