પરમ પૂજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઓનરેબલોએ જે નહોતું કહ્યું અને કર્યું, એ એક શુદ્રએ પહેલી વાર કહ્યું અને કર્યું. કોઈનાં પણ પૂતળાં ન હોવાં જોઈએ, પણ ભારતમાં જો કોઈનું વિરાટ પૂતળું બાંધવું જ હોય તો એ જ્યોતિબા ફૂલેનું બાંધવું જોઈએ. એ પહેલો માણસ હતો જેણે મૂંગી વેદનાને વાચા આપી હતી અને એ પણ અધિકારની ભાષામાં. દયા-કરુણાની ભાષામાં તો મધ્યકાલીન સંતોએ પણ આપી છે. અને હા, મધ્યકાલીન સંતોએ પણ સ્ત્રીઓની વેદનાને ખાસ વાચા નથી આપી.
૧૯૩૫ના ડિસેમ્બર મહિનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને લાહોરની ‘જાત-પાત તોડક મંડલ’ નામની સંસ્થાએ જાતિનિર્મૂલન વિશે બોલવા આમંત્રણ મોકલ્યું. ડૉ. આંબેડકરે તેમને લખ્યું કે તમે હિન્દુ હોવા માટે ગર્વ લેનારા માણસો છો, એટલે તમને મારા વિચારો માફક નહીં આવે. માણસ હોવાની જવાબદારી અને હિન્દુ હોવાના ગર્વમાં ફેર છે. ગર્વ લેનારાઓ માનવતાના ત્રાજવે જે વાતે ગર્વ લે છે, એને તોળતા નથી એટલે સરવાળે તેઓ સુધારાનો પ્રતિકાર કરે છે. સુધરવા માટે આપણામાં કાંઈક ખામી છે એનો પહેલાં સ્વીકાર કરવો પડતો હોય છે. માણસ બનવાની સફર અહીંથી શરુ થાય છે.
આ તો હિન્દુધર્માભિમાની જમાત! તેમણે ડૉ. આંબેડકર સામે પ્રતિવાદ કર્યો. એવું તો કાંઈ હોતું હશે? અમે હિન્દુ છીએ અને એમાં પણ આર્ય સમાજી. હિન્દુ તો જન્મજાત માનવતાવાદી જ હોય અને આર્ય સમાજી સમાનતાવાદી. અમે જાત-પાતમાં માનતા નથી અને અમારા મંડળનું નામ પણ અમે જાત-પાત તોડક મંડલ રાખ્યું છે. આવો, તમે મુક્તપણે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો.
ડૉ. આંબેડકરે આમંત્રણનો સ્વીકાર તો કરી લીધો, પણ ભરોસો બેસતો નહોતો કે કોઈ દલિત કાન આમળે અને સવર્ણો તેને ખમી લે. કારણ વિના વિવાદ ન થાય એ માટે ડૉ. આંબેડકરે પોતાનું લેખિત ભાષણ સભાના આયોજકોને મોકલી આપ્યું, અને લખ્યું કે જોઈ જુઓ; હજુ પણ વખત છે, ખમી શકો એમ હોય તો બોલાવજો. તેમની ધારણા મુજબ આયોજકોનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં અને ભાષણ રદ્દ કરવામાં આવ્યું. આશ્ચર્ય ડૉ. આંબેડકરને નહોતું થયું, આશ્ચર્ય આર્યસમાજીઓને થયું હતું કે ધર્મને જોવા – પારખવાનો આવો પણ એક દૃષ્ટિકોણ છે જે આપણા ગુરુદેવ દયાનંદ સરસ્વતીએ નહોતો શીખવ્યો.
