“My Swaraj is to keep intact the genius of our civilization. I want to write many new things, but they must all be written on the Indian slate.”
— Mahatma Gandhi
વડા પ્રધાને મોરબી નજીક ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દી નિમિત્તે કહ્યું હતું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા ભારતીય મૂલ્યો આધારિત હોવી જોઈએ. દયાનંદ સરસ્વતીએ આ જ શીખ આપણને આપી હતી.
આગળ વધતા પહેલાં અહીં થોડી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જે કોઈ ભારતીય મૂલ્યો છે એ મુખ્યત્વે હિંદુ મૂલ્યો છે. ભારતમાં હિંદુઓ બહુમતીમાં છે અને તેઓ વધારે નહીં તો પણ કમ સે કમ આ ધરતી પર પાંચેક હજાર વરસથી એકધારું અસ્તિત્વ ધરાવે છે. બીજી પ્રજા પોતપોતાનાં મૂલ્યો લઈને ભારતમાં આવી છે અને કાયમ માટે ભારતને વતન બનાવીને તેમાં સમાઈ ગઈ છે. એને પરિણામે હિંદુ મૂલ્યો ભારતીય બન્યાં છે, વધારે સમૃદ્ધ બન્યાં છે અને વધારે સ્વીકાર્ય પણ. વડા પ્રધાને પણ ભારતીય મૂલ્યોની વાત કરી છે હિંદુ મૂલ્યોની વાત નથી કરી. હિંદુ વિનાની ભારતીયતા અધૂરી છે.
પણ સવાલ એ છે કે કયાં મૂલ્યો ખાસ ભારતીય છે, ભારતમાં તે વિશેષરૂપે જોવા મળે છે જેના પર આધારિત શિક્ષણ આપવાનું વડા પ્રધાન કહે છે? સત્ય, પ્રમાણિકતા, શુદ્ધ વ્યવહાર વગેરે મૂલ્યો વૈશ્વિક છે. આખું વિશ્વ આનો સ્વીકાર કરે છે. જગતનો કોઈ ધર્મ જૂઠું બોલવાનું, છેતરપીંડી કરવાનું કે દગાખોરી કરવાનું શીખવતો નથી કે નથી કોઈ મહાપુરુષે એવી કોઈ શીખ આપી. તો પછી એવાં કયાં મૂલ્યો છે જે ખાસ ભારતીય છે. ભારતમાં વિકસ્યાં છે, ભારતીય પ્રજાએ અપનાવ્યાં છે અને એનાં થકી ભારતીય પ્રજા ઓળખાય છે? મૂલ્યોમાં જીવનદર્શન અને જીવનશેલીનો પણ સમાવેશ કરવો જોઈએ.
અહિંસા ભારતીય મૂલ્ય છે. વસુધૈવ કુટુંબકમ્ ભારતીય મૂલ્ય છે. પરાયાને પોતાનાં કરવા એ ભારતીય મૂલ્ય છે. સહિષ્ણુતા એ ભારતીય મૂલ્ય છે. સહઅસ્તિત્વ એ ભારતીય મૂલ્ય છે. પ્રત્યેક ધર્મ, સંપ્રદાય અને માન્યતાઓ માટે સમાદર એ ભારતીય મૂલ્ય છે. વહેંચીને ખાવું (तेन त्यक्तेन भुञ्जीथा:) એ ભારતીય મૂલ્ય છે. અપરિગ્રહ ભારતીય મૂલ્ય છે. ઓછી જરૂરિયાત, સાદગી અને સંયમ એ ભારતીય મૂલ્ય છે. સ્વાયત્ત ગ્રામવ્યવસ્થા ભારતીય મૂલ્ય છે. વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે તાલમેલ એ ભારતીય મૂલ્ય છે. હઠાગ્રહની જગ્યાએ અનેકાંત એ ભારતીય મૂલ્ય છે. સંયુક્ત કુટુંબ અને સહભાગિતા એ ભારતીય મૂલ્ય છે. એમાં કમાઈ નહીં શકનારાઓને કે પછી પતિ કે પિતા ગુમાવનાર વિધવા કે બાળકોને પરિવારમાં સંભાળી લેવામાં આવતા હતા. અને આવા હજુ બીજા ભારતીય મૂલ્યો જડી આવશે જે મુખ્યત્વે ભારતમાં વિકસ્યાં છે અને ભારતની પ્રજાએ તેને જીવનમૂલ્ય તરીકે સ્વિકાર્યાં છે.
આનો અર્થ એવો નથી કે આપણામાં કોઈ ઊણપ નથી. ઊણપ ઘણી છે અને શરમાવું પડે એવી છે. ફરી એકવાર ગાંધીજીને યાદ કરવા પડે. ગાંધીજીએ કહ્યું હતું કે વિશ્વના પ્રત્યેક ધર્મ (અને સભ્યતા પણ) સાચા અને મહાન છે, પણ દરેક અધૂરા છે. સર્વાંગસંપૂર્ણ કોઈ નથી. ભારતમાં જોવા મળતા ધર્મો અને સંપ્રદાયો તેમ જ આપણો સમાજ અને સભ્યતા પણ અધૂરા છે. જે ખામી છે તેનો સ્વીકાર કરવો જોઈએ.