શું છે એ દૃષ્ટિકોણ? માનવતા. આ જગતમાં કોઈ ચીજ મહાન નથી, માણસાઈ મહાન છે. આ જગતમાં કોઈ ચીજ પવિત્ર નથી, માણસાઈ પવિત્ર છે. આ જગતમાં કોઈ વાક્ય અંતિમ નથી, માણસાઈ અંતિમ છે. આ જગતમાં કોઈ ઈશ્વર, કોઈ ધર્મ, કોઈ ધર્મગ્રન્થ, કોઈ ધર્મગુરુ સનાતન નથી; માણસાઈ સનાતન છે. બિચારા આર્યસમાજીઓને તો તેમના ગુરુએ એમ શીખવ્યું હતું કે આપણે હિન્દુ છીએ એટલે જન્મ-જાત મહાન છીએ. એ તો એમાં કેટલીક બદીઓ પ્રવેશી ગઈ છે એટલે આપણે ઝાંખા પડ્યા છે અને એ બદીઓ દૂર કરતાંની સાથે જ આપણે મહાન પ્રજા બની જઈશું. એ બદીઓનાં આકરાં નિદાનો અને થોડા વ્યવહારુ અને વધુ અવ્યવહારુ ઈલાજો દયાનંદ સરસ્વતીએ સૂચવ્યા છે. એમાં એક ઈલાજ હતો જ્ઞાતિપ્રથાનો અંત. બિચારા આર્યસમાજીઓએ પહેલી વાર જોયું કે માનવતાની એરણે ધર્મને ચકાસી શકાય અને એમાં તે ઊણો પણ ઊતરે. છેવટે તો હિન્દુ ધર્માભિમાનીઓ ને! એક દલિત માનવતાની એરણે આપણા મહાન ધર્મને ચકાસે એ કેમ ચલાવી લેવાય?
અહીં એક સવાલ પૂછવો જોઈએ. દલિતોની માફક સમાનતાની હકદાર મહિલાઓ ખરી કે નહીં? દયાનંદ સરસ્વતી એ બાબતે ચૂપ છે. શા માટે દયાનંદ સરસ્વતીને જ્ઞાતિગત ભેદભાવ કઠ્યા અને લૈંગિક ભેદભાવો ન કઠ્યા? કારણ બહુ સ્પષ્ટ છે. સ્ત્રી પરિવારનું અવિભાજ્ય અંગ છે. તે મા છે, પત્ની છે, દીકરી છે, બહેન છે એટલે તે પરિવારના બંધનોથી મુક્ત થઈ શકે એમ નથી. ખરું પૂછો તો તે પુરુષથી મુક્ત થઈ શકે એમ નથી. જઈ જઇને ક્યાં જશે? રોટલા અને વસ્ત્ર માટે પુરુષ પરનું અવલંબન સ્ત્રીને વિવશ કરીને રાખે છે. તેને માટે ઉંબરો ઓળંગવા કોઈ જગ્યા જ નથી. જેનો ઊંહકારો કાને ન પડતો હોય અને પડતો હોય તો તેની ઉપેક્ષા થઈ શકતી હોય તો તેની વેદનાની ચિંતા કરવાની જરૂર જ શું છે? એ ક્યાં જવાની છે કે વિદ્રોહ કરવાની છે?
આમ દયાનંદ સરસ્વતીએ સ્ત્રીની વેદનાને વાચા આપી નથી કે તેને ન્યાય મળવો જોઈએ એમ કહ્યું નથી, માત્ર જાત-પાતનો અંત આવવો જોઈએ એમ કહ્યું હતું. કારણ? કારણ એ કે સ્ત્રી પરિવારનું અવિભાજ્ય અંગ છે, પણ દલિત હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ નથી. એ જઈ શકે છે. ગામ છોડીને શહેર જઈ શકે છે અને મોકો મળે તો ધર્મ છોડીને પણ જઈ શકે છે. બીજું, સ્ત્રી પેટ અને વસ્ત્ર માટે પુરુષ પર જેટલી નિર્ભર હતી એટલા દલિતો સવર્ણ હિન્દુઓ પર નિર્ભર નહોતા. ખાસ કરીને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના ભારતપ્રવેશ પછી અને અંગ્રેજો આવ્યા પછી થયેલાં શહેરીકરણનાં પરિણામે દલિતો માટે બહાર જવાના રસ્તાઓ ખૂલી ગયા હતા. ટૂંકમાં દલિત જતો ન રહે એ માટેની ચિંતા હતી, જે જઈ શકે એમ જ ન હોય, તો તેની ચિંતા શું કામ કરવાની? દલિત જતો રહે તો ઇસ્લામ અને ખ્રિસ્તીઓ સામે આપણી સંખ્યા ઘટે અને સંખ્યા ન ઘટવી જોઈએ. ધર્મની સબળતા અને નિર્બળતા તેમણે સંખ્યામાં જોઈ હતી. હિન્દુ માનસમાં સંખ્યાની સભાનતા દાખલ કરનારા દયાનંદ સરસ્વતી પહેલા હતા.
તો જાત-પાત તોડક મંડલની દલિતો સાથેના સમાન વ્યવહારની ભાવના પાછળની પ્રેરણા સંખ્યા હતી, માણસાઈ અને માનવીય અધિકાર નહીં. હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે જ, એ શ્રેષ્ઠ ધર્મની સંખ્યા ન ઘટે એ માટેનો સદ્વ્યવહાર હતો. ડૉ. આંબેડકર આ જાણતા હતા એટલે તેમણે પહેલા જ કહી દીધું હતું કે તમને મારા વિચારો નહીં પચે. દલિતોને તમારી ભલમનસાઈની જરૂર નથી. આ જગતમાં દરેક માણસ સમાન છે, દરેક માણસ સમાન અધિકાર ધરાવે છે અને દરેક માણસ સમાન તક(ઓપોર્ચ્યુનિટી)નો હકદાર છે. કોઈ આપનાર નથી કે કોઈ લેનાર નથી. એરણ માનવતાની છે અને માનવતાની એરણને ધર્મ, ભાષા, વંશ, જાતિ કોઈ ચીજ સાથે લેવાદેવા નથી. માનવતાનો ગજ અંતિમ ગજ છે અને તેનાથી મોટો કોઈ ગજ નથી. પોતાને શ્રેષ્ઠ અને કરુણાવાન સમજનારા આર્યસમાજીઓ માટે આ ક્યારે ય નહીં વિચારેલો કે સાંભળેલો દૃષ્ટિકોણ હતો.
તમે જાણો છો, સ્ત્રીના માનવીય અધિકારનો સ્વીકાર કરનારો પહેલો ભારતીય હિન્દુ કોણ હતો? એક શુદ્ર હતો; નામે જ્યોતિબા ફૂલે. જન્મે માળી. તેમના પહેલાં કોઈ બ્રાહ્મણે સ્ત્રીના માનવીય અધિકારની વકીલાત નહોતી કરી. આ વિશે પણ થોડું વિચારવું જોઈએ. દરેક જ્ઞાનશાખામાં પહેલી હરોળમાં રહેનારા બ્રાહ્મણો માનવતાના વિમર્શમાં કેમ પાછળ રહ્યા? ભારતમાં આ વિમર્શ નીચેથી શરૂ થાય છે, ઉપરથી એટલે કે બ્રાહ્મણો તરફથી નહીં. કોઈ કહેતા કોઈ નહીં. સમાનતાનો દાવો કરનારા આર્ય સમાજીઓ નહીં, બીજા હિન્દુ ધર્માભિમાનીઓ નહીં, પાશ્ચાત્ય શિક્ષણ મેળવેલા અને પોતાને પ્રગતિશીલ સુધારક ગણાવનારાઓ પણ નહીં. હિન્દુ ધર્માભિમાનીઓનું સમાનતા પાછળનું કારણ સંખ્યા હતું અને સુધારકોની સુધારાની વકીલાત પાછળનું મુખ્ય કારણ અંગ્રેજો સામે ભૂંડા લાગવાની શરમ હતું અને ભવિષ્યમાં સત્તા ભોગવવાની લાયકાત મેળવવા માટે જરૂરી સજ્જતા હતું.
૧૯મી સદીમાં દયાનંદ સરસ્વતી, સહિત કોઈ હિન્દુ ધર્માભિમાનીએ સ્ત્રીઓના માનવીય અધિકારોની વકીલાત નથી કરી, વીસમી સદીમાં સાવરકર કે ગોલવલકર સહિત કોઈએ સ્ત્રીઓના માનવીય અધિકારોની વકીલાત નથી કરી અને અત્યારે ૨૧મી સદીમાં પણ કોઈ નથી કરી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્ત્રીઓને પ્રવેશ નથી. ઊલટું સ્ત્રી વિરોધી વિપરીત દિશાનાં નિવેદનો થઈ રહ્યાં છે. અરુણ જેટલી, અમિત શાહ અને સંઘના નેતાઓનાં નિવેદનો આનાં પ્રમાણ છે. તો માનવીય અધિકારનો વિમર્શ ભારતમાં ઉપરથી શરૂ નથી થતો નીચેથી શરૂ થાય છે. આગળ કહ્યું એમ એક શુદ્ર જ્યોતિબા ફૂલે પહેલા હિન્દુ હતા જેમણે કહ્યું હતું કે સ્ત્રી પણ માનવીય અધિકારોની એટલી જ હકદાર છે જેટલો પુરુષ. પરમ પૂજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઓનરેબલોએ જે નહોતું કહ્યું એ એક શુદ્રે કહ્યું.