હવે બીજો સવાલ. જે ભારતીય મૂલ્યો છે, જેને માટે ભારત વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે, જે ભારતની ઓળખ છે એને માટે તમે આદર ધરાવો છો ખરા? હા કે ના-નો નિર્ણય લેતા પહેલાં ફરી એકવાર વાંચી જાવ કે ભારતીય મૂલ્યોમાં કયા કયા મૂલ્યોનો સમાવેશ થાય છે. હિંસા, હિંસાનો મહિમા, લઘુમતી કોમ ઉપર દાદાગીરી, જોહુકમી, સંગ્રહવૃત્તિ, કોઈનો હક મારવો, અન્યાય, અકરાંતિયાપણું કે ખાઉધરાપણું, સૃષ્ટિ અને વ્યક્તિનું શોષણ, જૂઠાણાં, કાનાફૂસી, કોઈને નિશાન બનાવીને પાછળ પડવું કે બદનામ કરવા, અસહિષ્ણુતા, બંધિયારપણું, કહેતી અને કરણી વચ્ચે ફરક વગેરે જે આજે પ્રચૂર માત્રામાં જોવા મળે છે એ ભારતીય છે? ક્યાંથી આવી આ વિકૃતિ જેનો ભારતની પ્રજા હરખભેર સ્વીકાર કરી રહી છે? શા માટે આવી વિકૃતિ સ્વીકાર્ય બની રહી છે અને કોણ આનો પ્રચાર કરી રહ્યા છે? તમે જો આ વિકૃતિના ગ્રાહક હો તો તેનો પૂરવઠો કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે એ વિષે વિચારવું જોઈએ.
અને હવે ત્રીજો અને મહત્ત્વનો સવાલ. ભારતીય મૂલ્યો વિષે કોણે અભિમાન દાખવ્યું છે, કોણે તેને સમૃદ્ધ કર્યાં છે, કોણે તેને આધુનિક યુગમાં સ્વીકાર્ય બનાવવા માટે જહેમત ઊઠાવી છે, કોણે પાશ્ચાત્ય મૂલ્યવ્યવસ્થા અને જીવનશૈલી વિષે પ્રશ્નો કર્યા છે અને કોણે તે અંગે સાંગોપાંગ વિમર્શ કર્યો છે? માત્ર કહ્યું નથી, એ રીતે જીવન જીવી બતાવ્યું અને રાજકારણ જેવા ક્ષેત્રમાં પણ તેનો ખપ સાબિત કર્યો. દેશને આઝાદી અપાવી, સંસ્થાનવાદ સામે વૈશ્વિક સ્તરે પ્રતિપક્ષ પેદા કર્યો અને પશ્ચિમમાં વિકસેલી અને સ્વીકૃત બનેલી કહેવાતી આધુનિકતા સામે સવાલો કર્યા. કોણે તોપના બળ સામે આપબળને વધારે શક્તિશાળી સિદ્ધ કરી બતાવ્યું?
જવાબ છે મહાત્મા ગાંધી. લાખો પ્રયત્નો પછી પણ ગાંધી મરતો નથી એનાં આ કારણ છે. જે વાત વડા પ્રધાન કહે છે એનો જવાબ તો ગાંધી આપે છે. પ્રારંભમાં જે અવતરણ ટાંક્યું છે એ ફરી વાર વાંચો. મારી સભ્યતામાં જે અમૂલ્ય છે એ મારે જાળવી રાખવું છે. મારે ઘણું નવું લખવું છે, પરંતુ એ મારી પાટી પર. મારા માટે આ સ્વરાજ છે. બહુમતી કોમની જોહુકમી આધારિત રાષ્ટ્રવાદ એ ભારતીય પાટીનું લખાણ નથી, પશ્ચિમમાંથી આયાત કરવામાં આવેલી પાટીનું લખાણ છે. આ સિવાય આજે દેશમાં જે જોવા મળી રહ્યું છે એ ભારતીય પાટી પરનું લખાણ નથી, વિદેશથી આયાત કરવામાં આવેલી પાટીમાંનું લખાણ છે. ગાંધીજીની સ્વરાજની કલ્પના વિષે વધારે જાણવાની ઉત્સુકતા હોય તેમણે ગાંધીજીના અક્ષરદેહનાં ૨૪માં ખંડમાં (પૃષ્ઠ ૨૬૫) કાઁગ્રેસ મહાસમિતિના સભ્યોને ઉદ્દેશીને લખેલો પત્ર વાંચી જાય જેમાંથી ઉક્ત અવતરણ લેવામાં આવ્યું છે. આ સિવાય ‘હિન્દ સ્વરાજ’ તો છે જ.
બીજી બાજુ હિન્દુત્વવાદીઓએ ભારતીય મૂલ્યવ્યવસ્થા વિષે કોઈ વિમર્શ કર્યો છે? કોઈ પુસ્તક, કોઈ પ્રબંધ, કોઈ લખાણ, કોઈ ચર્ચા, કોઈ ઊહાપોહ, કોઈ સેમીનાર કર્યો હોય તો તેની નોંધવહી (પ્રોસિડીંગ્સ). પ્લીઝ કોઈ વિદ્વાન હોય તો મારું ધ્યાન દોરે. મારે જાણવું છે કે તેમને કઈ ભારતીય મૂલ્યવ્યવસ્થા અભિપ્રેત છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 18 ફેબ્રુઆરી 2024