જોડાના ડંખની પીડાની એને ખબર પડે જેને એ વાગતો હોય. જ્યોતિબા ફુલે આમાં એક ડગલું આગળ વધ્યા, અને માટે તેઓ મહાત્મા જ્યોતિબા ફુલે તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું હતું કે દરેક સમાજિક પીડાનું મૂળ માણસાઈના અભાવમાં છે. એક માણસ બીજા માણસ સાથે માણસ જેવો વ્યવહાર ન કરે ત્યારે અન્યાયજનક પીડા પેદા થતી હોય છે. એમાં જે સબળ હોય એ પોતાની સબળતા કાયમ માટે જળવાઈ રહે એ માટે ધર્મ, સંસ્કાર, પરંપરા વગેરેનો આશ્રય લઈને તેને કાયમી સ્વરૂપ (ઇન્સ્ટિટ્યુશનલાઈઝ્ડ) કરવાનો પ્રયાસ કરે છે અને એ રીતે અન્યાયી વ્યવસ્થા સ્થાપિત થાય છે. આનાં મૂળમાં સ્વાર્થજન્ય અમાનવીય અન્યાય છે અને એનો ઉકેલ માનવીય ન્યાય છે. દરેકને અપવાદ વિના એક સમાન માનવીય ન્યાય મળવો જોઈએ પછી તે સવર્ણ હોય કે દલિત, સ્ત્રી હોય કે પુરુષ, ગોરા હોય કે કાળા. સમાજનો પાયો માનવીય મૂલ્યો આધારિત હોવો જોઈએ. મહાત્મા ફૂલેએ તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને સ્ત્રીઓ માટેની સાર્વજનિક શાળા શરૂ કરી હતી. સ્ત્રી માટેની, પણ સાવર્જનિક. પીડા બંનેની એક સરખી છે, પછી સ્ત્રી દલિત હોય કે બ્રાહ્મણ.
હમણાં કહ્યું એમ પરમ પૂજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઓનરેબલોએ જે નહોતું કહ્યું અને કર્યું એ એક શુદ્રએ પહેલી વાર કહ્યું અને કર્યું. કોઈનાં પણ પૂતળાં ન હોવાં જોઈએ, પણ ભારતમાં જો કોઈનું વિરાટ પૂતળું બાંધવું જ હોય તો એ જ્યોતિબા ફુલેનું બાંધવું જોઈએ. એ પહેલો માણસ હતો જેણે મૂંગી વેદનાને વાચા આપી હતી અને એ પણ અધિકારની ભાષામાં. દયા-કરુણાની ભાષામાં તો મધ્યકાલીન સંતોએ પણ આપી છે. અને હા, મધ્યકાલીન સંતોએ પણ સ્ત્રીઓની વેદનાને ખાસ વાચા નથી આપી.
માનવતાનો ગજ અંતિમ ગજ છે અને તેનાથી મોટો કોઈ ગજ નથી. હિન્દુ હોવાને નાતે પોતાને શ્રેષ્ઠ અને કરુણાવાન સમજનારા આર્યસમાજીઓ માટે આ ક્યારે ય નહીં વિચારેલો કે સાંભળેલો દૃષ્ટિકોણ હતો. તેઓ ડૉ. આંબેડકરનું વ્યાખ્યાન રદ્દ કરી નાખે છે. ગાંધીજીએ કહ્યું હતું એમ ડૉ. આંબેડકર ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે સ્વ-ખર્ચે એ વ્યાખ્યાન છપાવ્યું અને એ વ્યાખ્યાનની પુસ્તિકા ગાંધીજીને મોકલી. ગાંધીજીએ ૧૯૩૬ના જુલાઈ મહિનામાં ‘હરિજન’માં તેમની પત્રિકામાં પુસ્તિકાની સમીક્ષા કરતા લખ્યું કે સૌ પહેલાં તો આ વ્યાખ્યાન પ્રત્યેક હિન્દુએ વાંચવું જોઈએ, અને દરેક હિન્દુ સુધી પુસ્તિકા પહોંચી શકે એ માટે તેની કિંમત બે આના કે ચાર આના જેવી નજીવી રાખવી જોઈએ. કોઈકે એ પુસ્તિકા સ્પોન્સર કરવી જોઈએ, એવી પણ ગાંધીજીએ ભલામણ કરી હતી. શા માટે? કારણ કે ધર્મનિરપેક્ષ શુદ્ધ માનવીય ભૂમિકાએથી ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મની અને સમાજની ચિકિત્સા કરી છે અને એ દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે એમ ગાંધીજીએ કહ્યું હતું.
એ પછી તેઓ ડૉ. આંબેડકર સાથે ચર્ચામાં ઊતરે છે અને એ ચર્ચા લાંબી ચાલે છે. એમાં ડૉ. આંબેડકરના પક્ષે કડવાશ વ્યક્ત થાય છે તો ગાંધીજી પણ વર્ણવ્યવસ્થાની મૂળ કલ્પના નિર્દોષ હતી જેવી કેટલીક ગળે ઊતરે નહીં એવી દલીલો કરે છે. એ ચર્ચામાં ડૉ. આંબેડકર ઠીકઠીક પ્રમાણમાં ગાંધીજીની ધુલાઈ કરે છે અને આગળ જતાં ગાંધીજી ચાતુરવર્ણ્ય વિશેના પોતાના વિચારો બદલે પણ છે. ૧૯૩૬માં ગાંધીજીએ આંબેડકરની સામે બે દલીલ કરી હતી જે અત્યારે પણ પ્રાસંગિક છે. એક તો એ કે ધર્મનો પ્રાણ અને ધર્મનું કલેવર બે અલગ ચીજ છે. અહં બ્રહ્માસ્મિ અને એવાં વચનો અને તેના પર આધારિત દર્શન હિન્દુ ધર્મનો પ્રાણ છે અને કર્મકાંડ, જે તે પરંપરા એનું કલેવર છે. ૧૯૩૬માં વર્ણવ્યવસ્થાને હિન્દુ ધર્મનો પ્રાણ ગણવાની તેમણે જે ભૂલ કરી હતી, એ પાછળથી સુધારી લીધી હતી. પ્રાણ અપ્રાસંગિક બનતો નથી, કલેવર અપ્રાસંગિક બને છે અને એ બદલી શકાય છે. બીજી દલીલ તેમણે એ કરી હતી કે અન્ય ધર્મીઓની તુલનામાં હિન્દુ ધર્માનુયાયી કલેવરમાં પરિવર્તન કરવાની વધુ ક્ષમતા ધરાવે છે. જે બીમારી છે એ શરીરમાં છે, આત્મામાં તો નથી અને હિન્દુ શરીરને સુધારી શકે છે.
અહીં સબરીમાલાના સંદર્ભમાં પાંચ સવાલ કરવા છે:
એક. ગાંધીજી કહે છે એમ શું અહં બ્રહ્માસ્મિ જેવું દર્શન હિન્દુ ધર્મનો પ્રાણ છે એમ તમે માનો છો?
બે. જો એમ માનતા હો તો અફાટ સાગર જેવું વ્યાપક દર્શન માનવીયતાની વિરુદ્ધ હોઈ શકે?
ત્રણ. સમય જતાં ધર્મના બાહ્ય કલેવરમાં (બૉડી રિલિજિયન) વ્યવહાર, રીતિરિવાજ, કર્મકાંડ, પરંપરાને નામે કેટલાંક અમાનવીય અને અન્યાય કરનારાં તત્ત્વો દાખલ થઈ ગયાં હોય એ વાતનો સ્વીકાર કરવા તમે રાજી છો?
ચાર. બીજા કોઈ પણ ધર્માનુયાયીની તુલનામાં હિન્દુ બદલવાની, અપનાવવાની અને છોડવાની વધુ ક્ષમતા ધરાવે છે એવી ગાંધીજીની દલીલ સાથે સંમત છો?
અને પાંચ. જો હા, તો તમે બદલાવા રાજી છો? સબરીમાલા મંદિરમાં દરેક વયની સ્ત્રીઓને પ્રવેશ મળવો જોઈએ એનું સમર્થન કરશો?
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 04 નવેમ્બર 2018